Opinion Magazine
Number of visits: 9449677
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—188

દીપક મહેતા|Opinion - Opinion|18 March 2023

મુંબઈમાં અમદાવાદ સ્ટ્રીટ હતી, 

અમદાવાદમાં મુંબઈ પોળ હતી?     

શેકસપિયરે ભલે કહ્યું હોય કે નામમાં તે શું બળ્યું છે? ગુલાબને ગુલાબ કહો કે બીજા કોઈ નામે ઓળખાવો, શો ફરક પડે છે? તેમના જમાનામાં ગ્રેટ બ્રિટનમાં રસ્તાઓને નામ આપવાનો ચાલ હતો કે નહિ એ તો રામ જાણે પણ આજે તો તમે જ્યાં જવાનું હોય તે રસ્તાને બદલે કોઈ ભળતું જ નામ કહો તો તમે પેલા ગીતની પંક્તિ ગણગણતા થઈ જાવ :

‘રાત-દિવસનો રસ્તો વ્હાલમ, નહિ તો ખૂટે કેમ?

તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.

આજ-કાલ સાંભળવા મળે છે કે આજે દુનિયામાં જે છે તે બધું જ પ્રાચીન ભારતમાં હતું, અને આજના કરતાં વધુ સારું અને સસ્તું હતું. એટલે એ જમાનામાં પણ શહેરના રસ્તા, ગલી, ચોક, વગેરેને નામ આપવાનો રિવાજ પણ હશે. અને એ નામો સોનાના પતરા પર લખીને લટકાવતા હશે. પણ તેનો એકે અવશેષ બચ્યો હોય તેમ લાગતું નથી – સંસ્થાનવાદીઓને પ્રતાપે. આપણા આ મુંબઈ શહેરની જ વાત કરીએ તો જ્યારે સાત ટાપુ જુદા જુદા હતા ત્યારે રસ્તાને નામ અપાતાં? પોર્ટુગીઝ શાસકોએ રસ્તાને નામ આપ્યાં હોય એમ લાગતું નથી, અથવા એ અંગેની માહિતી સચવાઈ નથી.

પશ્ચિમમાં તો રસ્તાઓના નામનું આખું શાસ્ત્ર છે. રસ્તાના નામને ‘હોડોનિમ’ કહે છે. ગ્રીક ભાષામાં ‘હોડો’ એટલે રસ્તો અને ‘ઓનોમા’ એટલે નામ. અને તેના શાસ્ત્રનું નામ છે ટોપોનાઈમિક્સ. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી કહે છે કે ‘ટોપોનાયમી’ શબ્દ ૧૮૭૬માં પહેલી વાર વપરાયો હતો. ત્યારથી ‘રોડ નેમ્સ’ જેવો સીધો સાદો શબ્દ વાપરવાને બદલે અભ્યાસીઓ ‘ટોપોનાયમી’ શબ્દ વાપરે છે. પણ આપણે તો ભાઈ, ‘રસ્તાનાં નામ’ એવો સીધો સાદો શબ્દ જ વાપરવાના. આપણે વળી ક્યાં પંડિત છીએ? અને થવું ય નથી પંડિત. કારણ કબીરસાહેબ કહી ગયા છે તેમ पोथी पढ़ि पढ़ि जग मुआ, पंडित भया न कोय. એટલે આપણે માટે તો મુંબઈ માટેના ‘ઢાઈ અક્ષર પ્રેમ કા’ જ પૂરતા છે.

કેટલાંક શહેરો રસ્તાને નામ આપવામાં માનતાં જ નથી. તેને બદલે તેઓ બારાખડી અને આંકડાનો (કે બંનેનો) ઉપયોગ કરે છે. આપણે ત્યાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને બે રાજ્યોનું પાટનગર ચંડીગઢ આના દાખલા છે. પણ આવાં શહેરો રાજકારણીઓ માટે વસૂકી ગયેલી ગાય જેવાં હોય છે. કારણ ત્યાં વખતોવખત નામ બદલતા રહેવાની રમત તેઓ રમી શકતા નથી. આપણે ત્યાં નવા જન્મેલા બાળકનું નામ જન્મરાશી પ્રમાણે પાડવાનો ચાલ છે. જો કે હવે તે લગભગ ઘસાઈ ગયો છે. પણ રસ્તાનું નામ રાશી પરથી પાડવાનો ચાલ ક્યારે ય હોય એવું જાણ્યું નથી.

રસ્તાને નામ આપવા માટે સૌથી પહેલાં નજરે ચડે ભૌગોલિક કે કુદરતી લાક્ષણિકતા. જેમ કે વડાળા, ફણસ વાડી, તાડ વાડી, ખેત વાડી, મલબાર હિલ, વગેરે નામો હજી આજે ય લોકજીભે સચવાઈ રહ્યાં છે. આજે નથી જોવા મળતા ધોબી, કે નથી ત્યાં તળાવ. પણ ટેક્સીવાળાને ‘ધોબી તળાવ’ કહેશો તો તરત લઈ જશે. તેને બદલે ‘પરમ ક્રાંતિવીર વાસુદેવ બળવંત ચોક’ કહેશો તો પૂછશે : ‘આ જગ્યા મુંબઈમાં આવી છે?’

મુંબઈના રસ્તાઓને પહેલી વાર નામ અંગ્રેજોએ આપ્યાં. પોર્ટુગીઝ શાસન દરમ્યાન મુંબઈમાં રસ્તાઓને નામ અપાયાં હોય એવું જાણવા મળતું નથી. જો કે એ વખતે જેને નામ આપી શકાય એવા રસ્તા જ કદાચ મુંબઈમાં નહોતા. સાતે ટાપુ એકબીજાથી અલગ હતા એટલે હોડી કે વહાણ જ વાપરવાં પડતાં હોય. અંગ્રેજોએ જ્યારે મુંબઈના રસ્તાઓને નામ આપવાનું શરૂ કર્યું હશે ત્યારે તેમણે ફક્ત અંગ્રેજ અધિકારીઓ, ગવર્નરો, વગેરેનાં નામ જ આપ્યાં એવું નથી. એક દાખલો : ક્રાફર્ડ માર્કેટ અને પાયધુની વચ્ચેનો રસ્તો. આજે એનું જે નામ છે તે જ ૧૯મી સદીમાં પણ હતું : અબ્દુલ રહેમાન સ્ટ્રીટ. પહેલાં મનાતું કે પીર અબ્દુલ રહેમાનના નામ પરથી આ રસ્તાનું નામ પડ્યું છે. આ પીરની દરગાહ કલ્યાણ નજીક આવેલી છે. અને મુંબઈમાં પણ ઘણા લોકો તેમનામાં શ્રદ્ધા ધરાવે છે. પછી કોઈએ કહ્યું કે ના, ના. આ નામ એ પીર પરથી નથી પડ્યું. એ તો પડ્યું છે અબ્દુલ રહેમાન નામના ઘોડાના એક મોટા વેપારીના નામ પરથી. ૧૯મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ ઘણા જાણીતા હતા. પણ પછી એક સંશોધકે શોધી કાઢ્યું કે અઢારમી સદીમાં અબ્દુર રહેમાન આ વિસ્તારના મોટા જમીનદાર હતા. અહીંની ઘણીખરી જમીન તેમની માલિકીની હતી. તેમના અવસાન પછી તેમની મોટા ભાગની જમીન સર જમશેદજી જીજીભાઈ, પહેલા બેરોનેટે ખરીદી લીધી. ત્યારથી આ રસ્તાનો એક ભાગ ‘બાટલીવાલા મહોલ્લા’ તરીકે ઓળખાવા લાગ્યો. કારણ સર જમશેદજીની મૂળ અટક હતી ‘બાટલીવાલા’. તો આ રસ્તાનો બીજો એક ભાગ મચ્છી બજાર કે ફીશ માર્કેટ તરીકે ઓળખાતો. બીજો એક હિસ્સો બંગડી બજાર કહેવાતો તો એક હિસ્સામાં રંગારીઓની વસ્તી વધુ હતી એટલે એ ગલ્લી રંગારી મહોલ્લા તરીકે જાણીતી થયેલી.

એ વખતે રસ્તાનાં નામ પારસીઓની અગિયારી પરથી પણ પડતાં. બોરા બજારથી મિન્ટ રોડ સુધીના રસ્તાનું નામ હતું અગિયારી લેન. એ રસ્તા પર આવેલી અગિયારીનું નામ માણેકજી શેઠ અગિયારી. માણેકજી નવરોજી શેઠે ૧૭૩૩માં એ અગિયારી બંધાવેલી. એ વરસના જૂન મહિનાની ૧૯મી તારીખે આ અગિયારી ‘પરઠાવવામાં’ આવી હતી. નવરોજી શેઠ એટલે નવરોજી હિલ તરીકે ઓળખાતી જગ્યાના માલિક. અસલ મકાનની જગ્યાએ ૧૮૯૧માં નવું મકાન બાંધવામાં આવ્યું. એ વરસના નવેમ્બરની પાંચમી તારીખે આ નવા મકાનનું ઉદ્ઘાટન થયું હતું.

કોળીઓની જેમ અગ્રી – કે અગરી – જાતિના લોકો મુંબઈના અસલ વતનીઓમાંના એક. તેમની વળી ત્રણ પેટા જાતિ. મીઠાના અગર પર મીઠું પકાવવાનું કામ કરનારા તે અસલ અગરી. તો બીજી જમાતના અગરીઓ ભાત કહેતાં ડાંગરની ખેતી કરે. તો ભાજી-પાલા અગરી શાકભાજી ઉગાડીને વેચવાનો ધંધો કરે. એમ મનાય છે કે આ અગરી જાતિના લોકોનાં સાત કુટુંબ ઈ.સ. ૧૨૯૪માં મુંબઈ આવીને વસ્યાં. આ અગરીઓ પરથી એક વિસ્તારનું નામ પડ્યું અગરીપાડા. આજ સુધી લોકજીભે આ નામ સચવાઈ રહ્યું છે. આ અગરીઓના પટેલ હતા હિરજી બાલાજી. એટલે કેટલાક અગરીપાડાને હિરજી બાલાજી પાડા તરીકે પણ ઓળખતા.

૧૯મી સદીમાં જ્યારે વાહનવ્યવહારનાં સાધનો ટાંચાં હતાં ત્યારે પણ ગુજરાત, બાકીના મહારાષ્ટ્ર, કોંકણ વગેરે વિસ્તારો સાથે મુંબઈ ધીકતો ધંધો કરતું, દરિયાઈ માર્ગે. મુંબઈની ગોદીનો તથા તેની આસપાસનો ઘણો વિસ્તાર પોર્ટ ટ્રસ્ટની માલિકીનો હતો. અને ધીકતા ધંધાને ધ્યાનમાં રાખીને પોર્ટ ટ્રસ્ટના સત્તાવાળાઓએ ઘણા રસ્તાનાં નામ અડોશ-પડોશનાં બંદરનાં રાખ્યાં હતાં. જેમ કે ઘોઘા સ્ટ્રીટ, મેંગલોર સ્ટ્રીટ, કારવાર સ્ટ્રીટ, ગોવા સ્ટ્રીટ વગેરે. તો બીજી એક માન્યતા એવી છે કે સાધારણ રીતે એક ગામથી મુંબઈ આવેલા લોકો એક જ વિસ્તારમાં સાથે રહેવાનું પસંદ કરતા. એટલે આવાં નામ. અમદાવાદ ભલે બંદર નથી, પણ પોર્ટ ટ્રસ્ટની મિલકત પરના એક રસ્તાનું નામ અમદાવાદ સ્ટ્રીટ હતું. અમદાવાદમાં ક્યારે ય મુંબઈ માર્ગ હતો કે નહિ એની ખબર નથી.

આપણા મોટા ગજાના સર્જક સુરેશ દલાલ પોતાની કાવ્યયાત્રાને ઘણી વાર ખત્તર ગલ્લીથી અત્તર ગલ્લીની યાત્રા તરીકે ઓળખાવતા. આ બંને નામો કાલ્પનિક નથી, સાચાં છે. જીવનનાં શરૂઆતનાં ઘણાં વરસ સુરેશભાઈએ ખત્તર ગલ્લીના એક મકાનમાં વીતાવેલાં. ઠાકુરદ્વાર રોડથી કાંદાવાડી સુધીની એક ગલ્લીનું નામ હતું ખત્તર ગલ્લી અથવા ખત્તરયાળી લેન. અને અત્તર ગલ્લી નામ પ્રાસ મેળવવા ખાતર ઉપજાવી કાઢેલું નથી. પરેલ રોડથી ભીંડી બજાર જતી એક ગલ્લીનું નામ અત્તર ગલ્લી હતું કારણ એ ગલ્લી પર અત્તરિયાની દુકાનો આવી હતી. આજે તો સુગંધનાં સરનામાં અનેક થઈ ગયાં છે. મોટી મોટી કંપનીઓ પરફ્યુમના ધંધામાં પડી છે. પણ એક જમાનામાં ‘એની સુગંધનો દરિયો’ માણવો હોય તો આ અત્તર ગલ્લી જવું પડે. ઘણીખરી દુકાનો મુસ્લિમ બિરાદરોની. કોઈ ઘરાક આવે એટલે બહુ નજાકતથી એક એક બાટલી ઊઘાડી અત્તરની સુવાસ ફેલાવે. તો ઘરાક નક્કી ખરીદવા આવ્યો છે, ટાઈમ પાસ કરવા નહિ, એવી ખાતરી થાય તો અત્તરમાં બોળેલાં બે-ત્રણ પૂમડાં પણ આપે. સાથોસાથ એની જીભ એ દરેક અત્તરનાં ગુણગાન ગાતી જાય. હા, આજે આપણી ગલ્લીના નામમાંથી ખત્તર અને અત્તર બંને ગાયબ થઈ ગયાં છે. મૂળ અરબી શબ્દ ‘ઈતર,’ તેને આપણે બનાવ્યો ‘અત્તર.’

અંગ્રેજ સૈનિકોની બૅરેક્સ

તો કોટ વિસ્તારની એક ગલ્લીનું નામ હતું બીફ લેન. આજે તો હવે સરકારે બીફ પર પ્રતિબંધ મૂકી દીધો છે, પણ ત્યારે ય હિંદુઓ તો ભાગ્યે જ એ ખાતા. પારસી બજારની પશ્ચિમે આવેલી બીફ સ્ટ્રીટના મુખ્ય ઘરાકો હતા બ્રિટિશ સૈનિકો. આ ગલ્લીથી થોડે દૂર સૈનિકો માટેની બેરેકસ આવેલી હતી. તેમની જરૂરિયાતો પૂરી પાડવા માટે આ વિસ્તારમાં કેટલીક દુકાનો હતી. એ દુકાનની સામે મિલિટરી સ્ટોર્સ લેન આવેલી હતી. પણ બીજી બધી દુકાનો કરતાં બીફની દુકાન અલગ રાખવાનું જરૂરી હતું. એટલે તે ગ્રેહામ્સ ઓફિસની બાજુમાં આવેલી હતી. તેની નજીકમાં પરણેલા સૈનિકો માટેની બેરેકસ હતી અને થોડે દૂર બીજા સૈનિકો માટેની બેરેકસ હતી. સૈનિકોને રોજીંદા ઉપયોગની વસ્તુઓ સહેલાઈથી મળી રહે એ હેતુથી સીધા-સામાનની બધી દુકાનો આ બેરેકસની નજીક રખાઈ હતી.

મુંબઈના રસ્તાઓનાં નામના રંગબેરંગી ઇતિહાસની બીજી થોડી વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

 (પ્રગટ થયું : “ગુજરાતી મિડ-ડે”; 18 માર્ચ 2023)

Loading

18 March 2023 Vipool Kalyani
← मेरी आवाज सुनो ! 
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved