Opinion Magazine
Number of visits: 9446638
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મધ્યકાલીન ગુજરાતી કાવ્યસરિતામાંથી એક આચમન  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|22 October 2023

પુસ્તક પરિચય

અગ્રણી વિવેચક-સંપાદક રમણ સોની સંપાદિત ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’ નામના માતબર સંચયમાં 130 કવિઓના પાચસો કરતાં વધુ પદો, તેમ જ પ્રેમાનંદના ‘ઓખાહરણ’ કે ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો સહિત સાઠ જેટલી પદ્યવાર્તાઓ/લાંબી કૃતિઓના અંશો મળે છે.

રમણભાઈ ‘સંપાદકીય’માં નોંધે છે : ‘આ સંપાદનમાં કાવ્યગુણે વધુ આકર્ષક હોય એવી કૃતિઓ અને એવાં કવિઓ વિશેષ પસંદ કરેલાં છે. પસંદગી અલબત્ત, ચુસ્ત નહીં પણ મોકળાશવાળી રાખી છે, જેથી સમગ્ર મધ્યકાલીન કવિતાનું યોગ્ય પ્રતિનિધિત્વ ઊપસી રહે.’

ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ બારમી સદીમાં થઈ ગયેલા હેમચંદ્રાચાર્યથી 1853માં અવસાન પામેલાં દયારામ સુધીનો ગણાય છે. સાતેક સદીનો આ ગાળો અનેક રાજકીય ઊલથપાથલો, ધર્મપરાયણતા અને ભક્તિભાવથી ઓતપ્રોત હતો.

સાડા સાતસો પાનાંના સુઆયોજિત અને એકંદરે સમાવેશક સંગ્રહમાં બહોળું વૈવિધ્ય છે. નરસિંહ, મીરાં, દયારામ સહિતના ભક્તિકવિતાનાં આઠ-દસ રચયિતાં છે. અખો તો  હોય જ, પણ તેના પૂર્વેના માંડણ-નરહરિ-બુટો સહિતના જ્ઞાનમાર્ગીઓ છે.

આખ્યાનકારોમાં ભાલણ, દેહલ, નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની તેમ જ અન્ય છે. સ્ત્રીઓનું સ્થાન ગૌણ હતું તે સદીઓમાં ગવરીબાઈ, ગંગાસતી, લોયણ, જાનકીબાઈ, કૃષ્ણાબાઈ, લીરલબાઈ, રતનબાઈ, રૂપાંદેએ સુંદર ભક્તિરચનાઓ આપી છે.

મધ્યયુગ દરમિયાન છએક સદીઓની મુસ્લિમ સત્તા અને હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયના ગાળામાં રાજે, નબી મિયાં, મીઠો, હોથી, જેસલપીર, મંહમદશા કાઝી જેવાએ કૃષ્ણકીર્તન, પ્રેમભક્તિ અને તત્ત્વદર્શનની રચનાઓ લખી છે. ત્રિકમ, લખીરાજ અને કરમણ અંત્યજ મનાતા વર્ગના છે.

કબીરસાહેબના પ્રભાવ હેઠળના અઢારમી સદીના પૂર્વાર્ધના રવિભાણ સંપ્રદાયના કવિઓ જેમના નામ પછી ‘સાહેબ’ લખવાની પ્રણાલી છે – ભાણ, ખીમ, રતન, ભીમ, મોરાર, પીર તરીકે પૂજાતા જેસલ અને કતીબશા પીર.

મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આરંભ નરસિંહ પહેલાંના અપભ્રંશ ભાષામાં લખનારા હેમચન્દ્રાચાર્ય અને એમના પછી પંદરમી સદીના પૂર્વાર્ધ સુધી મારુ-ગુર્જર ગુજરાતીમાં લખનારા દસેક જૈન કવિઓથી થાય છે. તેમના અનુગામીઓ પછીની દરેક સદીમાં મળતા રહે છે.

સાધુ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, વેદાન્તી, બ્રાહ્મણ એવી ઓળખ પણ સંપાદક આપે છે. ચારણી પરંપરાની કવિતા નામે અલગ પ્રકરણમાં છ કવિઓની રચનાઓ મળે છે.

સદીઓ મુજબ બનાવવામાં આવેલા અનુક્રમમાં દરેક પ્રકરણની અંદરનો ક્રમ તેમાં સમાવિષ્ટ કવિઓને જન્મના વર્ષ પ્રમાણેનો છે. જેમના જીવનકાળની સ્પષ્ટ વિગતો મળતી નથી એવા અઢાર કવિઓનું અલગ પ્રકરણ છે. કવિઓ કયા પ્રવાહના છે તે સંપાદકે દરેક કવિની રચનાઓ પહેલાં મૂકેલા વિદ્વતાપૂર્ણ છતાં મિતાક્ષરી કર્તાપરિચયમાંથી મળે છે.

શરૂઆતની સદીઓની કવિતાનું ભાષારૂપ કંઈક અપરિચિત છે, એટલે એવી કૃતિઓ સાથે સંપાદકે સહાયક સારઅનુવાદ મૂક્યા છે. જો કે એ નરસિંહ મહેતા પહેલાંના સમયમાં લખાયેલી વસંતવિલાસ (અજ્ઞાત કવિ), હંસાઉલી (અસાઇત), રણમલ્લ છંદ (શ્રીધર વ્યાસ), ત્રિભુવનદીપક પ્રબંધ’ અને હીરાણંદ (વિદ્યાવિલાસ પવાડુ) રચનાઓના અંશો સાથે પણ મૂકવાની જરૂર હતી.

સંપાદકે મધ્યયુગીન સાહિત્યનું સ્વરૂપવૈવિધ્ય પણ સુપેરે બતાવ્યું છે. એટલે અહીં પદ, આખ્યાન, ગરબા, ભજન તો હોય જ; પણ ઓછા જાણીતા કાવ્યપ્રકારો સંચયનો વિશેષ છે.

તેમાં જિનપદ્યસૂરિના ફાગુ છે. તેમના પછીના ઇન્દ્રાવતી, ઉદયરત્ન અને કર્પૂરશેખર જેવા અન્ય જૈન કવિઓ પાસેથી ઋતુકાવ્યોના વર્ગમાં આવતી બારમાસી(સા) મળે છે.

પ્રેમલક્ષણાભક્તિના પદકવિ રત્ના પાસેથી ‘મહિના’ મળે છે. અઢારમી સદીના પ્રીતમે તેના પુરોગામી અખાની જેમ ‘જ્ઞાનમાસ’ આપ્યા છે જેમાં જ્ઞાનનો ઉપદેશ બારમાસીમાં ગૂંથવામાં આવ્યો હોય.

ગીતાકાવ્યના સ્વરૂપમાં ‘ભ્રમરગીત’ (બ્રેહેદેવ), ‘જ્ઞાનગીતા’ (નરહરી) અને ‘અખેગીત’ છે. દુહા અને રાસને સામાન્ય રીતે સૌરાષ્ટ્રના લોકસાહિત્ય સાથે જોડવામાં આવે છે, દુહામાં સહુથી પ્રાચીન રચનાઓ પાટણના હેમચન્દ્રાચાર્યે આપી છે. એમાં તેમના પછી શાલિભદ્રસૂરિ અને હિરાણંદ છે.

પુરીબાઈ પાસેથી વિવાહલઉ, અને ગોપાળદાસ પાસેથી સાખીઓ તેમ જ ચાબખા મળે છે. પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’ના અને એકાધિક આખ્યાન કાવ્યોના હિસ્સા સમાવિષ્ટ છે. વલ્લભ ભટ્ટના ત્રણ લાક્ષણિક ગરબા છે.

કવિતનો એકમાત્ર દાખલો બારમી સદીના પૂર્વાર્ધની, જેસલમેરની પિતાપુત્ર બેલડી અણંદ-કરમાણંદ મિસણની રચનાઓમાં મળે છે.

જો કે કેટલીક વાર કવિઓના પરિચયમાંથી જાણવા મળતું સ્વરૂપ વૈવિધ્ય તેમની રચનાઓમાં દેખાતું નથી, મોટે ભાગે પદો જ મળે છે. ધીરો ભગત, હરિદાસ, નિરાંત અને બાપુસાહેબની રચાઓની પસંદગીમાં આ જોવા મળે છે.

સંચયનો આખરી વિભાગ લોકગીતોનો છે. સંપાદક સ્પષ્ટતા કરે છે : ‘… લોકગીતો અર્વાચીન સમય-સંસ્કૃતિ પૂર્વેનું – મધ્યકાલીન કાવ્યસ્વરૂપ ગણાય એથી એને અહીં સ્થાન આપ્યું છે.’ એટલે અહીં  ‘એક વણઝારી ઝીલણ ઝીલતી’તી’, ‘ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ’, જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે’, ‘ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર!’, ‘મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ’, ‘સોનાવાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા’ જેવાં લોકગીતો વાંચવા મળે છે.

અત્યારે નવરાત્રીમાં આ બધાં અને બીજાં ગીતો / આરતીઓ / સ્તવનો સાંભળીએ ત્યારે તે મૂળ પાઠથી કેટલાં જુદાં પડે છે તે જોવું  રસપ્રદ બને છે.

સંપાદકના પોતાની રીતે સૌંદર્યપૂર્ણ પ્રવેશકનો વ્યાપ મધ્યકાલીન સાહિત્યની ઐતિહાસિક રાજકીય-સામાજિક ભૂમિકા જોતા મર્યાદિત લાગે છે. મધ્યયુગ દરમિયાન થયેલા ચાર સત્તાપલટા અને  ધાર્મિક પરિબળોની તેના સાહિત્યની ભાતીગળતાની સાથેનો ઘનિષ્ઠ  સંબંધ ઉપસાવવાની જરૂર હતી.

આ કામ સહુથી નોંધપાત્ર રીતે બે લખાણોમાં જોવા મળે છે : એક, અનંતરાય રાવળનું પુસ્તક ‘મધ્યકાલીન સાહિત્ય’(1976)નું બીજું પ્રકરણ; અને બે, મધ્યયુગીન ભારતીય સાહિત્યના અંગ્રેજી અનુવાદોના સાહિત્ય અકાદમી, દિલ્હીએ Medieval Indian Literature : An Anthology (1997) નામે પ્રસિદ્ધ કરેલા ત્રણ ખંડોના સંપુટમાં ગુજરાતી વિભાગના સંપાદક તરીકે ચીમનલાલ ત્રિવેદીએ પહેલાં ખંડમાં અંગ્રેજીમાં લખેલો સાઠ પાનાંનો પ્રવેશક.

આ બંને પ્રવેશકોમાંથી પસાર થતાં, રમણભાઈના સંપાદન ‘પૂર્વરંગમાં’ અપેક્ષિત મુદ્દા ધ્યાનમાં  આવે છે. તદુપરાંત, ગ્રંથનામ સૂચિ, ઉલ્લેખસૂચી તેમ જ પાનાં પરના કવિઓના નામના ફૂટર (footer) આ સંદર્ભ ગ્રંથને વધુ reader-friendly બની શક્યા હોત.

મધ્યકાલીન સાહિત્યના અનેક સંપાદનોમાં કઠિન શબ્દોની સૂચિ હોતી નથી, જે રમણભાઈના આ સંપાદનમાં પણ નથી. જયંત મેઘાણીએ મેઘાણી-સાહિત્યના દૃષ્ટાંત સમા સંપાદનમાં આ દરકાર રાખી છે. બીજા દાખલા પણ મળી શકે. ખુદ રમણભાઈએ ‘કુંવરબાઇનું મામેરું’ના સંપાદનમાં શબ્દાર્થ આપ્યા છે.

કઠિન શબ્દોની સૂચિ મધ્યકાલીન સાહિત્યના બહુ જ આરંભિક – સંભવત: પહેલાં – સંપાદનમાં છે. ઇ.સ. 1886થી 1912 દરમિયાન આઠ ખંડોમાં પ્રસિદ્ધ થયેલાં એ સંપાદનનું નામ છે ‘બૃહદ કાવ્ય દોહન’. તેના સંપાદક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853-1912) પ્રખર પત્રકાર, પ્રકાશક, અનુવાદક અને અંગ્રેજ સરકાર દ્વારા રાજદ્રોહનો આરોપ વેઠનારા દેશભક્ત હતા.

બૃહદ કાવ્યદોહન તેમણે કરેલું પાયાનું કામ છે, તે ગુજરાતી સાહિત્યના કેટલાક અભ્યાસીઓ / ઇતિહાસલેખકો અચૂક સ્વીકારે છે. પણ મધ્યકાલીન સાહિત્યના કેટલાક સંપાદકો ઇચ્છારામે, ખાસ તો એમના સમયમાં સિદ્ધ કરેલાં અસાધારણ કામની ઉચિત નોંધ લેતા નથી, અથવા તો તેને બિલકુલ ચૂકી જાય છે.

પ્રસ્તુત ગ્રંથમાં રમણ સોનીએ સ્રોત-ગ્રંથો અને સંદર્ભગ્રથોની જે યાદી આપી છે તેમાં બળવંત  જાની અને મનસુખ સલ્લાએ સંકલિત કરેલાં ‘બૃહત કાવ્યદોહન’ (પુનર્વ્યવસ્થા) ખંડ 1થી4’નો ઉલ્લેખ છે. આ સંપુટમાં બંને સંકલનકારોએ ઇચ્છારામ જે સંપાદનની ‘પુનર્વ્યવસ્થા’ કરી છે તેમાં ઇચ્છારામની નહીંવત નોંધ લીધી છે.

કનુ પટેલનું આવરણચિત્ર પરંપરાગત અક્ષરલેખન અને ચિત્રાત્મકતા છતાં સુંદર બન્યું છે. પુસ્તકનાં પાનાં પરની માંડણી આ પ્રકારના પુસ્તકમાં હોવી જોઈએ તેવી એટલે કે શક્ય એટલી મોકળાશભરી છે, અને બાંધણી પણ પૂરતી મજબૂત છે.

આ ગ્રંથ વધુ રમણીય ડિજિટલ સ્વરૂપે એકત્ર ફાઉન્ડેશને ઇન્ટરનેટ પર મૂક્યો છે. છપાયેલા પુસ્તકના કવિચિત્રોમાંથી કેટલાક કલાગુરુ રવિશંકર રાવળે દોરેલાં છે. નમૂનાની હસ્તપ્રતો પણ જોવા મળે છે. આ બંને સંચયની ઇ-આવૃત્તિમાં ઘણાં આકર્ષક લાગે છે.

ગુજરાતીમાં મધ્યકાલીન સાહિત્ય પરના અનેક સંપાદનો અને અભ્યાસો થયાં છે. ઇચ્છારામથી શરૂ થયેલી પરંપરામાં રમણ સોની એક મહત્ત્વની કડી છે એવું તેમની કારકિર્દી અને તેમના પુસ્તકોની યાદી બંને બતાવે છે. એટલે તેમની પાસેથી અપેક્ષા વધુ રહે છે. 

(950 શબ્દો)
[આભાર : નલિનીબહેન દેસાઈ, તોરલબહેન પટેલ, અજય રાવલ]

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌—-‌‌‌———————————–

પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, 2023, રૂ. 1500/- 

પ્રાપ્તિસ્થાન : 

ગૂર્જર, સંપર્ક : 079-26934340, 22144663, 22149660, મો. 9835368759
ગ્રંથવિહાર, 079-26587949, 9898762263
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

22 October 2023 Vipool Kalyani
← કથળેલી વૈશ્વિક વ્યવસ્થા અને સશસ્ત્ર રાજ્યોની અસલામતીનું પરિણામ ત્રીજું વિશ્વયુદ્ધ?
નોબેલ પુરસ્કાર: અમેરિકા કેમ ઇમિગ્રન્ટ બૌદ્ધિકો માટે સ્વર્ગ સમાન છે? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved