Opinion Magazine
Number of visits: 9446994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુલામમોહમ્મદ શેખ સાથે વાર્તાલાપ

મુનિ દવે|Opinion - Opinion|22 July 2022

“ઇન્ડિયન એક્સપ્રેસ’(4 ઍપ્રિલ 2022)ના Idea Exchangeમાંથી મુનિ દવેએ કરેલ આ અનુવાદ પ્રકાશિત કરતી વેળા સવિશેષ આનંદ એ વાતનો છે કે ‘નિરીક્ષક’ના સન્માન્ય સુહૃદ ગુલામમોહમ્મદ શેખ પણ આ અનુવાદમાંથી પસાર થયા છે અને એને એમના સંમાર્જનનોયે લાભ મળ્યો છે. મૂળ પ્રકાશનથી કેટલાક માસના અંતરે આ અનુવાદ પ્રકાશિત કરવાનું બની રહ્યું છે ત્યારે વડોદરાની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના તાજેતરના ઘટનાક્રમની પડછે એનું વાંચન એક મૂલ્યવર્ધિત અનુભવ બની રહે છે

•••

વંદના કાલ્રા [Vandana Kalra] : તમે ૧૯૮૧માં કહેલું કે ભારતમાં રહેવું એટલે એકી સાથે અનેક સમયો અને સંસ્કૃતિઓમાં રહેવું. શું આ વિચારની સુસંગતતા આટલાં વર્ષોમાં વધી છે ? અને એ ગાળામાં કરેલ ચિત્રોને, દાખલા તરીકે ‘City for Sale’ને કેવી રીતે જુઓ છો ?

ઉત્તર [ગુલામમોહમ્મદ શેખ] : એ સમયની કૃતિઓમાં પહેલી હતી ‘About Waiting and Wandering’, બીજી ‘Speaking Street’, ત્રીજી ‘Revolving Routes’ અને ચોથી ‘City for Sale’. એ બધીનો સંબંધ વાસ્તવિક પરિસ્થિતિઓ વિશેનો છે અને બધી એકબીજી સાથે સંકળાયેલી છે. ‘Speaking Street’ તો બાળપણમાં રહ્યો તે શેરીનું (જાણે કે) પુનઃ સર્જન છે. મારો જન્મ ૧૯૩૭માં એટલે વડોદરા ભણવા આવ્યો એ પહેલાંનાં અઢાર વરસ સુરેન્દ્રનગર નામના નાનકડા શહેરમાં ગાળ્યાં હતાં. અમે રહેતાં એ સાંકડી શેરીમાં એક મસ્જિદ હતી, એને ઘુમ્મટ નહોતો અને એની દીવાલો લીલા ઈનેમલ રંગે રંગેલી હતી. શેરી વચાળે બેસી લોક માછલાં વેચે, બીજા રેંકડીઓ હંકારે. ચિત્રના નીચલા ભાગે ચાલીમાં રહેતા લોકોનાં ઘર અને ઓરડે રોજબરોજની ઘટનાઓનું સહિયારું ચિત્રણ છે. એમાં એક છોકરો બારી બહારની દુનિયા નિહાળે છે – તેમાં મારી છબી – મારા ‘portrait’ જેવું છે. શેરીમાં બાળપણ (કેમ) વીત્યું એ વિચારતા એ ચિત્ર દોરેલું. હજુ ય યાદ છે કે મદ્રેસામાં હું કુરાનનું અરબી ભાષામાં પઠન કરતા શીખ્યો અને નિશાળમાં સંસ્કૃત ભણ્યો. આમાંથી જ જીવનની બહુવિધતાની અને જુદી જુદી આસ્થા-પ્રણાલીઓની શીખ મળી.

એ ચિત્રનો છેડો એથી મોટા ‘City for Sale’ નામના ચિત્ર સાથે બંધાય છે. એ ચિત્રના મૂળ હું જ્યાં રહું છું તે બરોડા, અથવા આજના વડોદરામાં છે. ૧૯પપમાં હું વિદ્યાર્થી તરીકે ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્‌સમાં ભણવા આવ્યો અને ભણીને ત્રણ વર્ષ ત્યાં જ ભણાવ્યું. પછીના ત્રણ વર્ષ (કોમનવેલ્થ) શિષ્યવૃત્તિ હેઠળ લંડનમાં અને પાછો ફર્યો ૧૯૬૬માં. વડોદરા પહેલી વાર આવ્યો ત્યારે એ શહેરે માત્ર કલા-જગતનો જ નહિ, જગત આખાની કલાનો પરચો કરાવ્યો હતો, પણ ૧૯૬૯માં એ શહેરની ઓળખ બદલાઈ ગઈ. ૧૯૬૯-૭૦માં ભયંકરમાં ભયંકર એવાં કોમી-રમખાણો થયાં, પછી લોકો મને મારું નામ મનમાં રાખી જોતા થઈ ગયા. મને ત્યારે જે ઓળખ મળી તે પહેલી વાર વડોદરા આવ્યો ત્યારની ઓળખથી સાવ વિપરીત હતી. પહેલાનું વડોદરા તો હતું સાવ ખુલ્લા દિલનું, ઉદાર અને બહુઆયામી. ૧૯૬૯માં પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. આ ચાર ચિત્રો અમુક અર્થમાં, એ ગાળે જિવાયું તેનાં પ્રતિબિંબ જેવાં છે. ‘City for Sale’ મોટું છે અને અનેક આકૃતિઓ અને ભાત-ભાતનાં પાત્રોથી ભરપૂર છે. એમાં ત્રણ પુરુષો બીડી પેટાવવા (ને બહાને) ભેગા થયા છે. એમાં કંઈક બીજું પેટાવવાનાં એંધાણ છે? (ડાબે, નીચે) એક બાઈ શાકભાજીની રેંકડી ફેરવે છે, તે આખી જાણે કે શહેરમાં ઢોળાય છે. અને ચિત્રની વચ્ચોવચ્ચ ‘સિલસિલા’ નામની ફિલ્મ ચાલે છે. સાવ ઉપરના ભાગે (ડાબે) હુલ્લડ મચ્યું છે.(આમ) ચિત્રમાં શહેરનાં જુદાં જુદાં સ્થળોનું એકી સાથે ચિત્રણ છે : એક સ્થળ રમખાણે રગદોળાય છે, પણ બીજા ભાગમાં ફિલ્મ શો. આ તો જાણે કે જોયું તેની કબૂલાત, એથી થોડો છુટકારો ય અનુભવ્યો હતો.

વંદના કાલ્રા : હમણાં હમણાં તમે એ વિચારણા આગળ ધપાવી છે અને કબીર તથા ગાંધી પંથે શાંતિ અને ભાઈચારા તરફ વળ્યા છો; એ વિશે કંઈક ?

ઉત્તર : ગાંધી તો હું નિશાળમાં હતો ત્યારથી જ ભેગા થયા હતા. ‘સત્યના પ્રયોગો’ (૧૯ર૭) વાંચેલું ય અને ત્યારથી એ મનમાં વસેલું રહ્યું છે. ૧૯૬૯-૭૦ના ગાળે ગાંધી અવનવા વેશે, રૂપે આવતા રહ્યા પણ એમને ચિતરવા કેમ એની સૂઝ પડે નહિ, કારણ કે મેં એમને સાક્ષાત જોયા જ નહોતા. (છેવટે) ખૂબ તસવીરો જોઈ – એમાંથી કશુંક ગોઠવાતું લાગ્યું. જુવાનીમાં આફ્રિકામાં વકીલાત કરતા તે ગાળાની તસવીર લઈને પહેલું ચિત્ર પાડ્યું. ત્યાર બાદ બીજી બે-ત્રણ વાપરી તે તસવીર (આફ્રિકાથી) ભારત પરત ફર્યા ત્યારની – પણ મૂળે તો અબનીન્દ્રનાથ ટાગોરે કરેલા ચિત્રના આધારે.

કબીર બીજી રીતે આવ્યા. નિશાળમાં ભણતો ત્યારથી એમની બાનીનો પરચો તો થયો હતો, પણ ચોમેર વકરતાં સંઘર્ષોના સંદર્ભે એમની સુસંગતતા પિછાણવાનું બન્યુ. થયું કે કબીરને ચીતરું, પણ ચિતરવા કેમ? મારા ગુરુ કે.જી. સુબ્રહ્મણ્યન્‌ના ગુરુ બિનોદ બિહારી મુખર્જીએ શાંતિનિકેતનમાં ભારતીય સંતોનું વિશાળ ભીંતચિત્ર કર્યું, એમાં કબીર પણ પાડ્યા હતા. વિનોદબાબુને જાણ કે કબીર વણકર હતા એટલે એ તો ઉપડ્યા વણકરવાસ અને ત્યાંથી એમના કબીરને લઈ આવ્યા. મને છેવટે બ્રિટિશ મ્યૂઝિયમના સંગ્રહમાંથી ઉત્તર મુઘલ કાળનું એક ચિત્ર મળ્યું તેના આધારે કબીરની હસ્તીને મનમાં ગોઠવી. જેમ જેમ કબીર મનમાં રમતા થયા તેમ તેમ હું કબીરવાણીનું પઠન કરતો ગયો – તો ય કબીરનું દૃષ્યરૂપ પાડવાનું અઘરું થતું ગયું. પછી જ્યારે કુમાર ગાંધર્વને કબીર-વાણી ગાતા સાંભળ્યા ત્યારે થયું કે એ ગાય તેમ હું વાણીને જ ચિતરું તો કેમ ? આમે ય કળાના ઇતિહાસમાં કવિતાના ચિત્રણનાં ઢગલાબંધ ઉદાહરણો છે જ ને!

વંદના કાલ્રા : તમે તમારી કવિતા અને ચિત્રો વચ્ચેના સંવાદને કેવી રીતે જુઓ છો ?

ઉત્તર : કવિતા નિશાળમાં હતો ત્યારથી લખવા માંડી’તી પણ ચીલાચાલુ ઢબે, અક્ષર મેળની અને બીજી ગીતો જેવી. વડોદરા આવતા, ગુજરાતીમાં આધુનિકતાના પ્રણેતા મારા નવા ગુરુ સુરેશ જોષી મળ્યા. એમણે બોદલેર, રિલ્કે, લોર્કા જેવા કવિઓની ઓળખ કરાવી. આ બધા મોટા ગજાના કવિઓને વાંચતા મારું લખેલું નકામું લાગ્યું એટલે મોટા ભાગનું ફેંકી દીધું અને અક્ષરમેળ મૂકી અછાંદસ તરફ વળ્યો. થયું કે બોલાતી ભાષા વાપરું, પણ બોલાતા બોલમાં મારે મારો પોતાનો અવાજ શોધવાનો હતો – તે એ અર્થમાં કે પામવું હતું તે માત્ર આધુનિક નહિ, પણ જે સાવ મારું પોતાનું હોય. એ જ રીતે ચિતરવામાં ય ભારે સંઘર્ષ કરવો પડ્યો. બધા વિદ્યાર્થી જાણે કે એ કરે તે બધું શિક્ષકની છાયામાં – એટલે એ છાયામાંથી નિકળવું રહ્યું. મેં વડોદરાની બહાર જોવા માંડ્યું – એમ.એફ. હુસેન તરફ નજર નાંખતા ઘોડાની આકૃતિ જડી પણ હુસેનના અને મારા ઘોડામાં મોટો ફેર હતો. એમના ઘોડા તો જાણે કાલાતીત, ઉર્જાથી થનગનતા અને હોય તેથી ઘણા મોટા. મારું એકલવાયું જનાવર કદાચ મારા જાત અનુભવમાંથી નિપજ્યું હતુંઃ એ તો મારા બાળપણની ઘોડાગાડીનો ઘોડો, જોતરેલો અને જોતરું કાઢી છૂટવા મથતો ઘોડો.

દેવયાની ઓનિયાલ : ભારતમાં કળા-શિક્ષણ બાબતે તમારો શું મત છે? તમે તો ઊગતી જુવાનીમાં જ ભણાવવા માંડેલું. એ દિવસોની થોડી વાત કરશો?

ઉત્તર : કળા-શિક્ષણ તો બાલવાડીથી જ શરૂ થવું જોઈએ અને બાળકોને સંગ્રહસ્થાનો અને કળાની ગેલેરીઓ દેખાડવા લઈ જવા જોઈએ. એવું મેં માત્ર પશ્ચિમના દેશોમાં જ નહિ, પણ ઈન્ડોનેશિયા જેવા દેશમાં ય જોયું છે. ત્યાં ભુલકાંને સંગ્રહસ્થાનમાં લઈ જાય અને સૌ ટીણિયાં નાનકડી નોટબૂકમાં ચિત્રો જોઈને નોંધ ટપકાવે. વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્‌સ (મ.સ. વિશ્વવિદ્યાલય) ૧૯પ૦માં સ્થપાઈ ત્યાં લલિત કળાને ભારતમાં પહેલીવાર યુનિવર્સિટીમાં અપાતા શિક્ષણનો દરજ્જો મળ્યો, એટલે ડિપ્લોમાને બદલે ડિગ્રી અપાતી થઈ. એ સંસ્થાના પ્રણેતાઓએ દેશના સ્વાતંત્ર્ય સાથે સુસંગત થાય એવી પહેલ કરતી વેળા નવા કળાકારની કલ્પના એક સુશિક્ષિત અને આધુનિક દેશના નવા નાગરિક રૂપે કરી અને અમલમાં મૂકી. સંસ્થા પ્રમાણમાં નાની અને શિક્ષક-વિદ્યાર્થીનો ગુણોત્તર ૧ઃ૧૦ કે ૧ઃ૧પ સુધીનો. સ્ટુડિયો બનાવડાવ્યા તે ગોદામ જેવડા વિશાળ, રાત-દિવસ ઉઘાડા. મારા જેવા નાને ગામથી આવેલા વિદ્યાર્થીને તો શિક્ષકોને નજર સામે કામ કરતા જોવાનો અને એમની પાસેથી શીખવાનો અનેરો લ્હાવો મળ્યો. અમે બેન્દ્રે સાહેબને, અમારા મોટેરા જ્યોતિ ભટ્ટ, શાંતિ દવે અને જી.આર. સંતોષને ચિતરતા જોતા. મારે આર્થિક મુસીબતો વેઠવી પડી પણ ગ્રેજ્યુએશનનાં ચાર વરસ કાઢ્યા, છેવટે અનુ-સ્નાતકે ય થઈ ગયો. હું એમ.એ.ના બીજા વર્ષમાં હતો ત્યારે ભણતા ભણતા ભણાવવાની નોકરી મળી – એ ગાળે મારા સાથી વિદ્યાર્થીઓને મારી પાસે ભણવાનો વારો આવ્યો! છતાં ય લાગે છે કે કળા-શિક્ષણ એક ઉપેક્ષિત વિદ્યા રહી છે. આપણા દેશ માટે એક સર્વગ્રાહી દૃષ્ટિએ કળાશિક્ષણની નવી પદ્ધતિ વિકસાવવાની જરૂરત છે. એ પદ્ધતિ માત્ર એક માળખાની – standardised – ન હોય, એવી પદ્ધતિ જે આપણા બહુવિધ અને અવનવા – અભિગમો ધરાવતા દેશને સુસંગત હોય – જેમાં દરેક રાજ્ય, દરેક સંસ્કૃતિ સમાવિષ્ટ હોય.

લીના મિશ્ર : થોડા સમય પહેલા વડોદરા છાપે ચડેલું કારણ કે ચન્દ્રમોહન નામના વિદ્યાર્થીને એની કળાકૃતિઓ પ્રદર્શિત કરવા દેવાઈ નહોતી. વળી એવા પણ સમાચાર આવ્યા કે બે જુદા જુદા ધર્મની વ્યક્તિઓનાં લગ્ન વિશે પહેલો કોર્ટ કેઈસ નોંધાયોઃ એ તો આપણા ધાર્મિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન ગણાય. શહેરમાં એવી કઈ વાત વણસી કે લોકોએ એ વિશે અવાજ ઉઠાવ્યો નહિ? શું કળાકારોની અભિવ્યક્તિનો અવકાશ સંકડાઈ ગયો છે?

ઉત્તર : કોઈએ અવાજ ઉઠાવ્યો નહિ, એવું નહોતું. તે ગાળાના ફેકલ્ટીના હંગામી અધ્યક્ષ (ડીન) પ્રા. શિવજી પણિક્કર બહારનાં તત્ત્વોએ ઊભા કરેલા હોબાળા સામે, વિદ્યાર્થીના પક્ષે અડગ ઊભા રહ્યા હતા. ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ, કળા-સંસ્થા પર થયેલ હુમલાનો વિરોધ લગભગ વરસેક લગી, અનેક રૂપે ચલાવ્યો હતો. અમારામાંના ઘણા, (સાહિત્ય-વિવેચક) ગણેશ દેવી સુધ્ધાં બોલ્યા હતા. પણ તમે જે મુદ્દો ઉઠાવ્યો છે તે(નું અર્થક્ષેત્ર) વ્યાપક છે. કળા-સંસ્થાઓ અને કળા-શિક્ષણમાં કળાકારોને કામ કરતા રહેવા માટે ખુલ્લા વાતાવરણની તાતી જરૂર છે. બહારના મુદ્દાઓ ઘુસાડી દઈને વિવાદો અને સંઘર્ષો ઊભા કરાય છે અને એ સંસ્થાઓને ઝીલવું પડે છે. કળાકારો તો તેમના વિચારો તેમની કૃતિઓ દ્વારા પ્રગટ કરતા આવ્યા છે. અને કરતા રહેશે જ. જર્મન નાટ્યકાર અને કવિ બર્ટોલ્ટ બ્રેશ્તને ટાંકુંઃ ‘શું અંધકારભર્યા સમયમાાં ગીત ગાઈ શકાશે ખરું ? જવાબ આવો છે : ‘હા’, એ ટાણે અંધકારમય સમયનું ગાણું ગવાશે.’

બહારની દખલગીરી મોટે ભાગે રાજકારણપ્રેરિત હોય છે. આપણે એનો સામનો કરવો રહ્યો, પણ આપણી સર્જન-પ્રવૃત્તિ જાળવીને જ. જો તમે કામ કરવાનું મૂકી દો, ચિતરવાનું છોડી દો તો એ વધુ ભયંકર છે. ઉદારમતવાદી વિચારણા વડોદરાના પાયામાં હતી અને કેટલેક અંશે એ હજુ સાબૂત છે. આપણી કળામાં અને કળાકારોની દુનિયામાં હજુ ભાગલા પડ્યા નથી. ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસના મારા પાંચેક શિક્ષકોનો દાખલો દઉં. સૌથી પહેલા અધ્યક્ષ (ડીન) માર્કંડ ભટ્ટ ગુજરાતી (બ્રાહ્મણ) તે પારસી પેરીનને પરણેલા. મહારાષ્ટ્રના એન.એસ. બેન્દ્રે મોનાને પરણ્યા તે તમિળ હતાં. બંગાળી શંખો ચૌધરી પારસી સહ-કળાકાર (સિરેમિસ્ટ) ઈરાને અને કે.જી. સુબ્રહ્મણ્યન્‌ પરણ્યા સુશીલાને – એ પંજાબી હતાં. છેલ્લા બે જોડાં શાન્તિનિકેતનમાં ભણતાં ત્યારે ભેગા થયાં’તાં. અમારે માટે તો આ ટચૂકડું ભારત, બહુવિધ ભારતઃ એ કોઈ એકવિધતાના ચોકઠામાં બંધાયેલું નહોતું. અમારામાંના ઘણાને અમારા જીવનસાથી ફેકલ્ટીમાં ભણ્યા અને ભણાવ્યું તેમાંથી જ મળ્યા. કાશ્મીરી રતન પારિમૂને ગુજરાતી નયના મળ્યાં, મહારાષ્ટ્રના પી.ડી. ધુમાળ બંગાળી રીનીને પરણ્યા, તો મારા જેવો ગુજરાતી, પંજાબી નીલિમાને પરણે એની શી નવાઈ ? આ તો ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસની સંસ્કારધારા છે : અમે જીવ્યા તે માત્ર જીવવા ખાતર નહિ, પણ સહિયારું જીવવા.

શાઈની વર્ગીઝ : તમારે મતે આજે કેવાં મૂલ્યો સાધવાની જરૂર છે, – જેમાંથી આવતી કાલના ભવિષ્યનો પાયો નંખાય?

ઉત્તર : તમારા પ્રશ્નનો જવાબ જરા જુદી રીતે આપું. નિખાલસપણે કહું તો હાલની ભારતીય કળા હજુ પણ જીવંત અને ગતિશીલ છે. ત્રણ-ચાર પેઢીના કાળાકારો કામ કરે છે. ૯૭ વર્ષના ક્રિશન ખન્ના તે હુસેનની પેઢીના, પછી આવે અમારી પેઢી. ત્યાર પછીની પેઢીમાં અતુલ ડોડિયા, સુદર્શન શેટ્ટી અને બીજા. તેથી આગળની યુવા પેઢી ય સક્રિય છે. હું આ, પરિસ્થિતિનું ગુલાબી ચિત્ર ચિતરવા નથી કહેતો. હું તો ફક્ત એ જ કહેવા માગું છું કે કળા અને કળાકારોની દુનિયામાં અરસ-પરસ સંવાદ ચાલે છે અને બધા દૃઢનિશ્ચયી સૃજનશીલ છે. હરખ તો એ વાતનો ય કે આપણે ત્યાં અનેક મહિલા-કળાકારો છે. એ ઉપરાંત કેટલા ય કળાકાર-દંપતી છે. એ બધાં આગવું સર્જન પોતપોતાની રીતે કરે છે. આમાં મનુ અને માધવી પારેખ, અર્પિતા અને પરમજીત સિંહ, રીના અને જીતીશ કલ્લાત, અતુલ અને અંજુ ડોડિયા, ભારતી ખેર અને સુબોધ ગુપ્તા તો ખરાં, પણ બીજાં ય છે. આવું બીજા દેશોમાં પ્રવર્તતું હોય તો એની મને જાણ નથી. જરા સરલીકરણ કર્યાના ભોગે કહું છું કે આ બધા કળાકારો જે મૂલ્યોનું જતન કરે છે તે મુક્ત ભાવે સૃજનશીલ રહેવાનાં મૂલ્યો જ છે. આમાંના મોટા ભાગના કળાકારો સાંપ્રત સમયના પ્રસ્તુત વિષયો અને સમસ્યાત્મક મુદ્દાઓને આવરી લે તેવી દૃષ્યભાષા શોધવા પ્રવૃત્ત છે. આ ઉપરાંત કેટલાક યુવા કળાકારો ય છે. આ જુવાન કળાકાર બી.આર. શૈલેષ ગુરુકુળમાં ભણીને આવ્યો છે, સંસ્કૃત બોલે છે, તે પછી ચિત્રકામ શીખવા આવ્યો અને પછી ડિજિટલ પ્રકાર અને ઈન્સ્ટોલેશનના ક્ષેત્રે ઝંપલાવ્યું. એની સર્જનસૃષ્ટિમાં ગુરુકુળ સંસ્કારોની ઉજવણી સાથે વિવેચના ય સામેલ છે.

રીંકુ ઘોષ : એક બાજુથી તમે કળા અને આશાને એક સાથે મૂકો છો પણ સાથો સાથ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અને લલિત કલા અકાદમી જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં સડો પેઠો છે તેમને એમાંથી છોડાવવાને બદલે એથી દૂર રહેવાનું પસંદ કરો છો. તમારા જેવા મોટા ગજાના કળાકારો કશું  કરે નહિ તો યુવાન કળાકારોને અભિવ્યક્તિની છૂટ કેમ મળે ?

ઉત્તર : એ સાચું નથી. કળાકારોએ હંમેશ કોઈને કોઈ રીતે અવાજ ઉઠાવ્યો છે. ભૂતકાળમાં, ૧૯૬૦ના દશકે જે. સ્વામીનાથને એમણે પોતે કાઢેલ સામયિક ‘કોન્ટ્રા’(૧૯૬૬-૬૭)માં અકાદમીનો ઉધડો લીધો હતો. અમારા પોતાના સામયિક ‘વૃશ્ચિક’(૧૯૬૯-૭૩)માં મેં અને ભૂપેન ખખ્ખરે (લલિત કલા) અકાદમીમાં સુધારાઓ માટે એની વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. એ લડત ત્રણ વરસ ચાલી જેને કારણે કેન્દ્ર સરકારને ખોસલા કમિશન નીમવું પડ્યું હતું. કમિશને અમે સૂચવ્યા તેમાંના ઘણા સુધારા સ્વીકાર્યા હતા. એટલે એવું નથી કે કળાકારો પરિવર્તન લાવ્યા નથી. પરંતુ આપણી સંસ્થાઓ સમસ્યાઓથી ઘેરાયેલી છે તે ય સાચું. સરકારી સંગ્રહસ્થાનો અને અકાદમીઓ કળાની દુનિયાની પ્રવૃત્તિઓથી અજાણ રહે છે, એમના અધ્યક્ષ કળાની દુનિયાની બહારના હોય છે, અને નિમણૂકો ય ઉભડક થાય છે. તો પછી શું અમારે કર્મશીલ થઈ જવું? કે.જી. સુબ્રહ્મણ્યનને કોઈએ આ સવાલ પૂછ્યો ત્યારે એમણે સચોટ જવાબ આપ્યો હતો કે ‘હા, હું જરૂર સક્રિય થઈશ પણ કળાકાર-કર્મશીલ તરીકે, કર્મશીલ-કળાકાર તરીકે નહિ.’ કળાકારોની યુવા પેઢી પણ પરિવર્તન માટે જરૂરી કર્મશીલતાના રસ્તા ખોળવા પ્રવૃત્ત છે.

પારોમિતા ચક્રબર્તી : તમે તમારાં પત્નીને મળ્યા એ સમયની વાત કરશો? તમે કહ્યું કે કળાકારોની કોમમાં બીજી કોમના જીવનસાથી મળવાનું સામાન્ય હતું. મોટાં શહેરોમાં કયાં ય લવ-જિહાદના ભૂત જે આજે આગળ તરી આવ્યાં છે તે હતાં ખરા?

ઉત્તર : આમ તો એ મુદ્દાઓ વિષે આગળ કહી દીધું છે. મેં એનો જવાબ ચિત્રો દ્વારા આપ્યો છે. ‘City for Sale’ એ નગર-કેન્દ્રી ચિત્ર છે, એમાં તમે જે સંઘર્ષાત્મક પરિસ્થિતિની વાત કરો છો તેનું જ ચિત્રણ છે.

અંગત વાત કહેવી અઘરી છે, પણ હા, એ સમયે કળાકારો એકબીજાં સાથે હળે-મળે, એકબીજાંને ઓળખે, પછી મિત્રો બને અને છેવટે જીવનસાથી થઈ જાય એની નવાઈ નહોતી. સૃજનશીલતાનો વ્યવસાય જ અમને નિકટ લઈ જતો. મારા કેટલાક મિત્રો અને વિદ્યાર્થીઓ તેમની કોમની બહાર પરણ્યા છે. તમે આ માન્યતામાં વિશ્વાસ ધરાવો છો કે તે કે પછી તમે કેરળના છો કે બિહારના, એ બધું કળાકારોની દુનિયામાં વર્જ્ય ગણાતું. કળાનું ધ્યેય જ છે જોડવાનું, કળા આપણને એકબીજાની નજીક લાવે છે અને જીવવા માટે એક નવી દુનિયાની નવાજેશ કરે છે. કળા હંમેશાં આશા જન્માવે છે એવું કહેવા પાછળ મારો હેતુ એ છે કે આશાનું બીજ સૃજનકર્મના મૂળમાં છે. હું હજુ ય માનું છુ કે સૃજનશીલ જીવન તમને જરાક અદકેરો ઈન્સાન બનાવે છે કારણ કે એ ભાગલા ભાંગે છે, સહિયારું શીખવે છે, બીજાને મળવા માટે દોરે છે અને ખરેખર તો એ બની શકે એટલા ઝાઝા લોકો સાથે નાતો જોડી આપે છે.

સ્વાંશુ ખુરાના : તમે તમારી કૃતિઓ પર કુમાર ગાંધર્વનાં કબીર ભજનોની અસરનો ઉલ્લેખ કર્યો છે. તમારી સૃજનસૃષ્ટિમાં એથી બીજા કોઈ સંગીતકારો તમારી ચેતનામાં સળવળે છે ખરા?

ઉત્તર : હા, હું સંગીત ખૂબ સાંભળું છું. હમણાં કોરોના કાળમાં અમે બ્લ્યૂ ટૂથ સ્પિકર લીધું – એ દ્વારા રોજ સવારે ચિતરતા ચિતરતા સંગીત સાંભળું છું. મલ્લિકાર્જન મન્સૂરને, ભીમસેન જોશીને પ્રેમપૂર્વક સાંભળું, કિશારી આમોનકરની ગાયકી પણ માણું. આમ તો હું સંગીતકારોને ઓળખતો નથી પણ ૧૯૮૦ના ગાળે કુમાર ગાર્ધવને ભારત ભવન(ભોપાલ)માં ગાતા સાંભળતો ત્યારે એમનો થોડો નાતો બંધાયો હતો. કબીર-ક્ષેણીનાં ચિત્રોમાં બે જોડિયાં છે : એક મોટું ‘એક અચંભા દેખા રે ભાઈ’ નામનું છે એની જોડી ‘હીરના’માં છે. એ છે કુમાર ગાંધર્વના ‘હીરના’ ભજનને મારી અંજલિ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2022; પૃ. 03-05

Loading

22 July 2022 Vipool Kalyani
← કવિશ્રી વિનોદ જોશીના ગીત “બહુ એકલવાયું લાગે ….” — આસ્વાદ
ભીખુભાઈ વ્યાસ – મુરબ્બી ઓછા, મિત્ર વધારે →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved