Opinion Magazine
Number of visits: 9453453
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂનાગઢ : આઝાદી, આરઝી હકૂમત અને છેલ્લા નવાબ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|4 November 2015

જૂનાગઢની ભૂમિ જેટલું જોઈને અને સંઘરીને બેઠી છે એવું વૈવિધ્ય અને સમન્વય ગુજરાત તો શું ભારતમાં પણ કદાચ નહીં હોય. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ, વૈદક, જૈન એમ તમે કહો તે ધર્મનાં સ્થાનક સદીઓથી ગિરનારની ગોદમાં છે, વળી બધા ધર્મોના તાણાવાણા ત્યાં એવા ઓતપ્રોત છે કે બિનસામ્પ્રદાયિકતાનો ખરો મેરૂ તો ગિરનાર જ છે એમ કહી શકાય. બધા ધર્મો એકબીજા વગર અધૂરા છે એ ગિરનાર સહજ રીતે સમજાવી દે છે. ગંગાજમુની તહેઝીબની જેમ ત્યાં ગિરનાર-દાતાર તહેઝીબ છે.

ગ્લોબલ ભજન બની ગયેલા 'વૈષ્ણવજન તો તેને રે કહીએ ….'ના રચયિતા નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા. પીર જમિયલ સા દાતાર જેવા ઇસ્લામી ઓલિયાનું પ્રવૃત્તિકેન્દ્ર પણ જૂનાગઢ રહ્યું. પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદિપુરુષ અને લેઇડન યુનિવર્સિટીએ જેમને માનદ્દ ડોક્ટરેટથી સન્માનિત કર્યા હતા એ અશોક સહિતના અનેક શિલાલેખના અક્ષરો ઉકેલનારા ભગવાનલાલ ઇન્દ્રજી જૂનાગઢના હતા. કવિ નર્મદના સમોવડિયા મણિશંકર કિકાણી જેવા સમાજસુધારક પણ જૂનાગઢના જ હતા.

કહેવાય છે કે ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે. જૂનાગઢ અને ગિરનાર કાળપલટાના સાક્ષી રહ્યા છે. ગુજરાતના જાણીતા નાટયવિદ્દ ચન્દ્રવદન ચી. મહેતાએ એક રૂપકમાં ગિરનારને વાચા આપતાં લખ્યું હતું કે "હું ગિરનાર છું, યુગયુગથી ઊભો છું. મેં આફ્રિકાને એશિયાથી અલગ થતો નિહાળ્યો છે. ઉત્તરાપથે જ્યાં મહાસાગર ઘૂઘવતો હતો ત્યાં અચાનક કુમાર હિમાલયનો ઉદ્દભવ થતો મેં નિહાળ્યો છે."

માત્ર ગુજરાતના જ નહીં પણ જગતભરના ઇતિહાસમાં જૂનાગઢનું નામ એ રીતે પણ વિશેષ છે કે એના અઢી હજાર વર્ષનો સળંગ ઇતિહાસ મળે છે, આવાં નગરો જગતના નકશામાં ઓછાં છે.

સોલંકીકાળથી લઈને નવાબીકાળ સુધી જૂનાગઢનો રાજકીય ઇતિહાસ એવો દિલધડક છે કે એના પરથી મેગા બજેટ ટીવી સિરીઝ કે ફિલ્મો બનાવી શકાય. બૌદ્ધ સાધુઓએ ત્યાં ધ્યાનસાધનાઓ કરી છે, તો નાગા બાવાઓએ ધૂણી ધખાવી છે. અશોકનો શિલાલેખ ત્યાં છે, તો નવાબીકાળના ભવ્ય દરવાજાઓ આજે પણ નગરના દરવાન બનીને ઊભા છે. વનૌષધિઓનો અંબાર સંઘરીને ગીરનું જંગલ બેઠું છે. સાવજોની ડણક ગિરનારનાં શૌર્યની ઝાંખી કરાવે છે. શોધ-સંશોધનમાં રસ હોય એને એક વખત જૂનાગઢની છાલક લાગે તો મરજીવાની જેમ એ જૂનાગઢમાંથી કદી બહાર જ ન નીકળી શકે, એટલું ભર્યુંભર્યું છે. શંભુપ્રસાદ દેસાઈ, પરિમલ રૂપાણી, એસ. વી. જાની, પ્રદ્યુમ્ન ખાચર તેમ જ તેમની અગાઉ કેટલાક ઇતિહાસના જાણકારોએ જૂનાગઢ પર સંશોધન કરીને સરસ દસ્તાવેજીકરણ કર્યું છે.

જૂનાગઢ સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પણ અનોખું પ્રકરણ ધરાવે છે. દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થઈ ગયો હતો પણ જૂનાગઢ નહોતું થયું. જૂનાગઢે ૯ નવેમ્બર ૧૯૪૭ના દિવસે આઝાદી જોઇ હતી. એના માટે જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજા, શાહનવાઝ ભુટ્ટો અને આરઝી હકુમતને સમજવા પડશે. જૂનાગઢના છેલ્લા નવાબના દીવાન શાહનવાઝ ભુટ્ટો હતા, જેમણે સૌથી મોટી ગેમ રમી હતી. શાહનવાઝ ભુટ્ટો એટલે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઝુલ્ફિકારઅલી ભુટ્ટોના પિતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા.

આરઝી હકૂમત

અંગ્રેજોએ દેશ પર શાસન તો કર્યું જ હતું પણ દેશ આઝાદ થયો ત્યારે દેશ બેધારી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો. ૧૯૪૭માં ૧૫ ઓગસ્ટ નજીક હતી ત્યારે બ્રિટનની પાર્લામેન્ટનાં બંને ગૃહોએ ૧૮ જુલાઈ, ૧૯૪૭ના દિવસે એક ખરડો પસાર કર્યો હતો, જેને બ્રિટિશ તાજની મંજૂરી મળતાં એ ખરડો કાયદો થયો, જે હિંદ સ્વાતંત્ર્ય ધારા તરીકે ઓળખાયો, એમાં હિંદુસ્તાનના બે ભાગ કરવાની જોગવાઈ હતી તથા દેશી રાજ્યો માટે પણ જોગવાઈ કરવામાં આવી હતી. એ કાયદાનુસાર ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી તમામ દેશી રાજ્યો પર બ્રિટિશ હકૂમતનો અંત આવતો હતો અને જે રાજ્યે ભારત અથવા તો પાકિસ્તાનમાં જોડાવું હોય તે જોડાઈ શકે. ૧૫ ઓગસ્ટ પહેલાં સામેલ થવાનું હતું. સરદાર પટેલની મહેનતથી મોટા ભાગનાં રજવાડા ભારતીય સંઘમાં જોડાવા માંડયાં અને ભારતનો એક નકશો તૈયાર થવા માંડયો. જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાશે એવી હલચલ વેગ પકડી રહી હતી. ૧૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ જૂનાગઢના નવાબ મહાબત ખાન-ત્રીજાએ એક અખબારી યાદી જાહેર કરીને એને રદિયો આપ્યો હતો પણ ચિત્ર ઊંધું હતું. નવાબે જૂનાગઢ પાકિસ્તાનમાં નહીં જોડાય એવી અખબારી યાદી જાહેર કરી હતી પણ ભારતમાં જોડાવાની જાહેરાત જૂનાગઢે કરી નહોતી. અફવાબજાર ગરમ હતું.

૭-૮ જૂન ૧૯૪૭ના રોજ તળ મુંબઈના માધવબાગમાં કાઠિયાવાડ પ્રજા-સંમેલન મળ્યું હતું, જો જૂનાગઢ પાકિસ્તાનમાં જાય તો કટોકટીને પહોંચી વળવા કાઠિયાવાડ રાજકીય પરિષદની રચના કરવામાં આવી હતી, જેમાં રસિકલાલ પરીખ, જેઠાલાલ જોશી અને રતુભાઈ અદાણી હતા. ૧૯૩૯માં સ્થાપાયેલાં જૂનાગઢ રાજ્ય પ્રજામંડળને ફરી સક્રિય કરવાનું વિચારવામાં આવ્યું. જૂનાગઢ પ્રજામંડળે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને પટ્ટાભી સીતારામૈયાને ટેલિગ્રામ કરીને જૂનાગઢની બહુમતી પ્રજાનાં હિતમાં પોતાની વગનો ઉપયોગ કરવા વિનંતી કરી. આ સભાએ આવેદનપત્ર પાઠવીને જૂનાગઢ નવાબને ભારતમાં જોડાવા વિનંતિ કરી પણ નવાબ પાકિસ્તાનમાં જોડાવા માટે આંતરિક હિલચાલ કરી રહ્યા હતા, જેનું કારણ હતું જૂનાગઢ રાજ્યના દીવાન શાહનવાઝ ભુટ્ટો. જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય એ માટેનું કોઈ ભૌગોલિક કે સાંસ્કૃિતક કારણ નહોતું. જૂનાગઢમાં ૮૨ ટકા પ્રજા હિંદુ હતી, તે ભારતમાં જોડાવા માગતી હતી પણ ઇચ્છા પ્રગટ કરવાની શક્તિ નહીં. સામે પક્ષે નવાબ પણ નિર્ણય લેવામાં મોળા હતા, ભુટ્ટો એનો જ ફાયદો ઉઠાવતા હતા. સરદાર પટેલે નવાબને સમજાવવા વી. પી. મેનનને મોકલ્યા પણ ભુટ્ટોએ તેમને મળવા જ ન દીધા. આ તમામ હિલચાલ વચ્ચે નવાબે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી. દેશમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં.

જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાય તો દહેશત ફેલાશે એવા ભયથી લોકો શહેર છોડીને ચાલ્યાં ગયાં હતાં. વાટાઘાટ કે સમજૂતીથી આ સવાલ ઉકલે એમ નહતો, તેથી મુંબઈમાં 'જૂનાગઢ આરઝી હકુમત'ની રચના થઈ. એનું બાકાયદા પ્રધાનમંડળ તૈયાર થયું હતું. પ્રધાનમંડળમાં શામળદાસ ગાંધીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા. દુર્લભજી ખેતાણી, નરેન્દ્ર નથવાણી, ભવાનીશંકર ઓઝા, મણિલાલ દોશી, સુરગભાઈ વરુ, જશવંત મહેતા, સનત મહેતા વગેરેને હોદ્દા આપવામાં આવ્યા હતા. લડતનો પ્રારંભ થયો.

૩૦.૯.૪૭ના રોજ આરઝીના સૈનિકોએ રાજકોટમાં આવેલો ઉતારો કબજે કર્યો. એ પછી અમરાપુર, નવાગઢ, ગાઝકડા વગેરે ગામો કબજે થયાં. જૂનાગઢ તો સાવ ખાલી ભાસતું હતું. નવાબ તો કેશોદથી પ્લેન પકડીને કરાચી રવાના થઈ ગયા હતા. શાહનવાઝ ભુટ્ટો અને પોલીસ કમિશનર નકવી આરઝીનો પ્રતિકાર કરવા પ્રવૃત્ત થયા. એ વખતે કરાચી ભાગી ગયેલા નવાબે ભુટ્ટોને સંદેશ મોકલ્યો કે નિર્દોષ પ્રજાનું લોહી ન રેડાય તે માટે ભારત સરકારની શરણાગતિ સ્વીકારવી. ૯.૧૧.૧૯૪૭ના રોજ આરઝી હકૂમતનાં સૈનિકો જૂનાગઢમાં પ્રવેશ્યાં અને ઉપરકોટ પર ધ્વજ ફરકાવ્યો. એ જ વખતે શાહનવાઝ ભુટ્ટો કેશોદનાં એરપોર્ટ પરથી પ્લેન પકડીને પાકિસ્તાન પલાયન થઈ ગયા. રાજકોટના રિજિયોનલ કમિશનર નિલમભાઈ બુચે ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ વહીવટી કબજો લીધો. સરદાર પટેલ ૧૩.૯.૪૭ના રોજ જૂનાગઢ આવ્યા હતા અને પ્રજાને તેમ જ ખાસ કરીને મુસ્લિમોને શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ તથા મિલિટરી શહેરમાં ગોઠવી દેવાઈ હતી.

લોકતંત્રની મહાનતા : રાજા નહોતા ત્યારે પ્રજાનો મત લેવામાં આવ્યો

જૂનાગઢમાં આઝાદીનો ધ્વજ લહેરાયો છતાં પણ પ્રજા ભારતમાં રહેવા ખુશ છે કે પાકિસ્તાનમાં જવા ઇચ્છે છે એ માટે ૨૦.૨.૪૮ના રોજ રેફરન્ડમ યોજવામાં આવ્યું હતું, જેનું પરિણામ ૧-૩-૧૯૪૮ના રોજ આવ્યું હતું, જેમાં પાકિસ્તાન તરફ માત્ર ૯૧ મત અને ભારત તરફ ૧,૯૦,૭૭૯ મત પડયા હતા. વિભાજન બાદ સિંધના કેટલાંક હિંદુઓ જૂનાગઢ આવ્યાં હતાં અને કુતિયાણા, બાંટવા વગેરે શહેરોમાં વસ્યાં હતાં.

નવાબ અને તેમના દીવાન પાકિસ્તાન ચાલ્યા ગયા પછી જૂનાગઢ તો આપોઆપ ભારતનો જ હિસ્સો હતું. આપણા દેશની લોકતાંત્રિક મહાનતા એ છે કે એ પછી પણ રેફરન્ડમ લેવામાં આવ્યું હતું અને જૂનાગઢ પાકિસ્તાનમાં જાય કે ભારત સાથે રહે એ માટે લોકોનો મત લેવામાં આવ્યો હતો. રાજા ન હોય છતાં પ્રજાનો મત લેવામાં આવ્યો એ દર્શાવે છે કે ભારત લોકતંત્રને કેટલું વરેલું છે. આ દેશ જગતમાં એનાં લોકતાંત્રિક મૂલ્યોને લીધે જ મહાન છે.

નવાબ મહાબત ખાને કરેલાં કાર્યો 

જૂનાગઢમાં બાબીવંશનો શાસનકાળ ૨૦૦ વર્ષનો હતો. ૧૭૪૭-૪૮માં બહાદુરખાન બાબીએ જૂનાગઢની પ્રજાના સાથ-સહકારથી સ્થાપેલાં રાજ્યનો ૧૯૪૭માં પ્રજાના વિરોધનાં પરિણામે અંત આવ્યો.

શાહનવાઝ ભુટ્ટોની સલાહને અનુસરીને જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન-ત્રીજાએ પાકિસ્તાન તરફી વલણ અપનાવ્યું એ મહાન ભૂલ હતી. જૂનાગઢમાં બસ્સો વર્ષનાં નવાબી શાસન દરમ્યાન કેટલાંક નમૂનેદાર કામો થયા છે, જે છેલ્લા નવાબની ભૂલને કારણે દબાઈ ગયાં છે. આપણે પણ ઇતિહાસનું મંથન કરીને એ કાર્યો યાદ કરવાં જોઈએ. નવાબે કરેલી ભૂલ મહાન હતી પણ માત્ર એ ભૂલને આધારે જ તેમને મૂલવીએ અને તેમનાં સારાં કાર્યોને નજરઅંદાજ કરીએ એ ઇતિહાસનું ગેરવાજબી મૂલ્યાંકન કર્યું કહેવાય. આપણો દેશ તો લોકશાહી મૂલ્યોને વરેલો છે. નવાબ પલાયન થયા પછી પણ રેફરન્ડ્મ લઇને જૂનાગઢની જનતાનો મત લેવામાં માનતા હોઈએ તો બાબી નવાબોનાં સારાં કાર્યોને આપણે બિરદાવવાં રહ્યાં. એવાં કેટલાંક નમૂનેદાર કાર્યો જોઈએ.

પાકિસ્તાન રવાના થઈ ગયેલા નવાબ મહાબત ખાન ત્રીજાએ ૩૧.૦૩.૧૯૨૦ના રોજ ગાદી સંભાળી હતી. તેમણે ગાદી સ્વીકારતી વખતે કેટલીક નવાજેશો કરી હતી એ નોંધનીય છે, જેમ કે, ૧ સપ્ટેમ્બર ૧૯૨૦થી જૂનાગઢ રાજ્યમાં પ્રાથમિક કેળવણી મફત આપવામાં આવશે, સાથે સાથે અંગ્રેજીનું પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ પણ મફત અપાશે. દેશ જ્યારે આઝાદ નહોતો થયો ત્યારે નવાબને શિક્ષણનું મૂલ્ય ખબર હતી.

ગિરનારમાં યાત્રીસુવિધા અને વ્યવસ્થાના ભાગે યાત્રિકો પાસેથી વેરો વસૂલાતો હતો, જે મુંડકવેરા તરીકે ઓળખાતો હતો. ગામના યાત્રિકો અને ગામ બહારના યાત્રિકો માટે અલગ અલગ રકમ હતી. મહાબત ખાન-ત્રીજાએ શાસન હાથમાં લીધું એ પછી યાત્રાવેરો રદ કરી નાખ્યો હતો. એ રદ થયા પછી ગિરનારની વ્યવસ્થાને આંચ નહોતી આવવા દીધી.

ભારે વરસાદ પડે ત્યારે કઠિયારાઓ ગિરનારનાં જંગલમાં ન જઈ શકે, પરિણામે ખાધાખોરાકીના પ્રશ્ન ઊભા થાય. નવાબે એ કઠિયારાઓ માટે પેટિયાની વ્યવસ્થા કરી હતી. ચોમાસા દરમ્યાન તેમને પેટિયારૂપે નિશ્ચિત રકમ આપવામાં આવતી હતી. નવાબના સમયમાં પાણીના અવેડાઓની રખેવાળી કરનારાને પગાર ચૂકવાતા હતા. જૂનાગઢના વિલિંગ્ડન તળાવનો પાયો ૧૧.૫.૧૯૩૬ના રોજ નખાયો હતો. નવાબ મહાબત ખાન-ત્રીજાએ ગણેશપૂજા કરીને પાયો નાખ્યો હતો. એ તળાવના બાંધનારા ત્રણ એન્જિનિયર પૈકીના એક કે. જે. ગાંધી હતા, જેઓ અભિનેત્રી દીના પાઠકના પિતા હતા.

ચૂડાસમા કે મુઘલકાળમાં ગિરનાર પર રાજ્યવ્યવસ્થા કેવી હતી એ જાણવા મળતું નથી પણ બાબીકાળની વ્યવસ્થા અને દેખરેખની વિગતો મળે છે. ૧૮૯૭માં ગિરનારના દરેક ધર્મસ્થાનક દર્શાવતો અને હક્ક-હિસ્સાની સમજૂતી આપતો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે વિવાદ થાય ત્યારે એ નકશાના આધારે નિરાકરણ લાવવવામાં આવતું હતું. મતલબ કે રાજ્યવ્યવસ્થાના દસ્તાવેજીકરણનું કામ નવાબીકાળમાં થયું હતું.

નવાબ મહાબત ખાન-ત્રીજાને કૂતરાં પાળવાનો જબરો શોખ હતો. તેમની પાસે ઢગલાબંધ કૂતરાં હતાં, પણ તેમને ગાયો પાળવાનો ય શોખ હતો. જેણે નવાબ સામે આરઝી હકૂમત સર્જીને જંગ માંડયો હતો એ રતુભાઈ અદાણીએ તેમનાં પુસ્તક 'સોરઠની લોકક્રાંતિનાં વહેણ અને વમળ'માં લખ્યું છે કે 'નવાબનો કૂતરાંનો શોખ અતિરેકને કારણે ગવાઈ ગયો, તેમને ગાયોનો પણ એટલો જ શોખ હતો. ગૌપાલન અંગેનું તેમનું જ્ઞાન અદ્દભુત હતું. એમની ગૌશાળામાં ગીર ઓલાદની ચડિયાતી ગાયોની સંખ્યા સારી એવી હતી.

૧૯૩૫માં ગિરનાર પર મસ્જિદ હોવાનો વિવાદ 'જમિયલતુલ મુસ્લેમિન' સંસ્થાએ ચગાવ્યો ત્યારે એ સંસ્થાને વિખેરી નાખવાનો આદેશ અપાયો હતો. વિવાદને મુસ્લિમ શાસક નવાબે તટસ્થતાથી દાબી દીધો હતો. એ વખતે 'દીન' નામનાં સાપ્તાહિકમાં નવાબ વિરુદ્ધ ખૂબ લખાયું હતું ત્યાં સુધી લખાયું હતું કે નવાબીતંત્ર હિંદુવાદી બની ગયું છે.

કાઠિયાવાડમાં આઝાદી આવી ત્યાં સુધી દલિતો પર કેટલાક પ્રતિબંધ હતા. દલિતો ગામના કૂવે કે મંદિરોએ જઈ શકતા નહોતા. દુકાનદાર પાસે કોઈ ચીજવસ્તુ ખરીદવા જાય તો તેના પૈસા પણ પાણીની છાંટ નાખીને દૂરથી જ લેવાતા હતા. રજવાડાઓના એ સમયમાં દલિતો માટે થોડી સગવડનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ જૂનાગઢના નવાબ મહાબત ખાન-બીજાએ કર્યું. જૂનાગઢમાં એ વખતે હોળી નિમિત્તે દલિતોને ગાળો દેવાનો અવ્યવહારૂ રિવાજ હતો. નવાબે ૧૮૬૯માં એ રિવાજથી બચાવવા સમાન કરવાનો કાયદો ઘડયો હતો. યોગાનુયોગ જુઓ કે એ જ વર્ષે પોરબંદરમાં ગાંધીનો જન્મ થયો હતો.

નવાબીકાળમાં ૧૯૩૮માં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે હરિજનોને મકાન બાંધવા જમીન શહેરમાં લેવી હોય તો અન્ય લોકો કરતાં અડધા ભાવે આપવાનું નક્કી કરીને તેમને શહેરમાં વસવાની સગવડ કરવામાં આવી હતી.

ગાંધીજી સાથે પણ નવાબને સારા સંબંધ હતા. હરિજનસેવાની પ્રવૃત્તિ માટે ૨૭.૧૦.૧૯૩૮ના રોજ નવાબે ૧,૫૦૦ રૂપિયા મોકલ્યા હતા, જેનો આભાર માનતો પત્ર પણ ગાંધીજીએ તેમને લખ્યો હતો.        

સાલેભાઈની આવડી એટલે કેસર કેરી

જૂનાગઢ-ગીર કેસર કેરી માટે ખૂબ વિખ્યાત છે. એ કેસર કેરીની કલમો નવાબકાળમાં વિકસાવાઈ હતી. નવાબે મોતીબાગ, સકરબાગ, પાઈબાગ વગેરે તૈયાર કરાવ્યા હતા, ત્યાં વિવિધ કેરીઓની કલમ ઉછેરવામાં આવી હતી. કેસર કેરી નવાબના સમયમાં આવી હતી. એ વખતે 'સાલેભાઈની આવડી'ના નામે મશહુર હતી.

જૂનાગઢની ધરોહર તરફ ધ્યાન દેવાની જરૂર છે

જૂનાગઢમાં નવાબીકાળના બેનમૂન દરવાજા અને મકબરાઓ છે. એવા દરવાજા અને કોતરણીવાળા મહાબત ખાનના અને બ્હાઉદ્દીન મકબરા ધરોહર છે પણ અફસોસ કે એની જાળવણી પ્રત્યે ભયંકર બેદરકારી રાખવામાં આવી રહી છે. માત્ર 'રક્ષિત સ્મારક'નું પાટિયું મૂકી દેવાથી સ્મારકનું રક્ષણ થતું નથી. અશોકના શિલાલેખની છત બે વર્ષ પહેલાં તૂટી ગઈ પછી એ મહાન શિલાલેખ અવાવરૂ અવસ્થામાં પડયો છે. આ સ્થળોની માવજત કરીને જૂનાગઢને મહત્ત્વનાં ટૂરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી શકાય એમ છે. એ સરવાળે રાજ્યની તિજોરીના લાભમાં છે. જૂનાગઢને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના પ્રયાસ થયા જ છે, યાત્રિકોની સંખ્યા વધી છે, પણ હજી થોડા વધારે પ્રયાસની જરૂર છે.

સંગીતરત્ન ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન અને જૂનાગઢ

સંગીત દિગ્ગજ પંડિત ભીમસેન જોશી અને વિદુષી ગંગુબાઈ હંગલ જેવાં શાસ્ત્રીય સંગીતજ્ઞો સંગીતના કિરાણા ઘરાના સાથે નાતો ધરાવે છે. કિરાણા ઘરાનામાં ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. પંડિત ભીમસેન જોશીના ગુરુ પંડિત સવાઈ ગાંધર્વ હતા. પંડિત સવાઈ ગાંધર્વના ગુરુ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન હતા. મજાની વાત એ છે કે ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન છેલ્લા નવાબના કાળમાં જૂનાગઢ વસવાટ કરી ચૂક્યા છે. ઉપરાંત સેનિયા ઘરાનાના ઉસ્તાદ ગુલામઅલી કામીલ પણ જૂનાગઢમાં વસવાટ કરી ચૂક્યા છે.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પરવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 04 નવેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3163731

Loading

4 November 2015 admin
← કરુણ-રમૂજી ઘટનાક્રમોનો સિલસિલો
મરવા વાસ્તે જીવવાનો ધરમ →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved