માઈ નેમ ઈઝ એન્થની ગોનસાલવેસ : ગોવાથી આવીને મુંબઈ વસેલા ખ્રિસ્તીઓ
माई नेम इझ एन्थनी गोनसालवेस
मैं इस दुनिया में अकेला हूँ
दिल भी है खाली, घर भी है खाली
इसमें रहेगी कोई किस्मत वाली
हाए, जिसे मेरी याद आए, जब चाहे चली आए
जिसे मेरी याद आए, जब चाहे चली आए
रूप महल, प्रेम गली, खोली नंबर ४२०
एक्सक्युझ मी प्लीझ
माई नेम इझ एन्थनी गोनसालवेस
છેક ૧૯૭૭માં આવેલી ફિલ્મ ‘અમર, અકબર, એન્થની’નું આ ગીત આજે પણ ઘણાંને યાદ હશે. તેમાં ખ્રિસ્તી એન્થનીનું પાત્ર ભજવનાર અમિતાભ બચ્ચન અને કિશોરકુમારે ગાયેલું આ ગીત અને જેમાં એ આવતું હતું તે ફિલ્મ એક જમાનાના મુંબઈની ‘સર્વધર્મસમભાવ’ની ભાવનાનું એક ઉદાહરણ હતી. અને છતાં એ વખતે, અને આજે પણ, ઘણા મુંબઈવાસીઓ બધા ખ્રિસ્તીઓને એક સરખા જ માને છે. પણ ગયે વખતે આપણે જેને વિષે વાત કરેલી તે બોમ્બે ઇસ્ટ ઇન્ડિયન્સ અને આ એન્થની ગોનસાલવેસ જેવા ગોવાના ખ્રિસ્તીઓ, બંને પોતપોતાની જમાતને અલગ માને. બંને વચ્ચે નોકરીઓ અને સામાજિક દરજ્જા અંગે થોડી ખેંચતાણ પણ ખરી. પણ ગોવાના ખ્રિસ્તીઓ વિષે વાત કરતાં પહેલાં એક બીજી વાત. આ ગીત અને ફિલ્મમાં જે નામ આવે છે, એન્થની ગોનસાલવેસ, એ કાલ્પનિક નામ નથી. એ વખતે જાણીતા એવા એક ગોવાના ખ્રિસ્તી સંગીતકારનું હતું એ નામ. ૧૯૫૦ના અરસામાં હિન્દી ફિલ્મોમાં એમનું નામ અવારનવાર ઝલળકતું. ગોવાના માજોર્ડા ગામે ૧૯૨૭માં તેમનો જન્મ. આખું નામ એન્થની પ્રભુ ગોનસાલવેસ. નૌશાદસાહેબ સાથે વાયોલીનવાદક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત. પછી આર.ડી. બર્મન અને (લક્ષ્મીકાન્ત) પ્યારેલાલજી જેવા ધરખમ સંગીતકારોને પોતાને ઘરે બોલાવી, ટ્યૂશન આપી, વાયોલીન વગાડતાં શીખવ્યું. અમર અકબર એન્થની ફિલ્મનું શૂટિંગ શરૂ થયું તે પહેલાં અમિતાભ બચ્ચનના પાત્રનું નામ હતું એન્થની ફર્નાનડિસ. ત્યારે પ્યારેલાલજીએ દિગ્દર્શક મનમોહન દેસાઈને ખાસ વિનતી કરીને તેનું નામ બદલીને એન્થની ગોનસાલવેસ કરાવ્યું અને આ ગીત દ્વારા પોતાના ગુરુ પ્રત્યેનું ઋણ અદા કર્યું. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અસલ એન્થની ગોન્સાલવેસ હિન્દુસ્તાન છોડીને અમેરિકા ચાલ્યા ગયા હતા. ત્યાં સેરાક્યૂઝ યુનિવર્સિટીમાં ગોવન-હિન્દુસ્તાની ફયુઝન જાઝ મ્યુઝીક પર ઘણું કામ કર્યું. પણ પછી સ્વદેશ પાછા ફરી ગોવામાં સ્થાયી થયા. ત્યાં જ ૨૦૧૨માં તેમનું અવસાન થયું.

ગોવન ખ્રિસ્તી વર–વધૂ
પણ હવે પાછા વળીએ મુંબઈના ગોવાન ખ્રિસ્તીઓ તરફ. ગોવામાં ખ્રિસ્તી ધર્મના પ્રચારની શરૂઆત ક્યારથી થઈ એ અંગે મતભેદ છે. એક માન્યતા પ્રમાણે ભગવાન ઈશુના બાર ‘એપોસ્ટલ’માંના એક સેન્ટ બાર્થોમેલો હિન્દુસ્તાન આવ્યા હતા અને તેમણે કોંકણ અને ગોવામાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારની શરૂઆત કરી હતી. છેક ૧૫૧૦માં પોર્ટુગીઝોએ બીજાપુરના સુલતાન પાસેથી ગોવા જીતી લીધું. ત્યારબાદ તેમણે ધર્માંતરણની શરૂઆત કરી. તે માટે ગરીબ લોકોને તેઓ ચોખાનું ‘દાન’ આપતા તો મધ્યમ વર્ગના લોકોને સરકારી નોકરીની લાલચ આપતા. બીજા રાજાઓના મુલકમાં પણ ધર્મ પ્રચાર થઈ શકે તે માટે પોર્ટુગીઝ સરકાર તેમને લશ્કરી મદદ આપતી. ઈ.સ. ૧૫૪૨માં સોસાયટી ઓફ જિસસના બે સ્થાપકોમાંના એક સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ગોવા આવ્યા. તે પછી ખ્રિસ્તી ધર્મના પ્રચારે વધુ જોર પકડ્યું. ઈ.સ ૧૫૬૦માં પોર્ટુગીઝ સરકારે બિન ખ્રિસ્તીઓ માટે ખૂબ આકરા કાયદા અમલમાં મૂક્યા. ખ્રિસ્તી ધર્મ સિવાયના બીજા કોઈ પણ ધર્મના પાલન પર પ્રતિબંધ મૂક્યો. ખ્રિસ્તીઓ માટે પણ ઘણા કડક કાયદા અમલમાં મૂક્યા. તેથી એ વખતે ઘણા ખ્રિસ્તીઓ ગોવા છોડીને બીજે ગયા. તેમાંના કેટલાક મુંબઈ આવી વસ્યા. મુંબઈમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો તે પછી તેમને સરકારી જુલમનો સામનો કરવાનો રહ્યો નહિ. બલકે અંગ્રેજી ભાષાની સારી જાણકારીને લીધે સરકારી અને બીજી નોકરીઓમાં તેમને માટે સારી તકો ઊભી થઈ. વખત જતાં આઝાદી માટેની લડતમાં પણ મુંબઈના ગોવન ખ્રિસ્તીઓએ ભાગ લીધો. અને ખુદ ગોવાની આઝાદી માટેની લડતમાં તો મુંબઈના ગોવન ખ્રિસ્તીઓ અગ્રેસર રહ્યા. અગાઉ ગોવન ખ્રિસ્તીઓએ ડીસૂઝા, રોડરિક્સ, ફર્નાનડિસ, પિન્ટો જેવી પોર્ટુગીઝ અટકો અપનાવી હતી તે ચાલુ રાખી. તો બીજી બાજુ મુંબઈના કેટલાક ગોવાનીઝ ખ્રિસ્તીઓ ધર્માંતરણ પહેલાંની પોતાની પ્રભુ, કામથ, નાયક, શેટ, શેનોય, જેવી અટકો જ આજે પણ વાપરે છે. ગોવાનીઝ ખ્રિસ્તીઓઓ મુંબઈ આવ્યા ત્યારે મુંબઈના ઈસ્ટ ઇન્ડિયન ખ્રિસ્તીઓએ પહેલાં તો તેમને પોતાના હરીફ તરીકે જોયા હતા. ગોવાથી આવેલા ખ્રિસ્તીઓ મુંબઈમાં ગીરગામ, કાલબાદેવી, વાંદરા જેવા વિસ્તારોમાં વસ્યા.

સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સ ચર્ચ, બરોઝ ક્રોસ લેન
આ લખનારને આજે પણ બરાબર યાદ છે એ ગીરગામના વસવાટના એ દિવસો. ગીરગામ રોડ પરની નાના શંકર શેઠની વાડીથી શરૂ કરીને લગભગ પ્રિન્સેસ સ્ટ્રીટ સુધી મુખ્ય વસતી ગોવન ખ્રિસ્તીઓની. નાતાલ શરૂ થવાના થોડા દિવસ અગાઉથી ફૂટપાથ પર ચીની સ્ત્રીઓ (હા, જી. એ વખતે મુંબઈમાં ચીનાઓની સારી એવી વસતી હતી. તેમાંના ઘણા દાંતના ડોક્ટર હતા.) સ્ત્રીઓ ફૂટપાથ પર દુકાન માંડીને ચીકણા કાગળનાં સ્ટાર, ફોલ્ડિંગ તોરણો, બીજાં સુશોભનો વેચવા લાગે. (આ બધું જ એ વખતે રંગબેરંગી કાગળનું બનતું, કારણ ‘પ્લાસ્ટિક’ નામના બહુમુખી ઓક્ટોપસે હજી દેખા દીધી નહોતી. અહીંથી ખરીદી કરીને ખ્રિસ્તીઓ પોતાનાં ઘરને બહારથી અને અંદરથી શણગારે. સાથે ઇલેક્ટ્રિક લાઈટની રોશની તો ખરી જ. ડિસેમ્બરની ૨૪મીની અને ૩૧મીની રાતે બરાબર બાર વાગે થોડે દૂરની બરોઝ ક્રોસ લેનમાં ૧૮૭૦માં બંધાયેલી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ચર્ચમાં ઘંટારવ શરૂ થાય. ઘણા ખ્રિસ્તીઓ રસ્તા પર આવી નાચે, પીપુડાં વગાડે, ફટાકડા પણ ફોડે.

ગીરગામનું ખ્રિસ્તી કબ્રસ્તાન
બીજી યાદ તે તેમના ફ્યુનરલ પ્રોસેશનની. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચની પાછળ જ એ વખતે આવેલું હતું ખ્રિસ્તી કબ્રસ્તાન. પછીથી એ બધી જમીન એક પૈસોય લીધા વગર ખ્રિસ્તીઓએ સરકારને આપી દીધી, સરસ બગીચો બનાવવા. આજે એ જગ્યા પર સ.કા. પાટિલ ઉદ્યાન આવેલો છે. જગ્યા આપતી વખતે બે જ શરત: એક, યાદગીરી કહો કે સ્મારક કહો, બગીચામાં એક – માત્ર એક જ, કબર રહેવા દેવાની. બીજી બધી કબર ઉખેડી નાખવાની. અને બીજી શરત એ કે આ જગ્યાના કોઈ પણ ભાગનો ઉપયોગ આવક થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ માટે કરવાનો નહિ. એ વખતે ફ્યુનરલ પ્રોસેશનમાં બધું જ સફેદ. પારદર્શક કાચ બધી બાજુ મઢેલી મોટી સફેદ મોટર કહેતાં હર્સ. તેમાં સફેદ કોફીનમાં મૂકાયેલો સફેદ કપડામાં સજ્જ પાર્થિવ દેહ. તેના પર અને હર્સની બધી બાજુ સફેદ ફૂલોની બનેલી રીધ (ગોળાકાર પુષ્પમાળા). તેની પાછળ શોક સંગીત વગાડતું નાનું બેન્ડ. પાછળ ચાલતાં બધાં સ્ત્રી-પુરુષ સફેદ કપડામાં સજ્જ. એ બધું બહુ જ ગરિમા ભરી વિદાય જેવું લાગે. પણ પછી એ કબ્રસ્તાન ગયું. પછી એ ફ્યુનરલ પ્રોસેશન પણ ગીરગામ રોડ પરથી નીકળતાં લગભગ બંધ થયાં.

ગીરગામના ખ્રિસ્તી કબ્રસ્તાનની જગ્યાએ બનેલ સ.કા. પાટિલ ઉદ્યાન
તો બીજી બાજુ આ જ ગોવન ખ્રિસ્તી સમાજમાં જળવાઈ રહેલા કેટલાક રિવાજો જોઈ આપણને સહેજ નવાઈ લાગે. લગ્ન વખતે નવવધૂ માટે હાથમાં ‘ચૂડો’ પહેરવાનું લગભગ ફરજિયાત. એનો રંગ અને એની ડિઝાઈન અમુક ચોક્કસ જાતનાં, અને તેને માટે વપરાતો શબ્દ પણ ‘ચૂડો.’ લગ્ન અગાઉ વિધિપૂર્વક મણિયાર (ચૂડા બનાવનાર) પાસેથી ખરીદવાનો. તેને એ લોકો ‘કંકણકાર’ કહે. બરાબર માપ લઈને પહેરાવવા માટે કંકણકારને નવવધૂને ઘરે તેડાવાય. એ વિધિ થાય કન્યાના મામાના ઘરે. અગાઉ તો પતિનું અવસાન થાય ત્યારે તેના કોફિન સાથે હાથનાં કાંડાં પછાડીને એ કાચનો ચૂડો તોડીને તેના ટુકડા પતિના કોફીનમાં નાખવાનો રિવાજ હતો.
લગ્ન પહેલાંનો બીજો એક વિધિ તે ‘ભુઈમ જેવોણ’ અથવા ‘બિકારામચે જેવોણ’. પૂર્વજોની યાદમાં અપાતા આ જમણમાં મોટે ભાગે આસપાસના ભીખારીઓ અને ગરીબગુરબાંને જમાડવામાં આવે. સાથોસાથ અનાથાશ્રમનાં બાળકોને અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ જમાડવામાં આવે. આ રીતે તેમને જમાડવાથી તેમની ભલી દુઆઓ નવદંપતીને મળે એવી માન્યતા.
લગ્ન વખતની બીજી એક વિધિ તે ‘હલદી કંકુ’ કે પીઠીને મળતી આવતી ‘રોસ’ની વિધિ. તેમાં વર-વધૂ બંનેને નાળિયેરનાં દૂધથી નવડાવવામાં આવે. બંને પક્ષનાં સગાંઓ તેમાં આનંદપૂર્વક ભાગ લે. નવડાવતી વખતે વરવધૂનાં માથાં પર ઈંડાં પણ ફોડવામાં આવે. તેમના શરીર પર ઢોળવામાં આવેલું દૂધ એક વાસણમાં એકઠું કરવામાં આવે. હાજર રહેલાં સગાં-સંબંધી તેમાં નાના મોટા સિક્કા નાખે. વિધિ પૂરો થયા પછી એ સિક્કા કાં ગરીબોમાં વહેંચી દેવાય, કાં ઘરના નોકરોને આપી દેવાય. આ વિધિ પૂરો થયા પછી કન્યાને જે વસ્ત્રો પહેરાવવામાં આવે તેના પર ઈશુ ખ્રિસ્તની નાનકડી છબી ચીતરેલી હોય જેથી બીજાની બુરી નજર કન્યાને લાગે નહિ.
ચર્ચમાં લગ્નવિધિ થઈ જાય તે પછી નવવધૂને ‘સાડો’ આપવાનો રિવાજ. પણ આ ‘સાડો’ એટલે સાડી નહિ, લાલ રંગનો પોશાક. વર પક્ષ તરફથી નવવધૂને આ ‘સાડો’ અપાય. એ આપ્યા પછી તેને આખા ઘરમાં ફેરવવામાં આવે. લગ્નના બીજા દિવસે નવવધૂ પાછી પિતાને ઘરે જાય ત્યારે ત્યાં પણ તેને આવો ‘સાડો’ આપવામાં આવે. લગ્ન પછી કન્યાનાં માતાપિતા વર પક્ષના લોકોને જમવા બોલાવે ત્યારે (અથવા હવે રિસેપ્શનમાં) નવવધૂ આ ‘સાડો’ પહેરે.
આજે વાતની શરૂઆત એક ફિલ્મી ગીતથી કરેલી. તો છેવટે સાંભળીએ રાજકપૂરની ધૂમ મચાવનારી, અને ગોવન ખ્રિસ્તી નાયિકા ધરાવતી ફિલ્મ ‘બોબી’ના ગીતની એક કડી. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર ફરી એ જ લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, અને ગાયકો મન્ના ડે અને શૈલેન્દ્ર સિંહ.
ना जानू मुल्ला काज़ी,
ना जानू काबा काशी,
मैं तो हूँ प्रेम प्यासा रे.
मेरे सपनों की रानी,
होगी तुमको हैरानी,
मैं तो तेरा दीवाना रे.
હવે આવતે શનિવારે મુંબઈના કયા દિવાનાની વાત? રાહ જુઓ.
સપનાંઓમાં જાગતું શહેર પુસ્તકનો પ્રકાશન સમારંભ

આ કોલમમાં પ્રગટ થયેલા લેખોમાંથી પસંદ કરેલા ૮૦ જેટલા લેખોનું પુસ્તક ‘સપનાંઓમાં જાગતું શહેર’ આવતી કાલે (રવિવાર, ૨૯ માર્ચ) પ્રગટ થઈ રહ્યું છે. અમદાવાદના નવજીવન સાંપ્રત દ્વારા પ્રકાશિત આ પુસ્તકનો વિમોચન સમારંભ સાંજે છ વાગ્યે જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ કેમ્પસ, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સાંજના ૬ વાગ્યે યોજાયો છે. આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક દીપક મહેતા, જાણીતા સમાજશાસ્ત્રી, અધ્યાપક અને સંશોધક ડો. ખેવના દેસાઈ, સાહિત્ય, નાટક, ફિલ્મ, સંગીત, અને બીજી કલાઓ સાથે સંકળાયેલા શ્રી રામ મોરી, તથા અન્યો ભાગ લેશે. આ કાર્યક્રમમાં સૌ સાહિત્યપ્રેમીઓ સહભાગી થઈ શકે છે.
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 માર્ચ 2026
![]()

