Opinion Magazine
Number of visits: 9506015
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડાપ્રધાનશ્રીને ખુલ્લો પત્ર —

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 March 2021

આદરણીય વડાપ્રધાનશ્રી,

નમસ્કાર.

તમારી કુશળતા અને સ્વસ્થતા અંગે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.

ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે લોકોના પ્રશ્નો સંદર્ભે તમે સામેથી ફોન કરતા ને એ સંદર્ભે મને ફોન કરીને તમે પૂછેલું તો મેં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી, એ શરૂ કરવા વિનંતી કરેલી. તમે વિગતો સાથે મને રજૂઆત કરવા જણાવેલું. મેં તેમ કરેલું. એ પછી સાહિત્ય પરિષદ તરફથી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે ગુજરાતના સાહિત્યકારો સાથે તમને રૂબરૂ મળવાનું થયેલું, ત્યારે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી એ સંદર્ભે ફોન પર થયેલી વાતચીતનો સંદર્ભ આપેલો અને એ યાદ છે એવું તમે જણાવેલું. પછી તો વીર નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ શરૂ થયો પણ ખરો ને અત્યારે સક્રિય પણ છે, એનો યશ હું અંગત અને જાહેર રીતે તમને આપી કૃતજ્ઞતાની લાગણી ફરી એકવાર પ્રગટ કરું છું.

તે પછી તો તમે વડા પ્રધાન થયા એટલે હવે સામેથી ફોન કરીને સમસ્યા નહીં જાણી શકતા હો તે સમજી શકું છું. અંગત રીતે વળી એક વખત પ્રધાન મંત્રી કાર્યાલય પર ફોન કરી સંપર્ક કરવા પ્રયત્ન કરેલો, પણ તમારા સુધી ન પહોંચી શકેલો. આજે કેટલીક વાત કરવા જાહેર પત્ર લખી રહ્યો છું, તેમાં હેતુ કેવળ મારી મૂંઝવણ રજૂ કરવાનો ને માર્ગદર્શન મેળવવાનો છે. કૃપા કરીને એટલું જરૂર નોંધશો કે અહીંની રજૂઆતમાં તમારી કે કોઈની પણ ટીકા કરવાનો મારો લેશ માત્ર પણ આશય નથી.

તમે કોરોનાની રસી સંદર્ભે ભારતને જે રીતે વૈશ્વિક ઊંચાઈ આપી છે તે માટે હું અંગત અને જાહેર રીતે અભિનંદન આપું છું અને આખા દેશ વતી તમારો આભાર માનું છું, તે સાથે જ પાલિકા અને પંચાયતની ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં જે અરાજકતા વ્યાપી તેણે આખા રાજ્યને કોરોનાના જ્વાળામુખી પર મૂકી આપ્યું છે, વળી પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ને એને કારણે બંગાળ અને અન્ય રાજ્યોમાં જે ગરમાટો વર્તાઈ રહ્યો છે તેનાથી જે તે રાજ્યો પર કોરોનાની તવાઈ આવે એમ છે, એનાથી પણ તમે અજાણ નહીં જ હો એમ માનું છું. ગુજરાતમાંથી કોરોના જવા પર હતો, પણ ચૂંટણી સભાઓ અને પ્રચાર ને પરિણામની જે ભીડ રાજયમાં જામી એણે ગુજરાતની હાલત કફોડી કરી છે. એમાં સુરતની સ્થિતિ વધુ ખરાબ છે, કારણ એમાં યુનાઇટેડ કિંગ્ડમ અને સાઉથ આફ્રિકન સ્ટ્રેનના વધુ જોખમી કેસો ઉમેરાયા છે ને 40 ટકા કેસો ટ્રાવેલ હિસ્ટ્રીને કારણે પણ વધ્યા છે. કોલેજો ને સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝિટિવ નીકળતાં સંબંધિત સ્કૂલ, કોલેજો બંધ કરાવાઈ રહ્યાંનું પણ મીડિયા બોલે છે.

બીજી તરફ આજથી ધોરણ 3થી 8ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. અંદાજે 50 લાખ બાળકો આ પરીક્ષા આપવાના છે. ગુજરાત સરકારે ભણાવ્યું કે કેમ તે તો એ જાણે, પણ તેણે પરીક્ષાઓ લેવાની વીરતા બતાવવામાં જરા પણ કચાશ રાખી નથી તે નોંધવું ઘટે. ખરેખર તો આટલી મોટી સંખ્યામાં નાની ઉંમરનાં બાળકો પર, અત્યારના સંજોગોમાં પરીક્ષાનું ભારણ લાદવા જેવું નથી. આ પરીક્ષાઓ સરસ રીતે થઈ જ શકી હોત, પણ ચૂંટણીએ વાતાવરણ બગાડ્યું ને તે બગડી જ રહ્યું છે ત્યારે બોર્ડની પરીક્ષાઓ થવા બાબતે પણ ચિંતા રહે છે, એ જ સ્થિતિ કોલેજની પરીક્ષાઓની પણ હોઈ શકે છે. વારુ, જે પરીક્ષાઓ ઘરેથી લેવાવાની છે, એમાં બાળકોને બધાં પેપર્સ એક સાથે પહોંચતાં કરવાની વાત પણ પરિપત્રમાં કહેવાઈ છે. સાધારણ રીતે વર્ગખંડોમાં એક વિષયની પરીક્ષા, ચોક્કસ સમય મર્યાદામાં કોરોના પહેલાં લેવાતી રહી છે, એ વાત હવે બદલાઈ છે ને વિદ્યાર્થીઓને એક સાથે બધાં પ્રશ્નપત્રો આપીને દિવસો પછી એની ઉત્તરવહીઓ પરત મેળવવાની વાત છે. આમાં પરીક્ષાનો મૂળ હેતુ જળવાતો હોય એવું લાગતું નથી, કારણ બાળક કોઈ પણ દેખરેખ વગર કહેવાતી પરીક્ષા આપે એવી પૂરી શક્યતાઓ છે જ, વળી જ્યાં પ્રત્યક્ષ પરીક્ષાઓ સ્કૂલોમાં લેવાવાની છે, ત્યાં કોરોનાના આટલા વકરાટ પછી સમૂહમાં બધાંને ભેગા કરવાનું હિતાવહ ખરું?

આ ઉપરાંત લગ્નો ને મેળાવડાઓને કારણે પણ સંક્રમણ વધ્યું ને દોષનો ટોપલો લોકોને માથે આવ્યો. લોકો જવાબદાર ખરા જ, પણ ચૂંટણી જરા પણ નિર્દોષ નથી એવું હું નમ્રપણે માનું છું. ગમ્મત તો એ કે કોરોના વકર્યો તેને માટે હાઈકોર્ટે પણ લોકોને જ જવાબદાર ઠેરવ્યા ને એવું ચલાવ્યું કે લોકો નહીં સુધરે તો લોકડાઉન ગુજરાતમાં ફરી આવી શકે એમ છે. પણ, ચૂંટણી બાબતે સૌએ મૌન એવી રીતે સેવ્યું, કેમ જાણે ચૂંટણી થઈ જ ન હતી !

ઠીક છે, જે જવાબદાર હોય તે ખરું, પણ સ્થિતિ પર કાબૂ મેળવવાની ગુજરાત સરકારની ઇચ્છા હજી પણ જણાતી નથી તે ચિંત્ય છે. શોપિંગ મોલ્સ, સ્કૂલો, હોટેલો, કોલેજો જેવું બંધ કરાવવાનું શરૂ થયું છે, પણ મોટેરા સ્ટેડિયમ પર રમાતી T20 મેચમાં હજારો પ્રેક્ષકોને રોકવાનું શક્ય બનતું નથી તે દુ:ખદ છે. એક તબક્કે તો 1.32 લાખની કેપેસિટીવાળું આખું સ્ટેડિયમ ભરવાની વાત હતી, પણ પછી 50 ટકા સીટો ભરવા પર વાત આવી. આ પણ અટકવું જોઈએ. 50 ટકા પ્રેક્ષકો ભેગા કરીએ તો પણ 66 હજાર લોકો તો ભેગા થાય જ, એની સાથે અન્ય ચીજ વસ્તુઓનાં ખરીદ-વેચાણની ભીડ વધે તે નફામાં. ટૂંકમાં, 70 હજારથી વધુ લોકો તો પાકા ગણી જ લેવાના. છેલ્લા સમાચાર એવા છે કે ઓફલાઇન ટિકિટો લેવા માટે સ્ટેડિયમની બહાર લોકોની લાંબી કતારો લાગી ને કોરોનાની ગાઈડલાઇન્સના ધજાગરા ઊડયા, એટલું જ નહીં, પોલીસે દંડાવાળી કરવી પડી. આમાં સંક્રમણ ન વધે તો જ આશ્ચર્ય !

આ વિશાળ સ્ટેડિયમમાં પ્રવેશનારા દર્શકો માત્ર અમદાવાદના જ નહીં હોય, તે દેશ-વિદેશથી આવનારા પણ હશે, એમાં કોઈ વિદેશી સ્ટ્રેન સાથે આવ્યું તો શી હાલત થાય તે કહેવાની જરૂર છે? ટૂંકમાં, આ 100 ટકા જોખમી ધંધો છે ને એ તાત્કાલિક અસરથી અટકાવવા જેવો છે. એની સામે પુણેમાં રમાનારી મેચો સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપ્યા વગર રમાવાની છે. આનો શો અર્થ કરવો? પુણેમાં જોખમ છે ને અમદાવાદમાં નથી, એમ? આ બરાબર છે? કમસેકમ અમદાવાદ સાથે ઓરમાયું વર્તન ન થાય એ જોવાવું જોઈએ. મેચ તો 66 હજાર પ્રેક્ષકો સાથે મોટેરામાં રમાઈ પણ છે, પણ સ્થિતિ જ્યારે વણસી રહી છે ત્યારે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં બોલાવવાનો આ જોખમી ખેલ બંધ કરવા જેવો છે એવું નથી લાગતું?

વાત સુરત કે ગુજરાત પૂરતી જ નથી, મહારાષ્ટ્રમાં થાણે, નાગપુર, અકોલા જેવામાં લોકડાઉન લાગુ થયું છે. પુણે, પંજાબમાં સ્કૂલો બંધ કરવી પડી છે, પંજાબના 8 શહેરોમાં રાત્રિ કરફ્યુ લદાયો છે. આ બધું તંત્રો જાણે છે, છતાં ગુજરાતની સ્થિતિ વધુ વણસે એને માટે મહેનત કરી રહ્યાં હોય એવું લાગે છે. વધુ ભીડ ન થાય એટલે શોપિંગ મોલ્સ બંધ કરાવાય અને મેચ જોવા એક સાથે 66 હજારથી વધુની ભીડ થવા દેવાય એમાં ઔચિત્ય છે?

હું માનું છું કે આઝાદીનો અમૃત મહોત્સવ ભારતનો મહામૂલો અવસર છે. એની ઉજવણીનો પ્રારંભ દાંડીકૂચને યાદ કરીને, સાબરમતીને તીરેથી તમારે હાથે થાય એમાં પૂરું ઔચિત્ય છે, પણ સાહેબ, ગુજરાતમાં જ સાતસોથી વધુ કેસ નોંધાયા હોય ત્યારે આ આખા ઉપક્રમ અંગે ફેરવિચારણા થવી જોઈએ એમ મને અંગત રીતે લાગે છે. એ સાથે તમે આત્મનિર્ભર ભારતનો આરંભ થયાની વાત પણ કરી. આ આત્મનિર્ભરની વાત અન્ન સ્વાવલંબન સંદર્ભે હું અભિમાનથી સ્વીકારું છું, પણ તમારો મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ મને સમજાતો નથી. અંગ્રેજો વ્યાપાર કરવા ભારત આવ્યા ને અહીં કારકૂનો પાસેથી કામ કઢાવીને બધું ઈંગ્લેન્ડ ભેગું કર્યું. હવે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ અને કંપનીઓને નિમંત્રીને અહીં ઉત્પાદનો વધારવાથી ક્વોલિટીનો લાભ દેશને જરૂર મળે, પણ જે કમાણી થાય તે તો દેશની બહાર જ જાય કે બીજું કૈં? અહીં વિદેશી કંપનીઓ દ્વારા કર્મચારીઓને નોકરી મળે અને પગાર અપાય એ ખરું, પણ નફો વિદેશમાં જમા થાય એવું નહીં? હું ખોટો હોઈ શકું છું, પણ મારી મૂંઝવણ ખોટી નથી. દાંડીયાત્રાને યાદ કરતાં તમે કહ્યું કે નમક પર વેરો નાખ્યો એની સામે ગાંધીજીએ અવાજ ઉઠાવ્યો, ત્યારે હસવું એ વાતે આવ્યું કે ઓઇલ પર ઢગલો વેરા નાખવા છતાં આ પ્રજા શાંતિથી વેઠે છે. ખરેખર તો આ પ્રજાની ચિંતા કરવી જોઈએ, સાહેબ !

તમે ગરીબો માટે ઘણી યોજનાઓ કરી છે ને એમની જરૂરિયાતો પણ એથી પૂરી થતી હશે, અમીરોને તમે હજાર રૂપિયે લિટર પેટ્રોલ વેચશો તો પણ વાંધો નહીં આવે, પણ નીચલા મધ્યમવર્ગની દયા ખાવા જેવી છે. એને તો પેટ્રોલ, ગેસ, ખાવાનું તેલ, રેલવે ટિકિટો, એ બધાંથી એક સાથે જ બળવા-ઝળવાનું આવ્યું છે. એની હાલત એવી છે કે એ ભીખ માંગી નથી શકતો ને પેટ પણ ઠારી નથી શકતો. એ કૈં તમને સમજાવવાનું હોય નહીં, તમે એ દિવસો જોયા છે …

સુજ્ઞેષુ કિં બહુના?

રવીન્દ્ર પારેખનાં વંદન …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 માર્ચ 2021

Loading

15 March 2021 admin
← ૨૦૧૯માં ગુજરાતમાં કોમી હિંસા
સમ્યક સાહિત્યની વિભાવના →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved