Opinion Magazine
Number of visits: 9446523
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘બહનોં ઔર ભાઈયોં’ – જાદુઈ અવાજ, મસ્ત અંદાઝ : અમીન સાયાની

સોનલ પરીખ|Opinion - Opinion|8 July 2024

અમીન સાયાનીની સુદીર્ઘ કારકિર્દી, તેમનો ઉષ્માભર્યો અદ્દભુત અવાજ, એમની શુદ્ધ–જીવંત–રસમય ભાષા, એમનું શાલીન સુસંસ્કૃત વ્યક્તિત્વ, એમની કારકિર્દીના પડાવો અને એમની પ્રવૃત્તિમય નિવૃત્તિ આપણને વીતેલા એક યુગ સાથે ઘણી ઘણી રીતે જોડે એમ છે …

થોડા સામે પહેલાંની વાત છે. એક સ્ટેજ કાર્યક્રમમાં એક એન્કર પ્રખ્યાત વ્યક્તિઓની મુલાકાત લઈ રહ્યા હતા. એન્કર પોતે જાણકાર અને અનુભવી માણસ હતા, પણ પોતે જ એટલું બોલતા હતાં કે પેલી પ્રખ્યાત વ્યક્તિ, જેને સાંભળવા લોકો આવ્યા હોય તેને મોં ખોલવાનો મોકો ઓછો મળે અને તેમાં પણ એન્કર મહાશય વચ્ચે વચ્ચે બોલે. મુલાકાતની મઝા મારી જવા માંડી.

કાર્યક્રમ પછી એક આયોજકે કહ્યું, ‘મુલાકાત કેમ લેવાય એ જાણવું હોય તો અમીન સાયાનીએ લીધેલા હિન્દી સિનેમાના દિગ્ગજોના ઈન્ટરવ્યૂ સાંભળવા જોઈએ.’

તેઓ સાચા હતા. આજે પણ ભારતના બ્રોડકાસ્ટિંગ વિશ્વમાં અમીન સાયાનીનું ગુરુસ્થાન અવિચળ છે. આજે  પણ તેઓ ઉદ્દઘોષકોના આદર્શ છે. એમના રેડિયો-કાર્યક્રમો અને મુલાકાતો આપણામાંના કેટલાકને યાદ હશે. અમીન સાયાનીને કારણે રેડિયો સાંભળવાનું ‘ફેશનેબલ’ બન્યું હતું. અર્ધી સદી પહેલા એમની બિનાકા ગીતમાલા સાંભળવા ત્રણ-ત્રણ પેઢી રેડિયો આસપાસ ગોઠવાઈ જતી. એમના બિનાકા-સિબાકા કાર્યક્રમોએ અનેક વિક્રમો તોડ્યા હતા. ફિલ્મો, ગીતો અને ફિલ્મી દિગ્ગજોનો ફર્સ્ટ હેન્ડ પરિચય તેઓ એવી રીતે આપતા કે શ્રોતાઓ સામે એક દુનિયા ખૂલી જતી.

આ અમીન સાયાનીએ 91 વર્ષની ઉંમરે ચિરવિદાય લીધી. ભર્યુંભર્યું અને ભરપૂર જીવી ગયા તેઓ, પણ તેમના પરિવારજનોની જેમ તેમના ચાહકોના હૃદયમાં તેમના જવાથી એક ખાલીપો જરૂર સર્જાયો છે. તેમની સુદીર્ઘ કારકિર્દી, તેમનો અદ્દભુત અવાજ, એમની શુદ્ધ-જીવંત-રસમય ભાષા, એમનું વ્યક્તિત્વ, એમની કારકિર્દીના પડાવો અને એમની પ્રવૃત્તિમય નિવૃત્તિ આપણને એક યુગ સાથે ઘણી ઘણી રીતે જોડે એમ છે. એક સરસ પુસ્તક થઈ શકે. આપણે તો અહીં એ સાગરમાંથી એક અંજલિ ભરવાની કોશિશ કરીશું.

યાદ આવે છે 1917ની નવમી ડિસેમ્બર. ફિલ્મો અને ફિલ્મસંગીતના ઇતિહાસકાર માણેક પ્રેમચંદ ભારતીય વિદ્યાભવનના સ્ટેજ પર અમીન સાયાનીને લાવ્યા, ત્યારે તેઓ પુત્ર રાજિલને ટેકે માંડ ચાલી શકતા હતા. તેઓ આવ્યા અને દર્શકો ઊભા થઈ ગયા. ક્યાં ય સુધી તાળીઓનો ગડગડાટ શમ્યો નહીં. પછી ખીચોખીચ ભરેલા સભાગૃહમાં ટાંકણી પડે તો ય સંભળાય એવી સ્વયંભૂ ચુપકીદી ફેલાઈ. અમીનજીએ શરૂ કર્યું, ‘બહનોં ઔર ભાઈયોં …’ અદબ અને ઉષ્માથી ભરપૂર એ જ ચિરપરિચિત રણકાર – અને ફરી હૉલની દીવાલો તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠી.

આ અમીન સાયાની. ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઑફ ઇન્ડિયન રેડિયો. એવા રેડિયોસ્ટાર જેમનો આદર મોટા ફિલ્મસ્ટારો પણ કરતા. એક આખા સમયખંડની ગરવાઈ, ગહરાઈ અને સચ્ચાઈની પ્રતિમૂર્તિ. રેડિયો સિલોનના ઉદ્દઘોષક તરીકેની તેમની કારકિર્દી પૂરી થયાને ય દાયકાઓ વીત્યા છતાં તેઓ ભારતમાં, દક્ષિણ એશિયામાં અને વિદેશોમાં લોકપ્રિય હતા. વિદ્યાર્થીકાળમાં સ્કૂલ-કૉલેજનાં નાટકો કરતા. ઉદ્દઘોષક તરીકેની કારકિર્દી દરમ્યાન થોડી ફિલ્મોમાં એનાઉન્સર તરીકેની ભૂમિકા કરી, ઑલ ઇન્ડિયા રેડિયો, ઑલ ઇન્ડિયા રેડિયોની કમર્શલ સર્વિસ એન વિવિધ વિદેશી સ્ટેશનો પર કાર્યનિર્માતા અને સંચાલક તરીકે 54,000થી વધારે રેડિયોપ્રોગ્રામ અને 19,000થી વધારે સ્પૉટ-જિંગલ્સ કરી લિંક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મેળવ્યું. બિનાકા (પછીથી સિબાકા) ગીતમાલા, એસ. કુમાર્સકા ફિલ્મી મુકદ્દમા, સેરિડોન કે સાથ, બોર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટ, શાલીમાર સુપરહિટ જોડી, સંગીત કે સિતારોં કી મહફિલ જેવા પ્રોગ્રામો ઉપરાંત તેમણે એઇડ્સ અવેરનેસ માટે એક રેડિયો સિરિઝનું નિર્માણ પણ કર્યું હતું. કાર્યક્રમોની કેસેટો, એલપીઝ અને સીડીઓ બનાવી, રાષ્ટ્રગીતની હિન્દી આવૃત્તિ પર કામ કર્યું અને સરકારી પત્રકોની દુર્બોધ ભાષા સામે નાનકડો જંગ છેડ્યો. પોતાની કોલાબાની ઓફિસમાં 85 વર્ષની ઉંમરે પણ તેઓ રોજ બેત્રણ કલાક સારેગમ સાથે ગીતમાળાની સી.ડી.ઓ બનાવવાનું કામ કરતા તે મેં જોયું છે. ઝેવિયર્સ કૉલેજ, જ્યાં તેઓ ભણતા અને જ્યાંથી મોટાભાઈ હમીદની રાહબરી નીચે તેમની કારકિર્દી શરૂ થઈ તેની સેન્ટ ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યૂશન ઑફ કૉમ્યુનિકેશનના રેકોર્ડીંગ સ્ટુડિયોને અમીન સાયાનીનું નામ અપાયું છે. સિદ્ધિઓ નાની નથી. પણ અમીનજી જ્યાં જતા, લોકો ઝૂમી ઊઠતા, આદર અને પ્રેમની વર્ષા કરતા તેનું ખરું કારણ તેમનું સુસંસ્કૃત, શાલીનતા-સમૃદ્ધ વ્યક્તિત્વ હતું. વીસેક વર્ષથી તેમના અંગત બની ગયેલા માણેક પ્રેમચંદ કહે છે, ‘અમીનજી અત્યંત ઉમદા અને નેક ઇન્સાન છે. એમણે વર્ણવવાનું મારું ગજું નહીં.’

ઉષ્માપૂર્ણ અવાજે, આગવા અને અદ્દભુત લહેકાથી અમીન સાયાની સરળ, યોગ્ય શબ્દ-પસંદગીવાળું અને કાનને પરાણે વહાલું લાગે તેવું મીઠું અંગ્રેજી અને હિન્દી બોલતા. બ્રોડકાસ્ટિંગની દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું હશે જેને અમીન સાયાનીનું અનુકરણ ન કર્યું હોય. પણ સરસ હિન્દી બોલવું પડકારરૂપ હતું. એક મુલાકાતમાં અમીનજીએ કહ્યું હતું, ‘પચાસના દાયકાની શરૂઆત હતી. નવા સ્વતંત્ર થયેલા દેશનો હું નવયુવાન. મને થયું, અંગ્રેજીમાં ઘણું બ્રોડકાસ્ટિંગ કર્યું, હવે રાષ્ટ્રભાષા હિન્દીમાં કેમ ન બોલું? પણ મારી હિન્દી ભાષા એટલે ગુજરાતી-અંગ્રેજી-મરાઠી ભાષાનું બમ્બઈયા મિશ્રણ. હું રિજેક્ટ થયો. તેનું દુ:ખ વર્ષો સુધી રહ્યું. જ્યારે અમિતાભ બચ્ચન સાથેના એક ઈન્ટરવ્યૂમાં જાણ્યું કે એમને પણ દિલ્હીમાં ઑલ ઇન્ડિયા રેડિયોએ રિજેક્ટ કર્યા હતા ત્યારે મારું દુ:ખ કઈંક ઓછું થયું. રાહત પણ થઈ. અમિતાભ ઉદ્દઘોષક તરીકે આવત તો હું તો ફૂટપાથ પર જ આવી જાત. એ ય ઠીક, પણ હિન્દી સિનેમા શ્રેષ્ઠ અભિનેતાથી વંચિત રહી જાત.’

પોતાના ભાષાપ્રભુત્વનું શ્રેય અમીનજી પોતાનાં માતા કુલસુમ સાયાની ને તેમના ‘રાહબર’ સામાયિકને આપતા. ‘મારા મા પાકાં ગાંધીવાદી. મુંબઇમાં કન્યાશિક્ષણ અને પ્રૌઢશિક્ષણનું ખૂબ કામ કરતાં. ગાંધીજીના સૂચનાથી તેમણે ચાર ભાષામાં રાહબર નામનું સામાયિક કાઢવાનું શરૂ કર્યું અને 1940થી 1960 એમ વીસ વર્ષ ચલાવ્યું. ગાંધીજી કહેતા, ‘જો બેટા કુલસુમ, સામાયિક દ્વારા લાખો લોકો સુધી પહોંચવાનું છે. તેમને સમજે અને ગમે એવી સરળ ભાષામાં વિચારો આપવાના છે તે ન ભુલાય. આ સામયિકના પ્રકાશનમાં માને મદદ કરતાં, લખતાં, લેખો સુધારતાં, ભાષાંતરો કરતાં મારી ભાષા ખૂબ ઘડાઈ. મેં મહેનત પણ કરી. એક મિનિટ નકામી જવા ન દેવાના સંસ્કાર કામ આવ્યા.’ અમીનજીને મળેલા પદ્મશ્રી સહિતના અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં એક ‘હિન્દીરત્ન’ પણ છે.

આયુષ્યના છેલ્લા તબક્કે અમીનજી શું અનુભવતા હશે? એમના પુત્ર રાજિલ સાયાનીએ એ વિષે કહ્યું હતું, ‘તેઓ પ્રસન્ન છે, સંતુષ્ટ છે, તબિયત પરવાનગી આપે એ પ્રમાણે પોતાને વ્યસ્ત પણ રાખે છે. સેલિબ્રિટીના સંતાન તરીકે હું એમની અતિ વ્યસ્તતાથી ટેવાયેલો, છતાં તેમને મિસ કરતો. આજે સમજાય છે કે મારા પિતા ગમે તેટલાં રોકાણો વચ્ચે મારી અને મારાં માની શક્ય તેટલી કાળજી લેવાનું ચૂક્યા નથી. હી ઈઝ અ ફેમિલી પર્સન.’ અમીન પરિવાર વિવિધાતામાં એકતાની ભારતીય સંસ્કૃતિની જીવંત તસવીર સમો છે. અમીનજી પોતે કચ્છના ખોજા મુસ્લિમ, તેમનાં પત્ની રમા કાશ્મીરી પંડિતનું સંતાન અને પુત્રવધૂ પંજાબી. પિતા ડૉ. જાનમહમ્મદ અસહકાર વખતે બ્રિટિશ દમનથી ઘાયલ દેશપ્રેમીઓ માટે ખાસ ઊભી કરાયેલી હોસ્પિટલમાં સેવા આપતા. નાના ગાંધીજી અને મૌલાના આઝાદના ડૉક્ટર હતા. આજે પણ પરિવાર ગાંધીવિચારોનો ચાહક છે.

એક ઇન્ટરવ્યૂમાં અમીનજીએ કહેલું, ‘કાર્યક્રમો આપવા, સંચાલન કરવું કે મુલાકાત લેવી એ એક ક્રિએટિવ આર્ટ છે. મુલાકાત લેનારે મુલાકાત આપનારનું શ્રેષ્ઠ બહાર કાઢવાનું હોય છે. જરૂર કરતાં એક પણ શબ્દ વધારે કે ઓછો બોલાવો ન જોઈએ અને જે પણ બોલાય તે સત્ય, યોગ્ય, સ્પષ્ટ, સરળ અને સુંદર હોવું જોઈએ. આ કળા અમીનજીના સ્વભાવમાં વણાઈ ગઈ હતી તેવી પ્રજા તરીકે આપણા સૌની પ્રકૃતિમાં, સંસ્કૃતિમાં વણાઈ જાય અને જે પણ બોલાય તે સત્ય, યોગ્ય, સ્પષ્ટ, સરળ અને સુંદર હોય તેવો આગ્રહ હંમેશાં રહે તો?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 ફેબ્રુઆરી  2024

Loading

8 July 2024 Vipool Kalyani
← ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ
મેલ કરવત પાણીડાંનાં પાણીડાં ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved