Opinion Magazine
Number of visits: 9448995
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંબેડકરી શમણાનાં આ શા હાલ !

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|3 December 2015

 આ વરસ એમના જન્મનું સવાસોમું વરસ છે ત્યારે તો રાજકીય પક્ષોમાં એમની ઝૂંટાઝૂંટ થવા માંડી છે

ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણને ખાસ્સા છ દાયકા થવા આવ્યા છે ત્યારે દિનપ્રતિદિન તેમની પ્રસ્તુતતા વધતી જાય છે. મુંબઈના દાદર વિસ્તારમાં અરબી સમુદ્રના કાંઠે જ્યાં એમના અંતિમ સંસ્કાર થયેલા એ સ્થળે 1965માં દલિતોએ ખુદના પૈસે ચૈત્યભૂમિ નામક સ્મારક ખડું કર્યું છે. દર છઠ્ઠી ડિસેમ્બરના આંબેડકર નિર્વાણ દિને લાખો દલિતો અહીં સ્વયંભૂપણે ઉમટે છે. દલિતોની સ્વમાનભેર જીવતા નાગરિક બનાવવાની ‘દલિત મસીહા’ આંબેડકરની ભૂમિકા તરફનો એ આદર અને ઓશિંગણભાવ છે.

ઈ.સ.1890માં મહાત્મા ગાંધી પૂર્વેના મહાત્મા જોતીરાવ ફુલેનું અવસાન થાય છે અને 1891માં ભીમરાવ આંબેડકરનો જન્મ થાય છે તે અદ્દભુત સંયોગ હતો. ઊંચનીચના ભેદભાવો, જાતિપ્રથા, અસ્પૃશ્યતા, અસમાનતા, અન્યાય, અત્યાચાર, અશિક્ષણ અને રૂઢિદાસ્યના એ જમાનામાંથી ડો. આંબેડકરે જે માર્ગ કાઢ્યો, સંગઠન, શિક્ષણ અને સંઘર્ષની જે આહલેક જગવી તેને કારણે આજે દલિતોની સ્થિતિમાં ઘણો ફેર પડ્યો છે. મંડલ રાજનીતિના ઉભાર પછી દલિતોના મતની તાકાત રાજકીય પક્ષોને સમજાઈ છે. એટલે ડો. આંબેડકરના પણ માન-સન્માન થવાં માંડ્યા છે. આ વરસ પાછું એમના જન્મનું સવાસોમું વરસ છે ત્યારે તો રાજકીય પક્ષોમાં એમની ઝૂંટાઝૂંટ થવા માંડી છે. ડો. આંબેડકરના સરકારી સ્મારકોનાં ઉદ્દઘાટનો, જાહેરાતો અને શિલાન્યાસોનો રાફડો ફાટ્યો છે અને એમાં ખરા આંબેડકર વિસારે પાડી દેવાય છે.

દલિત સમસ્યાના ઉકેલની રણનીતિ અંગે ડો. આંબેડકર પોતાના વિચારો અને અભિગમમાં બહુ સ્પષ્ટ હતા. દલિતોના સંગઠન, શિક્ષણ અને સંઘર્ષને એમણે આરંભથી જ પાયાનું કામ ગણ્યું હતું. વર્ગવિહીન, વર્ણવિહીન અને શોષણમુક્ત સમાજરચના એ બાબાસાહેબ માટે માત્ર કોઈ આદર્શ કે કોરું સ્વપ્ન હતું. એ તેને વાસ્તવિકતા બનાવવા માગતા હતા. જાતિપ્રથાની નાબૂદી માટે એ જીવનભર ઝઝુમતા રહ્યા. એ માટે વિચાર અને સંઘર્ષ એમ બેઉ ક્ષેત્રોમાં એમણે કામ કર્યું છે. ‘કાસ્ટ ઈન ઈન્ડિયા’ થી માંડીને ‘એનીહિલેશન ઓફ કાસ્ટ’ સુધીના ગ્રંથોમાં એમણે ભારતની જાતિપ્રથા અને એના નિર્મૂલન માટેના વિચારો અને ઉપાયો દર્શાવ્યા છે. હિંદુ ધર્મની નબળાઈઓ અને તેમાં સુધારા તરફ એ સતત આંગળી ચીંધતા રહ્યા અને જ્યારે એમને હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથા નાબૂદી શક્ય ન લાગી ત્યારે તેમણે ‘હું હિંદુ તરીકે મરીશ નહીં’ની ઘોષણા કરી હિંદુ ધર્મનો ત્યાગ પોતાના લાખો અનુયાયીઓ સાથે કર્યો હતો.

ડો. આંબેડકરે એમનું સમગ્ર ચિંતન ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા’ એ ત્રણ જ શબ્દોમાં વ્યક્ત કરી દીધું છે. આ ચિંતન ફ્રેન્ચ ક્રાંતિમાંથી ઉછીનું લીધેલું નથી, પણ એનાં મૂળિયાં બુદ્ધના ઉપદેશમાં હોવાનું પણ એમણે જણાવ્યું હતું. ‘અમર્યાદ સ્વતંત્રતા સમાનતાનો નાશ કરે છે અને સંપૂર્ણ સમાનતા સ્વતંત્રતા માટે અવકાશ રાખતી નથી’ એવી સ્પષ્ટતા કરતાં બાબાસાહેબે પોતાના ચિંતનમાં બંધુત્વને ઊંચું સ્થાન આપ્યું હતું. ભાઈચારો આંબેડકરી વિચારધારાનું સર્વોચ્ચ શિખર છે અને તે માત્ર કાયદાથી શક્ય નથી. પરંતુ આજે તો સમરસતા ભાઈચારો ગણાતો થઈ ગયો છે અને સમાનતા ગાયબ છે.

દેશમાં આજે જે હાલત છે તેમાં સ્પષ્ટપણે આપણે આંબેડકરના વિચારોથી વેગળા જઈ રહ્યા હોય તેમ લાગે છે. બંધારણના  ઘડવૈયા આંબેડકર  દલિતોના  સ્વરાજ માટેના ખતપત્ર જેવા ‘સ્ટેટસ એન્ડ માઈનોરિટી’ની માગણીઓ બંધારણમાં સામેલ કરાવી શક્યા નહોતા. આજે પણ દલિત ચળવળ સમક્ષ એ બાકી એજન્ડારૂપે ઊભી છે. જે પ્રકારની અસમાનતા દેશમાં વ્યાપ્ત છે તે જોતાં બાબાસાહેબની સમાનતા માટેની આર્થિક માગણીઓ સ્વીકારાવવી વધુ મુશ્કેલ બની છે અને સમાનતાયુક્ત ભારત સ્વપ્નવત્ લાગે છે. 1930માં ડો. આંબેડકરે જાતિની રાજનીતિ સામે લાલ બત્તી ધરી હતી. આજે ભારતની રાજનીતિ વધુને વધુ જાતિકેન્દ્રી બની છે. આઝાદી પછીના તરતના દાયકામાં પણ બાબાસાહેબ આંબેડકર ચૂંટણી જીતીને કદી લોકસભાના સભ્ય થઈ શક્યા નહોતા. એ હાલત આજે તો વધુ વરવી બની છે અને રાજકારણ વધુ મતકેન્દ્રી, ધનકેન્દ્રી અને સત્તાકેન્દ્રી બની ગયું છે. બાબાસાહેબ જે લોકશાહીના હિમાયતી હતા તે સંસદીય લોકશાહી લોપ પામતી રહી છે.

મૂર્તિભંજક આંબેડકરને મૂર્તિપૂજક નહીં સાચા અનુયાયીઓની જરૂર હતી અને છે. પરંતુ આજે ગુજરાતમાં અને દેશમાં દલિતો બાબાસાહેબની વ્યક્તિપૂજામાં એટલા તો રમમાણ છે કે જાણે આંબેડકર એટલે સ્મારકો, પૂતળાં, પાર્ક, સ્મૃિતચિન્હો, તસવીરો, ચિત્રો અને ગાથાઓ. દલિતોએ આંબેડકરની પૂજા શરૂ કરી દીધી છે અને તેમનો ઉપદેશ ભૂલી ગયા છે. આંબેડકરને માત્રને માત્ર અનામતનું પ્રતીક બનાવી દીધા છે અને સંઘર્ષસેનાની આંબેડકરને વિસારે પાડી દીધા છે. નગરેનગરે દલિત ચાણક્યો દલિત કારકુનો પેદા કરવા મચી પડ્યા છે.  પિતા રામજીએ આપેલી ‘છાંયડે બેસીને થાય એવું કામ’ અર્થાત સરકારી નોકરી કરવાની સલાહ અવગણીને આંબેડકરે આજીવન સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો હતો.

પણ આજે દલિત કારકુનો પેદા કરવાની લ્હાયમાં દલિત બૌદ્ધિકો, દલિત કર્મશીલો અને દલિત સંઘર્ષશીલો માટે કોઈ અવકાશ રહેવા દીધો નથી તથા આંબેડકરના વિચાર અને કાર્યને ઠોકરે દીધું છે. અનામત આસપાસ દલિત સમસ્યાની મથામણ એટલી કેન્દ્રીત થયેલી છે કે ગરીબ, ગ્રામીણ, અશિક્ષિત અને અસંગઠિત દલિતોના સવાલો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. દલિતો માટે શિક્ષણ અને નોકરીઓની અનામતનો સવાલ બેશક મહત્ત્વનો છે અને તેમની સ્થિતિમાં એને કારણે મોટો બદલાવ આવી શક્યો છે.

પરંતુ એને કારણે ગરીબી, અત્યાચાર, અન્યાય, અસમાનતા, માથે મેલું, લઘુતમ વેતન, સ્ત્રીઓના સવાલો, જમીનનો સવાલ, સમાન શિક્ષણ, આર્થિક બેહાલી જેવા સવાલોની સદંતર ઉપેક્ષા થાય છે. ડો. આંબેડકરના ત્રિમંત્રમાં શિક્ષણને પ્રથમ સ્થાન છે. દેશમાં અને ગુજરાતમાં દલિતોમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે તેનાથી ફુલાઈ જવાને બદલે શિક્ષણના નવા પડકારો ખાસ કરીને શિક્ષણનું ખાનગીકરણ અને સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. આંબેડકરના આંદોલનમાં મહિલાઓની ભાગીદારી બહુ મોટી અને જવાબદારીવાળી રહી છે. આજે મહિલા અનામત છતાં આંદોલનોમાંથી મહિલાઓની હિસ્સેદારી ઘટતી રહી હોય તો તે ચિંતાનું કારણ બનવું જોઈએ.

બાબાસાહેબના નિર્વાણ વખતે એમના સાથી એન. શિવરાજે કહ્યું હતું કે, ‘જીવતા આંબેડકર કરતાં મૃત આંબેડકર અધિક બળવાન છે.’ આ જેટલું સાચું છે તેટલું જ બાબાસાહેબે જેમ કહેલું કે ‘માણસની જેમ વિચાર પણ મર્ત્ય છે અને તેને જીવાડવા યોગ્ય ખાતર-પાણી અને સિંચનની જરૂર છે’ તે પણ એટલું જ સાચું છે. જો વિચારને સિંચવામાં ન આવે કે સમયાનુસાર તેનું મૂલ્યાંકન કરી તેમાં સુધારાવધારા ન કરવામાં આવે તો ગમે તેટલો મહાન વિચાર પણ મરી પરવારે છે. ડો. આંબેડકર નિર્વાણના પૂર્વ દિવસોમાં ખરા આંબેડકરને જીવાડવા તેમના વિચારોના સિંચન થકી તેને સદા પલ્લવિત રાખવાનું કાર્ય માટેની પ્રતિબધ્ધતા એ જ તેમને સાચી અંજલિ ગણાશે.

ચંદુ મહેરિયા લેખક સામાજિક-રાજકીય  પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘વારસાની વાસ્તવિક્તા’, “દિવ્ય ભાસ્કર”, 03 ડિસેમ્બર 2015

Loading

3 December 2015 admin
← — તો મહદ્દ લબ્ધિ
પ્રોફેસર ઈરફાન હબીબ સાથે એક મુલાકાત →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved