Opinion Magazine
Number of visits: 9447706
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણથી બેહાલી

રોહિત શુક્લ|Opinion - Opinion|14 November 2019

નિશાળો, કૉલેજો કે યુનિવર્સિટીઓમાં ભણાવવાના કે અન્ય સંલગ્ન કામગીરીમાં રોકાયેલાઓને પોતે જે કાંઈ કરે છે તે શા માટે કરે છે, તેની કુલ અસર શી છે, જે કામ કરાવવામાં આવી રહ્યું છે, તેની પાછળ કયા વિચારો કામ કરે છે અને પોતાની કામગીરીનાં પરિણામ કેવાં આવે છે, તે બધા વિશે કોઈક વ્યાપક દૃષ્ટિકોણથી વિચારવાનો ભાગ્યે જ સમય મળતો હશે. તેમાં રસ-રુચિ હશે કે કેમ તે પણ વિચારવું ઘટે. એક અત્યંત સાદા પ્રશ્નથી પ્રારંભ કરીએઃ

દિલ્હીમાં શિક્ષણની વ્યવસ્થામાં સગવડો તથા ગુણવત્તામાં, આટલા ટૂંકા સમયમાં (પાંચ વર્ષમાં !) આટલો મોટો સુધારો આવી શક્યો અને ‘મહાન’ ગણાતા ગુજરાતની શિક્ષણની હાલત આટલી ખસ્તા કેમ ? દિલ્હીમાં શિક્ષક વધારે સારા હશે ? યાદ રહે, પાંચ વર્ષ અગાઉ પણ લગભગ આ જ શિક્ષકો હતા. દિલ્હીમાં ફેર પડ્યો તેનું કારણ તેનો સુંદર વહીવટ છે. આ વર્ષે અર્થશાસ્ત્રનું નોબલ સમકક્ષ ઇનામ મેળવનારા અભિજીત બેનર્જીના વિચારોનો તેમણે કરેલો ઉપયોગ પણ ઘણો કામ આવ્યો છે. સામે પક્ષે થોડાંક વર્ષ અગાઉ ગુજરાતના એક વહીવટી અધિકારીએ ખંડસમયના અધ્યાપકો માટે વાપરેલા શબ્દો એટલા બિનશોભાસ્પદ છે કે ‘અભિદૃષ્ટિ’ તેનો ઉલ્લેખ પણ નહીં કરે! અલબત્ત, ગોરા બ્રિટિશ હાકેમોની જગ્યાએ આવી પડેલા આ સત્તાના મદોન્મતો આગળ અંગ્રેજોની વિવેકી ભાષા અને તહજીબને યાદ કરીને ગ્લાનિ અનુભવવી રહી !

હમણાં જ એક નવો ઉત્સાહ વ્યક્ત થયો છે. આર્થિક બદહાલીથી ગુજરી રહેલા આપણા સમાજમાં સરકાર અન્ય ખાસ કશું કરી શકે તેમ જણાતું નથી; કદાચ તેથી જ હવે નવી વાત આવી છે : આપણે ત્યાં હવે વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવશે ! આમ તો ભારતમાં, ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયા મૂવમૅન્ટ ચાલી હતી; હવે યુવાઓ અને ધનવાનોની નવી ક્વિટ- ઇન્ડિયા મૂવમૅન્ટ શરૂ થઈ ગઈ છે ! અમેરિકા, કૅનેડા અને યુનાઇટેડ કિંગ્ડમ. તો જૂનાં અને જાણીતા ગંતવ્યસ્થાનો હતાં; હવે મેડિકલના અભ્યાસ માટે ફિલિપાઇન્સ, ચીન, યુનાઇટેડ કિંગ્ડમ., રશિયા, દક્ષિણ આફ્રિકા વગેરે નજીકના દેશો ઊભરી રહ્યા છે. ભારતમાં મેડિકલમાં પ્રવેશ નથી મળતો તેથી જ વિદ્યાર્થીએ વિદેશ જાય છે, તેવું ધારવાની ભૂલ કરવા જેવી નથી. ગુજરાતનો જ દાખલો લો. એક તો અહીંની મેડિકલ કૉલેજોમાં પૂરતો સ્ટાફ જ નથી; ઘણે ઠેકાણે કૉલેજ સાથે સંલગ્ન દવાખાનામાં પૂરતા દરદીઓ પણ હોતા નથી ! ફીનાં ધોરણો અકલ્પ એવાં ઊંચાં છે. ગુજરાતમાં મેરિટથી પ્રવેશ મેળવી શકનાર વિદ્યાર્થી એમ.બી.બી.એસ. થતાં સુધીમાં લગભગ રૂ. પચાસ લાખ ખર્ચે છે, જેમાંથી માત્ર ફીના રૂ. ૪૨ લાખ હોય છે આની સામે, અમેરિકાની યુનિવર્સિટીના સભ્યાસક્રમ ભણાવનાર ફિલિપાઇન્સમાં પૂરતા શિક્ષકો, માત્ર ચાળીસ જ વિદ્યાર્થીઓની બૅચ અને રહેવા, જમવા, પુસ્તકો અને ગણવેશ સહિતનો ખર્ચ માત્ર રૂ. ૨૧ લાખ છે ! મેડિકલના અને વધુ વ્યાપક રીતે અન્ય અભ્યાસક્રમોમાં પણ ઘણી ઊંચી ફી માટે કયાં આર્થિક કારણો જવાબદાર છે, તે ગંભીર શોધનો વિષય છે.

શાળેય શિક્ષણથી શરૂઆત કરીએ તો જે સમસ્યાઓ ઝટપટ ઊડીને આંખે વળગે છે, તે આટલી :

૧. ગુજરાતમાં સરકારી શાળાઓમાં ૨૨ હજાર શિક્ષકોની ઘટ છે. સરકારના સર્વ શિક્ષા- અભિયાન, શાળા પ્રવેશોત્સવ, ગુણવત્તા – અભિયાન વગેરે તમામ કાર્યક્રમોની આ શિક્ષકોની આ ઘટને કારણે હવા જ નીકળી જાય છે. વગર શિક્ષકે ગુણવત્તા જાળવવાનો કે વધારવાનો કોઈ કીમિયો  જડ્યો હોય, તો સરકારે તેને સત્વરે જાહેર કરવો જોઈએ.

૨. રાજ્યની ઘણી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય છે. વર્ગો (ચોમાસા સિવાય) બહાર ખુલ્લામાં ચાલે અને ચાર કે પાંચ ધોરણના વિદ્યાર્થીઓ ચાર દિશામાં બેસે અને એક શિક્ષક વચ્ચે ઊભા રહીને ચારેય વર્ગોને ભણાવે, તેથી ગુણવત્તા જળવાશે ?! ખૂબી એ છે કે આ કોઈ નવી કે આકસ્મિક ઘટના નથી.

૩. સરકારી ગણાતી શાળાઓ પૈકી ઘણાંનાં મકાનો જર્જરિત થઈ ગયાં છે. ‘સિત્તેર વર્ષમાં કશું થયું નથી’ એમ કહેનારાઓએ યાદ રાખવા જેવું છે કે અનેક શાળાઓના ઓરડા આ સિત્તેર વર્ષમાં બન્યા છે. પૂજ્ય મોટા જેવા ગુજરાતના એક સંતે તો ગામેગામ નિશાળોના ઓરડા બાંધવા માટે દાનની અપીલ કરેલી. ૧૯૮૬ની શિક્ષણ નીતિ હેઠળ રાજીવ ગાંધીએ ‘ઑપરેશન બ્લૅક બોર્ડ’ અને પ્રત્યેક જિલ્લામાં નવોદય શાળાઓ રચી શિક્ષણની ગુણવત્તા સુધારવા પ્રયાસ કરેલો.

૪. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની વાત નારાબાજી કે ભાષણબાજી અને ઉપદેશથી આગળ કેમ નથી વધતી ? નિશાળોને ફરતી કંપાઉન્ડ વૉલ ન હોય, છોકરીઓ માટે અલગ ટૉઇલેટ ન હોય અને માથું ફાડી નાંખે તેવા ફીના આંકડા હોય ત્યાં મા-બાપ શું કરે ? ફી-નિયંત્રણ, ટૉઇલેટ અને કંપાઉન્ડ વૉલ બાંધવા અને પોપડા ન ખરે તેવા વર્ગખંડો બાંધવામાં પણ સરકાર હજુ સફળ નથી થઈ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર આપણે ઉતરાણ કરીએ તે શક્ય છે પણ શાળાઓમાં જરૂરી સગવડો કરીએ તે અશક્ય છે.

૫. ગુજરાત સરકારે એક-બે વાર ગુણવત્તાની તપાસના આંકડા બહાર પાડ્યા તો ખરા પણ પછી પોતાની ભૂલ સમજાઈ ! આ આંકડાં વડે સરકારની નિષ્ફળતા સાબિત થતી હતી. મજાની વાત એ છે કે શિક્ષણની ગુણવત્તાની તપાસ સરકારી તંત્ર દ્વારા થાય છે. તેમાં કોઈ શિક્ષણશાસ્ત્રીની સામેલગીરી જરૂરી ગણાતી નથી. ભલે! હવે આપણે એમ કરીએ કે જે રીતે સરકાર શિક્ષણની ગુણવત્તા તપાસે છે, તેવી જ રીતે સરકારી કામગીરીની તપાસ શિક્ષકો પાસે કરાવવી ઘટે. ચોમાસામાં બટકી જતા પુલો, રસ્તે રસ્તે ધૂણતા ભૂવાઓ, નર્મદાની તૂટી પડતી નહેરો, દૂષિત પાણી, સગવડ વગરનાં દવાખાનાં, વીજળીનાં મસમોટાં બિલ, ખાનગી શાળાઓ દ્વારા વસૂલાતી ફી … ઘણા વિષયો છે, જેની તપાસ અને સંશોધનનું કામ સરકારે શિક્ષણજગતને સોંપવું જોઈએ.

ખેર ! આવાં અનેક કારણોસર શાળા પ્રવેશોત્સવ પછી પણ ઊંચો ડ્રૉપઆઉટ અને નીચી ગુણવત્તા આપણા શિક્ષણ સાથે સંકળાયેલાં જ રહ્યાં છે. પેલાં ‘સિત્તેર વર્ષ’માં હાલત આટલી ખરાબ ન હતી; આજના મુકાબલે તે થોડાક ‘અચ્છે દિન’ હતા.

ગુજરાત રાજ્યે પોતાની જી.ડી.પી. (સ્ટેટ જી.ડી.પી.)ના ૧.૪૬ ટકા (૨૦૧૮-૧૯) શિક્ષણ પાછળ ખર્ચ્યા, પ્રાથમિક શિક્ષણ માટે તો માત્ર ૦.૯૧ ટકા ! શિક્ષણ પાછળના ખર્ચની બજેટ હેઠળની જોગવાઈમાં, પાછલા વર્ષની તુલનાએ ૨૦૧૯-૨૦માં માત્ર ૧.૭૪ ટકાનો વધારો થયો, પરંતુ પ્રાથમિક શિક્ષણ પાછળના ખર્ચમાં રૂ. ૨૨૮.૫ કરોડનો ઘટાડો થયો ! સરકારને ગુણવત્તા અંગે ચિંતા છે અને હોવી જ જોઈએ, પરંતુ વર્ષ ૨૦૧૯-૨૦માં, પ્રાથમિક શિક્ષણ પાછળના કુલ રૂ. ૧૩,૮૪૮.૪૯ કરોડમાંથી શિક્ષકોની તાલીમ માટે માત્ર ૦.૨૦ ટકા ફાળવવામાં આવ્યા !

બીજી તરફ, દેશનાં ૧૮ મોટાં રાજ્યોના શિક્ષણ પાછળના ખર્ચની ટકાવારી તુલના કરીએ, તો વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં છત્તીસગઢ પ્રથમ સ્થાને હતું, જ્યારે દેશમાં પોતાને વિકસિત રાજ્ય ગણાવાતું ગુજરાત ૧૪માં સ્થાને હતું !

રાજ્યના શિક્ષણના પ્રયાસોને લીધે અક્ષરજ્ઞાન ધરાવતી વસ્તીની ટકાવારીમાં વધારો થયો છે, તે સાચું પણ આ વિગતોને જરાક વધુ ધ્યાનપૂર્વક તપાસવાની જરૂર છેઃ

દેશમાં તાજેતરનો સાક્ષરતાનો દર આ પ્રમાણે છે :

કુલ સાક્ષરતા ૬૯.૧૪ ટકા

એસ.સી. ૭૦.૫૦ ટકા

એસ.ટી. ૪૭.૭૪ ટકા

પરંતુ તેમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનો ગાળો મોટો છે :

કુલ વસ્તી ૨૧.૮૬ ટકા

એસ.સી. ૨૪.૯૮ ટકા

એસ.ટી. ૨૩.૧૬ ટકા

મતલબ કે દરેક જૂથમાં સ્ત્રીઓ કરતાં લગભગ ત્રણથી ચાર ગણા વધુ પુરુષો શિક્ષિત બને છે. અને સ્ત્રીઓ પાછળ રહી જાય છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ સૂત્રને યાદ કરીએ !

ગુજરાતમાં શિક્ષણની એક અન્ય વિશેષતા એ છે કે રાજ્યમાં દર ૪.૬૬ પ્રાથમિક શાળા દીઠ માત્ર એક માધ્યમિક શાળા છે. પ્રાથમિકથી આગળ ભણવું હોય, તો ૩.૬૬ શાળાઓનાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ લાંબું અંતર ચાલવું, હૉસ્ટેલમાં રહેવું અને અન્ય ભારે ખર્ચ ઉઠાવવા તૈયાર રહેવું પડે ! બેટી પઢાઓના નારાઓની જય હો !!

સરકારના ધ્યાન ઉપર આ વિગતો હોય જ અને શિક્ષણના આદર્શો તથા નીતિ વિષે પણ માહિતી હોય જ, છતાં રાજ્યની શિક્ષણની પરિસ્થિતિ ચિંતાજનક છે જ.

એક તરફ એમ કહેવાય છે કે દેશમાંથી બેકારી દૂર કરવા વાસ્તે ‘સ્કિલ’માં વધારો કરવો જરૂરી છે. પરંતુ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રની વાસ્તવિકતા એ છે કે તમામ પ્રકારની લાયકાતો એટલે કે સ્કિલ ધરાવતા હોવા છતાં વીસ હજારથી વધુ શિક્ષકોની ભરતી જ કરાતી નથી ! વળી, આવા શિક્ષકોની તાલીમ માટે પણ માત્ર ૦.૨૦ ટકાના ખર્ચની જોગવાઈ કરાય છે.

પ્રાથમિક શિક્ષણ પૂરું કરે તેને માટે માધ્યમિક શાળાઓ નથી અને છત્તીસગઢ પ્રથમ સ્થાને તથા ગુજરાત છેક ચૌદમાં સ્થાને આવે તેટલું ઓછું ખર્ચ સરકાર કરે છે.

આ સંજોગોમાં ગુણવત્તા કે ડ્રૉપ આઉટ માટે સરકારે પોતે પોતાની જ કામગીરી તપાસવાની ખાસ અને તાત્કાલિક જરૂર છે. સરકાર આ વાસ્તવિકતા પોતે જ સર્જી છે તે સ્વીકારે અને શિક્ષકોના માથે દોષ નાંખવાનું બંધ કરે તો સાચી દિશાની શરૂઆત શક્ય બનશે.

[સંપાદક, ‘અભિદૃષ્ટિ’]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 02-04

Loading

14 November 2019 admin
← ગુજરાત માટે ગૌરવવંતી ઘટના એટલે હેલ્લારો !
આલિયા બકર : તોપમારાની વચ્ચે પણ બસરાના જાહેર ગ્રંથાલયનાં પુસ્તકોને બચાવનાર લાઇબ્રેરિયન →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved