Opinion Magazine
Number of visits: 9449148
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ (૪) 

સુમન શાહ|Opinion - Literature|21 August 2024

સુમન શાહ

જેના કેન્દ્રમાં ગોપી અને વાંસલડી છે એ ‘કુંજમાં વાય છે વાંસળી’-થી માંડીને ‘માનીતી વાંસલડીને’ લગીની રચનાઓને મેં બીજા વર્તુળમાં મૂકી છે. વાંસલડીને વિષય બનાવીને દયારામે અનેક રચનાઓ કરી છે, પુનરાવર્તન કરીને કરી છે. દયારામમાં મને વાંસલડીનાં બે રૂપ પરખાયાં છે :

વાંસલડીનું એક રૂપ વશકરણી વાંસળી તરીકેનું છે :

આ વાંસળી એકંદરે રંગવાંસળી છે અને તેથી એનું કામણગારું હકારાત્મક મૂલ્ય છે. સુખ્યાત પંક્તિઓ સાંભળીએ : ‘વ્હાલો મારો કુંજમાં વાય છે વાંસળી રે લોલ! નાદે વેધી છે મારી પાંસળી રે લોલ! … હું તો સૂણતાં ભૂલી સહુ ચાતુરી રે લોલ! મળવા થઇ છું અતિ આતુરી રે લોલ! તાલાવેલી લાગી છે મારા તનમાં રે લોલ! ગોઠતું નથી કંઇ ભુવનમાં રે લોલ!’ (‘કુંજમાં વાય છે વાંસળી’). 

કૃષ્ણને ગોપી કહે છે : ‘વશકરણી છે તારી વાંસળી, જોતાં વશ કરી છે વ્રજનારને … સ્વર સૂણીને હું તો શુધબુધ વીસરી, દરદમાં ગરદ ગઇ છે મળી … સુધાથકી રે સ્વાદ એમાં છે ઘણો, મુને સાકર કરતાં લાગે છે ઘણી ગળી … ચટકો લાગ્યો રે ઝેરી ડંખથી ના ઊતરે … હવે લોક કહે, એ તો ચિત્તથકી ચળી …’ (‘વશકરણી વાંસળી’). 

કૃષ્ણને ગોપી વળી પાછી કહે છે : ‘તુજ અધર ઉપર એ વાજે છે, સૂણી અંતર મારું દાઝે છે, એનો શબ્દ ગગનમાં ગાજે છે … એ વનમાં જ્યારે વાગે છે, મુને બાણ સરીખી લાગે છે, મુને વ્રેહની વેદના જાગે છે …’ 

વાંસલડીના આવા શબ્દે ગોપીનું મન મોહ્યું છે કેમ કે એ શબ્દ કૃષ્ણશબ્દ છે, કૃષ્ણસ્મૃતિનો વાહક પણ છે. ગોપીમાં અજંપો બ્હાવરવાટ અને ઘેલછા પ્રગટ્યાં, તે એને કારણે. એ શબ્દ કૃષ્ણના નિત્યના આકર્ષણનું વેધક કારણ બન્યો; વિરહની વેદના જાગી, તે એને લીધે. આમ ગમતો છતાં આમ અકળાવતો, કંઇક ના-ગમતો છે એ શબ્દ. સાથોસાથ, ગોપીએ એમ પણ જોયું છે કે વાંસલડીને ‘કૃષ્ણે કૃપાસાધ્ય કરી દીધી છે, માટે દયાપ્રીતમે કર લીધી છે.’ ખરું કારણ પકડાતાં એમ પણ સમજાવા લાગ્યું છે કે એ માટે વાંસલડીએ ‘તપની સાધના કીધી છે.’ (‘વાંસલડીને શબ્દે’).

આવી વાંસલડીની ઉપેક્ષા શી રીતે કરાય? પરવડે કેમ? એટલે વાંસલડીનું બીજું રૂપ ગોપીની અને વ્રજનારની વૅરણ તરીકેનું છે, શૉક્ય તરીકેનું, કુખ્યાત રૂપ છે : 

જો કે એવી વાંસલડી ગોપીમાં ઇર્ષા પ્રેરનારી નીવડીને ય છેવટે તો એની પ્રેમભક્તિને પુષ્ટ કરનારું પરિબળ જ પુરવાર થાય છે. એનું એવું નકારાત્મક, પણ મૂલ્ય છે. જોવા જઇએ તો, એની ઉપેક્ષા શક્ય પણ નથી. ‘વાંસલડીના વાંક’-માં, તો સ્પષ્ટપણે કહી દીધું : ‘વૅરણ થઇ લાગી રે વ્રજની નારને … શું શોર કરે? જાતલડી તારી તું મન વિચારને …’ 

હવે ઇર્ષા પોતાનો વળ બદલીને ગોપીને એવું માનવા પ્રેરે છે કે વાંસલડી કૃષ્ણના અધર પર છે, તે ઠીક નથી. એને કૃષ્ણના અધરે રહેવાનો, એટલે કે સાન્નિધ્યનો, જે દુષ્કર લાભ મળ્યો છે તે પોતાને નથી મળ્યો. અને એ વાત બરાબર નથી. વાંસલડી કૃષ્ણસ્મૃતિનું સાધન રહે, ત્યાં લગી વાંધો નથી, પણ જો કૃષ્ણ પર એ આધિપત્ય જમાવી બેસે, તો તે ઠીક નથી. એવી વાંસલડીને તો ધિક્કારવી જોઇએ. અને ગોપી એને પોતા સમેત તમામ વ્રજનારની વૅરણ અને શૉક્ય ગણવા લગી વિકસી જાય છે. 

ઇર્ષાભાવને જરા પણ છુપાવ્યા વિના કહી દીધું : ‘તું તો મોહનના મુખ પર મ્હાલે, તુજ વિના નાથને નવ ચાલે, તું તો શૉક્ય થઇ અમને સાલે …’ દબાવી રાખેલો ગુસ્સો પણ જાહેર કરી દીધો : ‘હું તુજને આવી નવ જાણતી, નહિ તો તુજ પર મ્હૅર ન આણતી, તારાં ડાળ સાહીને મૂળ તાણતી …’ 

ઇર્ષાનું એવું બદલાતું કેન્દ્ર પછી તો વિકસ્યું છે. શાણી ગોપીને એક યોગ્ય પ્રશ્ન થાય છે કે કૃષ્ણે વાંસલડીને આવું સ્થાન આપ્યું તે એની કઇ પાત્રતાએ કરીને. શું હશે એનું રહસ્ય? કવિએ સરસ સૂચક શબ્દ પ્રયોજ્યો છે, ‘ભેદગુણ’.

એને વરતાયું કે વાંસલડીના ‘ભેદગુણ’ ‘ભારી’ છે. એવા તે કયા, ભારી ભેદગુણ? સાર ગોપી એવો ગ્રહે છે કે કૃષ્ણકૃપાનું કારણ વાંસલડીનું તપ છે, એણે વેઠેલું કષ્ટ છે, સાધના છે. પોતામાં તો, એ નથી ! એને થાય છે, એવા ‘ભારી’ ગુણને પ્રતાપે એ અમારામાં ભેદ પડાવી શકે પણ ખરી! ને તો તેમાં નવાઇ પણ શી? ગોપીને વાંસલડી ઉત્તર આપે છે તેથી પણ આ જ સાર દઢ થાય છે : ‘ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે? પુણ્ય પૂરવતણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે … તપસાધ્યાં વનમાં … ટાઢતડકા વેઠ્યાં તનમાં … અંગે વાઢિયા વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા, તે ઉપર છેદ પડાવિયા …’ વગેરે. (‘વાંસલડીનો ઉત્તર’). 

એટલે પછી ગોપીમાં ઇર્ષાનું આક્રમક બળ ગળી જાય છે, આત્મનિરીક્ષા સ્ફુરે છે. ક્રોધ ઑગળી જાય છે અને માનીતી વાંસલડીને માટેનો માત્ર લાડભર્યો ઉપાલમ્ભ બચે છે. ‘માનીતી વાંસલડીને’-માં, વાંસલડીના ‘મીઠા શોર’-નો એણે જાણ્યે-અજાણ્યે સ્વીકાર કર્યો છે. ‘મીઠા શોર’-ને લક્ષ્ય કરીને ગોપીએ એને જાતભાતની રીતનો વ્હાલપભર્યો ઠપકો આપ્યો છે : ‘માનીતી તું છે મોહનતણી … અમારે શૉક્ય સરીખું તું સાલ રે … ઝેર ઘણું છે તારી ઝપટમાં … પતિવ્રતાનાં પ્રણ તેં મુકાવિયાં … તેં તો છોડાવ્યાં સતીઓનાં સત્ય રે … જોતાં તું તો કાષ્ઠકેરો કરકટો … તુંને આજ મળી ઠકરાત રે … ચોરની સંગે શીખી તું ચોરવા … વ્હાલે માખણ ચોર્યું ને તેં તો મન રે …’

સરવાળે એમ કહી શકાય કે વાંસલડી ઇર્ષા અને શીખ બન્નેનું કારણ બની છે. ને તથી એનું મૂલ્ય પ્રેમ અને ભક્તિ બન્ને સંદર્ભોમાં વિકસ્યું છે. વાંસલડી વડે એમ જ પુરવાર થયું છે કે છેવટે તો કૃષ્ણનું કંઇપણ, શામક અને માર્ગદર્શક જ નીવડવાનું! 

આમ દયારામે, જોઇ શકાશે કે, વાંસલડીને પણ પુષ્ટિનું એક ઉપકારક અંગ ગણ્યું છે. એથી પણ પ્રેમભક્તિનો પુરુષાર્થ દૃઢ થયો છે.

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

21 August 2024 Vipool Kalyani
← બાંગ્લાદેશ : ભાગિયા બનીશું કે અભાગિયા?
અનામતનીતિને તળેઉપર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved