Opinion Magazine
Number of visits: 9447102
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભોપાલ દુર્ઘટના નિવારી શકાઈ હોત …

સોનલ પરીખ|Opinion - Opinion|7 February 2023

સોનલ પરીખ

1984ની ત્રીજી ડિસેમ્બર. વહેલી સવારે પ્લાન્ટમાંથી મોટા ગડગડાટ સાથે ઝેરી ગેસના ગોટા છૂટ્યા ને નિંદ્રાધીન ભોપાલની પાંચ લાખની વસ્તી પર ફરી વળ્યા. થોડા કલાકોમાં તો શેરીઓમાં માણસો અને પશુપંખીઓના મૃતદેહો રઝળતા હતા. 3,800 લોકો તાત્કાલિક મૃત્યુ પામ્યા. હૉસ્પિટલો ઊભરાવા માંડી. શું થયું ને હવે શું થશે એનો અંદાજ કોઈને જ ન હતો …

વર્ષ 1984 ભારતના ઇતિહાસમાં ખાસ છે. એ વર્ષે સરકારે મંગલ પાંડેની ટિકિટ બહાર પાડી, એ જ વર્ષે રાકેશ શર્મા સોયુઝ ટી-20માં અવકાશયાત્રા પર ગયા, એ જ વર્ષે ઓપરેશન મેઘદૂત દ્વારા સિયાચીનનો મોટો ભાગ ભારતીય સૈન્યે કબજે કર્યો.

એ જ વર્ષે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. 1983ના ડિસેમ્બરમાં ભિંદરાવાલાએ પોતાના હથિયારબંધ સાથીઓ સાથે અમૃતસરના સુવર્ણમંદિરના અકાલ તખ્ત પર કબજો કર્યો. દિલ્હી સરકાર માટે આ સીધો પડકાર હતો. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ મોટો નિર્ણય લીધો, જૂન 1984માં બ્લુ સ્ટાર ઑપરેશન અંતર્ગત ભારતીય સૈન્યે અમૃતસરના સુવર્ણમંદિરમાં પ્રવેશ કર્યો અને અથડામણમાં 83 જવાનો સહિત 500 મૃત્યુ થયાં; એને પરિણામે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની એમના જ શીખ અંગરક્ષકો દ્વારા હત્યા થઈ, એને પગલે શીખ રમખાણો થયાં અને ભારતના રાજકારણની દશા અને દિશા બદલાઈ ગઈ. 

1984ની 31 ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. એ જ દિવસે રાજીવ ગાંધીને વડા પ્રધાન બનાવાયા. હજી તેઓ સ્થિર થાય – ન થાય ત્યાં મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ઔદ્યોગિક દુર્ઘટના બની. ત્યાંના યુનિયન કાર્બાઈડના પેસ્ટિસાઈડ પ્લાન્ટમાંથી ઝેરી ગેસનું મોટા પ્રમાણમાં ગળતર થયું. પાંચ લાખ લોકોના ફેફસાંમાં આ ઝેરી ગેસ ગયો. હજારો માણસો તાત્કાલિક મૃત્યુ પામ્યા, હજારો માણસો બીમારી અને અકાળ મૃત્યુનો ભોગ બન્યા. ઇતિહાસની આ સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાએ કરેલાં પ્રદૂષણના અંશો હજી પણ ભોપાલનાં પાણી અને ભૂમિમાં છે. 3 ડિસેમ્બરે આ દુર્ઘટનાને 38 વર્ષ થયાં, એ નિમિત્તે વાત કરીએ સહેલાઈથી નિવારી શકાઈ હોત એવી, ખૂબ વિનાશ વેરી ગયેલી એ દુર્ઘટનાની.

1917માં અમેરિકાના હ્યુસ્ટનમાં એક રાસાયણિક ઉત્પાદનો કરતી કંપની સ્થપાઈ, યુનિયન કાર્બાઈડ કૉર્પોરેશન. 1970ના દાયકામાં ભારત સરકારે વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આકર્ષાય એવી કેટલીક નીતિઓ બનાવી, જેના પરિણામે યુનિયન કાર્બાઈડે ભારતમાં પોતાનું યુનિટ ભોપાલમાં, ભૌગોલિક સ્થાન અને અવરજવરની સુગમતાને લીધે શરૂ કર્યું. અહીં એશિયાના દેશોમાં જેની માગ હતી એવાં ખેતી માટેનાં જંતુનાશક બનવાનાં હતાં. જોતજોતામાં યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડ(યુ.સી.આઈ.એલ.) ધમધમવા લાગી. શરૂઆતમાં રસાયણો બહારથી આવતાં અને જંતુનાશકો કંપની બનાવતી, પણ દોઢેક દાયકા પછી વિવિધ કરણોસર જંતુનાશકોનું બજાર નબળું પડ્યું. આર્થિક સંઘર્ષને પહોંચી વળવા કંપનીએ કાચો માલ, પ્રક્રિયા અને ઉત્પાદન એક જ જગ્યાએ કરવા માંડ્યું. સુરક્ષા અને પ્રદૂષણને લગતાં ધોરણો સાચવવા મુશ્કેલ બન્યાં. અનુભવી અને જાણકાર લોકોની જગ્યાએ સ્ટાફમાં ઓછા પગારમાં કામ કરતા નવા અને અકુશળ લોકોની સંખ્યા વધી. યુ.સી.આઈ.એલ. હવે ખતરનાક પ્રક્રિયાઓ કરતું પણ પૂરતી સુરક્ષાવ્યવસ્થા વિનાનું કારખાનું હતું.

2 ડિસેમ્બર 1984ની રાત્રે 11 વાગ્યે, ભોપાલ શહેર લગભગ ઊંઘમાં સરી ગયું હતું એ સમયે પ્લાન્ટના એક ઓપરેટરે મિથાઈલ આઈસોસાઈનેટ ગેસનું ગળતર થતું જોયું અને એ પણ નોંધ્યું કે સ્ટોરેજ ટેન્કમાં પ્રેશર વધી રહ્યું છે. આવું થાય ત્યારે જે સુરક્ષાસાધન ઉપયોગમાં લેવાનું હોય તે ત્રણ અઠવાડિયાથી બંધ હતું. દરમિયાન એક તૂટેલા પાઈપમાંથી 1 ટન પાણી 40 ટન મિથાઈલ આઈસોસાઈનેટ સાથે ભળી ગયું જેને લીધે સ્ટોરેજ ટેન્કને ઠંડુ રાખતા રેફ્રિજરેશન યુનિટનું 30 ટન રસાયણ નકામું થઈ ગયું. પ્રેશર, ગરમી અને એને લીધે એક્ઝોથર્મિક રિએક્શન ઝડપથી વધ્યાં. આવા અકસ્માતો માટે ઔદ્યોગિક એકમોમાં ફ્લેર ગેસ સેફટી સિસ્ટમ હોય – અહીં પણ હતી, પણ ત્રણચાર મહિનાથી બંધ હતી.

અને ત્રણ ડિસેમ્બરની વહેલી સવારે એક વાગ્યે પ્લાન્ટમાંથી મોટા ગડગડાટ સાથે ઝેરી ગેસના ગોટા છૂટ્યા ને ભોપાલ પર ફરી વળ્યા. થોડા કલાકોમાં તો શેરીઓ માણસો અને પશુપંખીઓના મૃતદેહોથી છવાઈ ગઈ. 3,800 લોકો તાત્કાલિક મૃત્યુ પામ્યા. બળતી આંખો અને રુંધાતા શ્વાસની ફરિયાદ લઈ આવતા લોકોથી હૉસ્પિટલો ઊભરાવા માંડી. શું થયું છે ને હવે શું થશે એનો કોઈને અંદાજ ન હતો.

મૃત્યુઆંક વધતો ગયો. તપાસો થઈ. શરૂઆતમાં તો અમેરિકન કંપનીએ ‘પ્લાન્ટ ભારતનો છે’ કહી હાથ ખંખેરી નાખ્યા, અહીંના સત્તાવાળાઓએ ‘શીખ આતંકવાદીઓ’ પર દોષ ઢોળવાની કોશિશ કરી, ઝેરી વાયુઓના પુરાવા લોકોનાં ફેફસાંમાં ને લોહીમાં ભળ્યાના પુરાવાઓને પણ નકાર્યા. આટલું ઓછું હોય એમ દુર્ઘટના પછી કારખાનાની પૂરતી સફાઈ પણ ન થઈ. ઝેરી તત્ત્વો હવા, પાણી અને જમીનમાં ભળતાં રહ્યાં.

યુનિયન કાર્બાઈડ કંપનીના સી.ઈ.ઓ. અને ચેરમેન વૉરેન એન્ડરસનની ધરપકડ થઈ હતી, પણ થોડા જ કલાકમાં એને જામીન મળી ગયા. પીડિતો અદાલતના ચક્કર કાપતા રહ્યા. લાંબી કાનૂની લડાઇ પછી  સુપ્રિમ કૉર્ટમાં 15,000થી વધારે મૃત્યુ થયાં હોવાનું સ્વીકારાયું. કંપનીએ 470 મિલિયન યુ.એસ. ડૉલર આપ્યા જે થયેલા નુકસાનના પ્રમાણમાં ઘણા ઓછા હતા.

ભોપાલ દુર્ઘટના ત્રીજા વિશ્વના દેશોમાં અપૂરતી સુરક્ષાવ્યવસ્થાવાળા અને આડેધડ થઈ રહેલા  ઔદ્યોગીકરણ સામે લાલબત્તી ધરે છે. આર્થિક પ્રગતિ માટે મથતા વિકાસશીલ દેશોએ મલ્ટિનેશનલ કૉર્પોરેશનના બેવડાં ધોરણોથી ચેતવું અને સુરક્ષાનાં આંતરરાષ્ટ્રીય ધોરણો ગમે તેટલાં સારાં હોય, તેનું બરાબર વ્યવસ્થાપન-અમલીકરણ ન થાય તો નકામા છે એ સમજવું જરૂરી છે.

એ ગાળામાં ભોપાલનું જાહેર આરોગ્ય માળખું નબળું હતું. ખરું જોતાં ઝેરી રસાયણોની ઈન્ડસ્ટ્રી બાજુમાં હોય ત્યારે આરોગ્ય-માળખું મજબૂત અને મોટા અકસ્માતને પહોંચી વળવા સક્ષમ હોવું જોઈએ. એને બદલે પહેલેથી પાણી પ્રદૂષિત આવતું, વપરાયેલા પાણી કે કચરાના નિકાલની વ્યવસ્થા અપૂરતી હતી, ચાર મોટી હોસ્પિટલો હતી પણ ડૉક્ટરો પૂરતા ન હતા. આવી જગ્યાએ કેમિકલ ઈન્ડસ્ટ્રી બનાવવી ન જોઈએ.

આ ઘટના પછી 1986માં પર્યાવરણ-સંરક્ષણ કાયદો પસાર થયો અને દરેક ઉદ્યોગમાં એનો અમલ ફરજિયાત બન્યો. છતાં આરોગ્ય, જંગલો, વન્યજીવન અને પર્યાવરણ જોખમાતાં જ રહ્યાં છે. નીતિઓ અને પ્રતિબદ્ધતા અપૂરતાં પડી જાય છે. ઉદ્યોગો વધતા જાય છે, કુદરતી સ્રોતોનું ધોવાણ થયા કરે છે, શહેરીકરણ અને ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. ઉદ્યોગોથી આર્થિક વિકાસ થાય અને જી.ડી.પી. વધે એ ખરું, પણ તેનાથી જાહેર આરોગ્ય અને પર્યાવરણ પરનું જોખમ પણ એટલું જ વધે છે. મોટા પ્રમાણમાં સ્થપાયેલા નાના ઉદ્યોગો તો સુરક્ષાનિયમો પાળતા જ નથી – યમુના નદીનું પ્રદૂષણ એની સાક્ષી પૂરે છે.

ભોપાલ દુર્ઘટના પછી બે જ વર્ષમાં રશિયામાં ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટમાં મોટો અકસ્માત થયો, હજારો મૃત્યુ અને મોટા પ્રમાણમાં પ્રદૂષણ થયું. એચ.બી.ઓ.એ એના પર સુંદર સિરિયલ બનાવી છે. ભોપાલ દુર્ઘટના પર પણ ફિલ્મ બની છે. 2001માં કોડાઈકેનાલની એક સ્કૂલ પાસે થર્મોમીટર બનાવતી એક કંપની, જોખમી ઔદ્યોગિક વેસ્ટ નાખતા પકડાઈ હતી. વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો થોકબંધ કચરો કોઈ તપાસ કે શુદ્ધિકરણ પ્રક્રિયાઓ વગર ભારતમાં મોકલાતો હતો. વિકાસશીલ દેશોના લોકો પ્રદૂષિત જમીનોમાં ઊગેલું ખાય છે, પ્રદૂષિત પાણી પીએ છે અને પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે. ભારતમાં દર વર્ષે 25,000થી વધારે લોકો આ કારણે મરે છે. 

કેટલાક બ્રિટિશ, અમેરિકન અને ભારતીય ઉદ્યોગપતિઓ ઉત્પાદન જેટલું જ મહત્ત્વ આરોગ્ય અને પર્યાવરણને આપતા થયા છે, પણ એમનું પ્રમાણ ઓછું છે. ભોપાલ દુર્ઘટના જેવા બનાવોની શક્યતાઓ આજે પણ ઓછી નથી. ‘ચેર્નોબિલ’ સિરિયલનું એક પાત્ર કહે છે, ‘ખરું જોખમ એ છે કે આપણે ખોટી બાબતોથી એટલા બધા ઘેરાયેલા છીએ કે સાચી સ્થિતિને ઓળખી શકતા નથી. ઈફ વી ડૉન્ટ ફાઈન્ડ આઉટ હાઉ ધિસ હેપન, ધીસ વિલ હેપન અગેઈન.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 04 ડિસેમ્બર 2022

Loading

7 February 2023 Vipool Kalyani
← કેળવણીમાં મેળવણી અને મેળવણીમાં કેળવણી !
વાર્તાકાર ધર્મેન્દ્ર ત્રિવેદીને અભિનંદન →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved