Opinion Magazine
Number of visits: 9448730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિક્કાની ત્રીજી બાજુ

હરનિશ જાની|Opinion - Opinion|18 December 2013

મારા બાલુકાકાને મેં પૂછ્યું, ‘તમે ભગવાનમાં માનો છો?’

બાલુકાકા બોલ્યા, ‘ના.’

મેં વળી પાછું પૂછ્યું, ‘કેમ માનતા નથી? આ ચાંદો સૂરજ કોણે બનાવ્યા છે? ધરતી આકાશ કોણે બનાવ્યાં છે?’

બાલુકાકા કહે, ‘જો ભાઈ, એ બધું જેણે બનાવ્યું હોય તે જાણે. મને હેરાન ના કર …’

મેં કહ્યું, ‘ના, તે પરમાત્માએ બનાવ્યા છે.’

બાલુકાકા બોલ્યા, ‘તો જા, તારી વાત સાચી. પરમાત્માએ બનાવ્યા. તેમાં વાંધો શું છે? તેના વિષે તારે ફરિયાદ કરવી હોય તો બીજાને કર.’

મેં કહ્યું, ‘તો પછી તમે ભગવાનમાં કેમ માનતા નથી?’

બાલુકાકા બોલ્યા, ‘ભગવાન જોડે મારે કોઈ વાંધો નથી. મને વાંધો હોય તો તે તારા જેવા લોકો જોડે છે. જો હું કહું કે હું ભગવાનમાં માનું છું તો તારા જેવા લોકો પૂછશે કે કયા ભગવાનમાં માનો છો? અને કેમ માનો છો? એટલે સો વાતની એક વાત. નન્નો કહી દેવાનો .. નહીં તો મારે બીજા સો જવાબ આપવા પડે.’

મેં કહ્યું કે ભગવાન બધાં સરખા છે. જ્યાં સુધી તમે કોઈ સુપ્રિમ પાવરમાં માનો ત્યાં સુધી.

કાકા કહે કે તું આટલો બધો જ્ઞાની થઈ ગયો છે તો મને કહે કે તારો સુપ્રિમ પાવર એટલે કોણ? અલ્લાહ – જિસસ – કૃષ્ણ – મહાવીર – ગ્રંથ સાહેબ ??

મેં કહ્યું કે એ બધા જ સુપ્રિમ.

કાકા બોલ્યા, ‘બધા કેવી રીતે સુપ્રિમ કહેવાય. સુપ્રિમ તો એક જ હોય. બધા સુપ્રિમ ન હોઈ શકે.’

આ જગતમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે કોઈપણ વાતની બે બાજુ હોય છે. જે એક બાજુને જુએ છે તેને બીજી બાજુ પર શું છે તેની ખબર નથી. એટલે એને પોતાની બાજુ ખરી લાગે છે. હવે બીજી બાજુનાને પોતાની બાજુ ખરી લાગે છે. એમની માન્યતાઓ એટલી દ્રઢ હોય છે કે તેમને એવું પણ નથી લાગતું કે બીજી વ્યક્તિ ખરી હોઈ પણ શકે.

અમે બ્રાહ્મણ સમાજની પચીસમી જયંતી ઉજવતા હતા. તેની મિટીંગ હતી. વાત આવી ડિનરની. વડોદરાના ભાગવતભાઈ કહે, ‘આપણે બ્રાહ્મણ કહેવાઈએ એટલે આપણાં ડિનરમાં લાડુ મસ્ટ’. સુરતના મારુતિભાઈ કહે, ‘હવે અમેરિકામાં જૂના વિચારો છોડીને ઘારી પુરી રાખો.’ અને ચાલ્યું ડિસ્કશન. અડધા લાડુની તરફેણમાં અને અડધા ઘારી પુરીમાં જોડાયા. ડિસ્કશન પછી ‘તું–તાં’ પર આવી ગયું … સારું થયું કે આ બધાં બ્રાહ્મણો હતા. જો રજપૂતો હોત તો તલવારો ખેંચાઈ હોત ! પછી એક વડીલ નિવેડો લાવ્યા કે બન્ને વાનગીમાં જે સસ્તી પડતી હોય તે બનાવો. છેવટે પૈસાની સિચ્યુએશન જોતાં લાપસી જ પોષાય તેમ હતું. છેવટે, લાડુ ઘારીમાં ત્રીજા લાપસીબહેન ફાવી ગયાં.

ઘણી વખતે બે સાઈડ એકમેકની સામે આવી જાય તો ત્રીજું એલિમેન્ટ પેદા થાય છે અથવા તો તૈયાર કરવું પડે છે. બન્ને પાર્ટી પોતે ખરી જ છે. એમ દ્રઢપણે માનતી હોય છે. ખબર નહીં કે એક કેમ બને છે કે બન્ને બાજુઓ પોતાના પક્ષને જ સાચો કેમ માનતા હશે ? જો બે પક્ષો વચ્ચે રમતની હરીફાઈ હોય અને રમતમાં હાર જીત આંકડાઓથી નક્કી થતી હોય છતાં અમ્પાયર કે રેફ્રી રાખવા પડે છે.

અમે જ્યારે નાના હતા અને રસ્તા પર ક્રિકેટ રમતા ત્યારે ભીંત પર કોલસાથી સ્ટંપ દોરતા. અને બોલ સ્ટંપ પર વાગે તેની ખબર કેવી રીતે પડે ? ત્યારે અમે કોઈ નબળાને અમ્પાયર બનાવી દેતા. અને પછી કહેતા કે ‘અમ્પાયર ઈઝ ઓલ્વેઝ રાઈટ.’ આ વાક્યથી વધારે ઇંગ્લિશ અમારામાંથી કોઈને નહોતું આવડતું. પણ તેમ છતાં અમે એ અમ્પાયરનું માનતા. એમ રમતમાં વચલો રસ્તો શોધ્યો હતો. આજે તો કમ્પ્યુટરની આંખે ટેસ્ટ મેચોમાં નિર્ણય લેવાય છે. તો ય મનદુ:ખ તો રહે જ છે.

હું માનું છું કે જો બન્ને પક્ષ ખોટા હોય તો જ ઝગડો લાંબો ચાલે. જો એક પક્ષ શાંતિ રાખવા માંગતો હોય તો બીજા પક્ષની વાત માની લે.. પછી ભલેને તેમ કરવાથી સ્વમાન ઘવાતું હોય. પહેલાં નક્કી કરવું જોઈએ કે શું હાંસલ કરવા ઝગડીએ છીએ.

મારી પત્નીએ એક સફરજન (એપલ) મારી બે દીકરીઓને આપ્યું અને કહ્યું, ‘બે બહેનો વહેંચી લેજો.’ : મોટી કહે હું કાપીશ અને અડધો ભાગ નાનીબહેનને આપીશ. નાનીને એમ કે મોટીબહેન કાપીને મોટો ભાગ પોતે લઈ લેશે. એટલે એ મંડી, ‘ના, મને કાપવા દે.’ આમ, ‘હું કાપું– હું કાપું’ ચાલું થયું. હવે આ વાતનો નિવેડો મારી પત્ની લાવી. તેણે કહ્યું, 'તમારામાંથી જેણે બે ભાગ કરવા હોય તે કરે. પરંતુ તેના બે કટકામાંથી, પહેલો ટુકડો પસંદ કરવાનો હક બીજીનો.' પછી બન્ને શાંત થઈ.

વરસો પહેલાં, જ્યારે હું હાઇ સ્કૂલમાં ભણતો હતો, ત્યારે ‘તલાક’ ફિલ્મનું કવિ પ્રદીપનું એક ગીત પ્રખ્યાત થયું હતું : તેમાં તે ગાય છે, ‘સંભલ કે રહના અમને ઘરકે છિપે હુએ ગદ્દારો સે’. તેમાં આવતું, ‘તુમ્હે હમારે કશ્મીર કી રક્ષા કરની હૈ’. જે મને ન સમજાતું. મેં મારા બાપુજીને પૂછયું, ‘શ્રીનગર–કાશ્મીર તો આપણા ભારતમાં આવ્યું, પછી એની જુદી રક્ષાની આ શી વાત છે?’ અને એમણે મને સમજાવ્યું કે કાશ્મીરના બે ભાગ પડી ગયા છે. આપણો ભાગ પાકિસ્તાન માંગે છે. ત્યારે જ મેં તેમને કહ્યું હતું કે ‘હવે જેના ભાગમાં જે આવ્યું છે તે લઈને બેસી રહોને !’ ત્યારે તેમણે કહ્યું હતું કે ‘તું હજુ નાનો છે. મોટો થઈશ તો સમજાશે.’  આજે ૭૨ વરસે પણ મને તે હજુ નથી સમજાતું. ત્યારે બન્ને દેશો પાસે પોતાના ભાગના કાશ્મીર હતા. અને આજે પણ છે. વાત તો ત્યાંની ત્યાં જ છે. બેમાં કોઈએ ખરું હોવું જરૂરી છે ? કદાચ તેને જ પોલિટીક્સ કહેતા હશે !

બે દેશો વચ્ચે યુદ્ધને તિલાંજલી આપીને શાંતિ સ્થાપવી હોય તો મંત્રણાઓમાં સૈનિકોની માતાઓને બેસાડવી જોઇએ અને પોલિટીશ્યનોને ઘેર બેસાડવા જોઇએ.

મેં મારા બાલુકાકાને પૂછ્યું, ‘તમે ભગવાનમાં નથી માનતા. તો પછી તમારી જાતને આસ્તિક કેમ ગણાવો છો?’

બાલુકાકાએ મને કહ્યું, ‘જો ભાઈ, હું ટીલાં ટપકાં ન કરું, પણ હું આધ્યાત્મિક છું. દુનિયાને ચલાવનારી કોઈ શક્તિ તો છે જ. તું માનવ શરીરને જ જો. અને શરીરની બધી પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર. તો તું એ પરમશક્તિમાં માનતો થઈ જઈશ.’

મેં કહ્યું, ‘ચાલો ત્યારે તમે નાસ્તિક નથી. અને તમને કોઈ આસ્તિક ગણે તો તે તમને ગાળ સમાન લાગે છે. બરાબરને!’

કાકા બોલ્યા, ‘હું આધ્યાત્મિક છું. ભગવાનમાં નથી માનતો. મને ધર્મના નામે ચાલતા ધતિંગો નથી ગમતા. અને તારી જેમ જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો. મને મોક્ષ અપાવવા આ નીકળી પડેલા ગુરુઓ નથી ગમતા. હા, પરંતુ જગતને નિયંત્રણમાં રાખનાર કોઈક શક્તિ છે.  તેને હું નમું છું.’

મારે કહેવું પડ્યું કે કાકાએ સિક્કાની ત્રીજી બાજુ શોધી કાઢી.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

Date 15Th December 2013

4 Pleasant Drive, Yardville, NJ 08620, U.S.A.

e.mail : harnishjani5@gmail.com

Loading

18 December 2013 admin
← બ્રિટનમાં ગુજરાતીને જિવાડવાનું અભિયાન
Howard Clark →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved