Opinion Magazine
Number of visits: 9448320
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્ય-જ્યોત —11

સુમન શાહ|Opinion - Opinion|5 June 2022

જ્યોત ૧૧ : કાવ્યમાધ્યમ :

કાવ્યનાં માધ્યમો જાણીતાં છે : પદરચના. અક્ષરમેળ. પ્રવાહી પદ્યરચના. માત્રામેળ. પરમ્પરિત. અછાન્દસ. વગેરે.

આમ તો કાવ્યમાધ્યમ પદ્યને કે ગદ્યને ઢાળવા માટેનું બીબું કહેવાય. કાવ્યમાધ્યમ અક્ષરમેળથી હોય, માત્રામેળથી કે અછાન્દસમાં હોય છે એવા શકલોથી હોય, પણ હમેશાં જન્માવે છે, લય. અને તેથી એ માત્ર બીબું નથી રહી જતું, સર્જનપ્રક્રિયાનું અવિનાભાવી અંગ બની જાય છે.

કોઈપણ લયમેળથી સિદ્ધ થયેલું પદ્યવહન, તે કાવ્યરચનાનું માધ્યમ છે.

‘લય’ માટે અંગ્રેજીમાં શબ્દ છે, rhythm. રીધમનો અર્થ ‘લય’-ને બિલકુલ સમાન નથી, વળી તે સંગીતકલાની ચર્ચામાં પણ પ્રયોજાય છે અને ત્યાં એનો બીજો અર્થ ’તાલ’ પણ થાય છે, તેમ છતાં, કામચલાઉ ધૉરણે રીધમ શબ્દનો ઉપયોગ કાવ્યમાધ્યમની ચર્ચામાં કરી શકાય.

કેમ કે મૂળે તો એ ધ્વનિના સુયુત એકમોનું નિયમસરનું પુનરાવર્તન હોય છે. જેમ કે, ધ્વનિશાસ્ત્રમાં – ફોનેટિક્સમાં – સ્ટ્રેસ, ટાઇમિન્ગ અને સિલેબલની માત્રાથી અંકિત થયેલી વાણીની ગતિ રીધમ છે. કાવ્યશાસ્ત્રમાં – પોએટિક્સમાં – પદ્યમાં કે વાક્યોમાં આવતા ધ્વનિ અને શાન્તતાનાં લઘુ કે ગુરુ, કોમળ કે પરુષ, વગેરે તત્ત્વોના આવર્તક પરિવર્તનથી અનુભવાય તે રીધમ છે.

ગુજરાતીનો છે તેમ દરેક ભાષાનો પોતાનો લય હોય છે. ભાષાના લય પર સર્જક કામ કરે એટલે એક સર્જનાત્મક લય પ્રગટે છે. કાવ્ય હમેશાં લયમાં હોય, તે ગદ્યમાં હોય તો પણ. સમજવાનું એ છે કે સર્જકને પોતાની ભાષા – નેટિવ લૅન્ગ્વેજ – આત્મસાત્ થઈ હશે તો જ એ કાવ્યભાષાના સ્વરૂપ અને કાર્ય વિશે સરખું વિચારી શકશે, અને તો જ એ પોતાના કાવ્યને અનુરૂપ માધ્યમ શોધી શકશે.

એવું અનુરૂપ માધ્યમ સંગીત પ્રગટાવે છે અને કૃતિને એ સંગીત નિર્વ્યાજ કાવ્યત્વ અર્પે છે. કાવ્ય ગદ્યમાં હોય તો પણ ગદ્યની લુખ્ખાસ ઓગળી જાય છે અને પદ્યની સુંવાળપ અનુભવાય છે.

સમજની એ બેવડ ત્રેવડ ભૂમિકાએ ઊભીને સર્જકે પોતાની રચના કયા માધ્યમમાં કરવી તેનો પાકો નિર્ણય કરવાનો હોય છે. એ નિર્ણય પાકો પુરવાર ત્યારે જ થશે જ્યારે સરજાનારી કૃતિને એ જ માધ્યમ વહી શકતું હશે, કૃતિને આકાર આપવામાં એ જ માધ્યમ કાર્યક્ષમ પુરવાર થતું હશે.

વિચારો કે “મેઘદૂત”-માં કાલિદાસે યક્ષના વિરહની વાર્તા ૧૦૦થી પણ વધુ શ્લોકોમાં પણ એક જ છન્દ મન્દાક્રાન્તામાં કેમ કરી છે. કાલિદાસે “અભિજ્ઞાન શાકુન્તલમ્” નાટક ગદ્યમાં લખ્યું છે પણ તેમાં કાવ્યશીલ શ્લોકો વિવિધ છન્દોમાં મૂક્યા છે, તેથી શું સિદ્ધ થયું છે.

પ્રેમાનંદે પોતાનાં આખ્યાનોમાં કડવાના રાગ કે ઢાળ સૂચવ્યા છે, તે કેમ.

દલપતરામે રૂડા લખ્યા છન્દ પણ તેથી કાવ્યત્વ પ્રગટ્યું કે કંઈક બીજું.

કાન્તે ‘સાગર અને શશી’ ઝૂલણા છન્દમાં જ કેમ લખ્યું છે. પોતાના ખણ્ડકાવ્યોમાં, બહુશ: દરેકમાં, કાન્તે છન્દવૈવિધ્ય કેમ પ્રયોજ્યું છે.

'ક્લાન્ત કવિ' બાલાશંકરે પ્રયોજેલા શિખરિણી છન્દથી ઉમાશંકરે પ્રયોજેલો શિખરિણી કેમ રસાળ છે. ઉમાશંકરે શિખરિણી વારંવાર વાપર્યો છે, તે કેમ.

શ્રીધરાણીએ ‘ક્રાન્તિનાદ’ અને ‘ભરતી’ પૃથ્વી છન્દમાં લખ્યાં છે, છતાં, બન્નેની કાવ્યપરક ઉપલબ્ધિ જુદી જુદી રીતે આસ્વાદ્ય કેમ છે.

સુરેશ જોષીએ ‘એક રોમાન્ટિક કવિનું દુ:સ્વપ્ન’ કશા સુખ્યાત છન્દમાં કેમ નથી કર્યું.

લાભશંકર ઠાકરના કોઈ કોઈ અછાન્દસ કાવ્યોમાં છન્દના ટુકડા પણ છે, તે શું સાભિપ્રાય છે કે ઘુસાડેલા છે.

વિચારવાથી મુદ્દો બરાબર અવગત થશે.

કાવ્યમાધ્યમ પાકા નિર્ણય પછી પણ પુરવાર થયું કે કેમ તેની ખરાખરી કાવ્યસિદ્ધાન્તોનો કોઈ મતિયો નહીં કરી શકે, કેમ કે એ કામ કાવ્યકલામર્મજ્ઞ સમીક્ષાપુરુષનું છે.

લયમેળ માટે લઘુ-ગુરુની કે માત્રાઓની કે સિલેબલ્સની ગણતરીમાં સર્જક પાવરધો તો હોવો જ જોઈએ. પરન્તુ લાગે કે કાવ્યત્વને કોઇ વર્ણ કે ધ્વનિ કે શ્રુતિ નડે છે તો એણે યથાશક્ય છૂટ લેવી જોઇએ, બલકે, જરૂર જણાય તો નક્કી કરેલા માધ્યમને ફગાવીને અનુકૂળની શોધમાં નીકળી પડવું જોઇએ.

કોઇ પણ કાવ્યમાધ્યમ સર્જન માટે હોય છે, નહીં કે સર્જન કાવ્યમાધ્યમ માટે ! જોડામાં પગ બેસતો ન હોય તો પગને ચૉમેરથી છોલી નથી નાખતા, જોડો મોટો પડતો હોય તો પગ પર પાટા નથી વીંટી લેતા, નવો જોડો શોધીએ છીએ, એના જેવું !

= = =

(June 5, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

5 June 2022 admin
← ચલ મન મુંબઈ નગરી—148
શિક્ષણ એટલે શિક્ષણ સિવાયનું જ બધું .., →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved