Opinion Magazine
Number of visits: 9448805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફ્રેડરિક ફોસાઇથ : કેવી રીતે એક દેવાદાર યુવક બેસ્ટસેલર જાસૂસી લેખક બન્યો!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 June 2025

રાજ ગોસ્વામી

મશહૂર જાસૂસી નવલકથા લેખક ફ્રેડરિક ફોસાઇથનું 10મી જૂને અવસાન થઇ ગયું. તેઓ 86 વર્ષના હતા અને ઇંગ્લેન્ડના બકિંગહામશાયરમાં રહેતા હતા. ભારતમાં બીજી ભાષાના વાચકોમાં તેમનું નામ એટલું જાણીતું નહોતું (કારણ એ તેમની વાર્તાઓના એવા અનુવાદ થયા નથી), પરંતુ તેઓ અંગ્રેજી ભાષી વાચકોમાં દુનિયાભરમાં જાણીતા હતા. તેમની નવલકથાઓ થ્રિલર હતી અને અમુકમાં તો રાજકીય થ્રિલર હતી કારણ કે ફોસાઇથ ખુદ જાસૂસ રહી ચુક્યા હતા. તેમની નવલકથાઓની વિશ્વભરમાં 75 મિલિયનથી વધુ નકલો વેચાઈ છે. 

ઈંગ્લેંડના કેંટ પરગણામાં એશફોર્ડ નામના નગરમાં 1938માં જન્મેલા ફોસાઇથે મોટા થઈને હવાઈ દળના પાયલોટની નોકરી કરી હતી. તે પછી પત્રકાર તરીકે રોયટર્સ નામની સમાચાર સંસ્થા અને બી.બી.સી.માં પણ કામ કર્યું છે. તેમણે ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગોલની હત્યાની ઘટનાનું રિપોર્ટીંગ કર્યું હતું. તેની બહુ સરાહના કરવામાં આવી હતી. આ અનુભવ તેમને એક લોકપ્રિય અને સફળ નવલકથાકાર બનવા તરફ લઇ જવાનો હતો.

ફોસાઇથે 1971માં The Day of the Jackal નામની પહેલી નવલકથા લખી હતી. આ નવલકથા આજે પણ તેમની સર્વશ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ફોસાઇથ મજબૂરીના માર્યા મહાત્મા, એટલે કે લેખક બન્યા હતા. તેઓ દુનિયાને જોવા માટે થઈને પાયલોટમાંથી પત્રકાર બન્યા હતા, પણ પત્રકારની નોકરી એટલી સલામત નહોતી. 

આ પુસ્તક આવ્યું તે પહેલાં, ત્રણ વર્ષ માટે તેઓ વેસ્ટ આફ્રિકામાં યુદ્ધનું રિપોર્ટીંગ કરવા રહ્યા હતા. પાછા આવ્યા પછી, તેમણે તે યુદ્ધના અનુભવ પરથી, ધ બિયાફ્રા સ્ટોરી : ધ મેકિંગ ઓફ એન આફ્રિકન લીજેન્ડ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક ન વેચાયું એ તો કમનસીબી હતી જ, છોગાંમાં નોકરી પણ નહોતી રહી. 

31 વર્ષનો ફ્રીલાન્સ પત્રકાર, આંતરરાષ્ટ્રીય સાહસિક અને સૌથી યુવા વયનો ફાઈટર પાયલોટ આંખોમાં સપનાં સાથે બેકાર અને બેરોજગાર હતો. “મારી પાસે ત્યારે કાણિયો પૈસો પણ નહોતો. કાર નહોતી, ફ્લેટ નહોતો, કશું જ નહીં અને હું રોજ વિચારતો હતો કે આમાંથી બહાર કેવી રીતે નીકળું?,’ એવું તેમણે એકવાર કહ્યું હતું. 

ગજવામાં બે પૈસા આવે અને દેવું ચૂકતે થાય તે માટે ફોસાઇથે પોલિટિકલ થ્રિલર પુસ્તક લખવાનો નિર્ણય કર્યો. તેમને લેખક બનવું નહોતું. તેમણે તો પૈસાની સમસ્યાનું તાત્કાલિક સમાધાન નીકળે તે માટે એક જ પુસ્તક લખવાનું વિચાર્યું હતું. એ નિર્ણય તેમણે 20થી વધુ પુસ્તકો અને દોમદોમ સાહ્યબી તરફ લઇ જવાનો હતો. 

1962-63માં ફોસાઇથ પેરિસમાં રોઈટર સમાચાર સંસ્થા વતીથી કામ કરતા હતા, ત્યારે એક વાર્તા લખવાનું શરૂ કર્યું હતું. તેઓ ત્યાં આવ્યા ત્યારે, ફ્રેંચ રાષ્ટ્રપતિ ચાર્લ્સ ડી ગોલે આઠ વર્ષનું યુદ્ધ સમાપ્ત કરીને અલ્જીરિયાને આઝાદ કર્યું હતું. તેનાથી અમુક લોકોમાં બહુ નારાજગી હતી. એવા એક અર્ધલશ્કરી સંગઠને તેમની હત્યા કરવાની કસમ ખાઈ લીધી હતી. કહેવાય છે કે ડી ગોલને મારવા માટે 30 વખત પ્રયાસ થયા હતા.

ફોસાઇથે, પત્રકારની હેસિયતથી, રાષ્ટ્રપતિના અંગરક્ષકો સાથે દોસ્તી કરી લીધી હતી, અને 1962ના ઓગસ્ટ મહિનામાં તેમની હત્યાના એક પ્રયાસનું રિપોર્ટીંગ કર્યું હતું. ફોસાઇથ પાસે તે ષડ્યંત્રની ઝીણામાં ઝીણી વિગતો હતી. એટલે તેમણે જ્યારે વાર્તા લખવા માટે પહેલીવાર પેન ચલાવી, ત્યારે તેમણે આ આખા પ્રસંગને તેમાં સમાવી લીધો હતો. એમાં ફ્રાન્સની રાજનીતિ, તેના પ્રતિસ્પર્ધીઓ, ટાંટિયા ખેંચ, ઈર્ષ્યા, અહંકાર, ભ્રષ્ટાચાર, જાસૂસી, ષડ્યંત્રો વગેરે વાર્તા પણ હતી. તેમાંથી જે વાર્તા બની તેનું નામ ધ ડે ઓફ ધ જેકાલ. 

તેમણે માત્ર 35 દિવસમાં આ નવલકથા લખી હતી. પરંતુ તે દોઢ વર્ષ સુધી અપ્રકાશિત રહી હતી. ચાર પ્રકાશકોએ એવું કહીને આ નવલકથા છાપવાની ના પાડી દીધી હતી કારણ કે જે રાષ્ટ્રપતિ હજુ જીવતા હોય તેની હત્યાના કાવતરામાં લોકોને શું રસ પડે? અને બીજું, તેમને મારવા માટે એક બ્રિટિશ એજન્ટને ભાડે રાખવામાં આવે તે પણ લોકોએ પસંદ નહીં આવે. આ બધી વાતો લોકોને સમાચારો મારફતે ખબર જ હતી, અને એમાં કોઈ રોમાંચ કે રહસ્ય નહોતું.

તે પછી, ફોસાઇથે નવલકથાનો એક ટૂંક સાર તૈયાર કર્યો અને એ સમજાવ્યું કે નવલકથામાં હત્યાની સંભાવના પર ફોકસ નથી, પરંતુ તેના ષડ્યંત્રની ટેકનીકલ વિગતો અને હત્યારાને પકડવા માટેની કવાયત કેન્દ્રમાં છે. તે વાંચ્યા પછી, લંડનના એક ઓછા જાણીતા પ્રકાશન હચિશન એન્ડ કંપનીએ આઠ હજાર નકલો છાપવા તૈયારી બતાવી. 

થોડા જ સમયમાં જ તેને વાંચવાવાળા વધી ગયા અને વધારાની નકલો પણ છાપવી પડી. તેની ચર્ચા સાંભળીને વાઈકિંગ પ્રેસ નામના જાણીતા પ્રકાશકે તેના અમેરિકન રાઈટ્સ ખરીદ્યા. જે લેખક પાસે રહેવાનું ઘર નહોતું તેના હાથમાં હવે 3,65,000 ડોલરનો કોન્ટ્રાક્ટ હતો. પાછળથી ફોસાઇથે કહ્યું હતું, ‘મેં આટલા બધા પૈસા પહેલાં ક્યારે ય જોયા નહોતા.’

ત્રણ મહિનામાં તે ‘ટાઈમ્સ’ સમાચારપત્રને બેસ્ટ સેલર લિસ્ટમાં પહેલા નંબરે હતી. પાંચ વર્ષ પછી, દુનિયાભરમાં તેની અઢી કરોડ નકલો વેચાઈ ગઈ હતી. આજે ચાલીસ વર્ષો પછી પણ ધ ડે ઓફ ધ જેકાલની નકલોનું પ્રિન્ટીંગ થાય છે. તેના 30 ભાષામાં અનુવાદો થયા છે. તેના પરથી ફિલ્મ બની છે, ટી.વી. સિરીઝ બની છે અને ઓડિયો આવૃત્તિ પણ બહાર પડી છે. તે પછી, અંગ્રેજીમાં કહે છે તે પ્રમાણે, તેમણે પાછુ વાળીને જોયું નહોતું.

તેમના અવસાન સમયે, ફ્રેડરિક ફોસાઇથના નામે 7 કરોડ ડોલરની સંપત્તિ હતી. તે મરતાં સુધી સાદગીથી જીવ્યા હતા. જે લોકોએ ગરીબી જોઈ હોય, તે લોકો ધનવાન થયા પછી પણ તેમનો ભૂતકાળ ભૂલતા નથી અને સફળતામાં છકી જતા નથી. 

ફોસાઇથ માનતા હતા કે નસીબે કાયમ તેમને સાથ આપ્યો છે. નાઇજીરિયામાં ગૃહયુદ્ધ દરમિયાન તેઓ એક બંધૂકની ગોળીથી વીંધાઈ જતાં બચી ગયા હતા. તેમણે એક વર્ષ પહેલાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘પૂરી જિંદગીમાં મારું નસીબ બહુ ચમકતું રહ્યું છે. મને યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય માણસો અને યોગ્ય કામ મળતું રહ્યું છે – અને પેલી ગોળી મારી સામે આવી ત્યારે પણ મેં યોગ્ય સમયે માથું ફેરવી દીધું હતું.’

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાતમેઈલ”; 22 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

24 June 2025 Vipool Kalyani
← આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
બાનું વસિયતનામું →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved