Opinion Magazine
Number of visits: 9446691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ ઓછું ને ‘શિક્ષા’ વધારે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 May 2023

રવીન્દ્ર પારેખ

ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે એવું સરકાર સિવાય પ્રજા તો માને જ છે, પણ શિક્ષણ ખાતું એ સ્વીકારવા તૈયાર નથી, તે એટલે કે તેને છાશવારે અખતરાની એવી ટેવ પડી છે કે તે શિક્ષક, વાલી કે વિદ્યાર્થીઓની કોઈ વાત કાને ધરવા રાજી નથી. વિદ્યાર્થીઓ ઢગલો માર્કસ લાવે છે, પણ તેનામાં આંકડા સિવાય બીજું કોઈ મહત્ત્વ વસતું નથી. વાલીઓ ફી, ચોપડાં ને ગણવેશમાં જ એવા ખપી જાય છે કે શિક્ષણનું કોઈ મૂલ્ય તેને હૈયે ભાગ્યે જ વસે છે. શિક્ષકો, પ્રવાસી કે વિદ્યા કે શિક્ષા સહાયકોનાં કોષ્ટકમાં એવા અટવાય છે કે નિયમિત શિક્ષકોને વિકલ્પે કામચલાઉ નિમણૂક ને ઓછા પગારમાં જ તે પોતાનું ગુજરાન ચલાવવા લાચાર છે. બીજું, એક ચિત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંદર્ભે પરીક્ષાનું એવું ઉપસે છે, જેમાં ભણવાનું ઓછું ને પરીક્ષાઓ જ વધુ થતી રહે છે. આખા રાજ્યમાં લગભગ રોજ કોઈ નહીં ને કોઇની પરીક્ષા ચાલ્યા જ કરે છે. પરીક્ષા એટલે જ ભણવું – એવી નવી વ્યાખ્યા હવે શિક્ષણની થઈ ગઈ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા પતે છે કે શિક્ષકોની, ક્લાર્કની, તલાટીની પરીક્ષાની ઋતુ ભયંકર તાપ વચ્ચે પણ ચાલ્યા કરે છે. ગુજરાતમાં પરીક્ષા બારમાસી મોસમ છે. એક સમય હતો કે ઉનાળામાં વેકેશનની મજા બધાં જ માણતાં, પણ હવે ઘરમાં કયાં તો બાળકની કે વાલીની પરીક્ષાઓ વેકેશનની પથારી ફેરવ્યા વગર ભાગ્યે જ રહે છે. વેકેશનમાં વિદ્યાર્થી કે શિક્ષક બંને પરીક્ષા આપતાં હોય તો તેની બહુ નવાઈ હવે નથી. તે ઓછું હોય તેમ ટાટ-ટેટની પરીક્ષાઓ સંદર્ભે સરકારે નવા ફતવા બહાર પાડયા છે. શિક્ષક બનવા માટે TATની પરીક્ષાઓ જૂન, 2023માં લેવાનાર છે. પ્રિલિમિનરી ને મુખ્ય એમ બે પરીક્ષાઓ ટેટ-ટાટને નામે લેવાવાની છે. છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન થાય તો 18 જૂને મુખ્ય પરીક્ષા લેવાની વાત છે. પરીક્ષાને તો હજી વાર છે, પણ તે પહેલાં એવું જાહેર કરી દેવાયું છે કે જૂન, 2023 પહેલાંની ટેટ-ટાટની પરીક્ષા જેમણે પાસ કરી હશે તે શિક્ષકોની ભરતી માટે માન્ય ગણાશે નહીં.

એક વાત સ્પષ્ટ છે કે 2019ની પરીક્ષા પાસ કરનાર એમના કોઈ વાંક-ગુના વગર દંડાઈ રહ્યા છે. એમણે જ્યારે પરીક્ષા પાસ કરી ત્યારે નવી શિક્ષા નીતિની વાત ન હતી. એ આવી 2020માં. એ વખતે પણ એવી કોઈ જાહેરાત ન હતી કે 2019ના ટાટ-ટેટ પાસ, નવી શિક્ષા નીતિ મુજબ શિક્ષકની ભરતી માટે માન્ય ગણાશે નહીં. વારુ, જે 2019ની પરીક્ષા પાસ કરીને ક્યાંક નોકરીએ પણ લાગ્યા હશે તો એમનું શું થશે? એ નવી શિક્ષા નીતિ મુજબ તો પાસ થયા નથી, તો એમની નિમણૂક રદ્દ થશે? આ મામલે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીઓને રજૂઆત પણ કરી કે 2019માં ટાટ પાસ થયા હોય તેમનું પરિણામ 5 વર્ષ સુધી માન્ય ગણવું જોઈએ, પણ સરકાર આ મામલે મગનું નામ મરી પાડતી નથી ને નવી શિક્ષણ નીતિ લાગુ કરવાના લોભમાં ઉમેદવારોને અન્યાય કરે એવા પૂરતા સંજોગો છે. સરકાર સ્પષ્ટપણે માને છે કે જૂન, 2023માં લેવાનાર પરીક્ષા નવી શિક્ષા નીતિ સંદર્ભે હશે ને 2019ની પરીક્ષા જૂની પદ્ધતિ મુજબની છે એટલે એ તો રદ્દ થવાને પાત્ર જ છે. સરકારનો મુદ્દો એ પણ છે કે TATની પરીક્ષા નવા ફેરફાર મુજબ દ્વિસ્તરીય હશે, જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની હશે ને બીજી વર્ણનાત્મક પ્રશ્નોની હશે. સરકારનો દાવો છે કે શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જો કે, વૈકલ્પિક અને વર્ણનાત્મક પ્રશ્નો તો અન્ય પરીક્ષામાં પણ હોય છે, તો જે તે પરીક્ષા નવી શિક્ષા નીતિ મુજબની જ છે ને એમાં કઇ વિશિષ્ટતા હશે એ અંગેનો કોઈ ખુલાસો સરકારે કર્યો હોવાનું જાણમાં નથી અથવા જે પરીક્ષા 2023માં લેવાશે તે નવી શિક્ષા નીતિ મુજબની જ હશે એવું કોઈ સૂચન જૂન, 2023ની લેવાનાર પરીક્ષામાંથી મળતું નથી. મુદ્દો એ છે કે શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા ફેરફાર કરવામાં આવ્યો છે, પણ વૈકલ્પિક ને વર્ણનાત્મક પરીક્ષાઓથી શિક્ષકોની ગુણવત્તામાં કઇ રીતે વધારો થશે અને એ નવી શિક્ષા નીતિ પ્રમાણે કઇ રીતે હશે એવી કશી સ્પષ્ટતા સરકારે કરી નથી. રહી વાત 2019ની પરીક્ષાની, તો તે ગુણવત્તા વધારવા માટે ન હતી એમ માનવાનું છે?

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે 2023 માટે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ-TATનુ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે સરકારની શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છે છે તેમને માટે એ ફરજિયાત છે. અહીં સવાલ એ થાય કે શિક્ષક થવા બી.એડ્ કે એમ.એડ્ કે પીએચ.ડી. જેવી પરીક્ષાઓ અનિવાર્ય ગણી હોય પછી પણ ટેટની પરીક્ષા ફરજિયાતપણે પાસ કરવાનું કેટલી હદે વાજબી છે? જો આ પરીક્ષા બી.એડ્.‌ કે એમ.એડ્‌.ને વિકલ્પે હોય તો તે સમજી શકાય, પણ આ પરીક્ષાઓ ઉપરાંત ટેટ પાસ કરવાનું ફરજિયાત હોય તો તે જુલમ ને લૂંટથી વિશેષ કઈં નથી. નોકરીની કશી પણ ખાતરી આપ્યા વગર ઉમેદવારને શિક્ષક તરીકેની એકાધિક પરીક્ષામાં સતત સંડોવી રાખીને શિક્ષણની કેવીક ગુણવત્તા સરકાર સુધારવા માંગે છે તે અકળ છે. વળી 2019ની પરીક્ષા પાસ કરી હોય છતાં નવી શિક્ષા નીતિને નામે એ પરીક્ષા રદ્દ ગણવામાં આવે ને પાસ થવા છતાં જૂન, 2023ની પરીક્ષા પાસ કરવાની રહે જ તે વાત પાસ થનારને સરાસર અન્યાય કરનારી છે. નવી શિક્ષણ નીતિ તો 2020માં જાહેર થઈ, એ પહેલાં 2019ની TATની પરીક્ષા પાસ કરનાર માધ્યમિક શિક્ષકની નોકરી માટે લાયક ન ગણાય ને 2023ની નવી શિક્ષણનીતિ મુજબની પરીક્ષા પાસ કરવાનું જ ફરજિયાત બનતું હોય તો બી.એડ્‌.ની ડિગ્રી પણ રદ્દ ગણવી જોઈએ, કારણ એ પણ જૂની શિક્ષણ નીતિ મુજબ જ મેળવાયેલ છે. આ જો ન થઈ શકતું હોય તો 2019ના પાસ થનારને પણ માન્ય ગણવા જ જોઈએ. બહુ થાય તો નવી શિક્ષા નીતિ મુજબની ટ્રેનિંગ આપી શકાય, વર્કશોપ્સ થઈ શકે, પણ પાસ થનારને ફરી એ જ પરીક્ષામાં જોતરવાનું કોઈ પણ રીતે ક્ષમ્ય નથી.

સરકારને પક્ષે સૌથી મોટી ખોટ દાનતની છે. ગમે તેવી ઉત્તમ શિક્ષણ નીતિની સરકાર પોતે જ ઘોર ખોદી શકે. એ બાબતે સરકાર પૂરતી સ્વાવલંબી છે. 2020માં જાહેર થયેલી શિક્ષણ નીતિની સરકાર જ ભૂરી ભૂરી પ્રશંસા કરતાં થાકતી નથી. એક વખત માની પણ લઇએ કે શિક્ષણ નીતિ ઉત્તમ છે, પણ સૌથી મોટો પ્રશ્ન તેને લાગુ કરવા અંગેની વફાદારીનો છે. શિક્ષણ નીતિનું મોંઘાં કાપડ જેવું છે. કપડું સોનાના તારનું જ કેમ ન હોય, પણ તેમાંથી જે વસ્ત્ર સીવવાનું છે ને જેને માટે તે સીવવાનું છે, તે સીવનાર અધૂરો કે અણઘડ રખાય તો પેલું કાપડ કીમતી હોવાનો કોઈ અર્થ રહેશે? અથવા કોઈ દરજી અનેક કસોટીઓમાંથી પાર પડ્યો હોય, અવ્વલ દરજ્જાનો કારીગર હોય, પણ તેની પરીક્ષાઓ જ લેવાયા કરે ને તેને સીવવાની તક જ ન અપાય તો પણ પેલાં કાપડનો કોઈ અર્થ રહેતો નથી. નવી શિક્ષણ નીતિનું કીમતી કાપડ જેવું છે. તેને સીવનાર દરજી તે શિક્ષક છે, જેને જુદી જુદી પરીક્ષાઓમાં જ એવી રીતે જોતરી રખાય છે કે બધી પાત્રતા છતાં,  તે નોકરીને લાયક બને જ નહીં. તેની પાત્રતા છતાં તેને યોગ્ય સ્થાન મળે જ નહીં એની સરકાર જ પૂરતી કાળજી રાખે છે. નવી શિક્ષણ નીતિ લાગુ કરવાની હોય ને પૂરતી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક થતી જ ન હોય ને પ્રવાસી શિક્ષકો કે વિદ્યા સહાયકોથી જ ચલાવાતું હોય, તો શિક્ષણ નીતિ ગમે એટલી ઉત્તમ હોય તો પણ શિક્ષણ અસરકારક બનવાથી દૂર જ રહે તે એટલીસ્ટ સરકારને ભણાવવાનું હોય નહીં, કારણ એ આ વાત સૌથી સારી રીતે જાણે-સમજે છે.

બીજી મહત્ત્વની વાત એ કે આ ટેટ-ટાટનો આખો મામલો ખાનગી સ્કૂલોને લાગુ પડતો નથી. સાચું તો એ છે કે સરકારી નોકરીઓ પૂરતો જ ટેટ-ટાટનો મહિમા છે, તો સવાલ એ થાય કે ખાનગીમાં ટેટ-ટાટ વગર જો નવી શિક્ષણ નીતિ લાગુ થઈ શકતી હોય ને ત્યાં તે સફળ રહેતી હોય તો સરકારી સ્કૂલોની નોકરી માટે ટેટ-ટાટનું બર્ડન વધારવાનો કોઈ અર્થ ખરો? જો આ પરીક્ષાઓ વગર પણ, ખાનગીમાં નવી શિક્ષણ નીતિ સફળ રહેવાની ખાતરી તેનાં સંચાલકોને હોય તો સરકારને ટેટ-ટાટ વગર નવી શિક્ષણ નીતિ સફળ થવા અંગેની દહેશત કેમ છે? કે ખાનગીમાં નવી શિક્ષણ નીતિ નિષ્ફળ રહે એનો સરકારને વાંધો નથી? કે ખાનગી સ્કૂલોની પરીક્ષાઓ જોડે સરકારને કોઈ લેવા દેવા નથી? કે સરકાર, ગુજરાતનું શિક્ષણ બોર્ડ ખાનગીથી દૂર રાખવાની છે? ટૂંકમાં, જો ખાનગી સ્કૂલોને ટેટ-ટાટની પરીક્ષા વગર નવી શિક્ષણ નીતિ લાગુ થઈ શકવાની હોય તો સરકારની એ જ શિક્ષણ નીતિ ટેટ-ટાટ વગર લાગુ કરવામાં શું નુકસાન છે તેની કોઈ સ્પષ્ટતા સરકારે નથી કરી. કરવી જોઈએ. અસ્તુ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 મે 2023

Loading

15 May 2023 Vipool Kalyani
← કર્ણાટક: નફરતના બજારમાં મહોબ્બતની જીત
માઈન્ડ ટ્રેપ્સ : ઊલઝનેં અપની બનાના, આપ હી ફંસના →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved