Opinion Magazine
Number of visits: 9448794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધી : સ્ત્રીઓના સાચા મિત્ર અને સાથી

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|9 November 2022

સ્ત્રી એ અહિંસાની સાક્ષાત્‌ પ્રતિમા છે. અહિંસાનો અર્થ જ નિરવધિ પ્રેમ અને એવો પ્રેમ એટલે કષ્ટસહનની અસીમ શક્તિ … એકબીજાનાં પીંછાં ખેંચતી અને અંતરની શાંતિને સારુ વલખતી આજની દુનિયાને શાંતિની કળા શીખવીને પ્રેમનું સુધામૃત પાવા પુસ્તકિયા જ્ઞાનની નહીં, કષ્ટસહન અને શ્રદ્ધામાંથી નીપજતા દૃઢ હૈયાની જરૂર છે, જે સ્ત્રી પાસે છે.

—    મહાત્મા ગાંધી 

‘સત્યને વળગી રહેવું અને નીતિના નિયમને સર્વોપરિ ગણવો, વચન પાળવું અને માથે લીધેલું કામ પાર પાડવું, સહિષ્ણુ-સમજદાર થવું, જુદો કે વિરોધી અભિપ્રાય ધરાવનાર સાથે સ્વસ્થપણે વર્તવું, દરજ્જા-સત્તા કે સંપત્તિનો ખ્યાલ કર્યા વગર સૌ પ્રત્યે સમાન સૌજન્ય દાખવવું, દીનહીનો સાથે તાદાત્મ્ય સાધવું અને સૌથી વિશેષ તો કોઈ ઉમદા હેતુ માટે મૃત્યુ વહોરી લેવું – આ બધાં જો આધુનિકતાનાં લક્ષણો હોય, તો ગાંધીજી આધુનિક હતા.’ આચાર્ય કૃપલાણીનાં આ વિધાનો ખૂબ જાણીતાં છે અને આજે પણ વિચાર કરતા કરી મૂકે એવાં અને તેટલાં જ પ્રેરક લાગે છે. ખૂબી એ છે કે વાચકનું ચિત્ત ગાંધીજી આધુનિક હતા કે નહીં એ પ્રશ્નનો ઉત્તર તો પામે છે, સાથે આધુનિકતાના સાચા અર્થ પર જાય છે અને પછી એ પોતે એમાં કેટલો બંધ બેસે છે એ વિમાસણ પર સ્થિર થાય છે. આમ થવાનું કારણ જેટલા મહાત્મા ગાંધી છે એટલા જ એમના વિચક્ષણ સાથી આચાર્ય કૃપલાણી પણ છે. ગાંધીજીને યોગ્ય રીતે જાણવા અને જણાવવા માટે પણ એક સ્તર જોઈએ.

આચાર્ય કૃપલાણીએ ‘ગાંધીજી અને સ્ત્રીઓ’ એવો પણ એક સુંદર લેખ લખ્યો છે. ગાંધીજી અને સ્ત્રીઓ વિશે ઘણું બધું લખાયું છે, લખાય છે જેમાં સ્ત્રીસશક્તીકરણથી માંડી સંબંધો અને બ્રહ્મચર્યના પ્રયોગો સુધીનું કંઈ કેટલું ય આવી જાય છે. એમાંનું ઘણું બહુ છીછરું, વાચાળ અને પૂર્વગ્રહયુક્ત પણ છે. વાચકોને પણ અટકવાની કે વિચારવાની ખાસ ફુરસદ હોતી નથી અને બધો પ્રવાહ ચાલ્યો જાય છે. આ સમયસંજોગોમાં જરા અટકવાનું મન થાય એવો આ લેખ છે, જેના થોડા અંશ આપણે અહીં જોઈશું.

પહેલું જ વાક્ય છે, ‘ગાંધીજી અહિંસામાં માનતા હોઈ જીવનના કોઈપણ ક્ષેત્રમાં અસમાનતાના વિરોધી હતા. તેઓ સ્ત્રીપુરુષ વચ્ચે ભેદ કરતા નહોતા.’ ગાંધીજી કહેતા કે ‘મનુના નામે ચડેલું વચન કે સ્ત્રીને સ્વાતંત્ર્ય ન હોય, અનુલ્લંઘનીય નથી (એટલે કે બ્રહ્મવાક્ય નથી). એ એટલું જ બતાવે છે કે એક સમય એવો આવ્યો જ્યારે સ્ત્રીના ઘણા બધા અધિકારો છીનવી લેવામાં આવ્યા અને તેને હલકે દરજ્જે ઉતારી પાડવામાં આવી.’

ગાંધીજીના વખતમાં બાળલગ્નની પ્રથા હતી અને એટલે બાળવિધવાના પ્રશ્નો પણ હતા. ગાંધીજી એવાં લગ્નોને શરૂઆતથી જ રદ્દબાતલ ગણતા, એટલે કે લગ્ન જ ગણતા નહીં એટલે બાળવિધવા એ ખરું જોતાં વિધવા જ નથી, એને કુંવારી માનીને જ ચાલવું જોઈએ એમ કહેતા. ‘આપણે ગોરક્ષા માટે બૂમો પાડીએ છીએ, પણ ગરીબ ગાય જેવી વિધવાની રક્ષા કરવાની ના પાડીએ છીએ. જેને લગ્નસંસ્કારની જ સમજ ન હોય એવી લાખો દીકરીઓ પર વૈધવ્યનો બોજો નાખીએ છીએ. આ પશુતા છે, અપરાધ છે.’ ‘પતિના પ્રેમનો અનુભવ કરી ચૂકેલી સ્ત્રી ઈચ્છાપૂર્વક વૈધવ્ય સ્વીકારે એ જીવનને માધુર્ય અને ગાંભીર્ય આપનારી વાત છે, પણ ધર્મ અથવા રુઢિથી બળજબરીથી લદાયેલું વૈધવ્ય પાપ છે.’

આવો જ વિરોધ એમને પડદાની પ્રથાનો હતો. એને લીધે સ્ત્રીઓ છૂટથી હરીફરી શકતી નથી એટલું જ નહીં, તેમની પ્રગતિ અને શક્તિ રુંધાય છે. કૃપલાણીજી કહે છે ‘મેં ગાંધીને પડદાની સરિયામ ઉપેક્ષા કરતા જોયા છે. તેઓ અંત:પુરમાં પોતાને લઈ જવાય તેવો આગ્રહ રાખતા. પડદો પાળતા મુસલમાન કુટુંબોમાં પણ તેઓ સ્ત્રીઓને મળવાનો આગ્રહ રાખતા અને એ બાબતમાં કોઈની ના સાંભળતા નહીં. સ્ત્રીઓ પણ તેમને બારણાની તડમાંથી જોવાને બદલે રૂબરૂ જેવા માગતી.’ આ સ્ત્રીઓને મળવાની ગાંધીજીને એટલા માટે જરૂર હતી કે તેઓ એમ ઈચ્છતા હતા કે પુરુષોની સાથે સ્ત્રીઓ પણ દેશના સ્વાતંત્ર્ય માટેની અહિંસક લડતમાં ભાગ લે અને એ લડતના જીવંત અંગરૂપ રચનાત્મક કાર્યને આગળ ધપાવે. સ્ત્રીઓને વિકટ પરિસ્થિતિમાં મોકલતા તેઓ અચકાતા નહીં. સ્ત્રી પોતાને અબળા માને તેવું તેઓ ઈચ્છતા નહીં.

ગાંધીજીએ ભારતની સ્ત્રીઓને આઝાદીની લડતમાં ભાગ લેવા આમંત્રી તેનું કારણ ફક્ત એ જ નહોતું કે તેઓ પુરુષોની સમાન હતી, પણ એનું કારણ એ પણ હતું કે તેમનામાં કેટલાક ગુણો એવા હતા કે જેને કારણે તેઓ અહિંસક યુદ્ધમાં પુરુષો કરતાં ચડિયાતી હતી. અહિંસક યુદ્ધમાં અપાર ધીરજ અને મૂંગે મોઢે સહન કરવાની શક્તિની જરૂર પડે છે. તેઓ કહેતા, ‘સ્ત્રી એ અહિંસાની સાક્ષાત્‌ પ્રતિમા છે. અહિંસાનો અર્થ જ નિરવધિ પ્રેમ અને એવો પ્રેમ એટલે કષ્ટસહનની અસીમ શક્તિ … એકબીજાનાં પીંછાં ખેંચતી અને અંતરની શાંતિને સારુ તલસતી આજની દુનિયાને શાંતિની કળા શીખવીને પ્રેમનું સુધામૃત પાવા પુરુષ જેવા પુસ્તકિયા જ્ઞાનની નહીં, કષ્ટસહન અને શ્રદ્ધામાંથી નીપજતા સ્ત્રીના દૃઢ હૈયાની જરૂર છે.’

ઘરની બેઠક સુધી આવતાં પણ વિચાર કરતી ત્યારની સ્ત્રીઓ જાહેર જીવનમાં અને પુરુષોના સંસર્ગમાં આવવું પડે એવી સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લેતી કેવી રીતે થઈ? એ શક્ય બન્યું એનું કારણ ગાંધીજીનું અણીશુદ્ધ પવિત્ર ચારિત્ર્ય હતું. લડતમાં ભાગ લેતી સ્ત્રીઓ સલામત છે એવી સૌને ખાતરી રહેતી.

ગાંધીજી માનતા કે સ્ત્રીનું સૌંદર્ય તેના ચારિત્ર્યમાં છે. ‘સ્ત્રીએ પોતાને પુરુષના ભોગનું સાધન માનવાનું છોડી દેવું જોઈએ. હું જો સ્ત્રી હોત તો સ્ત્રીને પોતાનું રમકડું માનનાર પુરુષ સામે જરૂર બંડ કરત. જો સ્ત્રીએ સમાન ભાગીદાર બનવું હોય તો તેણે પુરુષને ખાતર, પોતાના પતિને ખાતર સુદ્ધાં શણગાર સજવાની ના પાડવી જોઈએ. તમારે તમારી સુવાસ ફેલાવવી હોય તો તે સૌંદર્યપ્રસાધનોમાંથી નહીં, તમારાં હૃદયકુસુમમાંથી ફેલાવવી પડશે. અને તમારાં હૃદયકુસુમ વિકસશે ત્યારે તમે પુરુષનાં મન હરણ કરતી મટીને મનુષ્યમાત્રનાં મન હરણ કરશો. એ તમારો જન્મસિદ્ધ હક્ક છે.’

આધુનિક કાળમાં સ્ત્રીઓના ઉદ્ધાર માટે ગાંધીજી કરતાં વધારે કોઈએ કર્યું નથી. સ્વાતંત્ર્યની લડતને કારણે તેમને પોતાની ફરજો બજાવવાનું શક્ય બન્યું અને ફરજ બજાવવાને પરિણામે હક્ક પ્રાપ્ત થતા હોવાથી સ્વાતંત્ર્ય પછી ભારતની સ્ત્રીઓને રાષ્ટ્રના જીવનનાં બધાં ક્ષેત્રોમાં પુરુષોની સાથે સમાન તકો આપવામાં આવી. આ બાબતમાં પુરુષો તરફથી કદી વિરોધ થયો નથી. યુરોપની અને અન્ય દેશોની સ્ત્રીઓને પોતાના અધિકાર મેળવવા લડત આપવી પડી હતી, ભારતની સ્ત્રીઓની બાબતમાં એવું બન્યું નથી.

ગાંધીજી પહેલા પણ સ્ત્રીઓ માટે કામો થયાં હતાં, પણ એમાં સ્ત્રીઓ નબળી છે, એમને મદદની જરૂર છે ને આપણે એમનો ઉદ્ધાર કરવાનો છે એ પ્રકારનો ભાવ હતો. ગાંધીજીએ એ વાતનો છેદ જ ઉડાડી દીધો. એમણે સ્ત્રીઓને પોતાની ક્ષમતાઓ પ્રત્યે જાગૃત કરી અને એનાથી સ્ત્રીઓમાં ગજબનો આત્મવિશ્વાસ અને હિંમત આવ્યાં. એમણે કહ્યું કે ‘સ્ત્રી પુરુષની સાથી છે અને તેનામાં પુરુષ જેટલી જ બૌદ્ધિક ક્ષમતા છે’. સ્ત્રી અને પુરુષ બન્ને માટે આ એક નવો દૃષ્ટિકોણ હતો. તેનાથી સ્ત્રીપુરુષસંબંધનો એક નવો આયામ ખૂલ્યો. પણ ‘સ્ત્રીને અબળા ગણવી એ ભૂલ છે, અન્યાય છે. જો તાકાતનો અર્થ નૈતિક બળ એવો કરીએ તો સ્ત્રી પુરુષ કરતાં નિ:શંકપણે ચડિયાતી છે’, આ વિધાન તો સ્ત્રીને ગાંધીજીની પોતાની, તેઓ જ આપી શકે એવી દેન હતી, છે અને રહેશે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ઑક્ટોબર 2022

Loading

9 November 2022 Vipool Kalyani
← ગિરનાર પરિક્રમા ૨૦૨૨ (વિ. સં. ૨૦૭૯)
મફતિયું  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved