Opinion Magazine
Number of visits: 9446691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અટક’ : ઓળખ અને જ્ઞાતિગુમાનના આટાપાટા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 May 2021

દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશોમાંના એક જાપાનની સરકારે તાજેતરમાં સવાસો વરસ જૂના, લગ્ન પછી દંપતીને એક સમાન અટક અપનાવવાના કાયદામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. એ જ દિવસોમાં ગુણવંતી ગુજરાતના, અમદાવાદ જિલ્લાના સાણંદમાં, ૨૧ વરસના દલિત યુવાનને દરબાર જેવી અટક હોવાના લીધે માર મારવામાં આવ્યો છે. ઈ.સ. ૧૮૯૬માં જાપાને કાયદો કરીને લગ્ન પછી પતિ-પત્નીએ એકસરખી અટક રાખવાનું ઠરાવ્યું હતું. એક અંદાજ મુજબ જાપાનની ૯૬ ટકા સ્ત્રીઓને લગ્ન પછી પતિની અટક અપનાવવી પડે છે. મહિલા જાગૃતિકરણ અને સમાનતાના આ જમાનામાં સ્ત્રીઓને તે ખટકતું હોઈ, તેઓ લાંબા સમયથી આ કાયદો બદલવાની માંગ કરે છે. જાપાનના વડા પ્રધાને દેશના લોકમત અને પોતાના પક્ષની ઉપરવટ જઈને સ્ત્રીઓની તરફેણમાં કાયદો બદલીને કોઈને લગ્ન પછી અટક બદલવાની જરૂર નથી, તેવો નિર્ણય લીધો છે. ઘરઆંગણે ગુજરાતમાં કોરોના મહામારીની હાડમારીથી રાહત મેળવવા જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાડી ગામનો દલિત યુવાન ભરત જાદવ સાણંદના કારખાનામાં મજૂરી કરવા આવ્યો હતો. સાણંદ વિસ્તારના દરબારો જેવી જાદવ અટકના કારણે ભરતને દરબારોએ માર મારીને ભગાડી મૂક્યો છે. જાપાનમાં પિતૃસત્તા અને ગુજરાતમાં જ્ઞાતિસત્તાને કારણે આજકાલ અટક વિવાદમાં છે.

નામ, અટક અને જ્ઞાતિ

ભલે શેક્સપિયરે કહ્યું હોય કે નામમાં શું બળ્યું છે, પરંતુ વર્ણ-વર્ગમાં વહેંચાયેલા વહેરાયેલા ભારતીય, ખાસ તો હિંદુ સમાજમાં, નામ અને અટક પણ ઉચ્ચાવચતાનું પ્રતીક છે. હિંદુશાસ્ત્રોનો આદેશ છે કે બ્રાહ્મણનું નામ મંગલકારી, ક્ષત્રિયનું બળયુક્ત, વૈશ્યનું ધનયુક્ત અને ક્ષુદ્રનું જુગુપ્સાપ્રેરક હોવું જોઈએ. ઊંચી જાતિના બ્રાહ્મણના નામમાં બે દેવનાં નામ (દા.ત. રામ, કૃષ્ણ) અને સામાન્ય બ્રાહ્મણના નામમાં એક દેવ( દા.ત. રામપ્રસાદ) આવે. ઊંચી જાતિના ક્ષત્રિયો પોતાના નામ સાથે ‘સિંહ’ લગાવે અને નીચી જાતિના ‘જી’ લગાવે. ઊંચા મનાતા વૈશ્યોનાં નામ પાછળ ‘ચન્દ્ર’ અને નીચાની પાછળ ‘લાલ’ લાગે. ઊંચી જાતિના ક્ષુદ્ધોનાં નામ પાછળ ‘ભાઈ’ લાગે, પણ અવર્ણ કે પંચમવર્ણના લોકોનાં નામો તુંકારે બોલાય તેવા કે માનવાચક શબ્દ વિનાનાં  હોવાં જોઈએ અને હોય છે.

અટકનો ઉદ્દભવ ક્યારે ?

આદિમાનવોની ઓળખ તેમની ટોળી કે શિકારનાં સ્થળો પરથી થતી હતી અને તે કાયમી નહોતી પણ બદલાતી રહેતી હતી. માનવી સમૂહમાં રહેતો થયો, કુટુંબસંસ્થા અસ્તિત્વમાં આવી તે પછી અટકો અસ્તિત્વમાં આવી હશે. સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીના મતે, ‘નામ’ એ વ્યક્તિગત ઓળખ છે, પરંતુ અટક એ જૂથગત ઓળખ છે. આ જૂથ જ્ઞાતિ, ગૌત્ર, કુટુંબ સમૂહ, ગામ કે વ્યવસાયના સ્વરૂપનું હોઈ શકે”.

ઇતિહાસવિદ નરોત્તમ પલાણનું માનવું છે કે “વસ્તીવધારો અને વ્યવહારની ઘનતા વધતાં માણસને અટકની જરૂરિયાત ઊભી થયેલી છે. મોટા ભાગે તે ગામ અને વ્યવસાય પરથી આવી છે.” પહેલા કર્મ મુજબની વર્ણવ્યવસ્થા પછી જન્મગત બની. વ્યક્તિનાં કામ સાથે પવિત્ર-અપવિત્રનાં અને ઊંચાં-નીચાં કામોના ખ્યાલો દાખલ થયા. એટલે કર્મ આધારિત વર્ણવ્યવસ્થા જન્મ આધારિત બની અને જ્ઞાતિપ્રથા જન્મી.

અટક : જ્ઞાતિનો અને જ્ઞાતિ-અહંકારનો પર્યાય

મૂળે પશ્ચિમના દેશોમાં જન્મેલી અને વ્યવસાય, વતન, ગામ, બાપદાદાનાં નામ પરથી બનેલી અટકો ભારતમાં જ્ઞાતિનો પર્યાય બની ગઈ છે. ખરી મુશ્કેલી ભરત જાદવ જેવા કિસ્સામાં થાય છે. એવી ઘણી અટકો છે, જે કથિત ઊંચી જાતિ અને કથિત નીચી એમ બંનેમાં સમાન હોય છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા ૧૯૪૨માં પ્રકાશિત ‘ગુજરાતી અટકોના ઇતિહાસ’ પુસ્તકમાં વિનોદિની નીલકંઠ રાજપૂતોની જે ૨૪ અટકો નોંધે છે, તેમાંથી અડધોઅડધ અટકો જેવી કે ગોહિલ, ચાવડા, ચૌહાણ, જાદવ, જાડેજા, ઝાલા, ડાભી, પરમાર,  રાઠોડ,  રાણા, વાઘેલા અને સોલંકી વરસોથી દલિતોની પણ અટકો છે. જ્ઞાતિગુમાનમાં રાચતા લોકો દલિતોને તેમની આ અટકને કારણે રંજાડે છે, તો કેટલાક દલિતો પણ પોતાની જ્ઞાતિ છુપાવવા આ અટકનો સહારો લે છે.

‘જાતિ, વર્ણ, જ્ઞાતિ અને અટક(એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય)’ના સંપાદક મહેન્દ્ર વાળા જુદા-જુદા જ્ઞાતિસમૂહોની એકસમાન અટક સંદર્ભે લખે છે કે, ‘એક જ અટકવાળાં સમૂહો, જૂથો કે જાતિઓ ભાયાતો હોવા જોઈએ.’ પણ આ વાત જ કથિત ઊંચી જાતિઓને ખટકે છે. તેઓ જ્ઞાતિએ તો ઉચ્ચ થઈ બેઠા છે પણ તેમના જેવી અટક દલિતોની કેમ છે તે વાતે વાંકું પાડે છે. માર્ટિન મેકવાનનો ગ્રામીણ ગુજરાતમાં પ્રવર્તતી આભડછેટનો અહેવાલ જણાવે છે કે ગુજરાતનાં ૬૪.૭ ટકા ગામોમાં દલિતોએ દરબાર પુરુષોને ‘બાપુ’ અને સ્ત્રીઓને ‘બા’ કહીને બોલાવવા પડે છે. મોટી ઉંમરના દલિત સ્ત્રી-પુરુષોને પણ નાની ઉંમરનાં દરબાર બાળકોને બા-બાપુના માનાર્થે સંબોધનથી જ બોલાવવાં પડે છે. હદ તો ત્યારે થાય છે કે ગુજરાત વિધાનસભામાં ક્ષત્રિય મંત્રીઓને અધ્યક્ષ સુધ્ધા ‘બાપુ’નું  સંબોધન કરે છે અને શાયદ વિધાનસભાના અધિકૃત રેકર્ડમાં પણ તે નોંધાતું હશે.

દલિતો કેમ બદલે છે અટકો ?

ભારતીય નાગરિકને કેટલાક પ્રતિબંધો સાથે ધર્મપરિવર્તનનો અધિકાર મળેલો છે, પરંતુ જ્ઞાતિ બદલી શકાતી નથી. કહેવાતા અસ્પૃશ્યો કે નીચલા વર્ણો અટકો બદલી શકે છે. નામ પણ બદલી શકે છે. તબીબી કૉલેજોમાં દલિત વિદ્યાર્થીઓને જ્ઞાતિને કારણે ભેદભાવનો ભોગ બનવું પડે છે. તેથી મેડિકલ કૉલેજોના દલિત વિદ્યાર્થીઓ અને ડૉકટર્સ, કૉન્ટ્રાક્ટર્સ, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરવા માંગતા અને અન્ય વ્યાવસાયિકો પોતાની અટકો બદલે છે. પંદરેક વરસ પૂર્વે ડૉ.હસમુખ પરમારે દલિતોના અટક બદલવાના વલણનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કર્યો હતો જે પછીથી ‘ન ઓળખાવાની નવીન તરાહ-અટક બદલો’ પુસ્તક રૂપે પણ પ્રગટ થયો છે. આ અભ્યાસના સર્વેક્ષણનું તારણ હતું કે ૩૦થી ૪૦ વરસના ૪૬.૬૭ ટકા દલિતોએ પોતાની અટકો બદલી હતી. અટક બદલવાનાં કારણો અસ્પૃશ્યતા, અપમાન, અન્યાય, બાળકોના ઉચ્ચ અભ્યાસ, વ્યવસાય , ધર્મપરિવર્તન અને લઘુતાગ્રંથિ હતાં. જે આજે પણ અકબંધ છે. જો કે ઉચ્ચ જ્ઞાતિની અટકો ધારણ કરવા છતાં ૮૩.૩૩ ટકા લોકોને તેમના સામાજિક દરજ્જામાં બદલાવ આવ્યાનું લાગ્યું નથી. સર્વેક્ષણ હેઠળના જે ૪૦ ટકા લોકોએ અટક બદલવાથી લાભ થયાનું જણાવ્યું હતું, તેમણે અટક બદલ્યા પછી જ્ઞાતિની ઓળખ ન થયાનો, સારી વર્તણૂકનો, અન્ય પ્રાંતના ગણી લીધાનો, ખાનગી ક્ષેત્રમાં નોકરી મળ્યાનો લાભ થયાનું જણાવ્યું હતું.

મેડિકલ કૉલેજમાં અભ્યાસ દરમિયાન નામ-અટક બદલનાર જાણીતા આંબેડકરી લેખક – કર્મશીલ ડૉ. પારિતોષ શાહે એક વાર કહ્યું હતું કે “આટલાં વરસે હવે ક્યારેક લાગે છે કે મારે મૂળ અટક સાચવી રાખીને સામાજિક સ્વીકૃતિ માટે સંઘર્ષ કરવો જોઈતો હતો. “અમદાવાદની સિવિલ હૉસ્પિટલના મનોરોગ વિભાગના નિવૃત્ત વડા અને બી.જે. મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. ગણપત વણકરે તેમની જ્ઞાતિ અને વ્યવસાયસૂચક મૂળ ‘વણકર’ અટક જાળવી રાખી છે. જાણીતાં ગાયિકા દિવાળીબહેન ભીલને પણ પોતાની ભીલ અટકની કોઈ નાનમ નહોતી. જો કે આવડત કે ક્ષમતા પર અટકને હાવી ન થવા દેતાં આવાં ઉદાહરણો બહુ ઓછાં જોવા મળે છે. જાણીતા સમાજશાસ્ત્રી અને ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના નિવૃત્ત વડા ડૉ. મનુભાઈ મકવાણાએ પોતાની અટક તો જાળવી રાખી છે, પરંતુ તેમનાં સંતાનોની અટક બદલાવીને તેમના ગામની સ્મૃતિમાં ‘શેરડીવાળા’ રાખી છે. રૂંવે-રૂંવે પ્રતિબદ્ધ નીરવ પટેલની ઓળખ કાયમ દલિત કવિની જ રહી છે, પરંતુ તેમણે નામ અને અટક બદલ્યાં હતાં ! 

અટકનાબૂદી જ્ઞાતિનાબૂદીની દિશાનું  પ્રથમ પગલું

ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ‘અટક’નો પર્યાય ‘અડક’ જણાવી તેનો અર્થ ‘ગોત્ર, ધંધો, કે વતન ઇત્યાદિ બતાવતું નામ જોડે મૂકવામાં આવતું ઉપનામ’ એવો દર્શાવ્યો છે.(પૃષ્ઠ-૧૩) લોકબોલીમાં ‘શાખ’, ‘નુખ’ અંગ્રેજીમાં ‘સરનેમ’ અને સંસ્કૃતમાં ‘અવટંક’ જેવા શબ્દોથી ઓળખાતી અટકનો એક અર્થ સાર્થ જોડણીકોશમાં ‘નડતર’ કે ‘અવરોધ’ પણ આપ્યો છે, જે દલિતો માટે યથાર્થ છે. વરિષ્ઠ કર્મશીલ પત્રકાર ઇન્દુકુમાર જાની અટકોને ‘જાતિપ્રથાના પર્યાયરૂપ અને સમાનતાની વિરોધી’ ગણે છે. સાધુ સચ્ચિદાનંદે દલિતોને ‘જ્ઞાતિદર્શક ન હોય તેવી અટકો ધારણ કરવા અને અનાદર પેદા કરનારી અટકો ફગાવી દેવા’ અપીલ કરી હતી. કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ માટે ગૌરવ, ગુમાન, શૌર્ય, અહમ્‌ કે ઉચ્ચતા દર્શાવતી અને દલિતો માટે અપમાન, અનાદર, ધૃણા અને નફરત જન્માવતી જ્ઞાતિસૂચક અટકો નાબૂદ થાય તે જ્ઞાતિનાબૂદીની દિશામાં પ્રથમ પગલું બની શકે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 05-06

Loading

30 May 2021 admin
← શું રસીકરણ તંદુરસ્તીની સાચી દિશા છે?
પેટ્રોલ- ડીઝલનો ભાવ વધારો લોકોને પરવડતો/નડતો નથી … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved