Opinion Magazine
Number of visits: 9448852
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક જજ લોકતંત્ર, ન્યાય અને અંતરાત્માનો સોદો રાજ્યસભાની બેઠકની લાલચમાં કરી દે તો, શું કરશો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 March 2021

ભારતનું લોકતંત્ર ખતરામાં છે અને હવે તો દુનિયા પણ કહેવા લાગી છે. એટલે તો ૧૨મી માર્ચે ચતુષ્કોણ પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલાસો કરવો પડ્યો હતો કે ભારતમાં લોકતાંત્રિક સંસ્થાઓ સ્વતંત્ર છે અને ભીંસમાં નથી. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જપાને સુરક્ષાની દિશામાં સંવાદ અને સહયોગ માટે ૨૦૦૭ની સાલમાં એક જૂથની રચના કરી હતી કે ક્વૉડ કૉન્ફરન્સ તરીકે ઓળખાય છે. આ ચારે ય દેશો લોકતાંત્રિક દેશો છે અને ચીનના વિસ્તારવાદની ભીંસ અનુભવી રહ્યા છે. આ ચાર દેશોમાંથી જપાન અને ઓસ્ટ્રેલિયાના લોકતંત્રને અત્યારે તો કોઈ ખતરો નથી. અમેરિકન લોકતંત્ર પરનો ખતરો અત્યારે તો ટળી ગયો છે અને ભારતનું લોકતંત્ર ખતરામાં છે.

બે પરિબળો છે જે લોકતંત્રને બચાવી શકે. એક છે, નાગરિકો અને બીજી લોકતાંત્રિક સંસ્થાઓ. અમેરિકાના લોકતંત્રને બન્નેએ મળીને બચાવી લીધું. લોકતાંત્રિક સંસ્થાઓએ ટ્રમ્પની તાનાશાહીનો મુકાબલો કર્યો હતો તે ત્યાં સુધી કે જ્યારે પણ કોઈ પ્રશ્ન અમેરિકાની ફેડરલ કોર્ટમાં જતો હતો, ત્યારે અમેરિકાના શ્વેત ખ્રિસ્તીઓની સર્વોપરિતામાં માનનારાઓ કાગારોળ કરીને અદાલત ઉપર અને બીજી લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર દબાણ લાવતા હતા. અમેરિકાથી ઊલટું આપણે ત્યાં લોકતંત્રને સંબંધિત કોઈ પ્રશ્ન સર્વોચ્ચ અદાલતમાં કે ચૂંટણીપંચ સમક્ષ જાય છે ત્યારે સેક્યુલર લોકતંત્રમાં માનનારા ઉદારમતવાદીઓએ ઊહાપોહ કરવો પડે છે. અમેરિકન નાગરિકોએ ટ્રમ્પને પરાજીત કરીને લોકતંત્ર બચાવી લીધું હતું. જો કે ટ્રમ્પ જરાકમાં હાર્યા છે એટલે અમેરિકન લોકતંત્ર ખતરામુક્ત નથી.

ભારતમાં લોકતંત્ર બચાવવાની જેની જવાબદારી છે એવી ડઝનેક લોકશાહી સંસ્થાઓમાં સૌથી મહત્ત્વની અને શક્તિશાળી સંસ્થા સર્વોચ્ચ અદાલત છે. આનું કારણ એ છે કે બંધારણ ઘડનારાઓ દેશના લોકતંત્રને બચાવવાની ખાસ જવાબદારી સર્વોચ્ચ અદાલતને સોંપતા ગયા છે અને એ માટે જરૂરી સત્તા પણ આપતા ગયા છે. બંધારણમાં ખાસ તાકીદ કરવામાં આવી છે કે જ્યારે પણ લોકશાહી અને લોકશાહી મૂલ્યોનો હ્રાસ થતો જોવા મળે ત્યારે દેશનો અદનો નાગરિક કોઈ પણ વકીલ રોક્યા વિના સીધો સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવી શકે છે અને સર્વોચ્ચ અદાલત સઘળાં કામ પડતા મૂકીને તેને સાંભળવા બંધાયેલી છે. ટૂંકમાં લોકતંત્રની અને નાગરિક સ્વાતંત્ર્યની રખેવાળી કરવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતની છે અને તેને માટે જરૂરી સત્તા સાથે પાકી જોગવાઈ કરવામાં આવી છે.

પણ સ્થાન ગમે તેટલું પવિત્ર હોય અને ગમે તેટલું શક્તિશાળી હોય, આખરે એ સ્થાન ઉપર કોઈ માણસ જ બેસવાનો છે અને માણસ અંતે માણસ હોય છે. દરેક પ્રકારની મર્યાદા ધરાવનારો માટીનો બનેલો. જગત આખામાં ધર્મસંસ્થા અને ન્યાયસંસ્થા પવિત્ર અને શક્તિશાળી સંસ્થા તરીકેનું સ્થાન ધરાવે છે. ધર્મગુરુની જેમ સર્વોચ્ચ અદાલતનો જજ પણ ડરપોક હોઈ શકે છે, લાલચી હોઈ શકે છે, બીકાઉ હોઈ શકે છે, પૂર્વગ્રહોથી દૂષિત હોઈ શકે છે અને કાયદાનું અર્થઘટન કરવામાં નબળો પણ હોઈ શકે છે. માટે દરેક સંસ્થામાં બેઠેલા લોકો ઉપર નજર રાખવી જોઈએ અને તેમાં ધર્મપીઠ અને ન્યાયપીઠ અપવાદ ન હોઈ શકે.

સવાલ એ છે સર્વોચ્ચ અદાલતનો જજ ખોટો, પક્ષપાતી કે બંધારણવિરોધી ચુકાદો આપે ત્યારે નિંદા કરવી જોઈએ કે પછી એવો ચુકાદો આપે જ નહીં એ માટે ઊહાપોહ પણ કરવો જોઈએ? બે શબ્દ સમજવાની કોશિશ કરજો. નિંદા અને ઊહાપોહ. નિંદા ખોટું થાય ત્યારે કરવી જોઈએ અને ઊહાપોહ ખોટું ન થાય એ માટે કરવો જોઈએ. ઊહાપોહ એ નિંદા નથી, પણ સાવધાની માટેની કાગારોળ છે. જાગૃત નાગરિકોએ ઊહાપોહ કરવો જ જોઈએ. એવું નથી કે બંધારણ માત્ર સર્વોચ્ચ અદાલતને જ સમજાય છે સામાન્ય નાગરિકને નથી સમજાતું. આધુનિક રાજ્યમાં નાગરિક ભાગીદાર છે અને પાયાનો પથ્થર છે. એનું અને એનાં સંતાનોનું હિત તેમાં જોડાયેલું છે કશુંક ખોટું થવાની સંભાવના નજરે પડે એટલે તેણે કાગારોળ કરવી જ જોઈએ.

આવો એક પ્રસંગ સર્વોચ્ચ અદાલતે આપ્યો છે. ભારતીય જનતા પક્ષના એક ભાઈએ ૧૯૯૧માં ઘડાયેલા પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે અને માગણી કરી છે કે તેને રિવ્યુ કરવામાં આવે. આપણા આશ્ચર્ય વચ્ચે સર્વોચ્ચ અદાલતે એ અરજી ફગાવી દેવાની જગ્યાએ દાખલ કરી છે અને કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે આ વિષે કેન્દ્ર સરકારને શું કહેવાનું છે એ સ્પષ્ટ કરે. હવે સર્વોચ્ચ અદાલતે એ અરજી શા માટે બારોબાર ફગાવી દેવી જોઈતી હતી એની વાત કરતાં પહેલાં પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧ શું કહે છે એ જોઈ લઈએ.

સંઘપરિવારે જ્યારે અયોધ્યામાં રામમંદિર બાંધવા માટેનું આંદોલન શરૂ કર્યું ત્યારે ‘તીન નહીં તીન હજાર’નો નારો ચલાવવામાં આવતો હતો. તેમની માગણી એવી હતી કે માત્ર કાશી, મથુરા અને અયોધ્યા એમ ત્રણ જગ્યાએ મુસલમાનોનાં ધાર્મિક સ્થાનોને નથી હટાવવાનાં, દેશભરમાં બીજાં ત્રણ હજાર સ્થાનો એવાં છે જે મુસલમાનો પાસેથી છીનવી લેવાનાં છે. જો આવું બને તો દેશ હિંદુ રાષ્ટ્ર તો બનવો હશે ત્યારે બનશે પણ ખાખી (નાદાર) રાષ્ટ્ર જરૂર બનશે. અશાંતિ અને સમૃદ્ધિ એક સ્થળે એક સાથે નથી વસતાં. આવી સ્થિતિને રોકવા માટે ૧૯૯૧ની સાલમાં પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ એવો એક કાયદો ઘડવામાં આવ્યો હતો જેમાં જોગવાઈ કરવામાં આવી હતી કે એક માત્ર અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદ-રામજન્મભૂમિનું ધાર્મિક સ્થાન છોડીને દેશમાં દરેક જગ્યાએ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જે તે ધાર્મિક સ્થાનોની જે સ્થિતિ હતી તે કાયમ રહેશે. અયોધ્યાનો અપવાદ એટલા માટે કરવામાં આવ્યો હતો કે વિવાદ સો વરસથી અદાલતમાં હતો અને તેનો ઉકેલ લાવવા માટે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે ત્યારે વાતચીત ચાલતી હતી. એ સમયે એ ખરડાનો બી.જે.પી.એ વિરોધ કર્યો હતો, પરંતુ અન્ય પક્ષોની બન્ને ગૃહોમાં બહુમતી હોવાથી એ ખરડો પસાર થયો અને કાયદો બન્યો.

દેખીતી રીતે એ કાયદો નવા પરિવર્તનની વચ્ચે આડો આવે છે. કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ કબજે કરવી હોય, મથુરામાં ઇદગાહને કબજે કરવો હોય, બીજાં ત્રણ હજાર મુસ્લિમ ધર્મસ્થાનોને છીનવી લેવાં હોય તો આ કાયદો આડો આવે છે. માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી છે.

હવે પેલા સવાલનો જવાબ કે શા માટે સર્વોચ્ચ અદાલતે અરજી બારોબાર ફગાવી દેવી જોઈતી હતી અને શા માટે તેને દાખલ કરી છે એ જોઇને ડર લાગે છે અને કાગારોળ કરવી પડે એમ છે? એક તો એ કે એ કાયદો ઘડાયો ત્યારે બાબરી મસ્જિદ-રામમંદિરના પ્રશ્નને એમાંથી બહાર રાખ્યો હતો કે ચાલો એક મામલો ઊભો થયો છે તો તેને કોઈક રીતે ઉકેલી લેવાશે, પણ હવે પછી નવા વિવાદ પેદા કરવામાં નહીં આવે. એ ભાવનાને એક માત્ર સંઘપરિવારને છોડીને સર્વત્ર આવકારવામાં આવી હતી. ખુદ સર્વોચ્ચ અદાલતે જ્યારે ત્યારે સેકયુલરિઝમ અને અયોધ્યા વિષે નુક્તેચીની કરવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે તેને આવકાર્યો છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિઓએ અને બીજા ન્યાયમૂર્તિઓએ ખાનગી કે જાહેર કાર્યક્રમોમાં બોલતા તેને આવકાર્યો છે. ૨૦૧૦માં અલ્હાબાદની વડી અદાલતે બાબરી મસ્જિદ વિષે આપેલા ચુકાદામાં એ કાયદાની ઉપયોગિતા વર્ણવી બતાવી છે.

અને ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં સર્વોચ્ચ અદાલતે બાબરી મસ્જિદ વિશેના આપેલા ચુકાદામાં? ઓ હો, એમાં તો એ કાયદાના એટલાં બધાં ઓવારણા લેવામાં આવ્યાં છે કે વાત ન પૂછો. જજો દરેક ફકરામાં બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદના દુર્ભાગ્યપૂર્ણ ઇતિહાસની અને ૧૯૯૧ના કાયદાના પરિણામે ઉજ્વળ ભવિષ્યની યાદ અપાવતા હતા. વાત એમ હતી કે ત્યારે સર્વોચ્ચ અદાલતના જજો હિંદુઓની તરફેણમાં અને મુસલમાનોને અન્યાય કરનારો ચુકાદો આપવા માગતા હતા અને એ રીતે ભારતના સેક્યુલર કિલ્લામાં ફાંકુ પાડવા માંગતા હતા એટલે દરવાજો કેટલો બુલંદ છે એની વારંવાર યાદ અપાવતા હતા. એ બુલંદ દરવાજો એટલે ૧૯૯૧નો પ્લેસીસ ઓફ વર્સીસ એક્ટ. સર્વોચ્ચ અદાલતના જજો જ્યારે મુસલમાનોને સેક્યુલર ઇન્ડિયાનો દરવાજો કેવો બુલંદ છે અને બીજાં ધાર્મિક સ્થાનોને ઊની આંચ નહીં આવે એવો સધિયારો આપતા હતા ત્યારે દિલ્હીમાં અને નાગપુરમાં કેટલાક લોકો મૂછમાં હસતા હશે કે આ તો પહેલો કડવો ઘૂંટડો છે, હજુ બીજા ઘૂંટડા પીવાના છે.

હવે સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે શા માટે સર્વોચ્ચ અદાલતે એ અરજી દાખલ જ નહોતી કરવી જોઈતી. જે જોગવાઈનાં સર્વોચ્ચ અદાલત દ્વારા વારંવાર ઓવરણા લેવામાં આવ્યાં છે, જે જોગવાઈનો સધિયારો આપીને મુસલમાનોને અન્યાય કરવામાં આવ્યો અને જે જોગવાઈને આગળ રાખીને સેક્યુલર ઇન્ડિયાના ગઢમાં ગાબડું પાડવામાં આવ્યું એ જોગવાઈમાં જ જો ગાબડું પાડવાની માગણી કરતી અરજી કરવામાં આવે તો તેને દાખલ કરવાની હોય કે ફગાવી દેવાની હોય! સર્વોચ્ચ અદાલતે અરજી દાખલ કરી છે એટલે ડર લાગે છે અને માટે ઊહાપોહ કરવો પડે એમ છે. કાગારોળ કરવી પડે એમ છે. રખે એવું ન બને કે વધુ એક જજ રાજ્યસભાની સીટ સામે દેશના સેક્યુલર લોકતંત્રનો, ન્યાયનો અને પોતાના અંતરાત્માનો સોદો કરી નાખે. આવી વકી છે અને પાકી વકી છે.

બાય ધ વે, ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ એક વરસથી રાજ્યસભામાં બેઠા છે પણ મોઢું ખોલતા શરમાય છે. હજુ સુધી એક શબ્દ બોલ્યા નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 માર્ચ 2021

Loading

25 March 2021 admin
← ભાવપ્રેમથી ‘વિદાય–સલામ’ …
સરકાર લોકોને હોળીનું નાળિયેર બનાવી રહી છે… →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved