Opinion Magazine
Number of visits: 9446882
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

21મી સદીમાં સ્ત્રીશિક્ષણની કઠણાઈ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 July 2017

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ 32,111 છે, પણ માધ્યમિક શાળાઓ તેના કરતાં ત્રીજા ભાગની છે

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા દિલ્હીની તિહાર જેલમાં, શિક્ષક ભરતી કૌભાંડના દોષિત તરીકે દસ વરસની સજા ભોગવી રહ્યા છે. તેમણે જેલમાં રહ્યે રહ્યે, બ્યાંસી વરસની ઉંમરે, ઓપન સ્કૂલ મારફતે, બારમા ધોરણની પરીક્ષા પાસ કરી. વક્રતા એ છે કે એ જ દિવસોમાં હરિયાણાના એક ગામની દીકરીઓએ ગામમાં બારમા ધોરણ સુધીની શાળા માટે આંદોલન કર્યું હતું. રેવાડી જિલ્લાના ગોથરા ટપ્પા દાહિના ગામની માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓએ તેમની શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અપગ્રેડ કરવા ધરણા-ઉપવાસ કર્યા. આ ગામની નવમા-દસમા ધોરણની 80 છોકરીઓની માગણી હતી કે તેમની શાળામાં દસમા પછી ભણવાની વ્યવસ્થા નથી. જો તે આગળ ભણવા ગામથી ત્રણ કિલોમીટર દૂરની શાળાએ જાય, તો રસ્તામાં છોકરાઓ તેમની છેડતી કરે છે. એટલે માબાપ ભણતર છોડાવી દે છે. આ દીકરીઓના આંદોલને દેશ આખાનું ધ્યાન ખેંચ્યું. એટલે આંદોલનના નવમા દિવસે સરકારને તેમની માગ માનવી પડી હતી.

આ દીકરીઓની સફળ લડતથી જરૂર આનંદ થાય છે. તેમને શાળા તો મળી છે, પરંતુ તેમની માગણીના મૂળમાં રહેલો તેમની સલામતીનો અને છોકરાઓ દ્વારા થતી તેમની છેડતીનો સવાલ વણઉકલ્યો રહ્યો છે. જાતિવાદ અને સામંતવાદથી ગ્રસ્ત હરિયાણા, સ્ત્રીઓ સામેની હિંસામાં દેશમાં મોખરે છે. શાળા અપગ્રેડેશન માટેના આ સ્વયંભૂ વિદ્યાર્થી આંદોલનના ગાળામાં જ હરિયાણા પોલીસનો રાજ્યમાં સ્ત્રીઓ પરની હિંસાનો અહેવાલ પ્રગટ થયો હતો. રાજયમાં સ્ત્રીઓની છેડતીની સમસ્યાનું પ્રમાણ અને કારણો જાણવા હરિયાણા પોલીસે ઓનલાઈન સર્વેક્ષણ કર્યું હતું. 14 વરસ કરતાં વધુ ઉંમરની 40 ટકા સ્ત્રીઓના હિસ્સેદારીવાળા આ સર્વેમાં રાજ્યના 10 જિલ્લાના 28,539 લોકોએ ભાગ લીધો હતો. સર્વેનાં તારણો મુજબ સ્કૂલ-કૉલેજ અને કાર્યસ્થળે જતી 10માંથી 6 સ્ત્રીઓ છેડતીનો ભોગ બને છે. એટલે કે અઢી કરોડની વસ્તીના રાજ્યની 64.54 ટકા સ્ત્રીઓની છેડતી થાય છે. સર્વેમાં ભાગ લેનારી 85.2 ટકા સ્ત્રીઓએ કાયમ છેડતીનો ભય હોવાનું જણાવ્યું હતું.

નિર્ભયાકાંડ પછી જાગેલી ચેતના અને કાયદામાં સુધારા છતાં સ્ત્રીઓની સલામતી અંગે સ્થિતિ સુધરી નથી. અખબારી અહેવાલો મુજબ હરિયાણાના ગુરુગ્રામની કાદરપુર ગામની વિદ્યાર્થિનીઓએ પણ ગામમાં જ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે આંદોલન કર્યું હતું, તો પાતુહેડા ગામની 50 દીકરીઓને છેડતી સામે રક્ષણ આપવા, 72 વરસના એક દાદા, નામે સતબીર ઢિલ્લોન, રોજ શાળાએ લેવા-મૂકવા જાય છે.

પુરુષ માનસિકતા સ્ત્રીને ક્યાં ક્યાં રંજાડે છે તેનો અજબ કિસ્સો ગુજરાતમાં બન્યો હતો. આ વર્ષે બારમા ધોરણની પરીક્ષામાં એક વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન સતત મહિલા નિરીક્ષકને એકીટસે જોયા કરતો હતો. સુધારેલી કાયદાકીય જોગવાઈ મુજબ તો કોઈ સ્ત્રી સામે અમુક ક્ષણો સુધી સતત જોયા કરવું તે છેડતી જ ગણાય, પણ મહિલા નિરીક્ષકે પોલીસ ફરિયાદને બદલે માધ્યમિક શિક્ષણ બોર્ડને ફરિયાદ કરતાં બોર્ડે વિદ્યાર્થીને તેની આ વિચિત્ર હરકત સબબ એક વરસ સુધી પરીક્ષામાં ન બેસવા દેવાની સજા કરી છે. એટલે સરકારોએ માત્ર ગામમાં જ નિશાળો આપી દેવાથી સંતોષ માનવાનો નથી. સ્ત્રી સામેની હિંસા અને સલામતીનો ઉકેલ આણવાનો છે.

શિક્ષણનો અધિકાર અને સ્ત્રીશિક્ષણ માટેની જાગૃતિ લોકશાહીને વધુ મજબૂત કરનારી બાબત છે.

જો કે શિક્ષણની વર્તમાન હાલત જરૂર ચિંતાજનક છે. ‘અસર’(એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ)ના એક અહેવાલ મુજબ દેશના અન્ય ભાગોની જેમ હરિયાણાના ત્રીજા ધોરણનાં 46.2 ટકા બાળકો તેમના નીચલા ધોરણનાં પાઠ્યપુસ્તકો વાંચી શકતાં નથી. બીજી તરફ આવું ઉતરતી કક્ષાનું શિક્ષણ પણ સૌને મળતું નથી કે તે મેળવવા ભારે જોખમ વહોરવાં પડે છે. ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ, અસમ અને કર્ણાટકનાં બસો જેટલાં ગામ એવાં છે કે તેની શાળાઓનાં બાળકોને શાળાએ પહોંચવા રસ્તામાં આવતી નદીઓ-નાળાં ઓળંગવા કોઈ પુલ નથી. એથી આ બાળકો જીવના જોખમે વાંસ કે લાકડા પર લટકીને, તરાપા જેવી ખતરનાક  હોડી લઈને સ્કૂલે પહોંચે છે.

પ્રવેશોત્સવને અને ગુણોત્સવને કારણે ગુજરાતમાં પહેલા ધોરણમાં શાળામાં પ્રવેશયોગ્ય તમામ બાળકો ભણવા બેસે છે, સો ટકા નોંધણી થાય છે, પ્રાથમિક શિક્ષણ છોડી જતાં બાળકોનો દર ઘટ્યો છે એવી સાચી ખોટી ગુલબાંગો પોકારાતી રહે છે. પરંતુ પહેલા ધોરણમાં દાખલ થયેલું પ્રત્યેક બાળક દસમા કે બારમા ધોરણ સુધી પહોંચતું નથી. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ 32,211 છે. પરંતુ માધ્યમિક શાળાઓ તેના કરતાં ત્રીજા ભાગની એટલે કે 10,200 જ છે. એથી આગળના શિક્ષણનું વિચારીએ તો માધ્યમિકમાંથી ઉચ્ચ માધ્યમિકમાં દાખલ થતા વિદ્યાર્થીઓનું કુલ પ્રમાણ 57.26 ટકા અને ગ્રામ વિસ્તારમાં 44.17 ટકા જ છે. શિક્ષણ છોડી દેતાં બાળકોમાં દલિત, આદિવાસી, ગરીબ, વંચિતવર્ગનાં બાળકોનું પ્રમાણ જ સવિશેષ હોય છે. એટલે સરકારોએ આશ્રમ શાળાઓ, નવોદય વિદ્યાલયો, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન, કસ્તૂરબા બાલિકા વિદ્યાલય જેવી અનેક યોજનાઓ મૂકી હોવા છતાં હજુ ઘણું કરવાનું બાકી રહે છે.

જાણીતા મરાઠી લેખક-પત્રકાર ઉત્તમ કાંબળે થોડાં વરસ પહેલાં એક શાળાના વાર્ષિકોત્સવમાં ગયા હતા. કાર્યક્રમ પછી તેમના ઓટોગ્રાફ માગતી કિશોરીઓમાંથી એકને તેમણે સાવ અમસ્તા જ સવાલ કર્યો કે, ‘તું જ્યારે નિશાળે ભણવા બેઠી ત્યારે તને પહેલા દિવસે નિશાળે મૂકવા કોણ આવ્યું હતું.’ આ સવાલનો જવાબ ‘મમ્મી, પપ્પા, દાદા-દાદી, ભાઈ-બહેન, કાકા-કાકી કે માસી-ફોઈ’ એવો જ અપેક્ષિત હોય, પણ લેખકને પેલી કિશોરીએ બહુ જ સાહજિકતાથી જવાબ આપ્યો કે, ‘સર! મને નિશાળે બેસાડવા સાવિત્રીબાઈ આવ્યાં હતાં.’ 1848માં, મહાત્મા ફુલે અને સાવિત્રી ફુલે એ પૂનામાં શૂદ્રાતિશૂદ્ર છોકરીઓ માટે પહેલી નિશાળ શરૂ કરીને સ્ત્રીશિક્ષણનાં દ્વાર ખોલ્યાં હતાં, તેનો કૃતજ્ઞભાવ પેલી કિશોરીના મનમાં બરાબર હતો. સ્ત્રીશિક્ષણે આજે તો સારી સફળતા મેળવી છે. છેલ્લા એકાદ દાયકાથી ન માત્ર માધ્યમિક શિક્ષણ, કૉલેજ-યુનિવર્સિટી શિક્ષણ અને યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં પણ મહિલાઓ અવ્વલ આવે છે. જો કે એ પણ હકીકત છે કે દસમા-બારમાની પરીક્ષામાં બેસતા છોકરાઓ કરતાં છોકરીઓનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

લગભગ એકસો સિત્તેર વરસ પહેલાં ફુલે દંપતીએ કહેવાતા નીચલા વર્ણની છોકરીઓ માટે પહેલી નિશાળ શરૂ કરી હતી. આજે આઝાદીના સાત દાયકે લોકશાહી સરકારો સામે હરિયાણાનાં ગામોમાં હાયર સેકન્ડરી સુધીની શાળાઓ શરૂ કરવા માટે કહેવાતા ઉપલા વર્ણની છોકરીઓને આંદોલનો કરવાં પડે છે. જે પૂણે શહેરમાં શૂદ્રાતિશૂદ્ર છોકરીઓની પહેલી નિશાળ શરૂ થયેલી ત્યાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન પ્રચારક ઇન્દ્રેશ કુમારના પ્રયાસોથી રચાયેલા ‘મુસ્લિમ રાષ્ટ્રીય મંચ’ દ્વારા, શાળા છોડી જતી મુસ્લિમ છોકરીઓ માટે શાળા શરૂ કરવાની મથામણ ચાલે છે! સ્ત્રીશિક્ષણની મજલ બહુ જ કઠિન છે, નહીં?

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘શિક્ષણની સચ્ચાઈ’, “દિવ્ય ભાસ્કર”, 13 જુલાઈ 2017

Loading

13 July 2017 admin
← રાજદ્વારી આલિંગનોની કૂટનીતિ
… અને હવે આમિર ખાનના પીળા રૂમાલની ગાંઠ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved