Opinion Magazine
Number of visits: 9446176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત જોડો યાત્રા: કાઁગ્રેસને તારશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 September 2022

એક મિનિટ માટે રાજકારણને બાજુએ રાખો અને માત્ર શારીરિક અને માનસિક શ્રમની જ વાત કરો, તો રાહુલ ગાંધીની “ભારત જોડો યાત્રા” એક અપ્રતિમ સાહસથી ઓછી નથી. 7મી સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ પદયાત્રા, 11 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થવાની છે અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થવાની છે. રાહુલ ગાંધી અને 100 યાત્રીઓ રોજે રોજ પગેથી ચાલીને 20થી 25 કિલોમીટરનું અંતર કાપશે અને આગામી પાંચ મહિનામાં યાત્રાનો 3,570 કિલોમીટરનો આખો રૂટ પૂરો કરશે. યાત્રા બે બેચમાં થશે : સવારે 7થી 10:30 અને સાંજે 3:30થી 6:30. અમુક યાત્રીઓ “અતિથિ યાત્રી” જોડાશે અને સાંજ પડે સૌના ઘરે જશે. રાહુલ સહિતના 250 યાત્રીઓ, ટ્રકો પર બનાવામાં આવેલાં 60 કન્ટેનરોમાં રાત વિતાવશે. કન્ટેનરોમાં એરકંડિશન સિવાયની બધી સુવિધા છે.

પણ “ભારત જોડો યાત્રા” શારીરિક વ્યાયામ નથી, એ એક રાજકીય કવાયત છે. કાઁગ્રેસના 52 વર્ષીય નેતા રાહુલ ગાંધીએ આ યાત્રા દ્વારા તેમના નિષ્ફળ નેતૃત્વ અને સતત પતનના માર્ગે જઈ રહેલી કાઁગ્રેસ પાર્ટીમાં જોર પુરવા માટે તેમની કારકિર્દીનો સૌથી મોટો જુગાર ખેલ્યો છે. રાહુલ તેમાં સફળ રહેશે? દેશમાં મતદારો છેલ્લા આઠ વર્ષથી ચૂંટણી દર ચૂંટણી જે રીતે કાઁગ્રેસને જાકારો આપી રહ્યા છે, તે જોતાં આગામી ચૂંટણીમાં કોઈ ચમત્કાર થવાની શક્યતા નહીંવત છે.

તેનું મુખ્ય કારણ સત્તા-વિરોધી લહેરનો અભાવ. નરેન્દ્ર મોદીની સરકારે અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે, છતાં આમ જનતામાં સરકાર વિરોધી ભાવના જોવા મળતી નથી. મોદીની “મજબૂત નેતા”ની છબી લોકોના માનસમાં એવી ઘર કરી ગઈ છે કે મતદારો તેમની કમજોરીને નજરઅંદાજ કરે છે. “મોદી જે કરે છે તે સારા માટે કરે છે” એવો એક વિશ્વાસ જનમાનસમાં છે તેનું કારણ એ છે કે લોકો એવું માનવા તૈયાર નથી કે મોદી અંગત સ્વાર્થ માટે કશું કરે છે. નિર્ણયો વિવાદાસ્પદ હોય તો પણ, છે તો લોકો માટે અથવા રાષ્ટ્ર માટે. આવી લોક ભાવના મોદીને સરસાઈ આપે છે અને વિરોધીઓ(કાઁગ્રેસ)ને નુકસાન કરાવે છે.

એનો અર્થ એવો પણ નથી કે લોકો પાસે સરકારની ટીકા કરવાનાં કારણો નથી. અર્થવ્યવસ્થા નબળી પડી છે અને દેશમાં કોમી સોહાર્દને જબરદસ્ત આઘાત લાગ્યો છે એ બે બાબતોથી બધા લોકો વાકેફ છે, પરંતુ નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ? તે પ્રશ્નનો કોઈ ઉત્તર ન હોવાથી મતદારો દરેક ચૂંટણીમાં મોદીના નામ પર ભા.જ.પ.ને સત્તા આપે છે. આ સ્થિતિ નવાઈની નથી. એક જમાનામાં કાઁગ્રેસના જ જવાહરલાલ નહેરુ (16 વર્ષ) અને ઇન્દિરા ગાંધી(બે તબક્કે 14 વર્ષ)ના શાસનમાં પણ વિરોધ પક્ષોની હાલત એટલી નબળી હતી કે તે વખતે પણ “ટિના” (ધેર ઈઝ નો ઓલ્ટરનેટિવ) ફેકટર પ્રચલિત થયું હતું.

જો કે કટોકટી કાળમાં સત્તા વિરોધી ભાવના મજબૂત હતી પણ ઇન્દિરા તેમની લોકપ્રિયતાના ભ્રમમાં રહ્યાં હતાં અને 1977માં વિપક્ષોના ગઠબંધન “જનતા પાર્ટી”એ તેમને ઘરે બેસાડી દીધાં હતાં. “ભારત જોડો યાત્રા”ના નામે રાહુલ ગાંધી મોદી સરકાર સામે જનજાગૃતિ પેદા કરવા માંગે છે. દેખીતી રીતે જ, યાત્રાનો હેતુ 2024ની લોકસભાની ચૂંટણી છે. કાઁગ્રેસ અત્યારે બે જ રાજ્યો (રાજસ્થાન અને છતીસગઢ)માં સત્તામાં છે અને જ્યાં પણ સ્થાનિક પાર્ટીઓ મજબૂત છે, ત્યાં તે ત્રીજા નંબરે છે. એ ઉપરાંત, પાર્ટીમાં ભયાનક આંતરિક ખટપટો ચાલે છે અને તેના અનેક અગ્રણી નેતાઓ પાર્ટી છોડી ગયા છે.

એટલે એવું કહેવામાં અતિશયોક્તિ નથી કે એક સમયે એક જમાનામાં 16 રાજ્યોમાં શાસન કરતી કાઁગ્રેસ પાર્ટીનો આ યાત્રા મારફતે તેની કેડરમાં ઉત્સાહ ભરવાનો, રાજ્યોમાં પાર્ટીને સક્રિય કરવાનો અને 2024 સુધીમાં ભા.જ.પ.ના વિકલ્પ તરીકે ઉભરવાનો છેલ્લો અને મોટો પ્રયાસ છે. આજની નવી પેઢી માટે પદયાત્રા કદાચ જોણું સાબિત થતી હશે, પરંતુ ભારતના ઇતિહાસમાં તેની નવાઈ નથી.

મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે જનજાગૃતિ ફેલાવા માટે 1930માં દાંડી યાત્રા કરી હતી. જનતા પાર્ટીની ખીચડી સરકારને ઉખાડી ફેંકીને પુન: સત્તામાં આવેલાં ઇન્દિરા ગાંધી 1983માં તેમની લોકપ્રિયતાની ચરમસીમાએ હતાં, ત્યારે જનતા પાર્ટીના વડા ચંદ્રશેખરે કન્યાકુમારીથી દિલ્હીના રાજઘાટ સુધી “ભારત યાત્રા” આદરી હતી. તેનાથી તેઓ ગરીબ અને પછાત વર્ગના હિરો બની ગયા હતા. બદ્દનસીબે, 31 ઓક્ટોબર 1984માં શિખ સુરક્ષા કર્મચારીઓએ ઇન્દિરાની હત્યા કરી નાખી અને ચંદ્રશેખરનું કર્યું કરાવ્યું ધૂળમાં મળી ગયું.

ભા.જ.પ. આજે રાહુલની પદયાત્રાની ભલે મજાક ઉડાવે, પણ ભારત પર તેના શાસનના મૂળમાં 1990ની સોમનાથથી અયોધ્યાની રથયાત્રા છે. ભા.જ.પ.ના તત્કાલીન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના નામે જનજાગૃતિ ફેલાવા આ યાત્રા કાઢી હતી (જેના સંચાલનમાં મોદી હતા). એમાં અડવાણી જનનાયક બની ગયા હતા અને ભા.જ.પ. કાઁગ્રસના મજબૂત વિકલ્પ તરીકે ઉભરી હતી.

રાહુલની “ભારત જોડો યાત્રા”નું નામ પણ પહેલીવાર નથી. અડવાણીએ જે વાવ્યું હતું, તેને પાણી સિંચવાના આશયથી, તેમના ઉત્તરાધિકારી મુરલી મનોહર જોશીએ 1991માં કન્યાકુમારીથી શ્રીનગર સુધીની “એકતા યાત્રા” આદરી હતી. એમાં પણ નરેન્દ્ર મોદી કર્તાહર્તા હતા. હાલ કેન્દ્રમાં મંત્રી અનુરાગ ઠાકુરે 2011માં કોલકત્તાથી શ્રીનગર સુધીની “એકતા યાત્રા” કાઢી હતી. 1990માં, સત્તા ગુમાવ્યા પછી રાજીવ ગાંધીએ પણ ટ્રેનમાં બેસીને “ભારત યાત્રા” કાઢી હતી. જો કે, એ યાત્રાનું ધાર્યું ફળ મળ્યું નહોતું.

“ભારત યાત્રાઓ”નો આ ટૂંકો ઇતિહાસ એક જ વાત સાબિત કરે છે કે લોકોને પોતાની સાથે જોડવા એ લોકતાંત્રિક રાજનીતિમાં કોઈ નેતા કે પાર્ટીનો પાયાનો હેતુ હોય છે. એટલે આવી યાત્રાઓ હંમેશાં આવકારદાયક જ હોય છે. કાઁગ્રેસે તેની યાત્રા માટે જે માર્ગ પસંદ કર્યો છે તેમાં લોકસભાની લગભગ 65 જેટલી બેઠકો પડે છે. આ સંખ્યા નાની નથી. તેનો લાભ ચૂંટણીમાં મળશે કે કેમ તે બીજો પ્રશ્ન છે, પરંતુ પૂરા ભારતને સમાવતી લોકસભાની 12 ટકા બેઠકો અને તેની આજુબાજુની અન્ય બેઠકો પર એ ચર્ચા તો જરૂર જગાવશે.

એટલા માટે, કાઁગ્રેસના બે પ્રમુખ ટીકાકારો આ યાત્રાની ઉપેક્ષા કરી શક્યા નથી. પહેલા છે ભા.જ.પ.ના બીજા નંબરના કદાવર નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ. દેખીતી રીતે જ, તેમણે તેનો વિરોધ જ કરવો પડે, પરંતુ તેમણે વિવિધ વર્ગના ભારતીયોને કાઁગ્રેસના સર્વધર્મ સમાન સિદ્ધાંત સાથે જોડવાના યાત્રાના બૃહદ્દ હેતુને અડક્યા વગર, કુનેહપૂર્વક રાહુલ ગાંધીને અંગત નિશાન બનાવ્યા છે.

બે દિવસ પહેલાં, રાજસ્થાનના જોધપુરમાં ભા.જ.પ.ના બૂથ-સ્તરના કાર્યકરોને સંબોધતાં અમિત શાહે રાહુલ ગાંધીના અગાઉના એક નિવેદનનો સહારો લઈને કહ્યું હતું, “હું રાહુલ બાબા અને કાઁગ્રેસીઓને સંસદમાં તેમના ભાષણને યાદ કરાવવા માગું છું. રાહુલ બાબાએ કહ્યું હતું કે ભારત એક રાષ્ટ્ર નથી. રાહુલ બાબા, તમે ક્યા પુસ્તકમાં આ વાંચી આવ્યા છો. આ રાષ્ટ્ર માટે લાખો લોકોએ તેમના જીવનનું બલિદાન આપ્યું છે. તમારે ઇતિહાસ ભણવાની જરૂર છે.” (રાહુલ ગાંધીએ બંધારણને ટાંકીને કહ્યું હતું કે ભારત રાષ્ટ્ર નથી, પણ રાજ્યોનો સંઘ છે).

બીજી, પ્રમાણમાં થોડી હળવી ટીકા ચૂંટણી વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોરની હતી. યાત્રાના માર્ગને લઈને તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “તેઓ જે યાત્રા કરી રહ્યા છે, તેની કેટલી અસર પડશે તે મને ખબર નથી. હું એટલું કહી શકું કે તેમની યાત્રાનો માર્ગ મોટા ભાગે એવા રાજ્યોમાંથી છે, જ્યાં કાઁગ્રેસ અને ભા.જ.પ.નો સીધો મુકાબલો નથી. તમે જો ભા.જ.પ.ની વિચારધારાના વિરોધમાં હો, તો ભા.જ.પ. શાસિત રાજ્યોમાંથી પણ પસાર થવું જોઈએ.”

પ્રશાંત કિશોરની સરખામણીમાં કર્મશીલ અને ચૂંટણી વિશ્લેષક યોગેન્દ્ર યાદવે આશાવાદી સુરે કહ્યું હતું કે, “તમે કાઁગ્રેસ અને રાહુલની તસવીરો ચારે તરફ જોશો, પણ એવી ભૂલ ના કરતાં કે આ યાત્રા એક પાર્ટી કે એક નેતાની નથી. ઘણાં જનઅંદોલનોમાંથી લોકો એમાં જોડાયા છે. આ ભારતીય ગણરાજ્યને પાછુ ઊભું કરવાનો પ્રયાસ છે. એ લોકો તોડે છે, અમે જોડીશું.” ઉલ્લેખનીય છે કે આ જ યાદવે, 2019માં નરેન્દ્ર મોદીને મળેલા પ્રચંડ બહુમતને જોઈને કહ્યું હતું કે “કાઁગ્રેસે હવે ખતમ થઇ જવું જોઈએ.”

રાહુલની યાત્રામાં એક જ કમજોરી છે; તેમાં જનભાવના નથી. યાત્રામાં લોકો જોડાય એનો અર્થ એ નથી કે લોકોની લાગણીઓ તેમાં જોડાયેલી છે. છેક મહાત્મા ગાંધીની દાંડીયાત્રાથી લઈને અડવાણીની રથયાત્રા સુધી, ભારતની રાજનીતિની એ તાસીર રહી છે કે સામાન્ય લોકો દિમાગથી નહીં, પણ દિલથી કોઈ ચળવળમાં જોડાય છે. રાહુલ ગાંધી ભણેલા-ગણેલા અને અમુક મૂલ્યો સાથે ચાલનારા ઉમદા વિચારોવાળા નેતા છે, પરંતુ તેમનામાં, તેમની દાદી ઇન્દિરા કે પ્રતિસ્પર્ધી મોદીની જેમ, જન નેતાના ભાવનાત્મક કરિશ્માનો અભાવ છે. પરિણામે આ દેશની બહુમતી ગરીબ અને નિરક્ષર પ્રજા તેમની સાથે તાદામ્ય અનુભતી નથી.

એનું કારણ એ પણ છે કે રાહુલ પાસે ભા.જ.પ.ની ટીકા કરવા સિવાય વૈકલ્પિક રાજકીય દર્શન નથી. જનતા તમારી સાથે તેમના બહેતર ભવિષ્ય માટે જોડાય છે અને તેના માટે તમારે પાસે યોજના હોવી જોઈએ. ભા.જ.પ.ની ટીકા કરવાથી મતદારો રીઝાતા નથી એ ભૂતકાળમાં સાબિત થઇ ચૂક્યું છે. રાહુલ ગાંધી તેમના જીવનના સૌથી મોટી રાજકીય ચળવળમાં કદાચ એ વાત ફરી ચૂકી ગયા છે.

લાસ્ટ લાઈન :

“તાકાત શારીરિક ક્ષમતામાંથી નથી આવતી. તે અદમ્ય ઈચ્છાશક્તિમાંથી આવે છે.”

— મહાત્મા ગાંધી

(‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 18 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

19 September 2022 Vipool Kalyani
← – આ બરાબર નથી …
इतिहास के चीते →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved