Opinion Magazine
Number of visits: 9449149
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચ રાજ્યોનાં પરિણામ : કૉંગ્રેસમુક્ત ભારતના સંકેત ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 May 2021

૨૦૧૪ની લોકસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પક્ષના વડા પ્રધાનપદના ઘોષિત ઉમેદવાર અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ‘કાઁગ્રેસમુક્ત ભારત’નો વિચાર વહેતો કર્યો હતો. જાણે કે તેમની વાત સાચી ઠરવાની હોય તેમ ૨૦૧૪માં કૉંગ્રેસને માત્ર ૪૨ બેઠકો જ મળતાં લોકસભામાં સત્તાવાર વિપક્ષનું સ્થાન પણ ન મળ્યું. તે પછી ભા.જ.પ.ના નેતાઓએ કૉંગ્રેમુક્ત ભારતનું ચૂંટણી-અભિયાન આદર્યું અને રાજ્યોની ચૂંટણીઓ જીતતા રહ્યા. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં એમની કૉંગ્રેસમુક્ત ભારતના વિચારની આલોચનાના પ્રત્યુત્તરમાં ગાંધીજીની કૉંગ્રેસમુક્ત ભારતની અંતિમ ઇચ્છાની વાત કરી હતી. ‘આ વિચાર તેમનો નથી, ગાંધીજીનો છે’, તેમ કહી વડા પ્રધાને ૧૫૦મા ગાંધી જન્મ-શતાબ્દી વરસે તેમના કૉંગ્રેસમુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રમાં બી.જે.પી.નાં સાત વરસના શાસન દરમિયાનની પ્રત્યેક ચૂંટણીમાં કૉંગ્રેસમુક્ત ભારતનો નારો બુલંદ કરવામાં આવ્યો છે. ચૂંટણીઓમાં બી.જે.પી.ના વિસ્તાર અને કૉંગ્રેસના સંકોચન સાથે કૉંગ્રેસથી દેશ મુક્ત થઈ રહ્યાનાં ગાણાં ગવાય છે. તાજેતરના અસમ, કેરળ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ એ પાંચ રાજ્યોની વિધાનસભાઓનાં ચૂંટણીનાં પરિણામોને ભાજપ-કૉંગ્રેસની હાર-જીતની દૃષ્ટિએ મૂલવવા જેવાં છે. પાંચ રાજ્યોની કુલ ૮૨૨ બેઠકોની ચૂંટણીમાં ભા.જ.પ.ને ૧૪૭ (કુલ બેઠકોના ૧૭.૮ ટકા) અને કૉંગ્રેસને તેના કરતાં લગભગ અડધી એટલે કે ૭૦ (૮.૫ ટકા) બેઠકો મળી છે. બી.જે.પી.એ તેની અસમની રાજવટ જાળવી રાખી છે અને ટચૂકડા પુડુચેરીમાં તેનો સહયોગી પક્ષ સત્તાનશીન થયો છે. જો કે બી.જે.પી.ના અન્ય સહયોગી પક્ષ અનાદ્રમુકે તમિલનાડુમાં સત્તા ગુમાવી છે, પશ્ચિમ બંગાળમાં ઘણા ધમપછાડા કરવા છતાં તેને ધારી સફળતા મળી નથી. કેરળમાં તો તેનું ખાતું જ ખૂલ્યું નથી.

પુડુચેરીમાં કૉંગ્રેસનું રાજ હતું, પણ તેના ધારાસભ્યોના પક્ષપલટાને કારણે ચૂંટણીપૂર્વે જ સત્તા ગુમાવી હતી. એટલે પાંચમાંથી એકેય રાજ્યમાં તેની સત્તા નહોતી. તમિલનાડુમાં તેનો સહયોગી પક્ષ દ્રમુક સત્તા મેળવી શક્યો છે, તે તેની ઉપલબ્ધિ છે. કૉંગ્રેસને પશ્ચિમ બંગાળમાં અને ભા.જ.પ.ને કેરળમાં અનુક્રમે ૨૯૨ અને ૧૪૦ વિધાનસભા-બેઠકોના ગૃહમાં એકેય બેઠક મળી નથી. બી.જે.પી.ને સૌથી વધુ બેઠકો અને મત (૭૭ બેઠકો અને ૩૮.૧૩ ટકા મત) પશ્ચિમ બંગાળમાં મળ્યાં છે. તો કૉંગ્રેસને સૌથી વધુ બેઠકો અને મત (બેઠકો ૨૯ અને મત ૨૯.૭ ટકા) અસમમાં મળ્યાં છે. કેરળમાં ૧૧.૩૦ ટકા મતો મેળવવા છતાં એકેય બેઠક નહીં જીતી શકેલી  બી.જે.પી.ને તે પછીના ક્રમે સૌથી ઓછી ૪ બેઠકો અને ૨.૬૨ ટકા મત તમિલનાડુમાં મળ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ૨.૯૩ ટકા મત અને શૂન્ય બેઠકો મેળવનાર કૉંગ્રેસને તમિલનાડુમાં સૌથી ઓછા ૪.૨૭ ટકા મત (પણ બેઠકો ૧૮) અને પુડુચેરીમાં માત્ર બે જ બેઠકો અને ૧૫.૭૧ ટકા મત મળ્યાં છે.

વિધાનસભા બેઠકોના સંખ્યાબળની રીતે ભા.જ.પ. અસમમાં પ્રથમ, બંગાળ અને પુડુચેરીમાં બીજા, જ્યારે તમિલનાડુમાં પાંચમા ક્રમનો પક્ષ છે. સંખ્યાબળની દૃષ્ટ્રિએ કૉંગ્રેસ એકેય વિધાનસભામાં પ્રથમ ક્રમે નથી, પરંતુ અસમ અને કેરળમાં બીજા તો તમિલનાડુમાં ત્રીજા ક્રમે છે. ભા.જ.પ.ને પાંચેય રાજ્યોમાં સરેરાશ ૧૯.૭૮ ટકા અને કૉંગ્રેસને ૧૫.૫૪ ટકા મત મળ્યા છે. ભા.જ.પ. અસમમાં સત્તાપક્ષે, પુડુચેરીમાં સત્તાના ભાગીદાર તરીકે અને બંગાળમાં મુખ્ય વિપક્ષ છે. કૉંગ્રેસ એકેય રાજ્યમાં સત્તાપક્ષ નથી, પરંતુ તમિલનાડુમાં તે સત્તામાં ભાગીદાર છે, અસમ અને કેરળમાં તે અને પુડુચેરીમાં તેનું ગઠબંધન મુખ્ય વિપક્ષ છે.

પાંચ રાજ્યોનાં ચૂંટણી-પરિણામોની આ સઘળી વિગતો દર્શાવે છે કે કૉંગ્રેસનું દેશના મુખ્ય વિપક્ષ અને બી.જે.પી. પછીના ક્રમના પક્ષ તરીકેનું સ્થાન અકબંધ છે. સંસદના બંને ગૃહોમાં અને ઘણાં રાજ્યોની વિધાનસભાઓમાં કૉંગ્રેસ મુખ્ય વિપક્ષ છે. પંજાબ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં તે સત્તામાં છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તે ગઠબંધન સરકારોનો હિસ્સો છે. કૉંગ્રેસ ચૂંટણી હારી છે, સત્તા ગુમાવી છે, પરંતુ તેનો પૂર્ણ ક્ષય થઈ ગયો નથી. તેથી બી.જે.પી.નું કૉંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન હજુ ફળીભૂત થાય તેમ નથી.

કૉંગ્રેસમુક્ત ભારત ઇચ્છતા વડા પ્રધાન ખરેખર તો વિપક્ષમુક્ત અર્થાત્‌ આપખુદ સત્તામાં માને છે, એવી ટીકાઓ થઈ હતી. વડા પ્રધાને રાજકીય રીતે વિપક્ષને સમાપ્ત કરવાનો તેમનો કહેવાનો મતલબ નથી, એવી સ્પષ્ટતા કરી હતી. તેઓએ કૉંગ્રેસમુક્ત એટલે કૉંગ્રેસ કલ્ચરમુક્ત દેશ એમ કહ્યું હોવાનો બચાવ કર્યો હતો. વડા પ્રધાનના મતે કૉંગ્રેસકલ્ચર એટલે પરિવારવાદ કે વંશવાદ, સત્તાનું કેન્દ્રીકરણ, જાતિવાદ, ભ્રષ્ટાચાર, શોષણ છે. ખુદ કૉંગ્રેસે પણ આ કલ્ચરથી મુક્ત થવાની જરૂર છે, એમ પણ તેમણે કહ્યું હતું. વડા પ્રધાન કૉંગ્રેસકલ્ચર તરીકે કૉંગ્રેસની જે ખામીઓ ગણાવે છે, તે ભા.જ.પ. સહિતના પક્ષોમાં શું ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળતી નથી?. શું આ બધી ખામીઓ પર કૉંગ્રેસનો જ ઇજારો છે ? એટલે વડા પ્રધાનનો આ તર્ક ગળે ઊતરે એવો નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત કોંગ્રેસમુક્ત ભારત જેવા શબ્દને રાજકીય મુહાવરો ગણાવી તે સંઘની ભાષા ન હોઈ સંઘ તેના સાથે સંમત નથી, તેમ જણાવે છે. કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીનો મત છે કે તેઓ બી.જે.પી.ની વિચારધારા સામે અમે લડીશું પણ તેને રાજકીય રીતે ખતમ કરી દેવાની વાત ક્યારે ય નહીં કરે. કેમ કે તે સમાજના એક વર્ગની અભિવ્યક્તિ છે અને લોકતંત્રમાં તેને પણ તેની અભિવ્યક્તિનો અધિકાર છે.

ગાંધીજી કૉંગ્રેસમુક્ત ભારત ઇચ્છતા હતા, તેવી દલીલમાં પણ અર્ધસત્ય છે. હા, એ સાચું કે હત્યાના માત્ર ત્રણ દિવસ પહેલાં, ૨૭મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ, ગાંધીજીએ એક નોંધમાં લખ્યું હતું કે, “પોતાના હાલના બદલાયેલા સ્વરૂપમાં કૉંગ્રેસે તેની ભૂમિકા પૂર્ણ કરી દીધી છે, એટલે તેનું વિસર્જન કરી તેને એક લોક સેવક સંઘમાં રૂપાંતરિત કરી દેવી જોઈએ. “ગાંધીજી અને કૉંગ્રેસના નેતાઓ સ્વાતંત્ર્યોત્તર ભારતમાં કૉંગ્રેસની બદલાયેલી ભૂમિકા અને તેના પુનર્ગઠન વિશે જે વિચારતા હતા, તેનો પ્રતિઘોષ ગાંધીજીની આ નોંધમાં છે. તેને અંતિમ ઇચ્છા કે વસિયતનામા રૂપે ખપાવીને દેશને વિપક્ષમુક્ત કરવા માંગતાં બળોએ ગાંધીજીની આ વાત વિસારે પાડવા જેવી નથી : “કૉંગ્રેસ દેશનું સૌથી જૂનું રાજકીય સંગઠન છે. તેણે ઘણાં અહિંસક આંદોલનો દ્વારા આઝાદી મેળવી છે. તેને ખતમ કરવાની મંજૂરી આપી શકાય નહીં. તે માત્ર ને માત્ર રાષ્ટ્રની સાથે જ ખતમ થશે. “પાંચ રાજ્યોનાં પરિણામો કૉંગ્રેસમુક્ત ભારતનો સંકેત આપતાં નથી, ત્યારે ગાંધીજીના નામે કૉંગ્રેસમુક્ત ભારત ઇચ્છતા લોકો કમ સે કમ “કૉંગ્રેસ રાષ્ટ્રની સાથે જ ખતમ થશે”, એવી ગાંધીજીની વાત કાળજે ધરે તો ય ઘણું. 

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 03

Loading

29 May 2021 admin
← ‘શબવાહિની ગંગા’ની સાખે
માઈન્ડ અને પોલિટકલ સ્પેસ ઉપર કબજો કરવાના મિશનમાં કોરોનાના અપશુકન ?! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved