Opinion Magazine
Number of visits: 9449305
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકારણનો ત્રીજો ‘પક્ષ’ : નાગરિકપક્ષ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|22 March 2016

દેશમાં ઉદ્ધારકોની બોલબાલા થાય ત્યારે સમજવું કે સક્રિય નાગરિકો અણુમતીમાં આવી ગયા છે

ભારતનું રાજકારણ મુખ્યત્વે બે પક્ષમાં વહેંચાયેલું છે : ના, ભાજપ અને કૉંગ્રેસ નહીં, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ. દેખાડાબાજી માટે થતા હાકોટા અવગણીને શાંતિથી વિચારી જુઓ : નીતિવિષયક બાબતોમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે અથવા બીજા રાજકીય પક્ષો વચ્ચે પણ શો ફરક છે? અરુણ શૌરીએ આપેલા ચબરાક છતાં ચોટદાર આકલન પ્રમાણે, ‘એન.ડી.એ. એટલે યુ.પી.એ. પ્લસ કાઉ.’ યુ.પી.એ. નીતિમાં આક્રમક હિંદુત્વનો- સંકુચિત રાષ્ટ્રવાદનો આથો ચડાવો એટલે એન.ડી.એ. આ મૂલ્યાંકનમાં આત્યંતિકતા હોવા છતાં, તત્ત્વાર્થમાં એ સાચું છે. બન્ને પક્ષના ‘વફાદારો’ જો કે તેને નહીં સ્વીકારે. કારણ કે તેમના પ્રિય પક્ષોના બ્રાન્ડિંગનો સવાલ છે.

બ્રાન્ડિંગની એટલે કે પોતે જેવા છે નહીં, પણ જેવા દેખાવા કોશિશ કરે છે એની બાબતમાં કૉંગ્રેસ-ભાજપ સરખાં નથી. તેમની વચ્ચે મોટો ફરક છે. કૉંગ્રેસ ગરીબતરફી, બિનસાંપ્રદાયિકતાતરફી- સાંપ્રદાયિકતાવિરોધી દેખાવા ઇચ્છે છે, જ્યારે ભાજપ રાષ્ટ્રવાદી, ત્રાસવાદવિરોધી, પાકિસ્તાનવિરોધી અને બેશક, કૉંગ્રેસવિરોધી-પરિવારવિરોધી દેખાવા ઇચ્છે છે. તેમના આ બ્રાન્ડિંગથી ઘણા લોકો જાણેઅજાણે ભોળવાઈ જાય છે. અમુક ટૂથપેસ્ટ ઘસવાથી કે તમુક ડીઓડરન્ટ લગાડવાથી યુવતીઓ મોહિત થઈ જશે, એવું ઠસાવતી જાહેરખબરોની જેમ, આ પક્ષો પણ પોતાના બ્રાન્ડિંગથી ગ્રાહકોને લલચાવવા પ્રયાસ કરે છે. પેલી જાહેરખબરોની જેમ રાજકીય પક્ષોની જાહેરાતોથી પણ ઘણા લોકો લલચાય છે – લપેટાય છે અથવા પોતાની આકાંક્ષાઓ-કુંઠાઓ-પૂર્વગ્રહોનું પ્રતિબિંબ કે મોક્ષ એ જાહેરાતોમાં જુઓ છે. અલબત્ત, પક્ષોનું પેકેજિંગ વ્યાપારી ચીજવસ્તુઓ કરતાં વધારે ભવ્ય હોય છે. એ ગરીબોના કે રાષ્ટ્રના કે હિંદુઓના કે મુસ્લિમોના ઉદ્ધારથી ઓછી વાત કરતા નથી.

જરા વિચારો : જેમના મનમાં સેક્યુલરિઝમનો ખ્યાલ કૉંગ્રેસની સગવડિયા બિનસાંપ્રદાયિકતા જોઈને કે દેશભક્તિનો ખ્યાલ ભાજપનો તકલાદી-તકવાદી રાષ્ટ્રવાદ જોઈને બંધાયેલો હોય, એવા લોકોનું શું થાય? મોટે ભાગે, તે એક યા બીજા પક્ષના ભક્ત બને. (ઘણા વખતથી જો કે વિચારધારા કરતાં ફાયદાની ગણતરી પક્ષીય વફાદારી માટે મુખ્ય પરિબળ બની છે) પોતાના મનમાં રહેલા ખ્યાલો કે દ્વેષનો પડઘો તેમને કોઈ પક્ષના પ્રચારમારામાં – તેના બ્રાન્ડિંગમાં સાંભળવા મળે, એટલે પક્ષોની વાસ્તવિક વર્તણૂંક ગૌણ બની જાય છે. બ્રાન્ડિંગના આધારે જે લોકો કૉંગ્રેસ ભણી ઢળે, તેમને સોનિયા ગાંધી રાહુલ ગાંધીમાં ઉદ્ધારકનાં દર્શન થાય છે.

તેમને લાગે છે કે દેશને બચાવવો હશે તો કૉંગ્રેસ લાવવી પડશે. આવી જ રીતે, જે લોકો બ્રાન્ડિંગથી મોહાઈને ભાજપ – સંઘ તરફ ઢળતા હોય તો તેમને નરેન્દ્ર મોદી ઉદ્ધારક લાગશે. બે વર્ષ પહેલાં અને હજુ પણ ઘણા માને છે કે આ દેશનો ઉદ્ધાર ફક્ત નરેન્દ્ર મોદી જ કરે એમ છે. નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી કરતાં ઘણા વધારે ચબરાક હોવા છતાં, ઉદ્ધારક તરીકે એ બન્ને (જુદાં જુદાં કારણોસર) એકસરખા નકામા છે. કોઇ પણ રાજકારણીને – નેતાને, મહાત્મા ગાંધીને પણ, ઉદ્ધારક ગણવામાં સાર નથી.

સારો નેતા માણસના મનમાં રહેલી શુભ લાગણીઓને ઢંઢોળી શકે, તેને જગાડી શકે અને કદાચ સક્રિય કામગીરી માટે પણ પ્રેરી શકે. ગાંધીજીમાં એ ગુણ હતો. તેમણે પોતાના સાથીદારોની મર્યાદાઓ કોરે રાખીને, તેમનામાં રહેલાં ઉત્તમ તત્ત્વોને બહાર આણ્યાં અને તેને રાષ્ટ્રના કામમાં ખપમાં લીધાં. પણ ઉદ્ધારક? તારણહાર? એવું બધું રાજાશાહીમાં સરમુખત્યારશાહીમાં, ટૂંકમાં એકહથ્થુ શાસનમાં હોય. લોકશાહીમાં નાગરિકો પોતે જાગતા ન રહે, તો તેમનો ઉદ્ધાર કોઈ ન કરી શકે. એવો દાવો કોઈ નેતા કરે, તો એને બ્રાન્ડિંગનો એટલે કે તેમના ધંધાદારી પ્રચારજૂઠાણાનો ભાગ ગણી લેવો.

‘તમે સૂઈ જાવ ને હું જાગીશ’ એવું કોઈ કહે ત્યારે, દિલ્હી જેવા કોઈ સ્ટેશન પર ‘તમે તમારે બાથરૂમ જઈ આવો. હું તમારી બૅગ સાચવીશ’ એવું કહેનારા કોઈ ગઠિયાને યાદ કરી લેવો. કોઈને ‘ઉદ્ધારક’ ગણી લેનારા મૂળભૂત રીતે નિષ્ક્રિય અથવા મજબૂર અથવા બન્ને હોય છે. તેનો પૂરેપૂરો ફાયદો ‘ઉદ્ધારકો’ ઉઠાવે છે. દેશમાં ઉદ્ધારકની બોલબાલા થાય ત્યારે સમજવું કે સક્રિય નાગરિકો અણુમતીમાં આવી ગયા છે અને પક્ષની કંઠી (અથવા તેની વફાદારીના નામે આંખે પાટા) બાંધનારાની બહુમતી થઈ છે.

રાજકીય પક્ષોમાં જોડાયેલા કેટલાક લોકો મૂળભૂત રીતે, માણસ તરીકે સારા હોય છે. તેમનામાં વિચારધારાકીય સ્પષ્ટતા હોય કે ન હોય, બીજા માટે કંઈક કામ કરવાની વૃત્તિ હોય છે. એવા લોકો એક યા બીજા પક્ષની કહેવાતી વિચારધારામાં સામેલ થયા પછી, એ પક્ષ સાથે છેડો ફાડી શકતા નથી. સાથોસાથ, પોતાની મૂળભૂત સારપ પણ છોડી શકતા નથી. લાંબા સમય સુધી ભાજપના સભ્ય – ધારાસભ્ય (અને બહુ મોડેથી આમઆદમી પક્ષમાં જોડાયેલા) સેવાભાવી ડૉક્ટર કનુભાઈ કળસરિયા આવું એક ઉદાહરણ છે. એમના જેટલા જાણીતા કે એ કક્ષાના નહીં, એવા બીજા દાખલા પણ હશે, જેમની મૂળભૂત સારપને વિચારધારાના નામે ફેલાવાતું નાગરિકવિરોધી-મનુષ્યવિરોધી ઝેર ચડ્યું ન હોય.

પોતીકી સારપ છતાં પક્ષનાં અનિષ્ટ આચરણો સામે એ લોકો અવાજ ન ઉઠાવે, તેના પ્રત્યે આંખ આડા કાન કરે અને બને ત્યાં સુધી પક્ષ સાથે છેડો ન ફાડે તેનું એક કારણ : ભૂતના ભાઈ પલિત જેવી સ્થિતિ હોય અને ‘લેસર એવિલ’ના નામે સરખેસરખાં અનિષ્ટો વચ્ચે જ પસંદગી બચી હોય, ત્યારે ઘણાને લાગે છે કે અજાણ્યા અનિષ્ટ કરતાં જાણીતા અનિષ્ટ સાથે પનારો પાડવો સારો. આવા લોકો અંગત વાતચીતમાં પોતાના પક્ષનાં અનિષ્ટો વિશે ખુલ્લાશથી વાત કરે છે, પણ જાહેરમાં ઊભા રહેવાનું આવે ત્યારે એ પક્ષના ટોળામાં, બીજાં અનેક અનિષ્ટોની સાથે જોવા મળે છે.

ભાજપની ટીકા કરે, તેમને કૉંગ્રેસી તરીકે ખપાવી દેવા એ પણ પક્ષીય બ્રાન્ડિંગની જ વ્યૂહરચના છે. પરંતુ એ પ્રચારને પડકારીને, ખોંખારીને કહેવું પડે કે આ દેશમાં એક ત્રીજો પણ ‘પક્ષ’ છે. રૂઢ અર્થમાં તે પક્ષ નથી. તેમનું કોઈ ઔપચારિક સંગઠન નથી, કોઇ રાજકીય હિત નથી. તે ધબકતી લોકશાહી અને સ્વસ્થ રાષ્ટ્ર ઇચ્છતા નાગરિકોનો સમૂહ છે. સત્તાપક્ષનાં જૂઠાણાંનો પ્રતિકાર વિરોધપક્ષો ન કરે કે સામસામા પક્ષો એકબીજાના ગોટાળા આગળ ધરીને એક જ માળાના મણકા તરીકે ખુલ્લા પડી જાય, ત્યારે પક્ષીય વફાદારીની કે અંગત સ્વાર્થની સાંકળે બંધાયેલા ન હોય એવા નાગરિકો પોતપોતાની રીતે પહેલ કરે છે. તેમના માટે દેશ એ કોઈ નેતા કે પક્ષ નહીં, પણ દેશના સામાન્ય લોકો અને તેમનું હિત છે.

આ એ સમૂહ છે, જેમાંથી ઘણાએ ઇંદિરા ગાંધીની નીતિરીતિનો વિરોધ કરવા બદલ ગાળ ખાધી હતી ને નરેન્દ્ર મોદીના શાસનની ટીકા બદલ પણ. તેમને કૉંગ્રેસ-ભાજપ તરફથી પ્રમાણપત્રોની જરૂર નથી. તેમની સૌથી મોટી ચિંતા ભારતમાં રહેલી સહઅસ્તિત્ત્વની સંસ્કૃિતને-બંધારણના હાર્દને ટકાવી રાખવાની અને તેની સામે ઊભા થતા પડકારોનો શક્ય એટલો સામનો કરવાની છે. આ સમૂહને હડધૂત કરનારો કે તેમને દેશહિતવિરોધી ઠરાવનારો અવાજ મોટો થઈ જાય ત્યારે દેશની ચિંતા થવી જોઇએ.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘પ્રચાર એ જ કલ્યાણ ?’, “દિવ્ય ભાસ્કર”, 22 માર્ચ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-politics-third-party-civil-party-5280913-NOR.html

Loading

22 March 2016 admin
← ધર્મ એક, પથ બે, વાડા અનેક
Return to the revolutionary road →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved