Opinion Magazine
Number of visits: 9449313
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણના ઘડતરમાં ડૉ. આંબેડકરનું અનન્ય પ્રદાન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 December 2021

બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસની જહેમતભરી કામગીરીથી તૈયાર થયેલું ભારતનું બંધારણ, બંધારણસભાએ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ પસાર કર્યું હતું. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડો. બાબાસાહેબ આંબેડકરનું બંધારણના ઘડતરમાં અનન્ય પ્રદાન હતું. તેથી તેમના અનુયાયીઓ અને ચાહકો વરસોથી ૨૬મી નવેમ્બરનો દિવસ ‘બંધારણ દિન’ તરીકે મનાવે છે. બાબાસાહેબના જન્મના સવાસોમા વરસ, ૨૦૧૫થી, કેન્દ્ર સરકારના આદેશ મુજબ હવે સરકારી રાહે રાષ્ટ્રીય કક્ષાએ ‘બંધારણ દિન’ ઉજવાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં જણાવ્યું હતું તેમ, આ દિવસની ઉજવણીનો સરકારનો ઉદ્દેશ બંધારણ પ્રત્યે તો લોકોમાં જાગૃતિ કેળવવાનો છે જ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના અણમોલ પ્રદાન પ્રત્યે પણ લોકોને  જાગ્રત કરવાનો છે.

ડૉ. આંબેડકર માટે દલિતોના અધિકારો માટે લડવાનું અંતિમ ક્ષેત્ર બંધારણસભા હતું. પરંતુ કાઁગ્રેસ તેમના બંધારણસભા પ્રવેશમાં મુખ્ય અવરોધક હતી. બંધારણસભાના સભ્યોની પરોક્ષ ચૂંટણી પ્રાંતિક ધારાસભાઓ મારફત થતી હતી. મુંબઈ ધારાસભામાં ડૉ. આંબેડકરની ઉમેદવારીને સમર્થન આપનાર કોઈ નહોતું. એટલે બંગાળમાંથી તેઓ બંધારણસભાના સભ્ય બન્યા હતા.

ભાગલા પૂર્વેના અખંડ ભારતની બંધારણસભાની પ્રથમ બેઠક ૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ મળી હતી. તેમાં મુસ્લિમ લીગ અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા નહોતા. તેમની ગેરહાજરીમાં બંધારણસભાનું કામ થોડો સમય મુલત્વી રાખવા ડૉ. એમ.એમ. જયકરે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવની તરફેણ અને વિરુદ્ધમાં ઘણી દલીલો થઈ હતી. ડૉ. આંબેડકરે પણ પોતાનું પ્રથમ પ્રવચન બંધારણસભાના પ્રમુખની વિનંતીથી આ વિષયે આપ્યું હતું. ડો. આંબેડકરના જીવનચરિત્રકાર ધનંજય કીરે લખ્યું છે. ‘વિશાળ મસ્તક, મક્કમતાથી ભીડાયેલા હોઠ, લંબગોળ તેજસ્વી ચહેરો ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ ઊભું થયું. અત્યંત ગંભીરતાથી, ભાષા પરના અમર્યાદિત પ્રભુત્વ અને હિંમત સાથે ડો. આંબેડકરે પ્રવચન આપ્યું.’ બૌદ્ધિક તટસ્થતા અને વાસ્તવિકતાના રણકાર સાથેના એ પ્રથમ પ્રવચનથી જ બાબાસાહેબે બંધારણસભાના સભ્યો પર અમીટ છાપ પાડી હતી.

૧૫મી જુલાઈ ૧૯૪૭ના રોજ બ્રિટનની સંસદમાં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં ભારતની બંધારણ સભા સાર્વભૌમ બની. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત પાકિસ્તાનના ભાગલા સાથે દેશ આઝાદ થયો. બંગાળના ભાગલાને કારણે બંગાળના સભ્યોની સંખ્યા ઘટતાં ડૉ. આંબેડકર બંધારણસભાના સભ્ય મટી ગયા.

આઝાદ ભારતના બંધારણના ઘડતર માટે જ્યારે દેશ નેતાઓ બ્રિટિશ બંધારણવિદ આયવરી જેનિંગ્સ પર નજર માંડી બેઠા હતા ત્યારે ગાંધીજીએ ‘ઘર આંગણે આંબેડકર છે ને’ એવો આદેશ કરેલો. ડૉ. આંબેડકરને બંધારણસભાના સભ્ય તરીકે ચૂંટી લાવવાની જવાબદારી સરદાર પટેલના શિરે મૂકાઈ હતી. મુંબઈમાં જયકરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર તેમને ચૂંટી લાવવા સરદારે તે સમયના મુખ્ય મંત્રી બી.જી. ખેરને પત્ર લખી જણાવ્યું હતું કે, ‘તમારે ૧૪મી ઓગસ્ટ પહેલાં ડૉ. આંબેડકરને જીતાડવાની વ્યવસ્થા કરવાની છે.’ (સરદાર પટેલ પત્રવ્યવહાર, ખંડ-૫, પૃષ્ઠ-૧૩૯) મુંબઈ  વિધાનસભામાંથી કાઁગ્રેસના સમર્થનથી બાબાસાહેબ બંધારણસભાના સભ્ય બન્યા હતા.

નવમી ડિસેમ્બર ૧૯૪૭ના રોજ સ્વતંત્ર ભારતની બંધારણસભાની પ્રથમ બેઠક મળી હતી. બંધારણનો મુસદ્દો ઘડનારી સાત સભ્યોની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. આંબેડકરની વરણી થઈ અને તેને કારણે સંવિધાનના નિર્માણનું મુખ્ય કાર્ય તેમના શિરે આવ્યું. ‘માત્ર દલિતોના હિતોની હિફાજત માટે જ હું સંવિધાનસભામાં આવ્યો હતો. આ સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર નહોતો.’ આમ કહેનાર ડૉ. આંબેડકરે ભાંગતી તબિયતે અપાર મહેનત અને લગનથી બંધારણના ઘડતરનું કામ કરીને બંધારણના મુખ્ય ઘડવૈયા બન્યા હતા. બંધારણસભાની વિવિધ સમિતિઓ અને સમગ્ર બંધારણસભામાં ભિન્નભિન્ન રાજકીય વિચારધારાના સભ્યોની સામેલગીરી અને ખુદ મુસદ્દા સમિતિના સભ્યોના અન્યત્ર રોકાણો છતાં ભારે ધીરજ અને કુનેહથી ડૉ. આંબેડકરે કામ કર્યું. મુસદ્દાની એક એક કંડિકાઓ પર વિચારવિમર્શ કરી સર્વસંમતિ ઊભી કરવાનું કપરું કામ તેમણે કર્યું હતું. બંધારણસભાના બાર અધિવેશનો અને સમિતિઓની અનેક બેઠકો યોજાઈ હતી. બંધારણના મુસદ્દામાં ૭,૬૩૫ સુધારા સૂચવાયા હતા અને ચર્ચાઓના અંતે ૨,૪૭૩ સ્વીકારાયા હતા. અંતે ૨૨ ભાગ, ૩૯૫ અનુચ્છેદ અને ૧૨ પરિશિષ્ઠ સાથેનું બંધારણ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ પસાર થયું અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી તેનો અમલ થયો.

અંતિમ બેઠકમાં ડૉ. આંબેડકરના અદ્દભુત, અતુલનીય અને અણમોલ કામની સરાહના કરતાં બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું, ‘બંધારણસભાની મુસદ્દા સમિતિના કાર્યનું હું પ્રત્યેક દિવસે નિરીક્ષણ કરતો આવ્યો છું. મુસદ્દા સમિતિના સભ્યોએ જે ઉત્સાહ, ચીવટ અને નિષ્ઠાથી આ કાર્ય પૂર્ણ કર્યું છે તેની ખાતરી બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં મને સવિશેષ છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. આંબેડકરે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું છે. આપણે સાત સભ્યોની મુસદ્દા સમિતિમાં નિમણૂક કરી હતી. એક સભ્યે રાજીનામું આપી દીધું અને તે બેઠક કદી ભરવામાં ન આવી. એક સભ્યનું મૃત્યુ થયું અને તે બેઠક પણ ખાલી રહી. એક સભ્ય અમેરિકા ચાલ્યા ગયા અને તેમની બેઠક પણ ખાલી રહી. બીજા એક સભ્ય દેશી રજવાડાંના પ્રશ્નમાં ગૂંચવાયેલા રહ્યા. એટલે વાસ્તવિક રીતે તો તે તે બેઠક પણ ખાલી જ હતી. એક બે સભ્યો આરોગ્ય અને બીજા કારણસર હાજર રહેતા નહોતા. એટલે બંધારણ ઘડવાની સમગ્ર જવાબદારી ડૉ. આંબેડકરના માથે જ આવી પડી હતી. અને તેમણે આવી પરિસ્થિતિ છતાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. આ બંધારણસભા તે માટે તેમની ઋણી છે.’ બંધારણસભાના ઘણાં સભ્યોએ પણ બાબાસાહેબના યોગદાનને મુક્ત રીતે બિરદાવ્યું હતું.

ડૉ. આંબેડકર દલિતોના હક અને હિત માટે બંધારણસભામાં આવ્યા હતા. બંધારણસભાને પોતાના સંગઠન ‘શિડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન’ તરફથી બંધારણમાં સમાવવાના દલિતોના અધિકારોનું આવેદનપત્ર, બંધારણની કલમો પ્રમાણે તેમણે આપ્યું હતું. ‘સ્ટેટ એન્ડ માઈનોરિટી’ તરીકે ગ્રંથસ્થ એ આવેદનપત્રની, ડૉ. આંબેડકરના સમગ્ર જીવનકાર્યના એજન્ડા સમી, એ માંગણીઓમાંથી કેટલીક જ બંધારણમાં સમાવવામાં આવી છે ! જો કે ડૉ. આંબેડકર દલિતોને અનામત સહિતના અધિકારો અપાવી, આભડછેટની નાબૂદી બંધારણ મારફત કરાવી શક્યા છે. ગાંધીજીના ગ્રામ સ્વરાજના આદર્શની સદંતર અવહેલના કરી તેમણે બંધારણના કેન્દ્રમાં ગામડાંને નહીં વ્યક્તિને મૂક્યો છે. પંચાયતી રાજને માર્ગદર્શક સિદ્ધાન્તોમાં સમાવી દલિતોને રંજાડનાર ગામડાં અને પંચાયતોને તેમણે મહત્ત્વ આપ્યું નહોતું. ભારતના બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા સાથે બંધુત્વ બાબાસાહેબની દેન છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય પુખ્ત વયના તમામ નાગરિકોને બંધારણ થકી મતદાનનો અધિકાર મળ્યો તેમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. બંધારણ દિને બંધારણીય મૂલ્યોનાં સ્મરણ સાથે તેના શિલ્પીને પણ યાદ કરીએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

14 December 2021 admin
← સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા?
સૌંદર્યની સમગ્રતા : →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved