Opinion Magazine
Number of visits: 9446897
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ પણ યાદ રાખવા જેવા આંબેડકર

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|15 April 2019

નેતાઓ પૂતળાસ્વરૂપ થઈ જાય, એટલે તેમના જીવનકાર્ય વિશે વાંચવા-સમજવાની કે યથાશક્તિ એ રસ્તે ચાલવાની ઝંઝટ મટી જાય છે. ડો. આંબેડકરને યાદ કરીએ એટલે ઠેર ઠેર ઊભાં કરાયેલાં તેમનાં પૂતળાં, ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’નાં ત્રિસૂત્રી, બંધારણના ઘડવૈયા તરીકેની ઉપરછલ્લી ઓળખ અને જીવનના અંતિમ તબક્કે કરેલું ધર્મપરિવર્તન – આટલું યાદ આવે .. બહુમતી લોકો માટે ડો. આંબેડકર આટલામાં જ સમેટાઈ ગયા. ઘણાં બધાં બિનદલિતો વળી તેમના જેવી વિશ્વપ્રતિભાને ‘દલિતોના નેતા’ ગણીને આગળ વધી જાય. બાકી હોય તો ચબરાક રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ ખાતર તેમના નામનું અપહરણ કરી જાય.

મહાન નેતાઓના જીવનની કઠણાઈ પણ મહાન હોય. પંડિત નહેરુ- નહેરુચાચાનો વિરોધ કરીને, તેમની સમાંતરે સભા ભરવાની હિંમત કરનારા ઈંદુલાલ યાજ્ઞિક કહેવાય તો ‘ઈંદુચાચા’ જ. એવી રીતે આઝાદ ભારતમાં તે વખતે અસ્પૃશ્યો તરીકે ઓળખાતા દલિતોના હિતનું શું થશે? તેની સતત ચિંતા સેવનારા ડો. આંબેડકરને બંધારણની તેમની કામગીરીને કારણે ‘આધુનિક મનુ’ જેવું બિરુદ મળે. તે કેવું કહેવાય? આ જ ડો. આંબેડકરે ૧૯૨૭માં ‘મનુસ્મૃતિ’નું જાહેરમાં દહન કર્યું હતું. પ્રખર અભ્યાસી એવા આંબેડકર માનતા હતા કે અસ્પૃશ્યતાને માન્યતા આપવામાં અને એ અન્યાયી વ્યવસ્થાને દલિતોના માથે ઠોકી બેસાડવામાં ‘મનુસ્મૃતિ’નો મોટો ફળો છે. પરંતુ એ વાત તેમના અનુયાયીઓ અને ટીકાકારોમાં ઓછી જાણીતી છે કે ‘મનુસ્મૃતિ’ અંગેની તેમની માન્યતા પછી બદલાઈ હતી. પ્રો. ભીખુ પારેખે ‘ડો. આંબેડકર સ્મૃતિવ્યાખ્યાન’(૨૦૦૯)માં નોંધ્યા પ્રમાણે, અસ્પૃશ્યતાના ઉદ્દભવનો ઊંડો અભ્યાસ કરતી વખતે તેમનો મત બદલાયો. ‘ધ અનટચેબલ્સઃ હુ વેર ધે એન્ડ વ્હાય ધે બીકેમ અનટચેબલ્સ’ એ પુસ્તકમાં તેમણે લખ્યું કે ‘મનુસ્મૃતિ’ ઇસવી સન પૂર્વે બીજી સદીમાં લખાઇ હતી, જ્યારે અસ્પૃશ્યતાનો આરંભ તેનાથી પણ આશરે બસો વર્ષ પહેલાં થઇ ચૂક્યો હતો. પાકા અભ્યાસી ડો. આંબેડકરે અસ્પૃશ્યતાની શરૂઆતને ગૌવધ તથા ગૌમાંસ પરના પ્રતિબંધ સાથે સાંકળી હતી અને તેમણે જણાવ્યું કે આ બંને બાબતોને ‘મનુસ્મૃતિ’માં પ્રતિબંધિત ગણાવાઈ નથી.

મનુસ્મૃતિ પ્રત્યેના તેમના અભાવ જેટલી જ ગાંધીજી પ્રત્યેની તેમની કડવાશ જાણીતી છે. તેના કારણે ઘણાં દલિતોમાં ગાંધીજી પ્રત્યે અપ્રમાણસરના અનાદરની – લગભગ ધિક્કારની – લાગણી જોવા મળે છે. ગાંધીજીની ટીકા સહિતની પણ ધોરણસરની સમીક્ષા કરનાર દલિત નેતાની નેતાગીરી જોખમમાં આવી પડે એવી સ્થિતિ છે. દલિતોના ગાંધીજી વિશેના અધકચરા – આત્યંતિક અભિપ્રાયો વિશે ઘણી વાર ચર્ચા અને વાજબી ટીકા થાય છે, પણ ગાંધીભક્તો દ્વારા થતી ડો. આંબેડકરની ઉપેક્ષા અથવા છૂપી ટીકાની એટલી ચર્ચા થતી નથી. ડો. આંબેડકરની ભૂમિકાને અને તેનાં ઐતિહાસિક પરિબળોને પૂરાં સમજ્યા વિના, ગાંધીજી વિશેની તેમની ટીકાને અત્યારના સંજોગોમાં તાણી લાવવામાં બંને હસ્તીઓને અન્યાય થવાની શક્યતા પૂરેપૂરી હોય છે.

બિનદલિતો ડો. આંબેડકરના વૈચારિક પાસાંથી કે તેમની બીજી અનેક પ્રતિભાથી પરિચિત નથી હોતા અને તેનો કદી અફ્સોસ પણ નથી હોતો. પ્રો. ભીખુ પારેખે એક વિચારક અને નેતા તરીકે ડો. આંબેડકરનું મૂલ્યાંકન કરતાં એટલી હદ સુધી કહ્યું હતું કે, ‘તેમના (ડો. આંબેડકરના) જીવનનો અંતકાળ ચાલતો હતો ત્યારે અમેરિકામાં એક અન્ય લઘુમતી નેતા માર્ટિન લ્યુથર કિગ જુનિયરનો ઉદય થઇ રહ્યો હતો. બંને સમાન નિસબત ધરાવતા હતા અને વિચારક તરીકે આંબેડકર કેટલીક બાબતોમાં માર્ટિન લ્યુથર કિગ કરતાં વધારે મહાન હતા. છતાં કિગ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક હસ્તી તરીકે પ્રસ્થાપિત થયા, લઘુમતીના હકો માટે લડનારાનાં પ્રશંસા અને આદરમાન પામ્યા, જ્યારે દુઃખની વાત એ છે કે આંબેડકર સ્થાનિક અને કાલગ્રસ્ત બનીને રહી ગયા.’

ડો. આંબેડકરની આત્યંતિકતાનું અનુકરણ કરતાં ઘણાં લોકો અભ્યાસ કે સજ્જતાની બાબતમાં તેમના રસ્તે ચાલવાની કોશિશ ભાગ્યે જ કરે છે. શાસ્ત્રીય અભ્યાસ અને સંશોધનાત્મક લખાણોની બાબતમાં ડો. આંબેડકરની સરખામણી ભાગ્યે જ બીજા કોઇ નેતા સાથે થઇ શકે. બેરિસ્ટર અને પીએચ.ડી.ની બેવડી ડિગ્રી ધરાવતાં બાબાસાહેબના ગ્રંથો ફ્ક્ત વિદ્વત્તા, સંશોધન અને પૃથક્કરણની દ્રષ્ટિએ જ નહીં, અંગ્રેજી ભાષાના સૌંદર્યની બાબતમાં પણ પ્રભાવશાળી છે. પરંતુ ‘ગાંધીજીના અક્ષરદેહ’ની જેમ ‘ડો.આંબેડકરનો અક્ષરદેહ’ જાણીતો બની શક્યો નથી. (તેનું ગુજરાતી એટલું કચાશવાળું અને ક્લિષ્ટ છે કે થોડુંઘણું અંગ્રેજી આવડતું હોય તેને ગુજરાતી ન સમજાતાં અંગ્રેજીમાં વાંચીને સમજવું પડે.)

ગાંધીજી અંગ્રેજોનો નહીં પણ અંગ્રેજી રાજનો વિરોધ કરતા હતા, એ સૌ જાણે છે – અને એ બાબતને યોગ્ય રીતે જ તેમની મહાનતાનું એક અંગ ગણાવવામાં આવે છે. ડો. આંબેડકર પણ આ બાબતમાં ખાસ જુદા નથી. જ્ઞાતિવાદી માનસિકતાના ઉગ્ર વિરોધી બાબાસાહેબ બ્રાહ્મણોના વિરોધી ન હતા. ઊલટું, તેમના કેટલાક નિકટના સાથીદારો બ્રાહ્મણ હતા. ૧૯૩૧માં ભરાયેલી બીજી ગોળમેજી પરિષદના સમય સુધી ગાંધીજી એવું માનતા હતા કે ડો. આંબેડકર અસ્પૃશ્યોના હિત માટે લડતા કોઇ બ્રાહ્મણ નેતા છે.

બિનદલિત નેતાઓ વિશે ડો. આંબેડકરના મનમાં ભારોભાર કટુતા અને સંદેહ હતાં. ગાંધીજીને બાદ કરતાં ઘણાં નેતાઓમાં અને ગાંધીયુગ પહેલાં મહારાષ્ટ્રમાં થયેલા ઉજળિયાત સુધારકોમાં તેમણે જોયેલાં બેવડાં ધોરણ એને માટે ઘણા અંશે જવાબદાર હતાં. કદાચ એટલે, દલિત પ્રશ્નને કોંગ્રેસના અને દેશના મંચ પર મૂકી આપવાની ગાંધીજીની પ્રવૃત્તિને તે સમભાવથી જોઈ શક્યા નહીં. ડો. આંબેડકરની અસ્વસ્થતા પાછળનાં કારણ બીજા કોઈપણ નેતા કરતાં ગાંધીજી વધારે સમજતા હતા અને તેમની કટુતાનું ખરાબ ન લગાડવું જોઈએ, એવું તે સાથીઓને સમજાવતા હતા.

પોતાના સહિત બીજા નેતાઓ વિશે લોકોનામાં મનમાં ભક્તિભાવ પેદા થાય, તેની ડો. આંબેડકરને સખત ચીડ હતી. બંધારણસભાના એક પ્રવચનમાં ૧૯૪૯માં તેમણે કહ્યું હતું, ’ભારતમાં ભક્તિએ રાજકારણમાં જે હદનો ભાગ ભજવ્યો છે તેનો દુનિયાના કોઇ દેશમાં જોટો જડે તેમ નથી. ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ હોઇ શકે, પરંતુ રાજકારણમાં ભક્તિ કે વ્યક્તિપૂજા પતન અને આખરે સરમુખત્યારશાહી ભણી દોરી જાય છે.’ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘મારા તત્ત્વજ્ઞાનમાં સ્વતંત્રતા અને સમાનતાના રક્ષણ માટે કાયદો છે … પણ બંધુતાને તેમાં ઘણું ઊંચું સ્થાન છે … બંધુભાવ એટલે કે બંધુતા એ માનવતા અને માનવતા એ જ ધર્મનું બીજું નામ છે.’

મૃત્યુની રાત સુધી ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મ’ પુસ્તકના કામમાં પરોવાયેલા ડો. આંબેડકર ઊંઘમાં જ અવસાન પામ્યા. છેલ્લાં થોડાં વર્ષોથી તેમના વિશે નવેસરથી અભ્યાસો થઈ રહ્યા છે. વિદેશોમાં તેમના કામનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. હવે, દેશી અનુયાયીઓને ટીકાકારો ડો. આંબેડકરના પૂતળાંથી આગળ વધે તો ખરું.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 14 ઍપ્રિલ 2019 

Loading

15 April 2019 admin
← મત કોને આપવો ? ઉમેદવારને કે પક્ષને ?
BJP: Hiding Failures-Targeting Nehru →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved