Opinion Magazine
Number of visits: 9447988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘ પરિવાર અને કુટુંબનિયોજન: વધુ બાળકોના મુદ્દે અગાઉ ભાગવતે કરી તી ટીકા

હરિ દેસાઈ|Opinion - Opinion|26 August 2016

વધુ બાળકોના મુદ્દે હિંદુ માતાઓનો પક્ષ લઈને સાક્ષી મહારાજની ટીકા કરનારા ભાગવત હવે પોતે એવી જ સલાહ આપે છે

કેન્દ્ર અને રાજ્યોમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના આસ્થાસ્થાન અને માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે હમણાં આગ્રાના પ્રવાસ દરમિયાનના પ્રગટ ભાષણમાં ‘હિંદુઓને વધુ બાળકો પેદા કરતાં કયો કાયદો રોકે છે?’ એવો પ્રશ્ન કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. સંઘના સુપ્રીમોને સંભવતઃ વધુ સંતાનોમાંથી તેજસ્વી રાષ્ટ્રપુરુષો મળતા હોવાનો અંદાજ હશેઃ કવિવર રવીન્દ્રનાથ ટાગોર એમના મા-બાપનું તેરમું સંતાન હતા, નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમના મા-બાપનાં ૧૪ સંતાનોમાંનું નવમું બાળક હતા અને બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર તેમનાં મા-બાપનું ૧૪મું સંતાન હતા.

હિંદુહિત અને હિંદુ એકતા માટે વર્ષ ૧૯૨૫ના વિજયાદશમી પર્વ ટાણે નાગપુરમાં કૉંગ્રેસી અગ્રણી ડૉ. કેશવ બલિરામ હેડગેવારે આર.એસ.એસ.ની સ્થાપના કરી ત્યારથી એને મુસ્લિમ વિરોધી ગણી લેવામાં આવે છે, પરંતુ ડૉક્ટરજીના અનુગામી અને દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર(ગુરુજી)થી લઈને વર્તમાન વડા ડૉ. ભાગવત લગીના સંઘ-અધિકારીઓેએ પોતાના સંગઠનને સાંસ્કૃિતક અને હિંદુહિત માટે કાર્યરત ગણાવવાની સાથે જ એની મુસ્લિમવિરોધી છબિને ભૂંસવાની સતત કોશિશ કરી છે. વર્તમાન વડાપ્રધાન અને સંઘના પ્રચારક રહી ચૂકેલા નરેન્દ્ર મોદીએ પણ પોતાની સરકાર સર્વધર્મસમભાવની નીતિથી કામ કરતી રહેશે એવી ખાતરી આપેલી છે. સંઘના વરિષ્ઠ પ્રચારક ઇન્દ્રેશકુમારના માર્ગદર્શનમાં ‘મુસ્લિમ રાષ્ટ્રીય મંચ’ નામક સંસ્થા પણ કાર્યરત છે.

જો કે સંઘના અધિકારીઓ એટલે કે હોદ્દેદારોની આવી પ્રગટ નીતિરીતિ છતાં દેશમાં મુસ્લિમોની વસ્તીમાં વધારો જોતાંની સાથે જ સંઘના સરસંઘચાલકથી લઈને એનાં સંગઠનોના અગ્રણીઓ ચિંતિત જણાય છે. વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીમાં હિંદુ વસ્તીમાં ઘટાડો નોંધાયો કે તૂર્ત જ હિંદુઓએ વધુ બાળકો પેદા કરવાં ઘટે એવી સલાહ વિશ્વ હિંદુ પરિષદના સાધુ-સંતો અને અગ્રણીઓ તરફથી પણ ગાજવા માંડી. સરસંઘચાલક ડૉ. ભાગવતે ગત વિજયાદશમીના નાગપુરના પ્રગટ ભાષણમાં મુસ્લિમોની વધતી જતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

એને અનુલક્ષીને જ ઇન્દ્રેશ કુમારના માર્ગદર્શનમાં ડિસેમ્બર ૨૦૧૫ દરમિયાન અજમેરમાં પાંચ હજાર મુસ્લિમ મહિલાઓ માટેનો ‘નાનો પરિવાર, સુખી પરિવાર’ પરિસંવાદ પણ યોજાયો હતો. સંઘ પરિવાર તરફથી સતત દેશની વસ્તીના આંકડાઓનું ધાર્મિક વિશ્લેષણ પણ કરવામાં આવે છે. ખાસ કરીને વર્ષ ૨૦૦૧ અને ૨૦૧૧ના ગાળામાં મુસ્લિમ વસ્તીમાં ૨૪ ટકાનો વધારો નોંધાયાની બાબતે સંઘ પરિવારની ચિંતા વધારી દીધી છે. ભારતની કુલ વસ્તી ૧૨૧ કરોડમાંથી ૯૬.૬૨ કરોડ વસ્તી એટલે કે ૭૯.૮૦ ટકા જેટલી હિંદુ વસ્તી હોવા છતાં સંઘ પરિવારને વર્ષ ૨૦૬૦માં હિંદુ કરતાં મુસ્લિમોની વસ્તી વધી જવાનો ડર છે. આ ડરનાં રાજકીય પરિમાણ પણ છે.

વસ્તી ગણતરીના સત્તાવાર આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૧૧ની વસ્તીના ૧૪.૨૩ ટકા એટલે કે ૧૭.૨૨ કરોડ મુસ્લિમ અને ૨.૩૦ ટકા એટલે કે ૨.૭૮ કરોડ ખ્રિસ્તી છે. વર્ષ ૨૦૦૧-’૧૧ દરમિયાન મુસ્લિમ વસ્તીનો વૃદ્ધિ દર અગાઉના દશક કરતાં ઘટ્યો હોવા છતાં હિંદુ વસ્તીના વૃદ્ધિ દર ૧૬.૭૬ ટકાની તુલનામાં વધુ એટલે કે ૨૪.૬૦ ટકાનો હોવાની ચિંતા ભાગવત-સમર્થકોને સતાવે છે. મૂળભૂત રીતે અખંડ ભારત એટલે કે વર્તમાન ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશના ૧૪ ઑગસ્ટ ૧૯૪૭ પૂર્વેના બ્રિટિશ હકૂમત હેઠળના પ્રદેશ વત્તા દેશી રજવાડાંને અખંડ ભારતનો હિસ્સો ગણવા અને ગુરુજીના આદેશ મુજબ ખંડિત અખંડ ભારતને પુનઃ અખંડ ભારત કરવાનો સંકલ્પ ધરાવતા સંઘ પરિવારને મુસ્લિમ વસ્તીની વૃદ્ધિની ચિંતા છે. એટલે પાકિસ્તાન અને બાંગલાદેશ પણ ભારત સાથે, બે જર્મની અને બે યમનની જેમ, એકાકાર થતાં કેવા સંજોગો સર્જાય એની આગોતરી વ્યથા થવી સ્વાભાવિક છે.

યુરોપિયન યુનિયનમાં તુર્કીને પ્રવેશ આપવા સામે ઇસ્લામોફૉબિયાગ્રસ્ત રાષ્ટ્રોના વિરોધ જેવું જ દૃશ્ય અહીં ઉપસે છે. પાકિસ્તાનની આજની ૨૦ કરોડ અને બાંગલાદેશની ૧૬ કરોડ જેટલી વસ્તીમાં હિંદુ અને બૌદ્ધ વસ્તીનું પ્રમાણ જૂજ હોવાથી ફરી અખંડ ભારતનું ચિત્ર કેવું ઉપસે એનાં કમકમાં ઘણાને આવવાં સ્વાભાવિક છે. સંભવતઃ એટલે જ સંઘને અભિપ્રેત અખંડ ભારતને બદલે પાકિસ્તાનને વધુ ખંડિત કરવામાં જ હિંદુહિત હોવાનાં રાજદ્વારી ગણિત મૂકાવા લાગ્યાં છે.

સંઘ પરિવારમાં પણ વસ્તી વિષયક નીતિનિર્ધારણમાં વિરોધાભાસ ઓછા નથી. ડિસેમ્બર ૨૦૦૬માં ગુરુજીની જન્મ શતાબ્દીની ઉજવણી માટેના ગુવાહાટી ખાતેના સમારંભમાં તત્કાલીન સરસંઘચાલક કુપ્પહલ્લી સીતારામૈયા સુદર્શનજીએ ‘હમ દો, હમારે દો’ની નીતિને તિલાંજલિ આપવાની વાતને બુલંદ કરતાં ‘ભારતને મુસ્લિમ બહુમતીવાળા રાષ્ટ્રમાં ફેરવી નાંખવાના ષડ્‌યંત્ર’ અંગે ચેતવણી આપી હતી. તેમની ગણતરી હતી કે ભારત વર્ષ ૨૦૬૦માં મુસ્લિમ બહુમતીવાળું રાષ્ટ્ર બની જશે. એની પાછળનો તર્ક એ વેળા પણ વસ્તીનિષ્ણાતોને ગળે ઉતારી શકાયો નહોતો.

વિશ્વ હિંદુ પરિષદના સદ્‌ગત સુપ્રીમો અને સંઘના વરિષ્ઠ પ્રચારક અશોક સિંહલે વર્ષ ૨૦૦૬માં હિંદુઓને ઓછામાં ઓછાં પાંચ સંતાન પેદા કરીને મુસ્લિમોની વધતી વસ્તીની સ્પર્ધા કરવા હાકલ કરી હતી. જો કે દિલ્હીમાં ભા.જ.પ.ના વડપણવાળી સરકાર આરૂઢ થયા પછી ભા.જ.પ.ના વિ.હિં.પ.ના ક્વોટામાંથી આવેલા સાંસદ સાક્ષી મહારાજે હિંદુ મહિલાઓને ચાર-ચાર બાળકો પેદા કરવાની જાહેરમાં સલાહ આપી ત્યારે સંઘના વર્તમાન સરસંઘચાલક ડૉ. મોહનજીએ કહ્યું હતું, ‘હિંદુ માતાઓને કાંઈ બાળકો પેદા કરનારાં કારખાનાં માનો છો?’ આજે એ જ સરસંઘચાલક પોતે સાક્ષી મહારાજના રાજ્યમાં પ્રગટ ભાષણમાં જ કહે છે કે હિંદુઓને વધુ બાળકોને જણતાં કાયદો ક્યાં આડો આવે છે? બહુજન સમાજ પાર્ટી(બી.એસ.પી).નાં સુપ્રીમો માયાવતીએ બીજા જ દિવસે આગ્રામાં જ સંઘસુપ્રીમોના નિવેદનને પડકારતાં કહ્યું કે વધુ છોકરાં જણવામાં આવે તો શું મોદી સરકાર તેમને પોષવાની વ્યવસ્થાની જવાબદારી લેવાની છે?

સંઘના દ્વિતીય સરસંઘચાલક ગુરુજીએ ‘વિચાર-નવનીત’(બંચ ઑફ થૉટ્‌સ)માં નોંધ્યું છે કે જો તમે વ્યક્તિને સુરક્ષા પ્રદાન કરશો તો એ વધુ બાળકોને જન્મ નહીં આપે. સંઘ પરિવારના મહાનુભાવોએ તેમના માટે ગીતા ગણાતા આ ગ્રંથમાં જનસંખ્યા-સમસ્યાના ઉકેલ સંદર્ભે ગુરુજીએ દર્શાવેલા વિચારો ફરી જોઈ જવાની જરૂર છે. એમના ચિંતનને વિશ્વબૅંકમાં વરિષ્ઠ વસ્તીનિષ્ણાત (ડૅમોગ્રાફર) તરીકે રહેલા કેરળના સિરિયન ખ્રિસ્તી એવા કે.સી. ઝકરિયાના કેરળના ૮૦ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા માલ્યાપુરમ્‌ જિલ્લાના મુસ્લિમોના અભ્યાસનાં તારણો સમર્થન આપે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સંઘના સરસંઘચાલક ગુરુજી સ્વૈચ્છિક સંતતિનિયમનના પક્ષધર હતા. ગાંધીજી તો ઝાઝા હાથ રળિયામણાને યોગ્ય કામમાં જોતરીને રાષ્ટ્રનિર્માણ કરવાના ટેકેદાર હતા. હિંદુ મહિલા કરતાં મુસ્લિમ મહિલાની બાળક પેદા કરવાનો દર (ટોટલ ફર્ટિલિટી રેટ – ટી.એફ.આર.) ઊંચો હોય છે, એ તથ્યને અવગણીને વધુ સંતાનો પેદા કરવાનાં ધર્મયુદ્ધની હાકલો સ્વાભાવિક રીતે નિરર્થક જ સાબિત થશે. 

સૌજન્ય : ‘યુ-ટર્ન’, “દિવ્ય ભાસ્કર”, August 24, 2016

Loading

26 August 2016 admin
← અપ્રામાણિકતાનો ત્યારે વિચારેય ન આવતો
‘નેશન (સ્ટેટ) ફર્સ્ટ’ એટલે શું? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved