સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક માટે સતત બીજું વર્ષ વિવાદાસ્પદ રહ્યું છે. ગયા વર્ષે જ્યુરીના એક સભ્યના પતિ સામે બળાત્કારના આક્ષેપનાં પગલે પહેલી વાર પારિતોષિક મુલતવી રાખવું પડ્યું હતું. હવે દસમી ઑક્ટોબરે ગતવર્ષ અને આ વર્ષ, બંનેના વિજેતા જાહેર થયા. તેમાં આ વર્ષ માટે ઑસ્ટ્રિયન નાટ્યકાર-લેખક પિટર હાન્કી (Peter Handke)ની પસંદગી સામે ભારે વિરોધ થયો છે. સાથે કર્તા અને કૃતિ વચ્ચેના ફરકની ચર્ચા પણ ચાલી છે.
લાભશંકર ઠાકરે ઘણાં વર્ષો પહેલાં કોઈ ટૂંકા લખાણમાં તેમના પસંદગીના લેખક-કવિઓની વાત કરતાં હાન્કીનો ઉલ્લેખ કર્યો હતો. નાટ્યલેખનમાં હાન્કીનું નામ વિનાવિવાદે પહેલી હરોળમાં છે. ઉપરાંત જર્મન સિનેમાના અગ્રણી દિગ્દર્શક વિમ વેન્ડર્સની અમુક ફિલ્મો માટે તેમણે પટકથા લખી છે, જેમાં ‘વિંગ્ઝ ઑફ ડિઝાયર’(૧૯૮૭)નાં ઘણાં વખાણ થયાં છે. એક ફરિશ્તાએ થોડા સમય માટે માનવ અવતાર ધારણ કર્યો છે અને એ માનવજીવન વિશે શીખે છે, એની વાર્તા છે. વેન્ડર્સે ૧૯૯૮માં એની હોલિવૂડ આવૃત્તિ બનાવી, ‘સિટી ઑફ એન્જલ્સ’ નામે, જે હોલિવૂડ કક્ષાએ માણવાલાયક છે.
વાંધાજનક વાત એ છે કે હાન્કીએ સર્બિયાના અને પછીથી યુગોસ્લાવિયાના પ્રમુખ સ્લોબોદાન મિલોસેવિચને સમર્થન આપેલું. સંયુક્ત રાષ્ટ્રની એક ટ્રિબ્યૂનલે ૧૯૯૮-૯૯ના કોસોવો યુદ્ધમાં માનવજાત સામેના ગુનાઓ બાબતે મિલોસેવિચને દોષી જાહેર કર્યા હતા. તેમની સામે બોસ્નિયામાં મુસ્લિમ વસતિનો ખાતમો કરવાનો આક્ષેપ પણ આંતરરાષ્ટ્રીય અદાલતમાં પુરવાર થયો હતો. તે સમયે મિલોસેવિચના સમર્થનમાં હાન્કી આગળ આવ્યા હતા. મિલોસેવિચે તેમને સરકારી પુરસ્કાર પણ આપ્યો. ૧૯૯૯માં સલમાન રૂશદીએ ‘વરસના આંતરરાષ્ટ્રીય મૂર્ખશ્રેષ્ઠ’ એ ટિખળી સન્માન માટેના પોતાના તરફથી બે દાવેદારમાં હાન્કીને સામેલ કરેલા. તેમણે લખ્યું હતું કે હાન્કી બોસ્નિયા-હેર્ઝેગોવિનામાં કોઈ નરસંહાર થયો જ નથી, એવો દાવો કરે છે અને ઉપરથી એમ પણ કહે છે કે ત્યાંના મુસ્લિમો તો જાતે જ અંદરોઅંદર હત્યાઓ કરીને સર્બ પર દોષ ઢોળે છે. હાન્કીએ પોતાનું વલણ જો કે ચાલુ જ રાખ્યું અને ૨૦૦૬માં મિલોસેવિચના અવસાન પછી અંતિમવિધિ સમયે પણ અંજલિ આપવા પહોંચ્યા હતા.
માટે જ્યારે હાન્કીને નોબેલ મળ્યું, ત્યારે ઘણાને આઘાત લાગ્યો. પારિતોષિકના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આવા પ્રતિભાવો આવ્યા હશે – પેન (પી.ઈ.એન.) અમેરિકા તરફથી પુલિટ્ઝર-વિજેતા જેનિફર એગને આ નિવેદન આપ્યું :
“પેન અમેરિકા સામાન્ય રીતે બીજી સંસ્થાઓના પુરસ્કારો વિશે ટિપ્પણી નથી કરતું. અમે સ્વીકારીએ છીએ કે આવાં સન્માનો વ્યક્તિગત મત પર આધારિત (સબ્જેક્ટિવ) હોય છે અને તેનાં ધારાધોરણો એક સમાન નથી હોતાં. પરંતુ પિટર હાન્કીને ૨૦૧૯ માટેનું નોબેલ પારિતોષિક આપવાની આજની જાહેરાત અપવાદરૂપ છે. જેમણે ઇતિહાસમાં સિદ્ધ થઈ ચૂકેલી હકીકતો સામે શંકા ઉઠાવવામાં જાહેર ફાળો આપ્યો હોય અને ભૂતપૂર્વ સર્બિયન પ્રમુખ સ્લોબોદાન મિલોસેવિચ અને બોસ્નિયન સર્બ નેતા રાડોવાન કારાઝિક જેવા નરસંહારના કર્તાઓને જાહેર સમર્થન આપ્યું હોય, તેવા લેખકની પસંદગીથી અમે અવાક્ થઈ ગયા છીએ (કે મૂંઝાઈ ગયા છીએ, dumbfounded). … જે વિગતવાર દસ્તાવેજી પુરાવા ધરાવતા યુદ્ધખોરીના ગુનાઓ અંગે વારંવાર શંકા વ્યક્ત કરતા લેખકને તેમના ‘વાક્ ચાપલ્ય’ (linguistic ingenuity) માટે નવાજવાના નિર્ણયને અમે ફગાવી દઈએ છીએ. આગળ વધી રહેલા રાષ્ટ્રવાદ, આપખુદ નેતાગીરી અને અસત્યના બહોળા ફેલાવાની આ ક્ષણે સાહિત્યસમુદાયને આનાથી વધારે સારી પસંદગીની જરૂરત છે. નોબેલ સાહિત્ય સમિતિની પસંદગી વિશે અમે ઊંડો ખેદ વ્યક્ત કરીએ છીએ.”
રૂશદીએ ગાર્ડિયનને કહ્યું કે, ‘આજે મારે નવું કાંઈ કહેવાનું નથી, પણ (હાન્કી વિશે) મેં જે લખ્યું છે, તેને હું વળગી રહું છું.’ હાલના સમયમાં દુનિયાના સૌથી અગ્રણી ફિલોસૉફર ગણાતા સ્લાવોય ઝિઝેકથી લઈને ભારતીય મૂળના લેખક હરિ કુન્ઝરૂ સહિત અનેક લેખકોએ નોબેલ જાહેરાતને બિલકુલ વખોડી કાઢી છે, જેવું પારિતોષિકના ઇતિહાસમાં કદાચ પહેલી વાર બન્યું છે. વૉશિંગ્ટન પોસ્ટના મુખ્ય વિવેચક રોન ચાર્લ્સે પણ કહ્યું કે હાન્કીના કિસ્સામાં તો આપણને પસંદગીની પ્રક્રિયા વિશે શંકા થાય. ટિ્વટર પર કટાક્ષ અને વિરોધની ટિપ્પણીઓ તો ખરી જ.
એક નાનો વર્ગ ‘આર્ટ-ફોર-આટ્ર્સ-સેક’ના સ્લોગન સાથે ‘લેખકની બાયોગ્રાફી છોડો, બિબ્લિયોગ્રાફી જ જુઓ’ એવી દલીલ આગળ કરે છે.
દરમિયાન, ગત વર્ષ માટેનું પારિતોષિક ઓલ્ગા તોકારઝુક નામનાં પૉલિશ લેખિકા અને ચળવળકારને આપવામાં આવ્યું, તેને સાર્વત્રિક આવકાર મળ્યો છે. મહિલા હક્કો અને અન્ય મુદ્દે આ લેખિકા આખાબોલાં અને ચર્ચાસ્પદ રહ્યાં છે અને ઉદારમત માટે જાણીતાં છે. પરંતુ હજુ બે-ચાર વર્ષ પહેલાં જ તેમનું પહેલું પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશિત થયું અને અત્યારે કુલ મળીને ત્રણ જ પુસ્તકો આપણે વાંચી શકીએ એમ છીએ. ગયા વર્ષે માન બૂકર ઇન્ટરનેશનલ પછી તેમનું નામ જાણીતું થયું. (એ પારિતોષિક ‘ફ્લાઇટ્સ’ નામની થોડી પ્રયોગાત્મક નવલકથા માટે મળ્યું. ‘ફ્લાઈટ્સ’માં ભારતના પણ સંદર્ભો છે, બોધિવૃક્ષની મુલાકાતનો એક પ્રસંગ છે.) નોબેલના ધોરણે હજુ યુવાન ગણાય એમ છે. બીજાં મોટાં નામો પહેલાં ધ્યાન પર લેવાં જોઈતાં હતાં. એક સ્ત્રી અને એક પુરુષ, એટલું સંતુલન જળવાયું છે, પણ બંને યુરોપથી જ છે. ઘણાં વર્ષોથી આફ્રિકાના બે-એક લેખકો નોબેલના દાવેદાર મનાતા આવ્યા છે. ભારતમાંથી મહાશ્વેતાદેવીનું નામ તેઓ હયાત હતાં, ત્યારે ચાલતું આવતું હતું.
નવી દિલ્હી
Email : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 06-07