Opinion Magazine
Number of visits: 9449232
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આચાર્ય હોવું શી વસ છે : પૂછો કુંજવિહારી  સી. મહેતાને ને બીજાઓને

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 July 2023

કે.સી., યશવન્ત શુક્લ, જયેન્દ્ર ત્રિવેદી : આપણા આ આચાર્યો વર્ગખંડમાં, કૉલેજના સભાખંડમાં ભણાવતે છતે સીધા સિલેબસથી ઉફરાટે પલટાતી દુનિયાની વાત કરી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા અને નાનાવિધ પ્રવૃત્તિઓ ઉપાડી અગર ચીંધી એમને કૈંક અનુબંધ શા અનુભવ લગોલગ મૂકી આપતા … પછી એલિયેનશન તો બચાડું માર્યું જ ફરે ને!

મહાનગર સુરત આચાર્ય કુંજવિહારી સી. મહેતાને શતાબ્દી વંદના પાઠવી રહ્યું છે તે નવસારીના આ સંતાને સુરતમાં સ્વકીય ખીલો ખોડી જે કામગીરી બજાવી એ દક્ષિણ ગુજરાત સારુ એક મિસાલ જરૂર છે.  પણ એમને વિશે, એમની કામગીરીને કરતબ વિશે, થોડીક વાતો કરવા સાથે આ લખતી વેળાએ મારો ખયાલ મહાનગર ગુજરાતે હજુ હમણેના સૈકામાં જે આચાર્યો જોયા એમની હાજરી નગરજીવનમાં, કહો કે જાહેર જીવનમાં કેવી પ્રભાવક ને પ્રવર્તક હતી એની થોડીએક ચર્ચા કરવાનો છે.

કુંજવિહારી મહેતા

ગયા સૈકામાં એક-દોઢ દાયકાના અંતરે આગળપાછળ આવેલા બીજા બે આચાર્યોને જો મારે નમૂના દાખલ સંભારવા હોય તો હું યશવન્ત શુક્લ અને જયેન્દ્ર ત્રિવેદીને યાદ કરવા પસંદ કરું. બીજાં પણ નામો ન સંભારી શકાય એમ નથી, પણ કે.સી. અગર મહેતાસાહેબ કહેતાં કુંજવિહારી મહેતા, યશવન્ત શુક્લ અને જયેન્દ્ર ત્રિવેદી એ ત્રણ નામો મને સૂઝી આવ્યાં તે એમની ચોક્કસ વિશેષતાને કારણે. સામાન્યપણે આચાર્ય કહેતાં કોઈ અભ્યાસી પ્રતિભા અને ઉત્તમ શિક્ષક, એવું તદ્દન સમજાઈ રહે છે જે આ ત્રણે પોતપોતાની રીતે હતા. યશવન્ત શુક્લ બહુપ્રતિભ અને સર્વવિષયવિહારી હતા. મૂળે વિજ્ઞાનના સ્નાતક જયેન્દ્ર ત્રિવેદીની કારકિર્દી હિંદી ભાષા સાહિત્યમાં વિશેષ રૂપે કોળી. કુંજવિહારી મહેતા વળી ગુજરાતી ને અંગ્રેજી સાહિત્યમાં રમેલા. આટલી ઓળખાણે આ ત્રણે સારુ અપૂરતી અલબત્ત નથી. બલકે, ઉમાશંકરને વર્ગ એ સ્વર્ગ લાગતો તેવી ઉત્તમ શૈક્ષણિક ક્ષણો, ભગવાન અને ભક્તને એક સાથે આલોકિત કરતી આરતી પેઠે, શિક્ષક ને વિદ્યાર્થી બેઉને સારુ સ્મરણીય અને સ્પૃહણીય બની રહે છે.

યશવંત શુક્લ

તો પછી, મને આ ક્ષણે અભીષ્ટ વિશેષતા શી વાતે છે? ભાઈ, ગઈ સદીએ ત્રીસનાં વર્ષોમાં અને તે પછી ખાસ તો ત્રીજી પચીસીનાં પાછલાં વરસોમાં વિશ્વભરમાં એક યુવા છટપટાહટ, કંઈક વિદ્રોહી છટા જોઈ. માર્ક્સનિરૂપ્યા વર્ગ સંઘર્ષને સ્થાને હવે માર્ક્સખ્યાત વય સંઘર્ષ નવપરિવર્તનનું ચાલકબળ બની રહેશે કે કેમ એવી એક સ્થિતિ પણ જાણે કે આપણી સમક્ષ આવી. આપણા આ આચાર્યો વર્ગખંડમાં, કોલેજના સભાગૃહમાં, સીધા સિલેબસથી ઉફરાટે પલટાતી દુનિયાની વાત કરી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા અને નાનાવિધ પ્રવૃત્તિઓ ઉપાડી અગર ચીંધી એમને જાહેર કામ સાથે કંઈક અનુબંધ શા અનુભવ લગોલગ મૂકી આપતા. એલિયેનેશનનું એક વિશ્વવલણ, કેમ જાણે સમજની રીતે, સાહિત્યકૃતિનાં બે પૂંઠાં બહાર લોક સાથે, લોકોના પ્રશ્ન સાથે, પ્રત્યક્ષ કૃતિની રીતે નહીં તો કંઈક પરિચયરૂપે એથી યુવજનોનું સહજ સંધાન થતું.

કુંજવિહારી મહેતા અને યશવન્ત શુક્લ અચ્છા કટારચી હતા. એમનું શિક્ષણ વર્ગની વંડી ઠેકીને છાપાં વાટે લોકશિક્ષણનું રૂપ લેતું. સુરતે મ્યુનિસિપલ કાઉન્સિલરો માટે પારસી લઢણનો એક સોજ્જો શબ્દ રૂઢ કરેલો છે – શહેરી બાવા. (હું ધારું છું, સિટી ફાધર્સનું અનુરણન હશે.) આપણા આ આચાર્યો વણચૂંટાયે શહેરી બાવા હતા, કેમ કે નગર જીવનના પ્રશ્નોમાં એમની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી હતી.

મેં હમણાં ગઈ સદીના ત્રીજા ચરણની જિકર કરી. 1968માં યુરોપ-અમેરિકાનાં કેમ્પસોએ છાત્ર ઉઠાવ જોયો, તે પછીનાં ત્રણ-ચાર વરસમાં આપણે નવનિર્માણનો છાત્ર યુવા ઉદ્રેક જોયો. આ ઉદ્રેકમાં આપણા આચાર્યો ક્યાં હતા? યુવાનો સાથે સંવાદ અને માર્ગદર્શનનો હૂંફાળો નાતો એમનો હતો. શિસ્તના પ્રશ્નો પણ અલબત્ત થયા હશે, પણ નાતો સમજનો. નવનિર્માણ આંદોલનના દિવસોમાં ય મહેતાસાહેબે એમ.ટી.બી. કેમ્પસમાં પોલીસપ્રવેશ થવા દીધો નહોતો એ શિક્ષણ ક્ષેત્રે એક સ્વરાજ સંદેશ લેખે ચિરયાદગાર લેખાશે. આમ જુઓ તો પાછલાં વર્ષોમાં એ ‘શિશુ સહાય ટ્રસ્ટ’માં નિમિત્ત બન્યા તે પણ કથિત નિમ્ન વર્ગના ઉત્કર્ષ માટે અગ્ર વર્ગ કને અપેક્ષિત સહૃદય સક્રિયતાની જ એક સ્વરાજયાત્રા છે.

હિમાંશી શેલતે ‘મુક્તિ-વૃતાંત’માં કટોકટીના દિવસોમાં કોલેજમાં દુર્ગા ભાગવતને નિમંત્રી શકાયાની કે મોહન ધારિયા સાથે અધ્યાપક ખંડમાં છેડાયેલી બહસની જિકર કરી છે. આ બધાંની પૂંઠે મહેતાસાહેબની હાજરી તમને ખસૂસ વરતાશે.

કે.સી. અધ્યાપક ખંડમાં ચા વખતે સામેલ થવાનો આગ્રહ રાખતા. એ અનૌપચારિક વાર્તાલાપ ક્ષણોમાં કેવા વિષયો છેડતા હશે! યશવન્ત શુક્લના આચાર્યકાળમાં એચ.કે. આર્ટ્સ કોલેજનો અધ્યાપક ખંડ કેટલીયે વાર યુનિવર્સિટી શિક્ષણથી માંડી જાહેર બાબતોમાં એક પ્રકારે સમશોધન ગૃહ (ક્લીઅરન્સ હાઉસ) જેવો અનુભવાયાનું જાણ્યું-સાંભળ્યું છે. ભાવનગરમાં નવનિર્માણ-જેપી દિવસોમાં લોકશક્તિ સંગઠન પ્રકારની પ્રવૃત્તિ પહેલ શક્ય બની. એમાં જયેન્દ્ર ત્રિવેદીનીયે ચોક્કસ ભૂમિકા હતી. જયેન્દ્ર ત્રિવેદીનું સંવેદન‌વિશ્વ કેટલું વિશાળ હશે! બનારસ યુનિવર્સિટીના હિંદીના એમ.એ. એટલે પ્રેમચંદ-શિવરાણી દામ્પત્ય વિશે લખ્યું એમાં કદાચ નવાઈ ન લાગે … પણ બે અનોખાં દામ્પત્યની વાત કરતે કરતે એમણે માર્ક્સ અને જેપીને પણ યાદ કર્યાઁ છે.

હમણાં જ, 103મે વિદેહ થયેલાં અધ્યાપિકા વિમલ નવલકરે વર્ષો પર કે.સી. વિશે લખતાં એમની પ્રિય પંક્તિઓ સંભારી હતી :

Come, my friends.

‘Tis not too late to seek a newer world …

Made weak by time and fate, but strong in will

To strive, to seek, to find, and not to yield.

દોસ્તો, સફરના સાથીઓ, નવી દુનિયાની ખોજ વાસ્તે હજુ એટલું મોડું નથી થયું : કાળના સપાટાએ કંઈક નિર્બળ બનેલા આપણે ઈરાદાના પાકા છીએ … સતત મથવું, જોવું ને ખોજવું, ન કદાપિ ઝૂકવું!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 જુલાઈ 2023

Loading

12 July 2023 Vipool Kalyani
← સમુદ્ર કિનારા ધોવાય છે, પહાડોની ટેકરીઓ ખોદાય છે
મમતાની મૂર્તિઃ ચંદા મહેતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved