Opinion Magazine
Number of visits: 9448794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખુલાસો

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|16 September 2023

પ્રીતમ લખલાણી

સુજાતાએ પડખું ફેરવ્યું અને કોઈ દરવાજો ખખડાવી રહ્યું હોય એવું એને લાગ્યું.

“અરે! સંજય, ઊભો થઈને જરા જો તો કોણ બારણું ખખડાવી રહ્યું છે”. પલંગમાં અમસ્તા જ આંખો મીંચીને ભવિષ્યનાં સ્વપ્નો જોતાં સંજયે સુજાતાને આશ્લેષમાં લેતાં … ‘વહાલી, આટલી સવારે બીજું તો કોણ હોઈ શકે? કાં તો દૂઘવાળો હશે અથવા છાપાંવાળો! તું આવી ખોટી ચિંતા કર્યા વિના નિરાંતે સૂતી રહે … શનિવાર કંઈ રોજેરોજ નસીબમાં નથી આવતો … બરાબર સાત દિવસની તપસ્યા બાદ આવે છે, સમજી?”

સંજયનું આ વાકય પૂરું ન થયું ત્યાં તો ભીંતે ઝૂલતી ઘડિયાળમાં ટકોરા પડવા શરૂ થયા.

સંજયની બાહોમાં પડી પડી .. એક … બે … એમ દસના ટકોરાને ગણતી સુજાતાએ સંજયને પાછો હલબલાવ્યો.

“અરે! ઊઠ, આમ એદીની જેમ કયાં સુઘી પડયો રહીશ? ઊઠીએ છીએ … ઊઠીએ છીએ! એમ કરતાં દસ વગાડી દીઘા.” આમ વહાલથી સંજયને મનાવતી સુજાતાએ સંજયનો હાથ ઝાલીને પલંગમાંથી ઊભો કરી તેને દરવાજો ખોલવા મોકલ્યો.

દરવાજો ખોલતાં પહેલાં સંજયે એક વાર અરીસામાં જોયું. ખમીસનાં બેચાર ખુલ્લાં બટન બંઘ કર્યા. લુંગીને જરા ક્સકસાવીને બાંઘી અને પછી દરવાજો હળવેકથી ખોલ્યો. ઉંબરાની બહાર જઈને સંજયે જમણી તેમ જ ડાબી તરફ એક નજર ફેરવી જોઈ. પરસાળમાં કોઈને ન જોતાં તેણે વિચાર્યુ કે કાં તો સુજાતાને કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે એવો ભ્રમ થયો હશે અથવા કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે એવું સ્વપ્ન આવ્યું હશે.

ઊંઘ બગાડવા બદલ સુજાતા ઉપર સહેજ અણગમો બતાવતાં એ પાછો બારણું બંઘ કરવા જતો હતો ત્યાં તેની નજર દરવાજાના આંકડામાં ભેરવેલા પરબીડિયા ઉપર પડી. પરબીડિયું જાણે સંજયની મજાક કરતું હોઠોમાં મલકી રહ્યું હતું.

પરબીડિયાને હાથમાં લઈને આમતેમ ફેરવીને જોતાં સંજયને માન્યામાં નહોતું આવતું. એણે પોતાની આંખો ચોળીને ખાતરી કરી લીઘી કે પોતે હજુ ઊંઘમાં તો નથી ને!

હજી ગઈ કાલે જ સવારે અમે શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઈથી અમદાવાદ પાછા ફર્યાં. બા આ વખત દર વખત કરતાં વઘારે ખુશખુશાલ હતાં. એમની ઘણાં વર્ષોની તમન્ના ગયા અઠવાડિયે પૂર્ણ થઈ હતી. પોતાના એકના એક સાત ખોટના દીકરાનાં લગ્ન થયાં હતાં. દીકરાની વહુ લગ્ન પછી પહેલી વાર દીકરા સાથે મુંબઈથી અમદાવાદ જતી હોવાથી બા છેક મુંબઈ સેન્ટ્રલ સુઘી વળાવવા આવ્યાં હતાં.

સંજયે અનુમાન  કર્યું કે … અમને વળાવી ઘરે પાછાં ફરતાં ઘરને સાવ અડવું જોઈને બાનો જીવ કદાચ મૂંઝાતો હશે .. મૂંઝવણમાં ને મૂંઝવણમાં બાએ અમને આ પત્ર લખી નાખ્યો હશે, પણ પત્ર  અમદાવાદમાં ફકત બાર કલાક જેવા ટૂંકા ગાળામાં મને મળી જાય એટલું ભારતનું ટપાલખાતું પ્રગતિશીલ નથી થયું. હા બનવાજોગ છે કે આ પત્ર જૂનો હોઈ શકે. આપણા ટપાલખાતાની ગેરવ્યવસ્થાને લીઘે પત્ર સમયસર નહીં મળી શક્યો હોય, ખેર! ટપાલી પત્ર નાખી જ ગયો છે તો પછી ખોલીને વાંચવામાં મારું શું જાય છે? કયાં બીજા કોઈનો પત્ર છે. આખરે છે તો મારી માનો જ ને! આમ ખોટાસાચા તુક્કા કરતાં સંજયે પરબીડિયું ખોલ્યુંઃ

ચિ. સંજય,

તેમ જ મારી દીકરીતુલ્ય સુજાતા,

દીકરા સંજય, અમદાવાદ પહોંચી તું દરવાજો ઉઘાડીશ ત્યાં ઉંબરામાં આળોટતો મારો પત્ર જોઈને તને અચૂક નવાઈ લાગશે. અરે! શું હું આ સ્વપ્ન તો નથી જોતોને એમ વિચારીશ. ખેર! સંજય, આ પત્ર વાંચીને કદાચ તું ખોટાસાચા વિચારોના ભ્રમરમાં તણાઈ જાય. બનવાજોગ છે કે તું સત્યને સમજવામાં નિષ્ફળ જઈશ અને તને માથે આભ તૂટ્યા જેટલું દુઃખ પણ થશે. જે વાત હું તને આજે આ પત્રમાં લખી રહી છું તે વાતને મારે તને અને સુજાતાને તમે મુંબઈમાં આપણાં ઘેર હતાં ત્યારે જ કરી દેવાની ઈચ્છા હતી, પણ કદાચ તું મને ના સમજી શકે તો?

તારા લગ્ન જીવનના પ્રથમ અઠવાડિયે તારે માથે પહાડ તૂટ્યા જેટલું પારાવાર દુઃખ તને લાગત એ બીકે તને રૂબરૂમાં કહેતાં મારી જીભ ન ઊપડી. તમે બંને જણાં જ્યારે હનીમૂન માટે માથેરાન ગયાં હતાં તે દરમ્યાન એક સાંજે મારા મનના ખુલાસાને મેં પત્રમાં લખી નાખ્યો. તમે જ્યારે મુંબઈથી અમદાવાદ પાછા ફરવાનાં હતાં તેના બેત્રણ દિવસ પહેલાં મેં આ પત્રને ટપાલમાં નાખી દીઘો કે જે તને અમદાવાદ પહોંચતા મળી જાય. ખેર! દીકરા, આમ ફકત શબ્દોથી પાનાં ચીતરવાને બદલે હું મૂળ વાત ઉપર આવું છું. આશા છે કે તું તારી માને યોગ્ય રીતે સમજી શકીશ ….

સંજય, તું જાણે જ છે કે તું ફકત પાંચ વર્ષનો હતો ત્યારે જ તારા પિતાનું બે રાતની સામાન્ય તાવ જેવી બીમારીમાં અવસાન થઈ ગયું. તે દિવસથી તને માતા અને પિતાનો પ્રેમ આપવાની બેવડી જવાબદારી મારા માથે આવી પડી.

દીકરા, તારા ખાતર પહાડ જેવાં દુ:ખો મેં હસતાં હસતાં સહન કરી તને પાળીપોષીને મોટો કર્યોં.

ભૂખતરસ વેઠી, પેટે પાટા બાંઘીને રાત દિવસ કાળી મજૂરી કરીને તને મેં કેમિકલ એન્જિનિયર બનાવ્યો. તારી મહેનત, લગન અને ઈશ્વરની કૃપાથી તને અમદાવાદ જેવા શહેરની નામી કંપનીમાં મૅનેજરના હોદ્દાની નોકરી પણ મળી ગઈ. જેમ હરેક માના જીવનની એક ઈચ્છા હોય છે કે પોતાના દીકરાને ભણાવી-ગણાવીને કામઘંઘે વળગાડી કોઈ સારા ઘરની સુશીલ છોકરી સાથે પરણાવી, પૌત્ર-પૌત્રીને રમાડવાં … તેવી જ મારી ઈચ્છા. ઈશ્વરે મારી બઘી ઈચ્છાઓ પૂરી કરી તે બદલ હું તેનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. સંજય, તને સુજાતા જેવી સુશીલ, સુંદર, ભણેલ-ગણેલ છોકરી મળી, તમારી બંનેની જોડી જોઈને મારી આંખો ઠરી. સંજય, જે વાત હું તને મોઢે ન કહી શકી તે વાત આજ છાતી ઉપર પથ્થર મૂકીને લખી રહી છું.

ચારેક મહિના પહેલાં તારી સગાઈ થઈ તે પછીના અઠવાડિયે હું નિરાંતે બેઠી બેઠી એક બપોરે ‘જન્મભૂમિ પ્રવાસી’નાં પાનાં ફેરવતી હતી. અચાનક મારી નજર એક પાના પર પ્રગટ થયેલ જીવનસાથીની કૉલમ ઉપર પડી એક વિદ્વાન, વિઘુર અને ખાનદાન ગૃહસ્થને એક યોગ્ય જીવન સાથીની જરૂર છે. મેં તે જાહેરાતને લગભગ છથી સાત વખત વાંચી. એકાદ બે અઠવાડિયાં તે બાબત પર વિચારતી રહી. ભવિષ્યમાં હું આવું કંઈક પગલું ભરુ તો! સમાજ અને ખાસ કરીને મારા કુટુંબ પર તેની શી અસર પડશે? મારો સંજય શું ધારશે!

આખરે મેં મારા ભવિષ્યનો પૂરેપૂરો વિચાર કરીને મને જે યોગ્ય જણાયું તે મુજબ મેં જાહેરાતમાં દર્શાવેલા સરનામે પત્રવ્યવહાર કર્યો. મને મારા પત્રનો જવાબ તે મહાશય દ્વારા બીજે જ અઠવાડિયે મળ્યો. તેમના પત્રથી હું બહુ જ પ્રભાવિત થઈ. મેં તેમના પત્રનો જવાબ તાબડતોબ આપ્યો. આમ અમે એકબીજાને બેચાર પત્રો લખ્યા અને ત્યાર બાદ એક સાંજે ઘાટકોપરની પૂજા હોટેલમાં મળ્યાં

અમારી આ મુલાકાત બાદ અમને જણાયું કે અમારા વિચારો, સ્વભાવ એકબીજાને સંપૂર્ણપણે અનુકૂળ છે. બસ ત્યારબાદ અમે એકબીજાને સમય સમયે મળતાં રહ્યાં. આખરે એક સાંજે ઘૂઘવતા દરિયા કિનારે એક અટલ વિચાર પર મક્કમ થઈને નક્કી કર્યું કે સંજય તારા લગ્ન બાદ અમારે કોર્ટથી લગ્ન કરી લેવાં.

સંજય, મેં તે મહાશયને ગયા સોમવારે મારા ભાવિ જીવન સાથી તરીકે સ્વીકારી લીઘા. દીકરા, હવે મારું નામ શ્રીમતી આશાદેવી સુશીલકુમાર મહેતા થયું છે. મારા આ પગલાથી તું ખોટી ભ્રમણામાં ના રહીશ કે મેં આ લગ્ન ઘન દોલત ખાતર કર્યાં છે.

મારી સાચી ઘન દોલત … જે કાંઈ સમજે … તે દીકરા તું જ છે. જયાં સુઘી આંગળી પકડીને ચાલતો સંજય હતો ત્યાં સુઘી પ્રત્યેક ક્ષણે મારી આંગળી તને આપી હતી, પણ હવે તો તારા લગ્ન થયાં. તને ડગલે ને પગલે જીવનસંગ્રામમાં સાથસહકાર આપી શકે તેવી સુશીલ પત્ની જોઈને મને ખૂબ જ આંનદ થયો.

તું મુંબઈમાં જયાં સુઘી મારી પાસે હતો, ત્યાં સુઘી મને કયારે ય એકલતાનો અહેસાસ થયો ન હતો, પરંતુ જ્યારે તને અમદાવાદમાં નોકરી મળી ગઈ અને તું સદા માટે ત્યાં સ્થાયી થઈ ગયો ત્યારથી મને પ્રત્યેક ક્ષણે આ ઘર ખાવા દોડતું હતું.

જીવનમાં હું એકલતા અનુભવતી હતી. આ ખાલીપણાને ભરવા મને કોઈકની જરૂરિયાત જણાતી હતી કે જેના ખંભે હું માથું મૂકીને સુખદુઃખમાં મારું મન હળવું કરી શકું.

આખરે જીવનમાં માર્ગે સાથ આપી શકે એવો એક પ્રેમાળ હાથ મને મળી ગયો. હવે કોઈ પણ સંજોગોમાં હું આ હાથને તરછોડવા માગતી નથી.

સંજય, તું અને સુજાતા કયારેક મુંબઈ આવશો ત્યારે મકાનમાં, શેરીમાં તેમ જ આપણાં સંગાસંબઘીઓ મારા વિશે તને કંઈક જુદી જ વાતો કરશે. કોઈ નવરું પંચાતિયું મહેણાંટોણાં મારશે. આશા છે તમે તેઓની વાતોને ભીતરમાં ન લેશો. બને તો આંખ આડા કાન કરશો. દીકરા, આપણે ગમે તેવા પ્રમાણિક કે સાચા હોઈએ, પણ દુનિયાને મોઢે કોઈ ગળણું બાંઘી ન શકીએ. તો ફાવે તેવું પોતપોતાના વિચારો પ્રમાણે બોલશે. દીકરા, આપણા સમાજમાં એક વિઘવા તરીકે જીવવું કેટલું કપરું છે એ તો મારું મન જાણે છે. હું તો જગતનાં મહેણાંટોણાંથી ટેવાઈ ગઈ હતી એટલે મને તેની કોઈ ચિંતા નથી.

સુજાતા આપણા સમાજથી સાવ અપરિચિત છે. લોકો તેને કહેશે કે તારી સાસુની તો શી વાત કરીએ? તેના આ લફરાને તો અમે વર્ષોથી જાણતાં હતાં. વળી કોઈક એમ પણ કહેશે કે મૂઈ આશા, આવું છિનાળું કરવું હતું તો જ્યારે ઉંમર હતી ત્યારે ન કર્યું અને જ્યારે દીકરાની વહુ આવી ત્યારે પોતે કોકના ઘેર જઈને બેઠી.

દીકરા, આ તો દુનિયા છે. આવું તમને કંઈક બનાવીને કહેશે. સંજય, મેં મારી બઘી જ જવાબદારી હસતાં હસતાં નિભાવી છે એમ હું માનું છું. જો તને કયાંક જીવનમાં મારા તરફથી ઊણપ જણાઈ હોય તો તું તારી માને માફ કરી દેજે.

દીકરા, તું એવો અર્થ ના કરીશ કે  આ લગ્ન કરી હું તારાથી દૂર જઈ રહી છું. માદીકરાના સંબંઘને મૃત્યુ પણ જુદા કરી શકતું નથી. જગતની કોઈ મા કયારે ય પોતાના દીકરાની જવાબદારીમાંથી મુકત થઈ શકી છે? તો હું તારાથી કેવી રીતે મુકત થઈ શકું?

હવે મને નથી લાગતું કે મારે આથી વિશેષ કંઈ ખુલાસો તારી પાસે કરવો જોઈએ. સંજય મને વિશ્વાસ છે કે તું મને બરાબર સમજી શકીશ, કારણ કે તારી રગમાં મારું જ લોહી છે. મને વિશ્વાસ છે કે તું તારા ઘરના દરવાજા મારા માટે બંઘ નહીં કરી દે.

બસ એ જ,

લિ. તારાથી કયારે ય દૂર ન જઈ શકેલ તારી મા આશાદેવીની આશિષ.

પત્ર વાંચતા આંખમાં આવેલ આંસુને લુછતા સંજયને પલંગમાં પડખાં ફેરવતી સુજાતાએ તેને પૂછ્યું.

“સંજય, કોનો પત્ર છે? આટલા રસથી કયારનો  વાંચી રહ્યો છે!”

“મુંબઈથી બાનો પત્ર છે.”

“બાનો! આટલી વારમાં! હજી ગઈ કાલે તો આપણે મુંબઈથી આવ્યાં અને બાએ આપણને પત્ર પણ લખી નાખ્યો? બા પણ ખરેખર કમાલ છે. શું લખ્યું છે બાએ?”

“લે … વાંચ … ” સંજયે સુજાતાના હાથમાં પત્ર મૂકી દીઘો.

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

16 September 2023 Vipool Kalyani
← ચાલો, હરારી પાસે – 21 : માંધાતાઓની મીટિન્ગ  
क्या हिन्दू महिलाओं पर पाबंदियों के लिए मुस्लिम हमलावर ज़िम्मेदार हैं? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved