Opinion Magazine
Number of visits: 9447583
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુપોષણ અસમાનતાને કારણે જન્મે છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 September 2020

આ વરસની પહેલી જાન્યુઆરીએ દુનિયામાં ૩,૯૨,૦૭૮ બાળકો જન્મ્યા હતા. તેમાં સૌથી વધુ ૬૭,૩૮૫ બાળકો ભારતમાં જન્મ્યા હતા. પણ ભારતમાં જેટલાં બાળકો જન્મે છે તે બધાં જ જીવતાં નથી. ૨૦૧૮ના વર્ષમાં ૨૫ લાખ નવજાત બાળકો જન્મના પ્રથમ મહિને અને તેમાંના એકતૃતીયાંશ તો પ્રથમ જ દિવસે મરી ગયા હતાં. બાળ મૃત્યુદરના આ બિહામણા આંકડા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આપણને આશ્વસ્ત કરે છે કે ભારતમાં બાળ મૃત્યુદર ઘટ્યો છે ! જો કે કોરોના મહામારી પછી આ ચિત્ર બદલાઈ શકે છે. બાળ મૃત્યુદરના મોટા પ્રમાણનું પ્રમુખ કારણ કુપોષણ છે. કોરોનાકાળમાં વકરેલી બેરોજગારી, ગરીબી અને સ્થળાંતરિત કામદારોની સમસ્યાને લીધે ભૂખમરો વધતાં કુપોષણથી થતાં મોત વધી શકે છે.

ઈસુ વરસનો સપ્ટેમ્બર માસ સરકારી રાહે દેશભરમાં પોષણ માસ તરીકે મનાવાઈ રહ્યો છે. ‘સુપોષિત ગુજરાત માટે કટિબદ્ધ’ આપણી ગુજરાત સરકાર આ મહિને ‘ઘરેઘરે પોષણ તહેવાર’ મનાવે છે. સુપોષિત ગુજરાતનું નિર્માણ કરવા ચાહતી સરકારે એક હજાર દિવસોનું માતા અને બાળકનું પોષણ આયોજન જાહેર કરી દીધું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં કુપોષણ વધ્યું છે. જૂન ૨૦૧૯માં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા ૧.૪૨ લાખ હતી. જે તે પછીના છ જ મહિનામાં વધીને ૩.૮૩ લાખ થઈ હતી. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ રાજ્યમાં કુપોષિત બાળકોમાં ૨.૪૧ લાખનો વધારો થયો હતો. સૌથી વધુ કુપોષિત બાળકો ધરાવતા દસ જિલ્લામાં ન માત્ર આદિવાસી બહુલ જિલ્લાઓ છે. આણંદ જેવો સમૃદ્ધ જિલ્લો પણ છે ! જ્યારે રાજ્ય પોષણ માસ મનાવી રહ્યું હોય ત્યારે આ હકીકત નજર અંદાજ  ન થવી જોઈએ

શરીરને જરૂરી સમતોલ આહાર દીર્ઘ સમય સુધી ન મળવો એટલે કુપોષણ. સામાન્ય રીતે ‘હાથપગ દોરડી અને પગ ગાગરડી’ એમ કહીએ એટલે આપોઆપ મનમાં કુપોષિત બાળકનું ચિત્ર ઉપસે છે. પેટ પૂરતું ખાવા ન મળવાથી દેશનો હર ચોથો નાગરિક રોજ ભૂખ્યો રહે છે. જો પેટ ભરાય એટલું ખાવાનું જ ન મળતું હોય તો પછી તે પોષ્ટિક કે સંતુલિત છે કે નહીં તેની પડપૂછ ભીખના રોટલામાં સ્વાદ શોધવા જેવું છે. પાંચ વરસથી નીચેના ૬૮ ટકા બાળકોના મોતનું કારણ માતા અને બાળકનું કુપોષણ હોવાનું ઇન્ડિયા સ્ટેટ લેવલ રિપોર્ટ ૨૦૨૦માં કહેવામાં આવ્યું છે. દેશની દર ત્રણે એક ગાભરી સ્ત્રી કુપોષિત અને રક્ત અલ્પતાથી પીડાતી હોય છે. આવી કુપોષિત સ્ત્રીની કુંખેથી જન્મેલું બાળક પણ કુપોષિત જ રહે છે. તેની વૃદ્ધિ અટકે છે. અને રોગ પ્રતિકાર શક્તિના અભાવે કાયમ માંદુ રહે છે. કુપોષિત બાળકોનું વજન જન્મ સમયે ઓછું હોય છે અને તેની ઊંચાઈ ઉંમરના પ્રમાણમાં વધતી નથી. જે બાળકનું જન્મ સમયે વજન અઢી કિલોથી ઓછું હોય, તો તેના મૃત્યુની સંભાવના ત્રણ ગણી વધારે હોય છે. એનિમિક કે શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોય તેવી માતાના મોતની સંભાવના પાંચ ગણી વધારે છે. આ બધી બાબતો એ વાસ્તવ ઉજાગર કરે છે કે દેશમાં માતા અને બાળકના મૃત્યુ દરમાં વધારો તેમને મળતા અપૂરતા આહારનું કારણ છે.

ગોરખપુર, કોટા, બિકાનેર, ઈન્દોર, મુજફરપુર અને રાજકોટની હોસ્પિટલોમાં બાળકોના મોતનો મામલો આ વરસના આરંભે ચર્ચામાં હતો. આ બધા શહેરોની હોસ્પિટલોમાં એક જ મહિનામાં સો કે તેની આસપાસની સંખ્યામાં બાળકોના મોત થયાં હોવાના સમાચારે ભારે ઊહાપોહ જગવ્યો હતો. દેશ આર્થિક – ભૌતિક વિકાસના આંકડાઓથી ભરમાય છે, આવેગશીલ બાબતોથી દોરવાય છે અને રોજગાર, પાણી, આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ જેવા પાયાના મુદ્દા વિસરી જાય છે તેવા સવાલો પણ ઉઠ્યા હતા. વિકાસની ગુલબાંગો વચ્ચે હજુ ૫૬.૫ ટકા મહિલાઓની જ પ્રસૂતિ દવાખાનાઓમાં થાય છે અને લગભગ ૪૫ ટકાની પ્રસૂતિ ઘરે થાય છે. દેશમાં દર વરસે પાંચ વર્ષથી ઓછી વયના ૧૦ લાખ બાળકોના મોત થાય છે અને તેમાંના ચોથા ભાગના ન્યૂમોનિયા અને ડાયેરિયાથી મરે છે. પણ જરા ઊંડાણમાં જઈને વિચારીશું તો તેનું કારણ આરોગ્ય સેવાનો અભાવ અને કુપોષણ જોવા મળશે. આખા દેશમાં બે લાખ બાળરોગ નિષ્ણાતોની જરૂરિયાત સામે તેના આઠમા ભાગના એટલે કે પચીસ હજાર જ છે. નવજાત બાળકો માટેના નિયોનેટલ આઈ.સી.યુ.ની સંખ્યા ખૂબ જ ઓછી છે. જે છે તે પૂરતા કાર્યક્ષમ નથી એટલે ઓછા વજનનાં કુપોષિત બાળકો બચતાં નથી. કે તબીબી બેદરકારી, સંસાધનોનો અભાવ, વધારે કાર્યબોજ  તેમને બચાવતાં નથી.

૧૯૭૫થી દેશમાં ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (આઈ.સી.ડી.એસ.) અમલી છે. તેણે બાળકો, સગર્ભા મહિલાઓ, કિશોરીઓની દેખભાળ અને પોષણને લગતી યોજનાઓનો અમલ કરવાનો હોય છે. ૨૦૧૮થી રાષ્ટ્ર્રીય પોષણ મિશનનો આરંભ કરવામાં આવ્યો છે. કુપોષણ નાબૂદીનું લક્ષ્ય ધરાવતા આ મિશનમાં દર વરસે સપ્ટેમ્બર માસમાં પોષણ માસ ઉજવવાનું નક્કી કર્યું છે. આ વરસે ત્રીજો પોષણ માસ મનાવાઈ રહ્યો છે. રાષ્ટ્રીય પોષણ મિશન હેઠળ ગર્ભવતી મહિલાઓ, માતાઓ, બાળકોના પોષણની જરૂરિયાતો પૂરી કરવા અને લોહીની ઊણપ દૂર કરવા ત્રણ વરસ માટે ૧૦ કરોડ લાભાર્થીઓના લક્ષ્યાંક સાથે ૯૦૪૬.૧૭ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તે માટે ફાળવાયેલા રૂ. ૪૨૩૮ કરોડમાંથી ઓકટોબર ૨૦૧૯ સુધીમાં માત્ર ૧૨૮૩.૮૯ કરોડનો જ ખર્ચ થયો હતો. એટલે કે ફાળવેલ બજેટની માંડ ૨૯.૯૭ ટકા રકમ જ વપરાઈ છે અને ૭૦ ટકા નાણા વણવરાયેલા રહ્યા હતા. કેરળ, કર્ણાટક, પંજાબ, અસમ અને ઝારખંડ જેવા રાજ્યોએ તો આ યોજના હેઠળ મળેલા નાણાનો નહિવત ઉપયોગ કર્યો છે. દેશમાં કુપોષણની બદતર સ્થિતિ હોય, ત્યારે સરકારી તંત્ર કઈ હદે અસંવેદનશીલ છે તેનો આ પુરાવો છે.

દેશમાં કેટલાંકનાં પેટ અંતર્ગોળ છે અને કેટલાક્નાં બહિર્ગોળ છે. પેટનો આ તફાવત દેશમાં પ્રવર્તતી અસમાનતા દર્શાવે છે. કુપોષણના સર્જનના મૂળમાં આ અસમાનતા રહેલી છે. ૨૮ ટકા આદિવાસી, ૨૧ ટકા દલિત, ૨૦ ટકા પછાતવર્ગના બાળકો કુપોષિત છે. શહેરોની તુલનાએ ગામડાંઓમાં અને પુરુષની તુલનાએ મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ વધારે છે. અનાજના ભંડારો ભરેલા છે, આ અનાજ કાં તો સડે છે કાં તો વેડફાય છે પણ તે ગરીબો અને કુપોષિતો લગી પહોંચતું નથી. કુપોષણને મેડિકલ ઈમરજન્સી ગણવામાં આવે છે અને તેના આર્થિક, સામાજિક રાજકીય પાસાં ઉવેખાઈ આવે છે. તેની નાબૂદી માટે થાગડથીગડ પ્રયત્નો થાય છે પણ આ બાબત રાજકીય એજેન્ડાનો વિષય બનતો નથી કે તેની નાબૂદી માટેની પ્રખર રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવાતી નથી. બાળમૃત્યુદર ઘટી રહ્યાનું આશ્વાસન લેવાય છે પણ મહિલાઓમાં લોહીની ઊણપ વધી રહ્યાના આંકડા ગુપચાવી દેવાય છે. ૨૦૧૨માં ૨.૫૨ કરોડ વયસ્કો મેદસ્વી હતા. ૨૦૧૬માં તેનું પ્રમાણ વધીને ૩.૪૩ કરોડ થયું છે. બીજી તરફ ૧૫થી ૪૯ વર્ષની લોહીની ઊણપ ધરાવતી મહિલાઓ ૨૦૧૨માં ૧૬.૪૬ કરોડ હતી તે ૨૦૧૬માં વધીને ૧૭.૫૩ કરોડ થઈ છે. આ અસમાનતાની નાબૂદીમાં કુપોષણનો ઊકેલ રહેલો છે. કુપોષણ નાબૂદીને રાષ્ટ્રીય મહત્ત્વનો મુદ્દો બનાવાય અને તેના મૂળમાં રહેલી ગરીબી અને સામાજિક-આર્થિક અસમાનતા દૂર કરવામાં આવે તો જ તેનો ઉકેલ શક્ય છે.

(તા.૧૬-૦૯-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

16 September 2020 admin
← ગુજરાતી સાહિત્ય અકાદમી યુ.કે.નો “ભાષાસંસ્કાર વૈભવ”
મેરુ તો ડગે જેના, મન ના ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved