Opinion Magazine
Number of visits: 9745781
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2026

રમેશ ઓઝા

20મી જાન્યુઆરીએ સ્વીત્ઝરલૅન્ડમાં દાવોસ ખાતે મળેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ કરેલા ઐતિહાસિક ભાષણમાં તેમણે એક મહત્ત્વની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકાના નેતૃત્વવાળી એક વૈશ્વિક વ્યવસ્થા જેને ‘રૂલ્સ બેઝ્ડ વર્લ્ડ ઓર્ડર’ તરીકે ઓળખાવવામાં આવતી હતી એ અત્યારે તૂટી રહી છે અને એ તોડવાનું પાપ માત્ર અમેરિકાએ નથી કર્યું, પણ એને માટે કેનેડા જેવા મધ્યમ હરોળની સત્તાઓ પણ જવાબદાર છે.

કેવી રીતે? માર્ક કાર્ની એ દિવસે આત્મનિરીક્ષણના મૂડમાં હતા. તેમણે કહ્યું; મૂંગા રહીને. અમેરિકાના શાસકો ખોટું કરી રહ્યા હતા ત્યારે અમેરિકાના લાભાર્થી એવા સહયોગી દેશોએ કાં તો તેમાં સાથ આપ્યો હતો અથવા વિરોધ નહોતો કર્યો. દુનિયાને ગુમરાહ કરવા રૂલ્સ બેઝ્ડ વર્લ્ડ ઓર્ડરની આદર્શ વ્યવસ્થાના ગુણગાન ગાવાના, તેના માટે પ્રતિબદ્ધતા બતાવવાની, જ્યાં આવી વ્યવસ્થા નથી તેને આદર્શ વ્યવસ્થાના અભાવના નામે નીચા બતાવવાના અને દંડવાના; પણ બીજી બાજુ રાજકીય સ્વાર્થથી પ્રેરાઈને પોતે જ એ વ્યવસ્થાને અંદરથી ખોખલી કરે એની શું મધ્યમ હરોળના દેશોને જાણ નહોતી? હતી. બધાને બધી જ જાણ હતી. અમેરિકા આવી નીતિ દાયકાઓથી અપનાવી રહ્યું છે, પણ આપણે મૂંગા રહેવામાં કે સાથ આપવામાં લાભ જોયો હતો.

તેમના ભાષણનો સાર એ હતો કે તાત્કાલિક લાભને ધ્યાનમાં રાખીને અનીતિનો વિરોધ ન કરો અથવા અનીતિ કરનારાને સાથ આપો તો તેની લાંબા ગાળે ઘણી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. કાર્યકારણથી કોઈ બચી શકતું નથી. કાર્યકારણની વાત તો નરેન્દ્ર મોદી પણ ૨૦૦૨ની સાલમાં જાણતા હતા, જ્યારે ગોધરામાં ટ્રેનના એક ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી અને ગુજરાતમાં મુસ્લિમ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતના હુલ્લડો ક્રિયા સામે પ્રતિક્રિયા છે અને તેનાથી બચી શકાતું નથી. કોઈકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એ કથનની આજે યાદ અપાવવી જોઈએ કે ભાઈ ક્રિયા પ્રતિક્રિયા પેદા કરે છે અને તેનાથી બચી શકાતું નથી. તેની કિંમત ચૂકવવી જ પડે છે.

ખેર, અનીતિમાં સાથ આપવાની તો કિંમત હોય છે, પણ મૂંગા રહેવાની પણ કિંમત હોય છે. આજે અમેરિકા પોતે, અમેરિકાને સાથ આપનારા સહયોગી દેશો અને મૂંગા રહેનારા ભારત જેવા દેશો એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે કે હવે તેની કિંમત ચૂકવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રૂલ્સ બેઝ્ડ વર્લ્ડ ઓર્ડરની પડખે ઊભા રહ્યા હોત તો? પણ કોઈકનો સ્વાર્થ પ્રબળ હતો તો કોઈકની હિંમત ઓછી પડતી હતી.

ભારત સ્વતંત્ર થયું ત્યારથી ભારતની વિદેશનીતિમાં એક સાતત્ય રહ્યું છે, પછી સરકાર કાંગ્રેસની હોય, મોરારજી દેસાઈની જનતા પાર્ટીની હોય, વિશ્વનાથ પ્રતાપસિંહ કે ચન્દ્રશેખરની હોય, દેવગોવડા કે આઈ.કે. ગુજરાલની હોય કે પછી અટલ બિહારી વાજપેયીની ઇઝરાયેલપ્રેમી ભારતીય જનતા પક્ષની હોય. સરકાર ગમે તે આવે વિદેશનીતિમાં કોઈ ફરક નહોતો પડતો. ફેબ્રુઆરી ૧૯૭૯માં અટલ બિહારી વાજપેયી ભારતના વિદેશ પ્રધાન હતા અને ચીનની મુલાકાતે ગયા હતા. એ મુલાકાત ઐતિહાસિક હતી. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી ૧૭ વરસે પહેલીવાર ભારત અને ચીનના વિદેશ પ્રધાનો મળ્યા હતા. બન્યું એવું કે વાજપેયી હજુ બીજીંગ(ત્યારે પેકિંગ)માં હતા અને ચીને વિએતનામ પર હુમલો કર્યો. વાજપેયી મુલાકાત અધુરી મૂકીને ભારત પાછા આવ્યા અને ચીનની નિંદા કરી.

શક્તિના દુન્યવી માપદંડો વાપરીએ તો ભારત ત્યારે આજ જેટલું શક્તિશાળી નહોતું, પણ કરોડરજ્જુની તાકાત ધરાવતું હતું. તાકાત માત્ર બાહુઓમાં નથી હોતી, ખરી તાકાત કાળજામાં અને કરોડરજ્જુમાં હોય છે એ મોદીપૂર્વીય નેતાઓ જાણતા હતા.

૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે અમેરિકા અને સોવિયેત રશિયા વચ્ચે શીતયુદ્ધ શરૂ થઈ ગયું હતું. એ જ અરસામાં ઇઝરાયેલની સ્થાપના થઈ અને અખાતી દેશોમાં મુસ્લિમ દેશો અને ઇઝરાયેલ વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયો હતો. એ જ અરસામાં ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ અને ચીન ધીરેધીરે બેઠું થવા લાગ્યું. એ અરસામાં બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની અને જપાન પાછા બેઠા થવા લાગ્યા હતા. એ અરસામાં અન્ય ગુલામ અને ગરીબ દેશો આઝાદ થવા લાગ્યા હતા અને તે લગભગ બધા જ આંતર્વિરોધોનાં શિકાર બની રહ્યા હતા. એ અરસામાં ઉત્તર અને દક્ષિણના દેશો, પહેલું વિશ્વ – બીજું વિશ્વ અને ત્રીજું વિશ્વ, વિકસિતબ- વિકાસશીલ અને અવિકસિત દેશો એમ જગતનું વિભાજન થવા લાગ્યું હતું. એ અરસામાં ભારતના પાડોશી દેશો (મુખ્યત્વે પાકિસ્તાન) ભારતની આણ ઓછી કરવા અને પોતાની આણ વધારવા ઉત્સુક હતા અને પ્રયત્નશીલ હતા. પાકિસ્તાનની ઉત્સુકતાનો અમેરિકાએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને આજે પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશોનો ચીન લાભ ઉઠાવી રહ્યું છે.

દરેક યુગમાં સમયે પેદા કરેલી પ્રાપ્ત પરિસ્થિતિ હોય છે અને તેમાં દરેકે પોતાની જગ્યા અને ભૂમિકા બનાવવી પડતી હોય છે. ભારતે વિચાર્યું કે ખૂંટિયા લડાઈથી દૂર રહેવામાં ફાયદો છે, વિકાસશીલ દેશો સાથે સહિયારા વિકાસની શક્યતા તપાસવામાં ફાયદો છે, આંતર્વિરોધોથી ગ્રસ્ત એક સમયના સાંસ્થાનિક ગુલામ દેશોને દૂર રહીને મદદ કરવામાં ફાયદો છે અને સૌથી વધુ જ્યારે નૈતિકતાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે રૂલ્સ બેઝ્ડ વર્લ્ડ ઓર્ડરની પડખે ઊભા રહેવામાં ફાયદો છે.

મોઢું ખોલવાથી કોઈ મારી નથી નાખવાના. દરેકનો પોતાનો સ્વાર્થ છે. પડખામાં ઘૂસી જશો, ચાપલુસી કરશો અને મૂંગા રહેશો તો કોઈ કશું આપી દેવાના નથી અને બોલશો તો કોઈ મારી નાખવાનું નથી. અટલ બિહારી વાજપેયી ચીનની મુલાકત મુદ્દત કરતાં વહેલી આટોપીને પાછા આવી ગયા હતા અને ચીનની નિંદા કરી હતી, ૧૯૭૯માં ઇન્દિરા ગાંધીએ સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનમાં પોતાનું સૈન્ય મોકલ્યું એની નિંદા કરી હતી અને અમેરિકાની તો અનેકવાર નિંદા કરી હતી, કારણ કે અમેરિકા દાયકાઓથી લખણવંતું રહ્યું છે. કોઈએ ભારતને મારી નથી નાખ્યું. ઊલટું જગતે કદર કરી છે.

અમેરિકાની સોડમાં ઘૂસવાની કિંમત પાકિસ્તાને, ૧૯૭૯ પહેલાં ઈરાને, ૧૯૮૦-૯૦ના દાયકામાં ઈરાકે કેવી ચૂકવી એ તપાસી જુઓ. કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ તો જાહેરમાં કહ્યું કે ટૂંકો સ્વાર્થ જોઇને અનીતિમાં સાથ આપવાની, વખત આવ્યે મૂંગા રહેવાની અને રૂલ્સ બેઝ્ડ વર્લ્ડ ઓર્ડરની ઉપેક્ષા કરવાની ભૂલ આજે સમજાય છે. અલબત્ત આ રાંડ્યા પછીનું ડહાપણ છે. ભારતના શાસકોએ આવા રંડાપાથી દેશને બચાવ્યો હતો, પછી શાસક ગમે તે પક્ષનો અને વિચારધારાનો હોય.

પણ આ ૨૦૧૪ પહેલાંની વાત છે. ૨૦૧૪ પછી ભારતની વિદેશનીતિમાં વળાંક આવ્યો. સાત દાયકા વીતી જાય પછી નવી સ્થિતિમાં નવી નીતિ અપનાવવામાં આવે એમાં કશું ખોટું નથી, પણ સવાલ એ છે કે જે વળાંક આપવામાં આવ્યો એ સમજીવિચારી આપવામાં આવ્યો હતો ખરો? આ લાખ રૂપિયાનો સવાલ છે. વિદેશનીતિમાં સમૂળગું પરિવર્તન એક મોટી બાબત છે. એને યોગ્ય ઠેરવનારી કોઈ થિસીસ, કોઈ ડોક્ટ્રીન, રાષ્ટ્રીય સ્તરે ચર્ચા, વિરોધ પક્ષોને વિશ્વાસમાં લેવા અને સંબંધિત દેશોને વિશ્વાસમાં લેવા વગેરે જરૂરી પ્રયાસ કર્યા હતા ખરા?

બે ઉદાહરણ આપું. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દર કુમાર ગુજરાલ એમ માનતા હતા કે શીતયુદ્ધના અંત પછી અને મૂડીવાદના વિજય પછી ભારતે પાડોશી દેશો સાથેના સંબંધ પર ધ્યાન આપવું જોઈએ. ઝડપભેર વિકસવાની ભારત પાસે તક છે અને એમાં પાડોશી દેશોની ફરિયાદોને સાંભળવામાં આવે અને તેને શાંત કરવામાં આવે તો ભારત સામેનાં વિઘ્નો ઓછા થાય, જાગતિક મંચ પર વિરોધ થતો અટકે અને ભારત નવી સ્થિતિનો લાભ લઈ શકે. ગુજરાલની એ ભૂમિકાને ગુજરાલ ડોક્ટ્રીન તરીકે ઓળખવામાં આવતી હતી. એના વિષે દેશમાં ખૂબ ચર્ચા થઈ હતી તે ત્યાં સુધી કે હિંદુ રાષ્ટ્રવાદી અટલ બિહારી વાજપેયી એ થિસીસને અનુકૂળ હતા. બીજું ઉદાહરણ પી.વી. નરસિંહ રાવનું છે. તેમણે ઇઝરાયેલ સાથે પૂર્ણ સ્વરૂપનાં રાજદ્વારી સંબંધો સ્થાપવાનો નિર્ણય લીધો. ભારતની વિદેશ નીતિમાં એક નિર્ણાયક વળાંક હતો, પણ એ વળાંક આપતાં પહેલાં તેમણે ઈરાન સહિત દરેક અખાતી દેશોના શાસકોને વિશ્વાસમાં લીધા હતા. ૧૯૯૦ પછી દ્વિધ્રુવીય વિશ્વનો અંત આવ્યો અને એક દાવેદાર તરીકે ચીને તેમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે ચીન સાથેના સંબંધોમાંમાં નિર્ણાયક સુધારો કર્યો હતો. તેઓ અલબત્ત ગુજરાલ ડોક્ટ્રીનમાં નહોતા માનતા અને વગર બોલ્યે નીતિ એવી હતી કે પાકિસ્તાનની પશ્ચિમે અને બંગલાદેશની પૂર્વે આખું જગત છે અને અહીં માથું ફોડવાની જગ્યાએ પૂર્વ અને પશ્ચિમમાં જગ્યા બનાવવા પ્રયાસ કરવા જોઈએ.

આ બધું મને કોઈએ કાનમાં નથી કહ્યું. ૧૯૯૦ પછીથી વિદેશનીતિમાં કરવામાં આવેલા પરિવર્તનો અને અપનાવવા જોઈતા વિવિધ અભિગમોની વ્યાપક ચર્ચા દેશમાં થતી હતી. અંતે એ લાંબાગાળાનાં રાષ્ટ્રીય હિતના પ્રશ્નો હતા. પણ ૨૦૧૪ પછી દેશની વિદેશનીતિમાં જે પરિવર્તનો કરવામાં આવ્યા એની કોઈ ચર્ચા જ કરવામાં નથી આવી. નથી સંબંધિત દેશોને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે નથી વિરોધ પક્ષોને. એજન્ડા વિનાના વિદેશ પ્રવાસો કરવાથી કે એજન્ડા વિના વિદેશી મહેમાનોને ભારત બોલાવવાથી નથી સંબંધો સુધરતા કે નથી બોલબાલા થતી. શી ઝિંગપીંગ કેટલા વિદેશ પ્રવાસ કરે છે? ૨૦૧૩માં ઝિંગપીંગ સત્તામાં આવ્યા અને અત્યાર સુધીમાં તેમણે માત્ર ૫૬ વિદેશયાત્રાઓ કરી છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૯૯ વિદેશયાત્રાઓ કરી છે. વડા પ્રધાનની યાત્રાઓ અને ૨૦૧૪ પછીની વિદેશનીતિનું કોઈ ચિત્ર તમારા દિમાગમાં ઉપસે છે ખરું? ટૂંકા ગાળા માટે શાસન કરી ગયેલા શાસકો ડોક્ટ્રીન આપીને જાય અને ૧૨ વરસ શાસન કરનાર વડા પ્રધાનની વિદેશનીતિ દિશાહીન હોય એ શું સૂચવે છે?

જવાબ બહુ સ્પષ્ટ છે. નરેન્દ્ર મોદીની વિદેશનીતિ હેડલાઈન્સ માટેની છે, ઘર આંગણે પ્રજાને આંજી દેવાની છે, ભક્તોને ગેલમાં રાખવાની છે, ચૂંટણી જીતવા માટેની છે, શુદ્ધ રાજકીય છે, આત્મમુગ્ધતા પ્રેરિત અંગત છે, રાષ્ટ્રીય નથી. આને પરિણામે બહુ ખરાબ રીતની સંકડામણમાં ભારત આજે ફસાઈ ગયું છે. જો યુદ્ધ વણસ્યું તો ભારત હજુ વધુ સંકટમાં મૂકાશે અને જો પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા યુદ્ધ થંભ્યું તો ભારતનું નાક કપાશે. પાકિસ્તાન? પાકિસ્તાન લવાદી કરે? હા, પાકિસ્તાન. કારણ કે પાકિસ્તાને ઈરાનના સર્વોચ્ચ નેતા અને તેમના પરિવારની હત્યાની નિંદા કરી હતી, એ જ દિવસે ખોમૈનીને અંજલિ આપી હતી અને ૧૨ મુસ્લિમ દેશોએ મળીને ઈરાનના મુસ્લિમ દેશો પરના હુમલાઓની નિંદા કરી એમાં એક પાકિસ્તાન હતું. પ્રતિષ્ઠા મોઢું ખોલવાથી મળે, હોઠ સીવી લેવાથી નથી મળતી. એમાં તો ગોળો અને ગોફણ બન્ને ગુમાવવાનો વારો આવે. મર્દાનગી બોલવામાં છે, મૂંગા રહેવામાં નથી અને ખોટામાં સાથ આપવામાં તો બિલકુલ નથી. વિદેશનીતિનો ઉપયોગ જ્યારે અંગત અને પક્ષીય હેતુ માટે કરવામાં આવતો હોય ત્યારે આ સિવાય બીજું પરિણામ પણ શું આવે! હા, તમે આને મોદી ડોક્ટ્રીન તરીકે જરૂર ઓળખાવી શકો.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 માર્ચ 2026

Loading

31 March 2026 Vipool Kalyani
← સાઝિશ રમકડાંની

Search by

Opinion

  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved