Opinion Magazine
Number of visits: 9448348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આભાસી શિક્ષણનું જમીની વાસ્તવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 March 2022

અભૂતપૂર્વ શૈક્ષણિક કટોકટીમાં છેલ્લાં બે એક વરસોથી દેશ અને દુનિયા જીવી રહ્યાં છે. કોરોના મહામારીના કપરા બે વરસોથી વિશ્વના ભારતની કુલ વસ્તી જેટલાં બાળકો શાળાઓથી દૂર રહ્યાં હતાં. ભારતમાં ૧૫.૫ લાખ શાળાઓના ૨૪.૮ કરોડ વિધ્યાર્થીઓ લાંબા સમયથી શાળાબંધી સહન કરી રહ્યાં છે. શાળા, શિક્ષકો, દોસ્તારો, ખાણીપીણી, રમતગમત અને એવી કંઈક ચીજોથી દૂર બાળકોના મનમાં ચાલતી ઉથલપાથલ અંગે સમાજ અને સરકાર બેપરવા લાગે છે. ભૌતિક રીતે લાંબા સમયથી બંધ શિક્ષણ આભાસી રીતે ચાલુ જ હોવાના દાવાઓ જરૂર થાય છે, પણ જમીની સચ્ચાઈ સાવ જુદી છે.

ઓનલાઈન શિક્ષણમાં જેટલી પ્રાથમિકતા ઉપલા ધોરણોને અપાય છે તેટલી નાના બાળકોને અપાતી નથી. ત્રણથી છ વરસના પૂર્વ પ્રાથમિક અને પહેલા-બીજા ધોરણના બાળકો અને તેમનાં વાલીઓ શાળાકીય શિક્ષણ તથા તત્સંબંધિત પ્રવૃતિઓ બંધ હોવાની સૌથી વધુ પીડા ભોગવી રહ્યા છે. છેલ્લા બે વરસમાં પ્રાથમિક શાળાના પ્રથમ ધોરણમાં દાખલ થનારા બાળકોની સંખ્યા ઘટી છે. ૨૦૧૮માં ગ્રામીણ ભારતમાં છ થી દસ વરસના ૧.૮ ટકા બાળકો શાળા બહાર હતા. આ વરસે તે વધીને ૫.૩ ટકા થયા છે.

નર્સરી અને જુનિયર-સિનિયર કે.જી.નું ઓનલાઈન શિક્ષણ બાળકો અને તેમના માવતર માટે ભારરૂપ બની ગયું છે. બાળકોના શિક્ષણ પ્રવેશનો આ ગાળો વર્ગખંડ શિક્ષણ કરતાં રમતગમત, હળવા-મળવા અને દેખભાળનો છે. પરંતુ બાળક ઘરમાં જ પૂરાઈને ભણતું હોવાથી તેના મનમાં કદાચ શાળા અને શિક્ષણ પ્રત્યે દુર્ભાવ પેદા થવાની ભીતિ રહે છે. વળી માતાપિતાએ જ શિક્ષકની ભૂમિકા નિભાવવાની આવે છે અને તેઓ મોટે ભાગે બાળશિક્ષણના નિષ્ણાત ન હોવાથી બાળકની શાળાવિમુખતા વધી શકે છે. આ બધી બાબતો તો ભણેલા, થોડા સમૃદ્ધ અને ઓનલાઈન શિક્ષણ જેમની પહોંચમાં છે તેમને લાગુ પડે છે. પરંતુ બહુ મોટો ગરીબ વર્ગ તેની બહાર છે.

કોરોના કાળના આભાસી શિક્ષણની મર્યાદાઓ અનેક સર્વેક્ષણો અને અધ્યયનોમાં છતી થઈ છે. ભારે સામાજિક-આર્થિક અસમાનતા ધરાવતા ભારતમાં ઓનલાઈન શિક્ષણના ઉપકરણો(કમ્પ્યૂટર, લેપટોપ, સ્માર્ટફોન)ના અભાવે પેદા થયેલો ડિજિટલ ડિવાઈડનો ભેદભાવ નાનોસૂનો નથી. ‘એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ’ (અસર) ૨૦૨૧માં ડિજિટલ ડિવાઈડની વ્યાપકતા અને અસરો નોંધાઈ છે. દેશમાં મોબાઈલ ફોનની ખપત વધી છે ૨૦૨૦માં દેશના ૬૧.૮ ટકા ઘરોમાં મોબાઈલ ફોન હતા જે વધીને ૨૦૨૧માં ૬૭.૬ ટકા થયા છે, પણ હજુ તે બધાની પહોંચમાં નથી. બિહારના ૪૫.૬ ટકા, પશ્ચિમ બંગાળના ૪૧.૬ ટકા અને ઉત્તર પ્રદેશના ૪૧.૧ ટકા બાળકોના ઘરમાં હજુ સ્માર્ટ ફોન પહોંચ્યો નથી. એટલે આ રાજ્યોના અડધોઅડધ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ એક સ્વપ્ન છે.

જે પરિવારો પાસે ફોન છે તે કુટુંબની મુખ્ય વ્યક્તિનો હોઈ તેની બાળકોના ઓનલાઈન શિક્ષણ માટેની ઉપલબ્ધતા સીમિત છે. ઘરના એક કરતાં વધુ બાળકોના એક જ સમયે ઓનલાઈન શિક્ષણ માટે તો ઓર મુશ્કેલીઓ છે. શહેરોમાં ૨૪ ટકા અને ગામડાંઓમાં ૧૫ ટકા જ બાળકો નિયમિત ઓનલાઈન ભણી શકે છે. ગ્રામીણ દલિત-આદિવાસી માત્ર ૪ ટકા અને કથિત ઉચ્ચ વર્ણના ૧૫ ટકા જ બાળકો ઓનલાઈન શિક્ષણના નિયમિત લાભાર્થી હતા, આ હકીકત દેશનો કેટલો મોટો વર્ગ શિક્ષણથી વંચિત રહ્યો છે તે દર્શાવે છે. ગરીબ વંચિત સુધી શિક્ષણ પહોંચ્યું નથી. ત્યારે આભાસી શિક્ષણે શિક્ષણના ક્ષેત્રે અગાઉથી પ્રવર્તતી વિષમતાની ખાઈને વધુ પહોળી અને ઊંડી બનાવી છે.

શાળાઓ બંધ હોવાથી લાંબા અને ટૂંકા ગાળાની અસરો શિક્ષણ પર પડી છે. અજીમ પ્રેમજી યુનિવર્સિટીના અભ્યાસનું તારણ છે કે પ્રાથમિક શાળાના ૮૨થી ૯૨ ટકા વિદ્યાર્થીઓએ ભાષા અને ગણિત કૌશલ ગુમાવ્યું છે. અર્થશાસ્ત્રી જ્યાં દ્રેજ [Jean Drèze] અને અન્યનો અભ્યાસ જણાવે છે કે વંચિત વર્ગોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રસાર ખૂબ ઓછો છે આભાસી શિક્ષણ તેમના માટે અભિશાપ નિવડ્યું છે. કેમ કે ઓનલાઈન શિક્ષણની સામગ્રી ઉપલબ્ધ નહોતી, ગરીબ-અભણ વાલીઓને તેની કશી જાણકારી નહોતી, નાનાં બાળકો ઓનલાઈન શિક્ષણ યોગ્ય રીતે સમજી શકતા નહોતા કે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નહોતા. ધોરણ ૩થી ૫ના ગ્રામીણ બાળકો ૪૨ ટકા અને શહેરી બાળકો ૩૫ ટકા જ થોડું વાંચી શકતા હતા. ગામડાંઓમાં ૭૫ અને શહેરોમાં ૭૬ ટકા બાળકોની વાંચવાની ક્ષમતા ઘટી છે. ૧૦થી ૧૪ વરસનાં બાળકોનો રાષ્ટ્રીય સાક્ષરતા દર ૨૦૧૧માં ૯૧ ટકા હતો તે એક દાયકે ઘટીને ગામડાંઓમાં ૬૬ અને શહેરોમાં ૭૪ ટકા થયો છે. શાળાઓ બંધ હોવાથી તે હજુ ઘટશે અને શિક્ષણના નબળા સ્તરની અસરો લાંબાગાળા સુધી જોવા મળશે.

સંપન્ન અને શહેરી ઈન્ડિયાનાં બાળકોનાં શિક્ષણ પર લર્નિંગ એપ્સ અને ટ્યુશન-ટ્યુટોરિયલ ક્લાસીસના કારણે ખાસ અસર જોવા મળશે નહીં. પરંતુ ગરીબ વંચિત ભારતનાં બાળકોનાં શિક્ષણ પર ભરપાઈ ન થઈ શકે તેટલી મોટી અસર થઈ છે. ‘રાઈટસ ટુ એજ્યુકેશન ફોરમ’નો મત છે કે ભારતમાં ૧ કરોડ બાળકીઓ શિક્ષણ છોડી દેશે. તેઓ ગરીબ માબાપના વૈતરાંમાં જોતરાઈ ગઈ છે. બાળલગ્ન, બાળશ્રમ, બાળતસ્કરીનું ચલણ વધ્યું છે. બાળકો સંક્રમિત થવાના ભયથી શાળાઓ બંધ રખાઈ છે. પરંતુ ગરીબ શ્રમિકોનાં સંતાનો ઘરે કે માબાપ સાથે મજૂરીના સ્થળે સંક્રમિત થવાનો વધુ ભય છે. મધ્યાહ્ન ભોજન બંધ હોવાના અને માબાપની મજૂરી ઘટવાને કારણે બાળકોમાં કુપોષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

નિરીહ બાળકો અને તેમનું શિક્ષણ દેશના નીતિનિર્ધારકોની પ્રાથમિકતા જ નથી. ઓનલાઈન શિક્ષણે ગરીબ વંચિત વર્ગોનાં બાળકોને પાછળ ધકેલી દીધા છે તેનો ઉપાય કરવાને બદલે કેન્દ્ર સરકારે બજેટમાં ૨૦૦ ચેનલ મારફત પૂરક શિક્ષણ આપવાની જોગવાઈ કરી છે. જેમના સુધી મુખ્ય શિક્ષણ જ નથી પહોંચ્યું, તેમને પૂરક શિક્ષણ આપવાનો, અને તે પણ ટી.વી. ચેનલ મારફત, અર્થ શો ? ખરેખર તો કોરોના મહાનગરોમાં વકરે ત્યારે આખા દેશ કે રાજ્યમાં શાળાબંધી કરવાને બદલે સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવો જોઈએ. ખાનગી શાળાઓએ શિક્ષણબંધીના સમયમાં પણ ફી વસૂલી છે અને સરકારી શાળાઓના મુકાબલે ઓછું શિક્ષણ આપ્યું છે, એટલે શિક્ષણના ખાનગીકરણને અટકાવી, સરકારી શિક્ષણ માટે પાયાની સગવડો ઊભી કરવાની જરૂર છે.

વિકટ કોરોનાકાળમાં પણ શિક્ષણ ઓનલાઈન ધોરણે સુચારુ રૂપે ચાલુ રહ્યાની સરકારી ગુલબાંગોને હવે રૂક જાવ કહેવાની જરૂર છે. આભાસી શિક્ષણ અંગેના ધરાતલના વાસ્તવને સ્વીકારવું પડશે. છેલ્લાં બે વરસોના શિક્ષણ પર થયેલી ભયાવહ અસરો નાબૂદ કરવા દીર્ઘકાલીન અને ધીરજપૂર્વકના પ્રયાસોની દિશામાં સક્રિય થવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

11 March 2022 admin
← પુતિનના યુદ્ધમાં આખું વિશ્વ શા માટે હારી જશે?
હવે, હિંદુ રાષ્ટ્રની સ્થાપના યોગીના હાથે થશે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved