Opinion Magazine
Number of visits: 9447404
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાણી ખોયું, માછલાં મર્યાં, મગર બચ્યાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 November 2017

જી.ડી.પી.ના પંદર-વીસ ટકા થોડા અબજોપતિ હસ્તક હોય ત્યારે થતી વૃદ્ધિ વિષમતાને વધારતી જ બની રહે છે

ઝટ સમજાતું નથી કે નોટબંધીને વરસ થયું અેને વરસગાંઠ કહેવી કે વરસી. મનમોહનસિંહ, ચિદમ્બરમ્ અને યશવંત સિંહા, ત્રણે નાણાં ખાતાના જાણતલ — અને એમાં મનમોહન તો પાછા વિશ્વવિશ્રુત અર્થવેત્તા. એમણે જે સરવૈયું કાઢ્યું એ તો અર્થતંત્રની પીછેહઠનું હતું અને છે. નમો, અરુણ જેટલી, અમિત શાહ (અરુણ શૌરીના પ્રિય ‘અઢી’ જણા) અલબત્ત આવો વિકાસ થયો નથી અને થાવો નથી એ બાબતે આગોતરી એકમતી ધરાવે છે.

ભલે તમે એને વરસી કહો કે વરસગાંઠ, કાળો દિવસ કહો કે કાળાં નાણાં સામેની દે ધનાધન જેહાદ જયંતી, પણ નાગરિક છેડેથી પૂરી તપાસ તો કરવી જોઈએ. ગુજરાતમાં જે બધી પ્રતિભાઓ આ ગાળામાં ઊતરી પડી એમાં પક્ષોથી ઉપર એવા એક અભ્યાસીનો અવાજ પૂરતું ધ્યાન ખેંચી ન શક્યો હોય એવું બને. અથવા, એણે ધ્યાન ખેંચ્યું હોય તો પણ વિપક્ષી ટોળા પૈકીના જ એકમાં એમને ખતવી દેવાયા હોય એવું બને. જે.એન.યુ.ના નિવૃત્ત પ્રોફેસર અરુણકુમાર આપણે ત્યાં પ્રવર્તતી ‘બ્લેક ઈકોનોમી’ના નિસબતી પંડિત રહ્યા છે અને 1999ની એમની પેંગ્વિન કિતાબની ચોથી શોધિત-વર્ધિત આવૃત્તિ નવેમ્બર 2016ના નોટબંધી દિવસોની વાંસોવાંસના મહિનાઓમાં ચાલુ વરસે પ્રકાશિત થઈ છે. એમના અવલોકન પ્રમાણે દેશનો છેવાડાનો સમૂહ, સીમાન્ત માનવદ્રવ્ય, નોટબંધી અને જીએસટી સાથે વધુ હાંસિયામાં ધકેલાયો છે. ‘માર્જિનલાઇઝિંગ ધ માર્જિનલાઇઝ્ડ’ એવી અનર્થ પ્રક્રિયાના એક કારક તેમ જ ચિહ્ન તરીકે તે આ આખા ઘટનાક્રમને જુએ છે. 

રહો, એમની વાત ઘડીક રહીને કરીએ. પણ આપણી લોકશાહી અને આપણું સમવાયતંત્ર, બેઉને જેબ આપે એવી એક બીના કેરળના ડાબેરી સરકારના નાણામંત્રી થોમસની સાખે નોંધી લઈએ. 2016ના નવેમ્બરની આઠમીએ રાતે નોટબંધીની જાહેરાત થઈ ત્યારે એમની તત્ક્ષણ પ્રતિક્રિયા ‘અ ક્રેઝી આઇડિયા’ની તરજ પર હતી. એક સનકી કે ઉન્માદી વિચારતરંગ અગર ખ્યાલ જેવી આ વાત એમને કેમ લાગી હશે? થોમસે હમણાં આ સંદર્ભમાં એક કિસ્સો કહ્યો છે. લગભગ પેરેબલ (નીતિકથા) લગોલગનો એ કિસ્સો આવે છે: તળાવ માછલાંથી અને મગરોથી ઉભરાઈ ગયું હતું. માલિકે એમાંથી મુક્ત થવા સારું શોધી કાઢેલો રામબાણ નુસખો, તળાવને ખાલી કરી નાખવાનો હતો. એને હતું, ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! ભાઈસાહેબે તબિયતથી પાણી બહાર કઢાવ્યું ને સાતમા આસમાનમાં મહાલવા લાગ્યા. પછી ખ્યાલ આવ્યો કે માછલાં મરી ગયાં, પણ મગર તો પાણીની જેમ જમીન પર પણ રહી શકે એટલે મગરોએ તો તાબડતોબ ચલતી પકડી. માછલાં, પાણી, મગર સઘળું ગયું!

નોટબંધીના અરસામાં દેશજનતાએ એ મહિનાઓમાં તાજો તાજો મળેલો, હજુથી મોંએ દૂધ ફોરતો એક બત્તીઝાલ પ્રયોગ ‘સર્જિકલ સ્ટ્રાઇક’ એ હતો. નોટબંધીના અને મોદી પહેલના મહિમામંડન માટે સર્જિકલ સ્ટ્ર્્ાઇક એ સૌને ગમી જાય એવો પ્રયોગ હતો. પણ આ શલ્યપ્રહારનું દુર્દૈવ વાસ્તવ શું હતું? થોમસ અહીં એક બીજો દાખલો આપે છે: જો લોહી બગડેલું હોય તો ડાયેલિસિસ કરવું જોઈએ, સમૂચું લોહી કાઢી નાખીને માણસને શહીદનું માન ન આપી શકીએ. નોટબંધી અન્વયે મોટાભાગની ચલણી નોટો (86 ટકા) ખેંચી લેવાઈ. રક્તશુદ્ધિને બદલે રક્તમુક્તિનો આ રાહ હતો. અર્થતંત્રની શિરાઓ અને ધમનીઓ શોષવાઈ જતાં જે થાય તે થયું.

હમણાં મેં લોકશાહી અને સમવાયતંત્ર બેઉને જેબ આપતી એક બીનાની જિકર કરી. આ બીના થોમસ જ્યાં નાણામંત્રી જાહેરાત કરી એના વળતા દિવસે કેરળ વિધાનસભાના ટેબલ પર રાજ્ય સરકાર તરફથી એક સત્તાવાર ને સટીક ટિપ્પણીનોંધ મૂકવામાં આવી હતી અને વિમુદ્રીકરણથી દળદર કેમ નહીં ફીટી શકે એની ચર્ચા કરવામાં આવી હતી. નાનાં નાનાં સ્વૈચ્છિક સ્વાધ્યાય જૂથો આ પ્રકારે કામ કરતાં હોય છે અને આવી સેવા બજાવતાં તેઓ વિકાસવિરોધીશ્રી કે દેશદ્રોહીશ્રી જેવું વૈકલ્પિક પદ્મ શ્રેણીનું માન પણ પામતા હોય છે. પણ અહીં તો દેશના એક સન્માન્ય વિધાનગૃહે વૈકલ્પિક વિચારવિમર્શની દિશા ખોલી આપવાનું નાગરિકધર્મી કર્તવ્ય બજાવ્યું હતું.

પાછા કેરળથી અરુણકુમાર પાસે પહોંચીએ. એમણે સમજાવેલી કેટલીક વાતો, આમ તો, સાદી હતી અને અત્યાર સુધી નથી કહેવાઈ એમ પણ નથી. જેમ કે, નવ્વાણું ટકા કરન્સી રિઝર્વ બૅંક પાસે પાછી આવી ગઈ એનો અર્થ એ થયો કે નોટબંધીથી કાળાં નાણાં પર કોઈ વાસ્તવિક પ્રહાર થયો નથી. પણ આ વાત ગંભીર એટલા માટે છે કે અધિકૃત અંદાજ મુજબ કાળાં નાણાંનો દસ ટકા હિસ્સો તો દેશમાં જ છે અને તે જ્યાં છે ત્યાં જ રહ્યો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી મોદીની કથિત ‘સર્જિકલ સ્ટ્રાઇક’ (નોટબંધી) પછી તરતના ગાળામાં હતી, અને 8 નવેમ્બર સાથે ઉચકાયેલી ‘ભડ પ્રતિમા’નો રાજકીય લાભ મોદી ભાજપને સુંડલામોઢે મળ્યો. પણ આ ચૂંટણીમાં થયેલા મસમોટા ખરચામાં સત્તાપક્ષે અને વિપક્ષે લગારે તાણ અનુભવી ન હોતી. મતલબ, એમનો ડલ્લો બરકારાર હતો, અને વધુમાં મોદીની એક ભડવીર તરીકેની પ્રતિમા ઊચકાઈ એ એક રાજકીય લાભ હતો. (એને અને આમ જનતાની આર્થિક સુખાકારીને કોઈ સંબંધ ન હોતો) લંબાણ નહીં કરતાં અહીં એટલું જ કહી શું કે બધા જ અધિકૃત આંકડા દર્શાવે છે તેમ નોટબંધીથી વૃદ્ધિદર પાછો પડ્યો છે. આર્થિક વૃદ્ધિમાં પાછા પડખે એટલે રોજગારીઓમાં પણ પાછા પડીએ. અરુણકુમારે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમીના તાજા હેવાલનો હવાલો આપીને કહ્યું કે 2016ના જાન્યુઆરી- એપ્રિલને મુકાબલે 2017ના જાન્યુઆરી- એપ્રિલમાં 15 લાખ નોકરીઓનું બાષ્પીભવન થઈ ગયું છે. 

ધારો કે નોટબંધી ન થઈ હોત અને વૃદ્ધિદર પાછો ન પડ્યો હોત તો પણ 1992ના રાવ-મનમોહન કાળથી શરૂ થઈ વચમાં વાજપેયીનાં છ વરસ અને મનમોહનનાં 10 વરસ તેમ,જ મોદીનાં સાડા ત્રણ વરસ જે દોર જારી છે તે ‘જૉબલેસ ગ્રોથ’નો છે. વૃદ્ધિની વ્યાખ્યામાં આપણે એના ‘સ્વરૂપ’ને લક્ષમાં જ લેતા નથી. જી.ડી.પી.ના 15-20 ટકા પચ્ચાસ પંચોતેર અબજોપતિ હસ્તક હોય ત્યારે થતી વૃદ્ધિ વિષમતાને વધારતી જ બની રહે છે. આ પ્રક્રિયા હાંસિયામાં હડસેલાયાઓની વધતી સંખ્યાની અને સીમાન્તને અતિસીમાન્ત કરનારી છે. મોદી જેટલીના દાવાઓ સામે મનમોહન ને ચિદમ્બરમ્ જરૂર સાચા છે. પણ એમની કને પણ ખરાને પૂરા જવાબની ખાતરી નથી.

આનો અર્થ એ નથી કે મોદી ભા.જ.પ. આજની તારીખે જવાબદાર નથી, અને એની સામે સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર નથી. માત્ર, એ પણ વચગાળાનો જ મુકામ વૈકલ્પિક વિચારખોજમાં છે, સિવાય કે મનમોહન- ચિદમ્બરમ્ સ્કૂલ મોદી શાસનમાં નાલંદાનિકાલ અમર્ત્ય સેન આદિ સાથે સાર્થક સંવાદમાં ઉતરે.

email : prakash.nireekshak@gmail.com   

સૌજન્ય : ‘અનર્થતંત્ર’, “દિવ્ય ભાસ્કર”, 11 નવેમ્બર 2017

Loading

11 November 2017 admin
← રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય અને ફિલ્મની જાળવણી
રાજકીય ગરમીના માહોલમાં દાદા ધર્માધિકારીનું ચિંતન →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved