Opinion Magazine
Number of visits: 9449149
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સનાતનને નામે ધ્રુવીકરણનો ઉધમાત : ભારતના આત્મા પર કુઠારાઘાત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 September 2023

 થોડું, ગાંધીજયંતીના પૂર્વસપ્તાહે

હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, જો એ શાસ્ત્ર સમ્મત હોય તો તે શાસ્ત્રોને સ્થાન નથી, અને એ રીતે અસ્પૃશ્યતાનું સમર્થન કરતાં શાસ્ત્રો જો ધર્મનું અભિન્ન અંગ હોય તો તે ધર્મ પણ સ્વીકાર્ય નથી એવી ગાંધીની ઉત્તરોત્તર ભૂમિકા હતી. 

પ્રકાશ ન. શાહ

ગયે અઠવાડિયે 1974-1977ના આંદોલનકાળના જયપ્રકાશ નારાયણના તરુણ આત્મીય કુમાર પ્રશાંતની પરિકલ્પના પ્રમાણની ગાંધી વાટિકા(મ્યુઝિયમ)નું જયપુરમાં ઉદ્ઘાટન થયું ત્યારે કંઈક વ્યક્ત, કંઈક અવ્યક્ત, કંઈક પરિભાષિત, કંઈક અપરિભાષિત એમ લાગણી જોવા મળી હતી. બુઝુર્ગ ગાંધીજન રામચંદ્ર રાહીએ એને વાચા આપતા હોય તેમ કહ્યું હતું કે, દેશમાં ઠેકઠેકાણે ગાંધી સંસ્થાઓનો કબજો લેવાની સરકારી ચેષ્ટા સામે આ વાટિકા ભલે રાજ્ય સરકારના સમર્થનથી પણ એક વિરલ વળતો યોગ રચે છે. વિધ્વંસના વિકલ્પે નિર્માણનું આ એક નવ્ય કથાનક ઉભરી રહ્યું છે.

વાત એમ છે કે, આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીના કૃપાકટાક્ષથી ગાંધીજીવન અને ગાંધીવિચાર વિશે જે બધું અનાપશનાપ ફેક્ટરી એક્ટની તમા વગર બાગે બહાર માલૂમ પડે છે એની સામે ગાંધીને એમના સમયમાં સમજી એમના ચિરકાલીન અર્પણ પરત્વે દેશજનતાને સભાન ને સહૃદય બનાવવાના ઉજમનું ચોક્કસ મહત્ત્વ છે. એમાં ચાલુ કથાનકમાં સુધારની તેમ એ સુધારા ઓછા પડતા જણાય તે સંજોગોમાં નવીન કથાનકની સંભાવના રહેલી છે.

ચાલુ ચૂંટણીઓમાં, મધ્ય પ્રદેશ વિધાનસભામાં બ્યુગલ બજવા લાગ્યું છે કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં તરતના મહિનાઓમાં જે જંગ જામવાનો છે એમાં ‘એક દેશ, એક ચૂંટણી’ જેવા સૂત્રોથી અગર તો ‘સનાતન ધર્મ ખતરામાં છે’ પ્રકારના નારાથી ઊભા કરાઈ રહેલા માયાવી કથાનક સામે કશીક સભાનતાની જરૂરત નિઃશંક છે. મધ્ય પ્રદેશમાં ભા.જ.પ. કાર્યકરોની જંગી ચૂંટણી તૈયારી રેલીને સંબોધતાં વડા પ્રધાન મોદીએ પોતાના પક્ષની પ્રદેશ સરકારની વાસ્તવિક કામગીરીનો હિસાબ આપવાને બદલે કથિત રાષ્ટ્રીય અને તે પણ ભળતાસળતા મુદ્દાઓ ઉછાળવાનો રાહ લીધો છે. પ્રદેશના વિકાસ વાસ્તેનો વિગત વિશદ ‘ઇન્ડિયા’ના પ્રાસમાં ‘ઘમંડિયા’ની શબ્દલીલાથી માંડી ‘અર્બન નક્સલ’ જેવા જાથુકી વાનાં ઉપરાંત વિપક્ષ ‘સનાતન ધર્મવિરોધી’ હોવાનો મુદ્દોયે ઉછાળ્યો છે. સનાતનીઓ વિ. બીજાઓ એ આપણો 19મી સદીનો દ્વંદ્વ વારસો છે. આ બીજાઓમાં સેક્યુલર લિબરલો હશે તેમ પરમ ધાર્મિક ગાંધી પણ હતા. ગાંધીની ધર્મની સમજ (વિવેકાનંદની અને ઉત્તર શ્રીઅરવિંદની પણ) સાંકડી સાંપ્રદાયિક ને ખાસ તો રૂઢિચુસ્ત નહોતી. હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી, જો એ શાસ્ત્ર સમ્મત હોય તો તે શાસ્ત્રોને સ્થાન નથી, અને એ રીતે અસ્પૃશ્યતાનું સમર્થન કરતાં શાસ્ત્રો જો ધર્મનું અભિન્ન અંગ હોય તો તે ધર્મ પણ સ્વીકાર્ય નથી એવી ગાંધીની ઉત્તરોત્તર ભૂમિકા હતી.

પહેલાં શિરોમણિ અકાલી દળ જેવા એન.ડી.એ.ના આદ્ય સ્થાપક સભ્યે છેડો ફાડ્યો, પછી મહારાષ્ટ્રમાં શિવ સેના ખસી અને હવે તામિલનાડુમાં એ.આઈ.એ.ડી.એમ.કે. ખસ્યાના સમાચાર આવે છે. આ સંજોગોમાં પોતાની તરફે મતોની ગોલબંદ કરવા શું કરવું એની લાયમાં ભા.જ.પે. હમણાં સનાતન ધર્મનો મુદ્દો પકડવા ચાલ્યું છે. 19મી સદીના છેલ્લા ચરણ અને 20મી સદીના બેસતા ચરણનો ખયાલ કરીએ તો, મૂળે તો, દયાનંદ અને આર્ય સમાજની સુધાર હિલચાલની સામે (જેમાં અંત્યજશુદ્ધિનો પણ સમાવેશ થતો હતો, એની સામે) ‘સનાતન’, ‘સનાતન’નો પોકાર ઊઠ્યો હતો. ભા.જ.પ. હિંદુત્વરાજનીતિવશ ચાલુ કે નવા કથાનકની વાયમાં શેને માંજો પાઈ રહ્યો છે તે એને સમજાય છે ?

આરંભ ગાંધીથી કર્યો હતો. કદાચ, વાતનો બંધ પણ ત્યાંથી જ વાળીએ તો ગાંધી જયંતીના પૂર્વસપ્તાહે ઠીક રહેશે. ગાંધીના બે આજીવન જેવા ટીકાકારો, આંબેડકર અને પેરિયારે ગાંધીની ચિરવિદાય પછીના ગાળામાં એમને વિશે પુનર્વિચાર અને આદરભેર જે કહ્યું છે એ જોતાં જે સમજાય છે તે એ કે આ પરમ આસ્તિક, પરમ ધાર્મિક પ્રતિભા ધર્મના હાર્દને પામવાને ધોરણે વિકસિત માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતી. એક તબક્કે આંબેડકરે દલિત ઉત્કર્ષ માટે નિધિ ઊભો કરી એની સાથે ગાંધીનું નામ જોડવા કહ્યું હતું કેમ કે એને સારું દલિતો ‘ડિયરેસ્ટ’ અને ‘નિયરેસ્ટ’ હતા. પેરિયારે વળી હિંદને ‘ગાંધીદેશમ્‌’ કહેવા સૂચવ્યું હતું. હાલ તો ધર્મને નામે ધ્રુવીકરણનો ઉધમાત છોડીએ એ ય ઘણું.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 27 સપ્ટેમ્બર 2023

Loading

30 September 2023 Vipool Kalyani
← આપણી ખેડૂતોની ‘દોડ’ ખોટી નહીં – ‘દિશા’ ખોટી છે !
વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved