બ્રિટનના (હવે ભૂતપૂર્વ) પ્રધાન મંત્રી એલેકઝાન્ડર બોરિસ ડે ફેફેલ જોહ્ન્સનની ઓળખ જૂઠાડી વ્યક્તિ તરીકેની છે. બ્રિટિશ મીડિયા અને તેમના રાજકીય વિરોધીઓ અવારનાવર તેમનાં જૂઠ પકડતા હતા. જોહ્ન્સનને તેની કોઈ ફિકર નહોતી. ઇન્ટરનેટ પર તો ‘બોરિસ-જોહ્ન્સન-લાઈઝ ડોટ કોમ’ નામની એક વેબસાઈટ ખૂલી છે, જે બોરિસ ક્યારે, ક્યાં અને કેવું જૂઠ બોલ્યા હતા તેનું નિયમિત અપડેટ આપે છે.
બ્રિટનના આ 58 વર્ષીય પ્રધાન મંત્રીએ, સત્તામાંથી રાજીનામું આપ્યું, ત્યારે લંડનના દૈનિકપત્ર ‘ધ મિરરે’ તેમનાં 50 જૂઠાણાંની યાદી આપી હતી. તેમાં સૌથી પહેલું જૂઠ એ હતું કે 23 વર્ષની વયે બોરિસ જ્યારે પત્રકાર હતા, અને ‘ધ ટાઇમ’ સમાચારપત્રમાં કામ કરતા હતા, ત્યારે કિંગ એડવર્ડ દ્વિતીયના પ્રેમપ્રકરણની પહેલા પાના પર છપાયેલી એક ‘સ્ટોરી’માં, બોરિસે ઇતિહાસકાર કોલિન લુકાસના નામે અમુક વાતો લખી હતી, જે સરાસર ખોટી હતી. તે વખતે ‘ધ ટાઇમ’માંથી તેમને કાઢી મુકવામાં આવ્યા હતા. છેક 2013માં બોરિસે તેમના આ જૂઠનો એકરાર કર્યો હતો અને સોરી કહ્યું હતું.
બોરિસનું લેટેસ્ટ જૂઠ, પ્રધાન મંત્રીના નિવાસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાં મે 2020માં ખાવા-પીવાની પાર્ટીને લઈને હતું. તેમની સામે આરોપ હતો કે કોરોનાને લઈને આખા દેશમાં લોકોના ભેગાં થવા પર પ્રતિબંધ હતો, ત્યારે બોરિસે દારૂની પાર્ટી કરી હતી. બોરિસે સંસદમાં ઇન્કાર કર્યો હતો કે તેમણે લોકડાઉનના નિયમનો ભંગ કર્યો છે, પરંતુ હમણાં ગયા મહિને જ લંડનનાં સમાચારપત્રોમાં પહેલાં પાને તેમની પાર્ટીના ફોટા છપાયા હતા.
બ્રિટનમાં એક સર્વેમાં 75 ટકા લોકોએ માન્યું હતું કે બોરિસ જાણી જોઇને જૂઠું બોલ્યા હતા (આપણે ભૂલ કરી છે તેની ખબર ન હોય અને જૂઠ બોલીએ તો તે અજાણતાં બોલાયેલું જૂઠ કહેવાય). માત્ર 12 ટકા લોકોએ કહ્યું હતું કે બોરિસે અજાણતાં સંસદને ગેરમાર્ગે દોરી હતી. રાજકારણીઓ બધે જ જૂઠ બોલતા હોય છે. અમરિકામાં, ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ નામના સમાચારપત્રની ફેક્ટ-ચેક ટીમે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં 30,000 જૂઠાણાં ભેગાં કર્યા હતાં. પત્રએ કહ્યું હતું કે ટ્રમ્પ તેમના કાર્યકાળ દરમિયાન રોજનાં 21 જૂઠ બોલતા હતા. એમાં ઘણાં જૂઠને ટ્રમ્પ સાચા માનતા હતા.
જૂઠ અને કલ્પના વચ્ચે એક જ બારીક તફાવત છે. જૂઠ એટલી એવી વાત, જે આપણને ખબર છે કે સાચી નથી, અને છતાં બીજી વ્યક્તિને છેતરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કલ્પના એટલે એવી વાત, જેને આપણે સાચી માનીએ છીએ, અને બીજી વ્યક્તિ પણ એમાં માને, એટલા માટે તેનો પ્રચાર કરીએ છીએ. દાખલા તરીકે, રાજકીય કે ધાર્મિક માન્યતાઓ એક રીતે જૂઠ છે, કારણ કે આપણે તેની સચ્ચાઈને તટસ્થ રીતે પુરવાર ના કરી શકીએ, પરંતુ કરોડો લોકો તેમાં માનતા થઈ જાય, તો પછી તેને જૂઠ કહેવું અઘરું થઈ જાય છે.
Courtesy : Flow cartoon by Dave Brown, “The Independent”, 22 April 2022
બીજી રીતે કહીએ તો, જે જૂઠમાં બહુ બધા લોકો સાગમટે માનતા થઈ જાય, પછી તે ‘સત્ય’ બની જાય છે. પરંપરાઓ અને માન્યતાઓ એટલે જ પ્રચલિત હોય છે. રાજકીય પક્ષો અને સરકારો હંમેશાં ખૂબસૂરત ભવિષ્યની કલ્પનાઓ ઘડીને સમુદાયો પર પ્રભાવ કાયમ કરે છે. આનું કારણ છે.
સત્ય અને પરિચિતતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જે પરિચિત હોય તે સત્ય બની જાય છે, અને જે અજાણ્યું છે તે જૂઠ નજર આવે છે. જોસેફ ગોબ્બેલ્સ ભલે એવું કહેવા માટે બદનામ હોય કે, “જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે,” પણ આપણે સૌ આ જ માનસિકતાના શિકાર છીએ. એક જૂઠને વારંવાર રિપીટ કરવામાં આવે, તો લોકોને તે પરિચિત થઈ જાય છે અને એટલે તેને સત્ય માની લેવાની સંભાવના વધી જાય છે. આપણું મગજ વારંવાર એકની એક વાત સાંભળે, તો તેને હકીકત તરીકે સ્વીકારતું થઈ જાય છે. આને આભાસી સત્ય કહે છે.
પરિચિતતા આપણી વિચારપ્રક્રિયાને દૂષિત કરે છે. આપણું મગજ અપરિચિત ચીજથી દૂર ભાગે છે, કારણ કે તે જોખમી લાગે છે, અને પરિચિત ચીજ સાથે ઘરોબો કેળવી લે છે, કારણ કે તે સલામત લાગે છે. કોઈ પણ ચીજને પસંદ કરવાની પહેલી શરત તેની પરિચિતતા છે. એટલા માટે લોકોને જૂઠ પણ પસંદ પડે છે, કારણ કે તે પરિચિત છે. રાજકારણીઓ એટલે જ સફળ થાય છે. તેમને એવો વિશ્વાસ હોય છે લોકો તેમનું જૂઠ સાચું માની લેશે.
દરેક માણસ જૂઠ બોલે છે, પણ સામાન્ય માણસોનાં જૂઠ ‘નિર્દોષ’ હોય છે. જેમ કે ઓફિસમાં મોડા પડેલા ઘણા લોકો ‘રસ્તામાં ટ્રાફિક હતો’ એવું જૂઠ બોલતાં હશે. એક માણસ રોજ સરેરાશ બે વખત જૂઠું બોલે છે, એવું એક અભ્યાસ કહે છે. જૂઠ ત્યારે ગંભીર બની જાય, જ્યારે તે કોઈ જવાબદાર, મોટા માણસો દ્વારા ઉચ્ચારવામાં આવે.
જૂઠને અને સત્તાને સીધો સંબંધ છે. રોમન ઇતિહાસકાર ટેસિટસે રોમન શહેનશાહ સિઝર ઓગસ્ટસના અંતિમસંસ્કાર વખતે એવું કહ્યાનું મનાય છે કે, “માણસનું પદ જેટલું ઊંચું, એટલું તેનામાં પાખંડ વધુ.” 2010માં, પશ્ચિમમાં પાંચ અલગ-અલગ પ્રયોગોમાં, મનોવિજ્ઞાનીઓએ આ વાત સાબિત કરી હતી. તેમને એ જોવા મળ્યું હતું કે કોઈ વ્યક્તિ સત્તાની સીડી પર જેમ જેમ ઉપર જાય, તેમ તેમ તેનામાં બીજા લોકોને નૈતિકતાના પાઠ ભણાવની વૃત્તિ વધતી જાય, અને તેનો ખુદનો નૈતિક વ્યવહાર ઘટતો જાય. એ બીજાઓના પ્રપંચ અંગે કૂદી-કૂદીને બોલે, પણ ખુદ પ્રપંચ કરવામાં પાછી પાની ન કરે.
બોરિસ જોહ્ન્સન સામે એ જ તો આરોપ હતો. તેમણે લોકડાઉનમાં નાગરિકોને ઘરમાં પૂરી દીધા હતા, પણ પોતે તેમની ટીમને બોલાવીને દારૂની પાર્ટી કરી હતી. એટલા માટે, એક સાધારણ માણસની સરખામણીમાં રાજકારણીઓ, બિઝનેસમેન, ગુરુઓ અને સેલિબ્રિટીઓનાં કૌભાંડો બહુ મોટાં હોય છે.
આનાં 2 મુખ્ય કારણો છે :
1. સત્તાની સાથે, (કશું પણ કરવાની) માણસમાં અધિકારની વૃત્તિ આવી જાય. તેને એવું લાગવા મંડે કે આટલા બધા લોકોમાં તે સ્પેશ્યલ (દેવનો દીધેલ) છે, અને તે જે પણ કરે, લોકોએ તેની પ્રસંશા કરવી જોઈએ. સત્તામાં માણસને એવું લાગે છે તેનું જૂઠ સમાજ માટે (અથવા તેના સમર્થકો માટે) કામનું છે. ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન સમર્થકોને ટ્રમ્પનાં જૂઠમાં કશું ખોટું નજર આવતું ન હતું. તેમને લાગતું હતું કે આ ‘જૂઠ’ અમેરિકા માટે ઉપયોગી છે.
2. સત્તામાં માણસને ટીકા પ્રત્યે બેપરવા બનાવી દે છે. તે એવું માનતો થઇ જાય કે તે મહત્ત્વનો માણસ છે એટલે લોકો તેની ઈર્ષ્યા કરે છે અને એટલે તેઓ ભૂલો શોધે છે. સત્તા માણસમાંથી શરમની ભાવના ઓછી કરી નાખે છે, કારણ કે એક તો તે આમ લોકો અથવા આમ સમાજથી દૂર થઈ જાય છે, અને બીજું, તેની સામાજિક પ્રતિષ્ઠા તેની સત્તામાંથી આવે છે, એટલે તેને નૈતિકતાની ચિંતા રહેતી નથી. સાધારણ માણસમાં “લોકો શું કહેશે”ની ફિકર હોય છે. “મોટા” માણસોમાં એ મજબૂરી નથી હોતી. ગુજરાતી કહેવત “મજબૂરીના માર્યા મહાત્મા” તે આ અર્થમાં. સાધારણ લોકો સચ્ચાઈનું જીવન જીવતા હોય છે કારણ કે તેમની પ્રતિષ્ઠા તેમના સદાચાર પર જ નિર્ભર હોય છે. સત્તામાં હોય તે માણસને આવી મજબૂરી નથી હોતી. એટલા માટે, ગુંડાઓ, આતંકવાદીઓ કે સરમુખત્યારશાહોના પણ અનુયાયીઓ હોય છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર