Opinion Magazine
Number of visits: 9446882
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બીજા ઉમાશંકર જોશી આપણને મળશે કે?

ડંકેશ ઓઝા|Opinion - Opinion|4 August 2018

૨૧મી જુલાઈ-૨૦૧૮ના રોજ અમદાવાદમાં કવિ ઉમાશંકર જોશીના ૧૦૮મા જન્મદિન પ્રસંગે એક સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં રઘુવીર ચૌધરીએ ૧૯૬૩માં ઉમાશંકર જોશી વિશે પોતે લખેલા સૉનેટનો પાઠ કરીને તેમ જ કવિ ઉમાશંકરનાં છેલ્લાં કાવ્યનું પણ પઠન કરીને સંસ્મરણાત્મક વક્તવ્ય આપ્યું હતું. પ્રો. સતીશ વ્યાસ તેમની અભ્યાસપૂર્ણ વક્તવ્યકલા માટે ઘણા જાણીતા છે. તેમણે કવિનાં જાણીતાં કાવ્યો અને તેમની સામાજિક નિસબતને આગળ કરીને સોદાહરણ રજૂઆત કરી. શિરીષ પંચાલ આપણા જાણીતા વિવેચક છે. તેમને ગુજરાતના વિવેચકોની એક આખી શ્રેણી કરવી હતી. પ્રત્યેક વિશે એક ગ્રંથ કરવાનું આયોજન હતું, પરંતુ કવિ ઉમાશંકરના વિવેચન લેખો એટલા નીકળ્યા કે પરાણે તે સમાવવા બે ગ્રંથ કરવા જ પડ્યા! ગુજરાતી સાહિત્યના ઉત્તર-દક્ષિણ ધ્રુવ મનાયેલા ઉ.જો. – સુ. જો. વિશે પણ તેમણે સ્પષ્ટતામૂલક કેટલીક વાતો કરી.

સાહિત્યકારોની કંઈક ને કંઈક ઉજવણીના પ્રસંગો અને અન્ય સાહિત્યિક કાર્યક્રમો તો અમદાવાદમાં અને ગુજરાતમાં યોજાતા જ રહેતા હોય છે. તેમાં અધ્યાપકો પોતાની અધ્યાપકીય વિદ્વત્તા પણ પ્રગટ કરતા હોય છે. આપણે ત્યાં સાહિત્યનું ક્ષેત્ર મોટે ભાગે અધ્યાપકોના કબજામાં રહ્યું છે. તેના કેટલાક ફાયદા પણ છે, તો વધુ ગેરફાયદા પણ છે. નરોત્તમ પલાણ જેવા અધ્યાપક ક્યારેક આ બાબતે તિર્યક નુક્તેચીની કરતા હોય છે.

આ કાર્યક્રમ કદાચ એ માટે યાદ રહેશે કે ઉમાશંકરનાં પુત્રી સ્વાતિબહેને ગુજરાતી સાહિત્યની આવી પ્રવર્તમાન સ્થિતિ વિશે ઘણો બળાપો ઠાલવ્યો. વક્તાઓમાં તે કદાચ સૌથી નાની વયનાં હતાં, છતાં (કદાચ) કોઈ શારીરિક મુશ્કેલી હશે તેથી તેમણે બેસીને વક્તવ્ય આપવાનું પસંદ કર્યું. તેમના વક્તવ્યનો મુખ્ય ભાર ઉમાશંકર જાહેરજીવનની અગ્રણી વ્યક્તિ હતા અને ક્યારે ય બોલવાની જરૂર હોય, ત્યારે કદી મૌન સેવ્યું નથી, એ હતો.

આપણે ત્યાં બૌદ્ધિક પ્રવૃત્તિ કહેવાય છે ખરી, પણ બહુ થતી નથી. બૌદ્ધિક હોવું એ ઘણી જવાબદારીભર્યું કામ છે. બૌદ્ધિક જાહેરજીવનનો અગ્રણી છે, તે વ્યાપક સમાજના સંદર્ભમાં સદાય વિચારતો હોય છે. સારા અર્થમાં તે સમાજહિતચિંતક હોય છે. પોતાની બુદ્ધિનો, અભ્યાસનો, સંશોધનનો, વિવેકપૂર્વક તે દિશામાં ઉપયોગ કરતો હોય છે. આવા બૌદ્ધિકો (જો) હોય (તો) તેમને માટે ‘પબ્લિક ઇન્ટેલેકચ્યુઅલ’ શબ્દ વપરાયો છે, જેની બહુ મોટી પરંપરા યુરોપના દેશોમાં રહી છે. આપણે એનો તરજુમો ‘જાહેર બૌદ્ધિક’ તરીકે કર્યો છે.

આજે ‘સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’ને કારણે ખુલ્લા વિચારજગત પર ભય ઝળૂંબી રહ્યો છે, ત્યારે આ મુદ્દા પર દાયકાઓ પૂર્વે લખનારા ઉમાશંકર હતા, એમ સ્વાતિબહેને જણાવ્યું. સ્વાયત્તતા શી ચીજ છે એ ઉમાશંકરને કિશોરવયે ખબર હતી. ૧૭ વર્ષની વયે મામાને અને પિતાને અલગ-અલગ તબક્કે પત્રો લખીને ઉમાશંકર કહે છે કે હડતાલમાં ભાગ લેવો કે નહીં અને વિકલ્પે ભણવામાં ધ્યાન આપવું કે નહીં, તેનો ‘આત્મનિર્ણય’ હું પોતે કરીશ, બીજા નહિ કરે. આટલી સમજ અને આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો હશે, એની પણ સ્વાતિબહેને જિકર કરી.

ઉમાશંકર બામણા ગામમાં બાળવયે જે કંઈ જોતા હતા, અનુભવતા હતા, વાંચતા હતા, તે પછી આઝાદી-આંદોલનમાં ગયા હતા, આ બધાંની અસર તેમના માનસપટ પર બરાબર ઝિલાઈ હતી. આ વખત આવ્યે તે ઉચિત રીતે પ્રગટ થયા વિના રહેતી ન હતી. જરૂર પડી ત્યારે લોકશાહી મૂલ્યોના જતન માટે રાજસભામાં ઊભા થઈને નેહરુની, વડાપ્રધાન પુત્રી ઇન્દિરા સામે વિરોધ કરતાં તેમણે સંકોચ અનુભવ્યો ન હતો. કનૈયાલાલ મુનશી તો તે જમાનામાં દિગ્ગજ હતા. સાહિત્ય પરિષદનાં તાળાકૂંચી તમે એકલા ખિસ્સામાં રાખીને ફરો. એવું તેમને ૧૯૫૫માં કહેનાર ઉમાશંકર જોશી હતા. ૧૯૩૨-૩૩માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષપદે ગાંધીજી જવાના હતા, ત્યારે ગાંધીજીએ ત્યાં કેમ ન જવું જોઈએ, એવો પત્ર લખનાર ઉમાશંકર હતા. ઉમાશંકરે ત્યારે ગાંધીજીને એવું લખેલું કે સાહિત્ય પરિષદ તો ઉચ્ચવર્ણની કેટલીક જ્ઞાતિઓથી કેદ થઈ ગઈ છે, ત્યાં તમારાથી કેવી રીતે જવાય?

સ્વાતિબહેનનું કહેવું એમ હતું કે ગુજરાતમાં માત્ર સાહિત્યનો પ્રભાવ અને સાહિત્યના પ્રદાનની વાત બહુ ચગાવાય છે અને એવું કહેવાય છે કે અમુક સાહિત્યકારે તે ઉપરાંત આમ પણ કર્યું હતું. એમનો આક્રોશ આવી વ્યાપક માનસિકતા સામે હતો. આવું મનોવલણ સંકીર્ણ ગણાય એવી પણ તેમની સમજ હતી. આવા મનોવલણથી ખોટો સંદેશ જાય છે, જાહેરજીવન વિશેની ખોટી સ્થાપના થાય છે, એમ પણ એમનું કહેવું હતું. સાહિત્યનો સમાજ સાથેનો અનુબંધ સાહિત્ય ન ગણાય તો તે વિનાનો બૌદ્ધિક બૌદ્ધિક પણ ન ગણાય. સમાજ તો મહત્ત્વનો છે જ. રાજકારણ, સાહિત્ય અને શિક્ષણ તેના ભાગરૂપ છે. સાહિત્યકારની સમાજલક્ષિતા કે સમાજધર્મિતા એ તો એનું અવિભાજ્ય અંગ છે. કદાચ આઝાદીની લડતે તેમનામાં આવાં કેટલાંક મૂલ્યો પ્રત્યેનો લગાવ કાયમી કર્યો હોય એવી સંભાવના ખરી. સાહિત્યકાર એ દૃષ્ટિએ એકાંગી ન હોય તે અનિવાર્ય છે. આથી જ ઉમાશંકર રાજકારણ વિશે પણ બોલ્યા, જરૂર પડી ત્યારે (વા.ચા.ની) ચૂંટણી પણ લડ્યા અને સરકારી ઇનામોનો અસ્વીકાર કરતા રહ્યા. (પદ્મશ્રી, પદ્મવિભૂષણ વગેરે)

ઉમાશંકરનાં આ મજબૂત પાસાં વિશે અન્ય વક્તાઓએ જિકર નહોતી કરી એમ ન હતું. પ્રત્યેક વક્તાએ એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો અને પોતપોતાને સૂઝ્‌યા તેવાં, યાદ હોય તેવાં ઉદાહરણો પણ આપ્યાં હતાં. વક્તાગણમાંથી એક સ્વાતિબહેન જોશીએ માત્ર ને માત્ર આ એક મુદ્દાને જ તારસ્વરે રજૂ કર્યો હતો. તેમ કરવું એમને બરાબર અભિપ્રેત હતું. કદાચ તેમના મતે સાહિત્યકાર વર્ગમાં અને આજના બૌદ્ધિક વર્ગમાં જે ખૂટે છે, તે બાબત જ આ છે, એ એમને અભિપ્રેત હતું.

ઉમાશંકર જોશીના કુટુંબીજન તરીકે એમનું કહેવું એ હતું કે ઉમાશંકરનું કોઈ જુદું કુટુંબજીવન હતું જ નહીં. ઘરમાં લોકોની આવન-જાવન એટલે ઊભરાતો અને ઓળખાતો સમાજ. તો વળી બહાર એમનું વ્યાપક કુટુંબ. આમ કહેતાં તેમણે પોતે આસામમાં, ગોવામાં, દક્ષિણનાં રાજ્યોમાં પિતા સાથે પ્રવાસે ગયાં હોય અને અન્ય સાહિત્યકારોને ત્યાં ઊતર્યાં હોય, તેવા કિસ્સાઓ પણ ટાંક્યા.

સ્વાતિબહેનનો એક મહત્ત્વનો મુદ્દો ભારતીયતા અને ભારતીય સાહિત્યનો રહ્યો. આપણે વિદેશી ભાષાઓના સાહિત્ય અને વાદોની ઝીણી-ઝીણી વિગતો જાણીએ છીએ, પરંતુ પ્રાદેશિક સાહિત્ય વિશે ઓછું જાણીએ છીએ તે બદલ ખેદ અનુભવતા નથી, વધુ જાણવાની કોશિશ કરતા નથી. જાણકારીના અભાવના આવા માહોલમાં ભારતીયતાનો સાચો વિચાર વિકસે કેવી રીતે, એ મુદ્દો એમને મન ઘણા મહત્ત્વનો હતો.

આવું પહેલી વાર બન્યું નથી. ક્યારેક-ક્યારેક સાહિત્યની સરહદ પર ઊભેલી આવી વ્યક્તિઓએ આવા બળાપા કાઢ્યા પણ છે, સીમોલ્લંઘનની જિકર પણ કરી પણ છે, પરંતુ કોણ જાણે કેમ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતનું બૌદ્ધિક જગત આ દિશામાં બહુ અંતર કાપી શક્યાં નથી!

E-mail : dankesh.oza@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 07 અને 11

Loading

4 August 2018 admin
← નવમું દિલ્હી
Countering Hate and Violence: What Should Minorities Do? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved