Opinion Magazine
Number of visits: 9447406
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફરજ નિષ્ઠને ડફણાં, કહ્યાગરાને કંત્રાટ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 November 2016

ગુજરાતમાં પોલીસ અધિકારીઓની બંધારણબાહ્ય વફાદારીઓની એક પછી એક પરત ખૂલતી જાય છે

ગુજરાત મોડેલ પણ ખરે જ એક યુગ બલિહારી છે ને કંઈ! પહેલાં એ એક પછી એક જેલ ભેગા થતા પોલીસ અધિકારીઓથી પંકાયું, હવે એ બધા વિવાદાસ્પદ – કોઈ ટ્રાયલગ્રસ્ત, કોઈ જામીનધન્ય – પોલીસ અધિકારીઓના પુન:પ્રતિષ્ઠાપન સારુ પંકાવા લાગ્યું છે. તરુણ બારોટ અને એન.કે. અમીનની કંત્રાટી રાહે નવનિયુક્તિ એ આ સિલસિલાનો જ એક મણકો છે. આમ તો સિલસિલાને બદલે પહેલાં સૂઝેલો પ્રયોગ ‘શૃંખલા’ હતો, પણ હાલ પૂરતો એને છોડી દઉં છું.

રાહુલ શર્માની જનહિતયાચિકા(પી.આઇ.એલ.)ને પગલે આ નિયુક્તિઓ વિશે હાઇકોર્ટે સરકારનો ખુલાસો પૂછયો છે અને ત્રણેક અઠવાડિયાં પછી સુનાવણી આગળ ચાલશે. 2007ના ગુજરાત પોલીસ ઍક્ટ મુજબ પુન:નિયુક્તિની કે કંત્રાટી કોઈ જોગવાઇ નથી એ દલીલસર તરુણ બારોટ અને એન.કે. અમીનની નવનિયુક્તિને પડકારતી દલીલ ઉપરાંત, આ લખનારની સમજ પ્રમાણે ટેકનિકાલિટીથી હટીને જે પાયાનો પ્રશ્ન આ જનહિતયાચિકા મારફતે ઉપસ્થિત થાય છે તે એ છે કે આ પ્રકારની નિયુક્તિઓ થકી એક ખોટો સંકેત જાય છે. પોલીસ અધિકારીઓને જાણે કે કહેવામાં આવે છે કે અમે (સરકાર/ સત્તાપક્ષ) કહીએ તેમ કાયદાનિરપેક્ષ વરતો અને એથી લાભો.

વસ્તુત: આ કોઈ ભા.જ.પ. શાસન કે ગુજરાત સરકારના પક્ષે અપવાદરૂપ ઘટના નથી. દરેક સરકાર, દરેક સત્તાપક્ષની આવી કોશિશ રહે છે. અનામતવિરોધી ઉત્પાત વખતે આપણે ત્યાં શાંતિ-સ્થાપન અઘરું બન્યું એનું એક કારણ આવા મેળાપીપણામાં નહોતું એવું નથી. રિબેરો આવ્યા અને ચાંપ દાબો ને હુલ્લડખોરી બંધ થઈ જાય એવો ચમત્કાર થયો એનું રહસ્ય એ હતું કે એમણે આ સાંઠગાંઠ (નેક્સસ) પર પ્રહાર કરવામાં સરકારની કે ચાલુ પોલીસ વડાઓની શરમ નહોતી ભરી. મુદ્દે, હુલ્લડ માત્રને અંગે. પોલીસ કારવાઈમાં એક સ્ટૅન્ડર્ડ પ્રોસીજર હોય છે. તમે એ પ્રકારે ચાલો તો સામાન્યપણે હુલ્લડ કાબૂમાં લેતા વિલંબ થતો નથી. રિબેરોએ એ જ કર્યું હતું (એટલે સ્તો ગોધરા કલેક્ટર જયંતી રવિએ 2002માં પહેલે ધડાકે રિબેરોનું માર્ગદર્શન માગ્યાના અવિધિસરના હેવાલો છે – અલબત્ત રિબેરો મોડેલને અનુસરવા ત્યારની સરકાર તૈયાર નહોતી એ સંજોગોમાં જે થાય તે થયું.)

મુદે, કટોકટી ઊઠ્યા પછી તરત રચાયેલા શાહ તપાસ પંચે તપસીલમાં જઈ જે બધાં તારણો અને ભલામણો રજૂ કરેલાં એમાં ઠીક ઠીક હિસ્સો તે પછી પણ નહીં પળાયા સારુ જાણીતો છે. ત્યારે જનતા પક્ષના (અને પછી ભા.જ.પ.ના) શીર્ષ બૌદ્ધિક જેવા અરુણ શૌરીએ એક સચોટ ટિપ્પણી કરી હતી કે જે બધા આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારી મંડળો છે એમને કેમ આ પ્રકારના હેવાલો ચર્ચી આત્મનિરીક્ષણપૂર્વક સુધારણા કરવાનું સૂઝતું નથી. ગુજરાતમાં આપણે જે લાંબો દોર છેલ્લાં ચૌદ-પંદર વરસથી અનુભવી રહ્યા છીએ એમાં પોલીસ અધિકારીઓની બંધારણબાહ્ય વફાદારીઓ અને એવી જ પ્રવૃત્તિઓ પરથી એક પછી એક પરત ખૂલતી જાય છે. પણ પોલીસ તંત્રના શીર્ષ સ્તરે આવું કોઈ જ ચિંતન થતું જણાતું નથી.

જેમને બહુ જ વાજબી રીતે ‘ફર્સ્ટ વ્હીસલ બ્લોઅર ઑફ ગુજરાત પોલીસ કેડર’ કહેવામાં આવે છે તે શ્રીકુમારે ‘ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટન્સ’માં કરેલ સિલસિલાબંધ ઘટસ્ફોટ જુઓ કે રાણા અયુબે ‘ગુજરાત ફાઇલ્સ’માં નોંધેલા સંવાદો જુઓ, તમને સૂંડલામોંઢે એવી દસ્તાવેજી વિગતો મળશે જેમાં સંખ્યાબંધ પોલીસ અધિકારીઓએ સત્તાપક્ષના ચોક્કસ જૂથ કે નેતૃત્વના કહ્યાગરા અગર મળતિયા બનીને પોતાની બંધારણીય જવાબદારીનો ઉલાળિયો કર્યો હતો. નાણાવટી તપાસમાં કે રાઘવનના નેતૃત્વમાં એસ.આઇ.ટી.ની કામગીરીમાં સંખ્યાબંધ સગડ અને પાર વિનાનાં પગેરાં વણદબાવ્યાં રહ્યાં હશે એનો પણ અંદાજ જેમ પૂર્વે ‘ઓપરેશન કલંક’ થકી તેમ ‘બીહાઇન્ડ ધ કર્ટન્સ’ અને ‘ગુજરાત ફાઇલ્સ’માંથી પસાર થતાં મળી રહે છે. 

કદાચ, જે એક મુદ્દાથી આ કોલમનો ઉપાડ ને ઉઘાડ થઈ શકયો હોત તે પણ હવે ઉત્તરાર્ધમાં ચર્ચવા જોગ છે. આ મુદ્દાનું મૂલ્ય, કેમ કે તે પછીથી લેવાઈ રહ્યો છે એથી દ્વૈતીયિક કે ગૌણ બનતું નથી. બલકે, કહેવું હોય તો કહી શકાય કે આટલી ચર્ચાના માળખા પર તે શગ ઘટના જેવો છે. હમણે હમણે આ બધી પ્રકીર્તિત પોલીસ પ્રતિભાઓ સહસા આતંકવાદીઓથી પીડિત-પ્રતાડિત પ્રજાજનોની સહાયમાં એન.જી.ઓ. રૂપે બહાર આવી રહી છે. આતંકવાદને નામે અને બહાને જે દોર ચાલ્યો (જેની વિગતો ન જોવી હોય તો જ ન જોઈ શકાય એ બરની છે) એમાં આ સૌની ભૂમિકા કંઈ નહીં તો પણ સંદિગ્ધ હતી.

આ સંમિશ્ર ને સંદિગ્ધ સંકેતો આપણાથી છાના નથી એનું એક કારણ તો આ સૌ પ્રતિભાઓએ પ્રસંગોપાત એકબીજા સામે બહાર પાડેલી વિગતો છે. ડાયાજી વણઝારાએ જેલમાંથી નમો પર લખેલ પત્ર (ખરું જોતાં લેટરબૉમ્બ) આવી જ એક દસ્તાવેજી સાહેદી રૂપ છે.

વણઝારા સુયોગ્ય આશિર્વચનો સાથે (અને અલબત્ત એમની પોતાની વિશિષ્ટ સરસ્વતીપૂર્વક) આ કે તે રસ્તે જાહેર જીવનમાં આવવા માટે હદસે જ્યાદા આતુર જણાય છે એ વિગત જરી વધુ ધ્યાન માગી લે છે. રીલ લાઇફ હીરોની પેઠે એ ટૂંકજીવી મામલો નયે હોય. પાટીદાર આંદોલન અને ઉના ઘટનાએ બતાવ્યું છે કે ભા.જ.પ. પૂર્વવત્ અજેય નથી. ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ ન હોય તો પણ પોલાણ તો છે જ છે. ઉંઝાથી ઉનાની કેજરીવાલની હડિયાપાટીની જેમ જ વણઝારાના જગોજગ, ગામોગામ, ઠામોઠામ સામૈયા પણ આ પોલાણને પૂરવાની ફિરાકમાં છે. પક્ષો (કે પક્ષજૂથો) વચ્ચેની ટાઇ ટાંકણે વિંગ અને સ્ટેજ વચ્ચેનું અંતર મિટાવવાના ઓરતા પણ એમને હોઈ શકે છે.

અહીં સંભારવા જોગ એક આંશિક પેરેલલ ઇંદિરા ગાંધીના પુનરાગમનનો છે. જે તે રાજકારણીને ચુંટાવામાં મદદ કરતાં અસામાજિક તત્ત્વોને ખુદ ચુંટાવાનો સણકો ત્યારથી મોટે પાયે ઉપડ્યો એવું એક અવલોકન છે. 2002થી 2007 અને 2012 સુધી જેમની સત્તાપક્ષને અન્યથા મદદ મળતી રહી તેઓ એ સત્તાપક્ષ વાટે કે સ્વતંત્રપણે સીધી સેવા આપવા માગે છે. પાલવની કિનારે ટિંગાવું કે સોહવું હવે એમને બહાલ નથી. એક વાર તમે ખુદને તારણહાર, રગ રગ રાખણહાર, ગોબ્રાહ્મણ પ્રતિપાળ સમજવા માંડો, પછી તો – આ વલણને જો વૈધતા અને સ્વીકૃતિ (લેજિટિમસી) મળી જાય તો ભા.જ.પ. શ્રેષ્ઠીઓનું તો એમની ખુદની કમાણીરૂપે જે થવાનું હશે તે થશે; પણ લોકશાહી ખુદ વધુ ને વધુ હાંસિયે હડસેલાશે. જે ‘ડેમેગોગી’ અને ‘સોફિસ્ટ્રી’ સોક્રેટિસને હરી ગઈ તે કશું પણ કરી શકે … કાશ, આશિષડાહ્યાઓને કોઈ આ સમજાવી શકે!

સૌજન્ય : ‘મેળાપીપણું’, “દિવ્ય ભાસ્કર”, 22 અૉક્ટોબર 2016

Loading

1 November 2016 admin
← ટોળાંના આક્રમણ સામે ઝંખવાતું સત્ય
નવી આર્થિક નીતિ – 1, 2 & 3 →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved