Opinion Magazine
Number of visits: 9447565
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—59

દીપક મહેતા|Opinion - Opinion|29 August 2020

મુંબઈનું પહેલવહેલું થિયેટર કંપની સરકારે ફાળો ઉઘરાવીને બાંધેલું

બીજા થિયેટર માટે નાના શંકર શેઠે દાનમાં આપી જમીન

આજે આ બે થિયેટરનો પથરો ય શોધ્યો જડે તેમ નથી

‘મેં જ્યારે મુંબઈ છોડ્યું ત્યારે ત્યાંનાં જાહેર મકાનો મોટે ભાગે ઉપયોગી વધુ અને સુંદર ઓછાં હતાં. આવાં મકાનોમાં ગવર્નર્સ હાઉસ, કસ્ટમ હાઉસ, મરીન લાઈન્સ, લશ્કરની બેરેક, મિન્ટ, ટ્રેઝરી, થિયેટર, અને જેલને ગણાવી શકાય.’ આ શબ્દો છે જોન ફાર્બસના. ચાર ભાગમાં છપાયેલા પુસ્તક ‘ઓરિયેન્ટલ મેમરીઝ’માં તેમણે હિન્દુસ્તાનમાંના પોતાના વસવાટનાં સ્મરણો લખ્યાં છે. તેઓ અચ્છા ચિત્રકાર પણ હતા, એટલે આ પુસ્તકમાં તેમણે પોતે દોરેલાં પુષ્કળ ચિત્રો મૂક્યાં છે.

બોમ્બે થિયેટર

તેમનો જન્મ ૧૭૪૯ના મે મહિનાની ૧૯મીએ તારીખે, લંડનમાં. અવસાન ૧૮૧૯માં જર્મનીમાં. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકર તરીકે ૧૭૬૫માં હિન્દુસ્તાન આવ્યા અને ૧૭૮૪ સુધી અહીં રહ્યા. તેમના પુસ્તકની હસ્તપ્રત બાવન હજાર પાનાંની છે. ૧૭૮૧માં તેમણે તાજ મહાલની મુલાકાત લીધી તે પહેલાં ભાગ્યે જ બીજા કોઈ અંગ્રેજ અધિકારીએ તેની મુલાકાત લીધેલી. એ જમાનામાં મુંબઈમાં થિયેટર હતું એવો આ પહેલવહેલો ઉલ્લેખ છે. એટલે ૧૭૭૬ના અરસામાં મુંબઈમાં કંઈ નહિ તો એક થિયેટર તો હતું જ. તેમની વાતને સમર્થન મળે છે વિલિયમ મિલબર્નના પુસ્તક ’ઓરિયેન્ટલ કોમર્સ ઓર ધ ઇસ્ટ ઇન્ડિયા ટ્રેડર્સ કમ્પલિટ ગાઈડ’ નામના પુસ્તકમાંથી. આ પુસ્તક ૧૮૨૫માં પ્રગટ થયું હતું. તેઓ લખે છે: ‘શહેરના મધ્ય ભાગમાં મોટી ખુલ્લી જગ્યા છે જે ‘ગ્રીન’ તરીકે ઓળખાય છે. ચોમાસાના દિવસોને બાદ કરતાં અહીં ઢગલાબંધ રૂની ગાંસડીઓ પડી રહેતી, કોઈ પણ રખેવાળો વગર. પણ ગયે વર્ષે અહીં મોટી આગ લાગી એટલે હવે એપોલો પિયર નજીક એક જગ્યાએ આ ગાંસડીઓ રાખવામાં આવે છે. અહીં ગોદામો બાંધીને તેમાં રૂની ગાંસડીઓ રાખવામાં આવશે. ગ્રીનની આસપાસ ઘણાં સુંદર, મજબૂત રીતે બંધાયેલાં મકાનો આવેલાં છે. ગવર્ન્મેન્ટ હાઉસ અને ચર્ચ ખૂબ જ વિશાળ, હવાદાર, સુંદર મકાનો છે અને એકમેકની નજીક અને ચર્ચ ગેટની ડાબી બાજુએ આવેલાં છે. જમણી બાજુ મોટી બજાર છે જેમાં હમેશાં ગિરદી રહે છે. મોટા ભાગના ‘દેશી’ વેપારીઓ રહે છે પણ આ જ વિસ્તારમાં. એ બજારના રસ્તાની શરૂઆત થાય છે ત્યાં થિયેટરનું દેખાવડું મકાન આવેલું છે.’ આ પુસ્તક ૧૮૧૩માં પ્રગટ થયું હતું.

જેમ્સ ફોર્બ્સ

પણ આ થિયેટર બંધાયેલું ક્યારે? ચોક્કસ સાલ તો મળતી નથી, પણ ૧૭૭૫માં તે હયાત નહોતું. કારણ એ વર્ષે અબ્રહામ પાર્સન્સે બીજા દેશો ઉપરાંત મુંબઈની મુલાકાત લીધી હતી અને તે વિશેનું પુસ્તક ‘ટ્રાવેલ્સ ઇન એશિયા એન્ડ આફ્રિકા’ ૧૮૦૮માં પ્રગટ કર્યું હતું. તેમાં તેમણે ‘ગ્રીન્સ’નો અને તેની આસપાસનાં કેટલાંક મકાનોનો ઉલ્લેખ કર્યો છે, પણ થિયેટરનો ઉલ્લેખ કર્યો નથી. આ થિયેટર ‘બોમ્બે થિયેટર’ તરીકે ઓળખાતું એવા ઉલ્લેખ પણ મળે છે. તેની બાંધણી લંડનના પ્રખ્યાત રોયલ થિયેટરને મળતી આવતી હતી. લંડનનું આ થિયેટર ડ્રૂરી લેન થિયેટર તરીકે વધુ જાણીતું થયું. લંડનનું આ થિયેટર ચાર વખત બંધાયું. પહેલી વાર ૧૬૬૩માં બ્રિજિસ સ્ટ્રીટ પર. બીજી વાર ૧૬૭૪માં ડ્રૂરી લેન પર. ૧૭૯૪માં એ જ જગ્યાએ ત્રીજું થિયેટર બંધાયું. અને ૧૮૧૨માં બંધાયેલું ચોથું થિયેટર આજે પણ ઊભું છે. અલબત્ત, ૧૯૨૨ અને ૨૦૧૩માં તેનું રેનોવેશન કરવામાં આવ્યું છે. પણ મહત્ત્વની વાત એ કે ૧૬૭૪થી આજ સુધી એ થિયેટર સચવાયું છે. જ્યારે આપણા બોમ્બે થિયેટરનો તો એકાદ પથરો પણ જડે તેમ નથી. એ ચોક્કસ કઈ જગ્યાએ આવેલું એ કહેવું પણ મુશ્કેલ છે, પણ આજે જ્યાં દેના બેન્કનું મકાન આવ્યું છે એ જગ્યાએ આ થિયેટર બંધાયું હોય એવો સંભવ તેના ઉલ્લેખો જોતાં લાગે છે. જો કે આજે તો હવે દેના બેન્કનું પણ અલગ અસ્તિત્ત્વ રહ્યું નથી, બીજી બે બેંકો સાથે સરકારે તેને ભેળવી દીધી છે.

જેને નમૂના તરીકે રાખીને બોમ્બે થિયેટર બંધાયેલું તે લંડનનું ડ્રૂરી લેન થિયેટર

અલબત્ત, બોમ્બે થિયેટર બંધાયા પછી ૧૮૧૭માં તેને કામચલાઉ રીતે બંધ કરીને સમુંનમું કરવામાં આવ્યું અને ૧૮૧૯ના જાન્યુઆરીની પહેલી તારીખથી તે ફરી શરૂ થયું. આટલા ટૂંકા ગાળામાં માત્ર સમારકામ થયું હશે, કોઈ મોટા ફેરફારો થયા નહિ હોય એમ માની શકાય. ‘બોમ્બે ગેઝેટ’ સાપ્તાહિકના ૬ જાન્યુઅરી, ૧૮૧૯ના અંકમાં લખ્યું છે કે પહેલી જાન્યુઆરીએ થોમસ હોલક્રાફ્ટનું ‘ધ રોડ ટુ રુઇન’ નામનું નાટક ભજવાયું હતું જે જોવા માટે માંદા હોય કે બહાર ગામ ગયા હોય તેવાને બાદ કરતાં બધા અંગ્રેજો હાજર રહ્યા હતા. ૧૮૧૯માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન મુંબઈના ગવર્નર બન્યા તે પછી તેમણે આ થિયેટરને ઘણી મદદ કરી. તેમણે મોટી સંખ્યામાં નાટકનાં પુસ્તકો ભેટ આપ્યાં. તેઓ પોતે પણ અહીં નાટકો જોવા આવતા અને આર્થિક મદદ પણ કરતા. તેમણે મુંબઈ છોડ્યું ત્યારે વિદાયની ભેટ રૂપે આ થિયેટરમાં રિચર્ડ શેરીડનનું ‘ધ રાઇવલ્સ’ નાટક ભજવાયું હતું. ટિકિટના દર હતા: ડ્રેસ બોક્સ ૮ રૂપિયા, પિટ ક્લાસ ૬ રૂપિયા, અપર બોક્સ ૫ રૂપિયા, અને ગેલેરી ૩ રૂપિયા. આ ભાવ એ જમાનામાં ઘણા મોંઘા ગણાતા.

  

સર જમશેદજી જીજીભાઈ

અને છતાં વખત જતાં આ થિયેટરની ખોટ એટલી તો વધી ગઈ કે તેને વેચી નાખવાનું નક્કી થયું. ૧૮૩૫ના ઓક્ટોબરમાં સર જમશેદજી જીજીભાઈએ ૫૦ હજાર રૂપિયામાં તે ખરીદી લીધું. તેમાંથી દેવું ચૂકવ્યા પછી ૨૭,૩૭૯ રૂપિયા બચ્યા તે સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યા. આ જમશેદજી એટલે એ જમાનાના પ્રખ્યાત વેપારી અને દાનવીર. જે.જે. હોસ્પિટલ અને જે.જે. સ્કૂલ ઓફ આર્ટસ જેવી મુંબઈની કેટલીયે સંસ્થાઓ તેમની સખાવતથી શરૂ થઈ હતી. એટલું જ નહિ, તેઓ મૂંગા પશુઓની વહારે પણ ધાયા હતા. આજે જેનું નામ આઝાદ મેદાન છે તે ત્યારે કેમ્પના (કે ‘દેશીઓ’ની બોલીમાં ‘કાંપના’) મેદાન તરીકે ઓળખાતું. અહીંનું લીલું ઘાસ છૂટથી ચરવા પુષ્કળ ઢોરઢાંખર બેરોકટોક આવતાં. પણ સરકારને શું સૂઝ્યું કે ૧૮૩૮માં આ રીતે અહીં ઢોર ચરાવવા પર ટેક્સ નાખ્યો. એટલે લોકોમાં હાહાકાર થયો. સર જમશેદજીએ તાબડતોબ ૨૦ હજાર રૂપિયા ખર્ચીને ઠાકુરદ્વાર નજીક ખુલ્લી જમીન ખરીદી લીધી અને રાતી પાઈ પણ લીધા વગર ઢોરોને ચરવા માટે ખુલ્લી મૂકી દીધી. આથી તે જગ્યા ‘ચરણી’ કે ‘ચર્ની’ તરીકે ઓળખાવા લાગી.

વખત જતાં અહીં રેલવે સ્ટેશન બંધાયું તેનું નામ પણ ચર્ની રોડ સ્ટેશન પડ્યું. આ ચર્ની રોડ સ્ટેશનથી શરૂ થતા રસ્તાનું નામ પણ ચર્ની રોડ. આ રોડ  તે આજનો રાજા રામમોહન રોય માર્ગ. મુંબઈના રસ્તાઓનાં, સ્થળોનાં, સ્ટેશનોનાં જૂનાં નામો બદલવાની ચળ રાજકારણીઓને અવારનવાર આવે છે. અત્યારે કેટલાંક રેલવે સ્ટેશનોનાં નામ બદલવાની વાતો થાય છે તેમાં ચર્ની રોડ સ્ટેશનનું નામ બદલવાની પણ માગણી થઈ છે. કદાચ કોઈ ‘લોકસેવક’ના મનમાં એવો ભ્રમ હશે કે ‘ચર્ની’ એ કોઈ અંગ્રેજનું નામ છે. ગાંધીજીનું મણિભવન’ જે રસ્તા પર આવેલું છે તે લેબર્નમ રોડનું નામ બદલવાની પણ અગાઉ માગણી થઈ હતી અને કહેવાયું હતું કે મુંબઈ આવતા ત્યારે ગાંધીજી રહેતા એ મકાન જે રસ્તા પર આવેલું હોય તેની સાથે કોઈ અંગ્રેજનું નામ તો જોડાયેલું ન જ હોવું જોઈએ. ત્યારે જાણકારોએ કહ્યું હતું કે ભાઈ, લેબર્નમ એ કોઈ અંગ્રેજનું નામ નથી, એક ઝાડનું નામ છે અને આ રોડ પર મોટી સંખ્યામાં એ ઝાડ આવેલાં છે એટલે આ નામ પડ્યું છે. જો કે સાંભળ્યું છે કે આજે હવે આ રસ્તા પર માત્ર એક જ લેબર્નમ બચ્યું છે.

 

રોડ ટુ રુઇન્સ અને તેનો લેખક થોમસ હોલક્રાફ્ટ

પણ મુંબઈનું આ પહેલવહેલું થિયેટર બાંધેલું કોણે? ૧૮૩૩માં જ્યારે આ થિયેટર વેચી નાખવાનું નક્કી થયું ત્યારે આ સવાલ ઊભો થયો, કારણ એ વખતે કોઈ ખાતરીપૂર્વક કહી શક્યું નહિ કે તેની માલિકી કોની છે! એટલે મુંબઈ સરકારના સેક્રેટરી જોન બેક્સે ૧૮૩૩ના ઓગસ્ટની બીજી તારીખે મુંબઈના કલેકટરને પત્ર લખીને આ અંગે પૂછાવ્યું. તેના જવાબમાં કલેકટરે લખી જણાવ્યું કે અમારી ઓફિસમાંના દસ્તાવેજો પ્રમાણે આ થિયેટરના મકાનની અને જમીનની માલિકી મુંબઈની કંપની સરકારની છે. પણ આજ સુધી તે અંગે ન તો સરકારે ભાડું વસૂલ કર્યું છે કે ન તો સરકારી આવકના હિસાબમાં તે અંગે કોઈ આવકની નોંધ જોવા મળી છે.

વીસ વર્ષ સુધી થિયેટરના વ્યવસ્થાપક તરીકે કામ કરનાર વિલિયમ ન્યૂહેમે આ અંગે ગવર્નર સર જોન કલેરને એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે મારી જાણ પ્રમાણે લોકો પાસેથે ફાળો ઉઘરાવીને આ થિયેટર ૧૭૭૬માં બંધાયું હતું. તે પહેલાં અહીં કાદવ-કીચડથી ભરેલું એક તળાવ હતું. ૧૮૧૭માં ફરી ફાળો ઉઘરાવીને તેનું સમારકામ થયું. જ્યારે આ ઈમારત માટેના નકશા બનાવવામાં આવ્યા ત્યારે કોઈને પણ ખ્યાલ નહોતો કે આ જમીન (કે તળાવ) સરકારની માલિકીની છે. તેમને એ પણ ખબર નહોતી કે અહીં મકાન બાંધવા માટે કોઈ શરતો હતી કે કેમ. પછીથી મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી તરીકે કામ કરતો હતો ત્યારે મેં સરકારી દફ્તરમાંના દસ્તાવેજો તપાસ્યા ત્યારે ૧૭૮૯ના અહેવાલ પરથી જણાયું કે ગવર્નર વિલિયમ હોર્નબીની સંમતિથી આ મકાનનો કબજો વ્યવસ્થાપકોને સોંપવામાં આવ્યો હતો.

પણ કોણ જાણે કેમ જમશેદજી જીજીભાઈએ ખરીદી લીધા પછી આ થિયેટર દસ વર્ષ સુધી બંધ રહ્યું. એ વખતે મુંબઈમાં બીજું કોઈ થિયેટર હતું નહિ. એટલે છાપાંઓ અને સામયિકો દ્વારા એક નવા થિયેટરની માગ કરતી ઝુંબેશ શરૂ થઈ. એ બોમ્બે થિયેટર વેચ્યા પછી દેવું બાદ કરતાં જે રકમ વધી હતી તે નવા થિયેટર માટે આપવાની મુંબઈ સરકારે જાહેરાત કરી. પણ તે માટેની જમીનનું શું? આ માટે ગ્રાન્ટ રોડ પરની પોતાની જમીનનો એક પ્લોટ જગન્નાથ નાના શંકર શેઠે દાનમાં આપ્યો. થિયેટ્રીકલ સમિતિના પ્રમુખ એચ. ફોસેટે ઇન્ગ્લન્ડમાં બનેલો એક ડ્રોપ સીનનો પડદો ભેટ આપ્યો. બાંધકામ પૂરું થયા પછી ૧૮૪૬ના ફેબ્રુઅરીની ૧૦મી તારીખે આ નવા થિયેટરનું ઉદ્ઘાટન થયું. તેનું કોઈ ખાસ નામ હોવાનું જાણવા મળતું નથી. લોકો તેને ‘ગ્રાન્ટ રોડ થિયેટર’ કે ‘નાના શંકર શેઠના થિયેટર’ તરીકે ઓળખતા. શરૂઆતમાં તો અહીં પણ માત્ર અંગ્રેજી નાટકો ભજવાતાં. પણ મુખ્યત્ત્વે ફોર્ટ વિસ્તારમાં રહેતા અંગ્રેજોને આ થિયેટર દૂર પડતું હતું. તો બીજી બાજુ અહીં અંગ્રેજી નાટકો જોવા માટે શ્રીમંત ‘દેશી’ઓ પણ આવતા થયા. વખત જતાં પહેલું મરાઠી નાટક અને પહેલું ગુજરાતી નાટક અહીં ભજવાયેલાં તેની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. અહીં ભજવાતાં મરાઠી, ગુજરાતી જેવી ‘દેશી’ ભાષાઓનાં નાટકો માટે ટિકિટના દર ઓછા રાખવામાં આવતા જેથી વધુ લોકો લાભ લઇ શકે : ડ્રેસ સર્કલ રૂપિયા ૩, સ્ટોલ રૂ. ૨, ગેલેરી દોઢ રૂપિયો, અને પિટ ક્લાસ ૧ રૂપિયો. તો પણ મોટી સંખ્યામાં પ્રેક્ષકો ન મળતાં થોડા વખત પછી ભાવ ઘટાડવા પડ્યા હતા!   

પ્રિય વાચક! તમે કહેશો કે આ તો શાકમાં આખું સાકરકોળું ગયું એવું થયું. આ પહેલવહેલું બોમ્બે થિયેટર જ્યાં આવેલું એ બોમ્બે ગ્રીન એટલે આજની કઈ જગ્યા એ તો કહ્યું જ નહિ! પણ કહ્યું છે ને કે ધીરજનાં ફળ મીઠાં. આવતે અઠવાડિયે વાત બોમ્બે ગ્રીન કે કોટન ગ્રીનની. ત્યાં સુધી આપના ઘરની આસપાસ આ ચોમાસામાં ઊગી નીકળેલી ગ્રીનરી જોઈ આંખ ઠારો. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 20 ઑગસ્ટ 2020

Loading

29 August 2020 admin
← ‘માલી બુક ની લઈ જતા.’
ભારતના ન્યાયતંત્રનો એક્સ રે નહીં, એમ.આર.આઈ. કરવાની જરૂર છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved