Opinion Magazine
Number of visits: 9449077
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટપાલટિકિટ એટલે નાનકડો દસ્તાવેજ, નાનકડો રાજદૂત

સોનલ પરીખ|Opinion - Opinion|5 February 2023

દરેક રાષ્ટ્રની ટપાલટિકિટ તે રાષ્ટ્રના લોકોનાં આસ્થા અને તત્ત્વદર્શન, આકાંક્ષાઓ અને આશાઓ, કલા અને ઇતિહાસ, મહાપુરુષો અને તેમના પ્રદાનનું પ્રતીક છે. આ નાનકડો, સુંદર કરકરિયાં અને અર્થપૂર્ણ ચિત્રથી શોભતો ચોરસ ટુકડો – મોકલનારે ટપાલખર્ચ ભોગવ્યો છે એની સાબિતી આપવા સાથે ઘર-ઘરમાં, શેરીઓમાં, નગરો, મહાનગરો અને દેશોમાં ભ્રમણ કરે છે અને દેશના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપે છે. 1947ની 21 નવેમ્બરે સ્વતંત્ર ભારતની પહેલી ટપાલટિકિટ બહાર પડી હતી …

આજે તો ટપાલ ટિકિટ પણ જાણે ઇતિહાસ બનવા જઈ રહી છે, પણ એનો એક રસપ્રદ ઇતિહાસ છે અને એ ઇતિહાસમાં 21 નવેમ્બરનો દિવસ મહત્ત્વનો છે કેમ કે એ દિવસે ભારતની પહેલી ટપાલટિકિટ બહાર પડી હતી. અનેક સ્મૃતિઓ તાજી થાય છે. એક વખત એવો હતો કે દરેક ઘરમાં એક ખાનું કે એક બૉક્સ પોસ્ટની ચીજો માટે રહેતું. એમાં પોસ્ટકાર્ડ, ઈનલૅન્ડ લેટર, એરોગ્રામ, પોસ્ટનાં કવર, સાદાં કવર, બેત્રણ મનીઑર્ડર ફૉર્મ, જેના જવાબ આપવાના બાકી હોય એવા પત્રો વગેરે રહેતું. આ પેટી ઘરના વડીલના કબજામાં રહેતી અને એમાંથી એકાદ પૉસ્ટકાર્ડ જોઈતું હોય તો તેઓ એવી કાળજીથી એ આપતા જાણે તિજોરીમાંથી કોઈ કીમતી રત્ન કાઢી આપતા હોય. મને તો સૌથી વધારે રસ ટિકિટોમાં પડતો. એની સાઈઝ, એનો સ્પર્શ, એના પરના ચિત્રો, એનાં કરકરિયાં – એના પર ટેરવાં ફેરવવાનું ખૂબ ગમતું. જો કે વડીલો ખિજાતા, ‘મૂકી દે. ડાઘા પડી જશે.’ દિવાળી આવે ત્યારે ઢગલાબંધ કાર્ડ અને એના પર લગાડવાની ટિકિટોનું પતાકડું મોટા થયેલા સંતાનને મળે ત્યારે એને જે મઝા પડતી! રેવન્યૂ સ્ટેમ્પનો દમામ વળી જુદો. અમૃતા પ્રીતમે પોતાની આત્મકથાનું નામ ‘રસીદી ટિકટ’ ભલે ખુશવંત સિંહના કહેવાથી આપ્યું પણ તેની પાછળ એક રોમાન્સ આવો પણ નહીં હોય?

આમ તો એક નાનકડો, સુંદર કરકરિયાં અને અર્થપૂર્ણ ચિત્રથી શોભતો ચોરસ ટુકડો – મોકલનારે ટપાલખર્ચ ભોગવ્યો છે એની સાબિતી. પણ એમાં વણાયેલાં હોય છે દેશનાં ઇતિહાસ, ભૂતકાળ, સંસ્કૃતિ, વિકાસયાત્રા, કલા અને વર્તમાન. આ નાનો કલાપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ ઘર-ઘરમાં, શેરીઓમાં, નગરો, મહાનગરો અને દેશોમાં ભ્રમણ કરે છે અને દેશના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપે છે. દરેક રાષ્ટ્રની ટપાલટિકિટ તે રાષ્ટ્રના લોકોનાં આસ્થા અને તત્ત્વદર્શન, આકાંક્ષાઓ અને આશાઓ, કલા અને ઇતિહાસ, મહાપુરુષો અને તેમના પ્રદાનનું પ્રતીક છે.

ટપાલસેવાના ત્રણથી પાંચ હજાર વર્ષ જૂના અને અત્યંત રસપ્રદ ઇતિહાસની વાત પછી ક્યારેક, આજે વાત કરીએ ટપાલટિકિટની. ટપાલટિકિટનો વપરાશ શરૂ થયો એ પહેલાં ટપાલખર્ચ પત્ર મોકલનાર અથવા જેને પત્ર મોકલ્યો હોય તેની પાસેથી વસૂલ થતું. આમાં ખૂબ ખોટ જતી કેમ કે મોકલનારે ખર્ચ ન આપ્યું હોય અને મેળવનાર પત્ર સ્વીકારે નહીં તો એને મોકલવાનો જે ખર્ચ થયો હોય તે પોસ્ટઑફિસ પર આવી પડે. સુધારાઓ થતા, છતાં ઘણા વખત સુધી કાર્યક્ષમ અને સસ્તી ટપાલસેવા જનતાને ઉપલબ્ધ થઈ નહીં. 

19મી સદીની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં ટિકિટ પદ્ધતિનો વિચાર થયો અને ઉત્તમ ટિકિટ કેવી હોવી જોઈએ એવી એક સ્પર્ધા થઈ. શરતો એ હતી કે ટિકિટ વાપરવામાં સગવડભરી, બનાવટ ન થઈ શકે એવી, તપાસ અને ચકાસણી સરળતાથી થઈ શકે એવી અને ખર્ચનો આંકડો બતાવતી હોવી જોઈએ. રોલેન્ડ હિલ દ્વારા તૈયાર કરાયેલી દુનિયાની પહેલી ટિકિટ 6 મે 1840ના દિવસે બહાર પડી. તેના પર રાણી વિકટોરિયાની તસવીર હતી. એની કિંમત એક પેની હતી અને એનો રંગ કાળો હતો એટલે તે ‘ધ પેની બ્લેક’ નામથી ઓળખાઈ. આ ટિકિટની કિનારી સીધી હતી અને તેની પાછળ ગુંદર પણ ન હતો. પછીના પંદર વર્ષમાં તો ઘણાખરા દેશો ટપાલટિકિટો વાપરતા થઈ ગયા હતા. 

ભારતમાં સિંધના કમિશનર બાર્ટલ ફ્રેરે 1852માં કાગળની ટિકિટો દાખલ કરી. ‘સિંધ ડાક્સ’ તરીકે ઓળખાતી આ ટિકિટ આખા એશિયામાં ચાલતી. ટિકિટ ખૂલતા લાલ રંગની હતી અને તેની વચ્ચે ઈસ્ટ ઇંડિયા કંપનીની નિશાની રૂપ પહોળું તીર અંકિત હતું. પાતળા કાગળ પર મીણથી આકૃતિ ઉપસાવવામાં આવી હતી. અડધા આનાના મૂલ્યની આ ટિકિટ અત્યારે મળતી નથી. 1854માં કેપ્ટન તુરીયે લિથોગ્રાફીથી બ્નાવેલી ટિકિટો વપરાવી શરૂ થઈ. વાદળી રંગની આ ટિકિટ અડધા આનાના મૂલ્યની, ક્વિન વિક્ટોરિયાના ચિત્રવાળી હતી. 1856થી 1926ના ગાળામાં થોમસ દલ રું એંડ કંપની ભારતની ટપાલટિકિટો છાપતી. જેમાં રાણી વિક્ટોરિયા પછી એડવર્ડ સાત અને જ્યૉર્જ પાંચમા અને છઠ્ઠાનું માથું જુદા જુદા રંગમાં દેખાતું. 1926માં નાસિકમાં ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસ ઊભું થયું અને ટપાલટિકિટો ત્યાં છપાવા લાગી. 

સ્વાતંત્ર્ય બાદ તરત જ ભારતે ત્રણ ટપાલટિકિટો છપાવી જેમાં અશોકસ્તંભ, રાષ્ટ્રધ્વજ અને એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનાં ચિત્રો હતાં. એનો વપરાશ 21 નવેમ્બરથી શરૂ થયો. એની કિંમત હતી સાડાત્રણ આના.

પછી તો ભારત સરકાર દ્વારા જીવન અને સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓને આલેખતી ટપાલટિકિટોની શ્રેણીઓ પ્રસારિત થઈ જેમાં આપણાં પ્રાણીઓ, ધર્મો, પંચવર્ષીય યોજનાઓ સાથે સંબંધિત વિષયો, સામાજિક અને શૈક્ષણિક વિષયો, ઐતિહાસિક બનાવો, સિદ્ધિઓ વગેરે ચિત્રિત કરવામાં આવ્યા છે. તેને વધારે આકર્ષક બનાવવાના પ્રયત્નો પણ થયા છે. ભારતીય મહોરો, ભારતીય લઘુચિત્રો, ભારતીય નૃત્યો વગેરે શ્રેણીમાં રંગોનો વધારે ઉપયોગ થયો છે.

વિશ્વના 195 દેશોમાંથી 175 દેશોએ ગાંધીજીના ચિત્રવાળી કુલ 300 પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. આટલું માન વિશ્વના કોઈ નેતાને મળ્યું નથી. ગાંધીજીની ટિકિટ બહાર પાડનારો પહેલો દેશ પોલેન્ડ હતો. ભારતે મહાત્મા ગાંધીની 80મા જન્મદિને એમના ચિત્રવાળી પહેલી ટપાલટિકિટ બહાર પાડી હતી. આજ સુધીમાં ગાંધીજીના ફોટાવાળી 50 ટિકિટો ભારતમાં બની છે. ગાંધીજીના શતાબ્દીવર્ષે 40 જેટલા દેશે એમની ટિકિટો બહાર પાડેલી. ભારતમાં છેલ્લી ગાંધી-ટપાલટિકિટ 2020માં ગાંધી સાર્ધશતાબ્દી નિમિત્તે બહાર પડી, જે પાંચ, દસ અને પંદર રૂપિયાની કિંમતની છે. 2017માં મહાત્મા ગાંધીની દસ રૂપિયાની એક દુર્લભ ટિકિટ 2 લાખ પ હજાર ડૉલર(ત્યારના 89 લાખ રૂપિયા)માં વેચાઈ હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ‘ભારત છોડો’ આંદોલન વખતે બ્રિટિશ સરકારે ગાંધીજીના ચિત્રવાળી અને બૉયકોટ બ્રિટિશ ગૂડ્સ આવું સ્લોગન છપેલી ટપાલટિકિટ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

ટપાલટિકિટ સંગ્રહનું પણ એક વિશ્વ છે. ટપાલટિકિટોના શાસ્ત્રીય અભ્યાસને અને હવે ટપાલટિકિટ સંગ્રહના શોખ/કલાને પણ ફિલાટેલી કહે છે. ટપાલ ટિકિટ સંગ્રાહકને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે. ફિલિપ ફેરારીને ફિલાટેલીના પ્રણેતા માનવામાં આવે છે. કહે છે કે ફિલિપ ફેરારીનો પોસ્ટેજ સ્ટેમ્પ્સનો સંગ્રહ બેનમૂન હતો. આજ સુધી તે સૌથી અનોખો સ્ટેમ્પ કલેકશન લેખાય છે. ફિલિપ ફેરારી(1850-1917)નો જન્મ ફ્રાંસમાં, પણ પાછળથી તેમણે ઓસ્ટ્રિયાનું નાગરિકત્વ અપનાવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ફિલિપને રાજકીય કિન્નાખોરીના ભોગ બનવું પડ્યું. એકથી બીજા દેશની રઝળપાટના અંતે 1917માં ફિલિપ ફેરારીનું સ્વિટ્ઝર્લેંડમાં અવસાન થયું.

ટિકિટસંગ્રહનો વિશ્વના સંગ્રહશોખોમાં સૌથી લોકપ્રિય અને વ્યાપક છે અને તેને ‘રાજાઓનો શોખ અને શોખનો રાજા’ કહે છે. એક બ્રિટિશ મહિલા સંગ્રાહકે પોતાના ડ્રૅસિંગ રૂમને શણગારવા માટે વપરાયેલી ટિકિટો મેળવવા 1841માં ‘ધ ટાઇમ્સ ઑફ લંડન’માં એક વિજ્ઞાપન છપાવેલું. ટિકિટસંગ્રહ કલા અને સંગ્રહનો એક વિશિષ્ટ શોખ ગણવામાં આવે છે. સંગ્રાહકો માટે ટપાલ કચેરીમાં ફિલાટેલિક બ્યૂરો અને તેનાં માહિતીપત્રક હોય છે. ભારતમાં પ્રથમ કૅટલૉગ જાલ કૂપર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

ભારતમાં 1892માં મુંબઈમાં ‘બૉમ્બે ફિલાટેલિક સોસાયટી’ની સ્થાપના કરવામાં આવી. તેના દ્વારા ‘ઇન્ડિયન ફિલાટેલિસ્ટ’ નામનું માસિક બહાર પાડવાનું ચાલુ થયું. તેના તંત્રી જુલિયો રિબેરો હતા. ગુજરાતમાં ‘ગુજરાત ફિલાટેલિક ઍસોસિયેશન’ અમદાવાદ ખાતે કાર્યરત છે જે નિરંજન ઝવેરી દ્વારા 1972માં સ્થાપવામાં આવેલ અત્યારે માણેક જૈનનું કૅટલૉગ ખૂબ જ પ્રચલિત છે. આવા સંગ્રહોનાં સ્થાનિકથી લઈ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં પ્રદર્શનો થાય છે.

અને અંતે, એક રસપ્રદ કિસ્સો – 2015માં માયા એન્જુલુને શ્રદ્ધાંજલિ આપતી એક ટપાલટિકિટ અમેરિકામાં બહાર પડી. પણ બહાર પડતાંની સાથે વિવાદનો વિષય બની ગઈ કેમ કે એમાં એના ફોટા સાથે આપેલું અવતરણ એનું ન હતું! ગોટાળા આપણે ત્યાં જ નહીં, બધે થાય છે!!

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 નવેમ્બર 2022

Loading

5 February 2023 Vipool Kalyani
← રાષ્ટૃપતિ સરકારની સલાહને અનુસરીને જજોની નિયુક્તિઓ કરતા હોય છે.
હિન્ડનબર્ગ રિપોર્ટ અને અદાણી જૂથઃ આર્થિક બાબતોનું પોલું સાંબેલુ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved