એક જમાનામાં બાપા દીકરાને ગધેડો કે ભમરડો કહેતા. એમના બાપા તેમના દીકરાને ગધેડો કહેતા હશે, કારણ ત્યારે પણ ગધેડો તો હતો જ ! હા, ત્યારે મરડો હશે, પણ ભમરડો નહીં હોય. ભમરડો ક્યાંક મળતો હોય તો પણ હવે તેનાં રૂપરંગ બદલાઈ ગયાં છે. લાકડાનો ભમરડો મળતો હોય તો પણ, આજના છોકરાઓ તે રમતા દેખાતા નથી. શું છે કે હવે મોબાઈલ ગેમ્સ જ એટલી વધી ગઈ છે કે ભમરડાને કોઈ હાથ લગાડવા જ તૈયાર નથી. દીકરાઓ હવે પ્લાસ્ટિકના ન થયા હોય તો પણ, ભમરડાઓ તો પ્લાસ્ટિકના થઈ જ ગયા છે. આકાવાળી પ્લાસ્ટિકની પટ્ટી ખેંચો તો ભમરડો જમીન પર છટકે છે ને ધરી પર ફરે છે. ભમરડાઓ લાકડામાંથી પ્લાસ્ટિકના થયા, તેમ દીકરાઓ પણ બદલાયા છે. તેઓ પોતાને હવે ગધેડો કે ભમરડો કહેવડાવવા રાજી નથી. બાપા પણ હવે ‘ડેડ’ થઈ ગયા છે, એટલે એ પણ દીકરાને ગધેડો કે ભમરડો કહેવાનું ટાળે છે, પણ હજી કોઈ ઘરમાંથી ગધેડા કે ભમરડાની બૂમ પડે છે તો દીકરો ભમરડાની જેમ બહાર નીકળી જાય છે ને બાપા પણ બરાડતા બરાડતા બહાર આવી જાય છે. એ જોવા મહોલ્લો પણ બહાર પડે છે.
પણ, હું જે ભમરડાની વાત કરું છું, તે લાકડાનો બનતો હતો. તેને લોખંડની આર નખાવીને ઉપર જાડી દોરી વીંટીને જમીન પર ફેંકવામાં આવતો ને તે ફરવાનું શરૂ કરતો અને પછી સ્થિર થતો. પછી ઘણી વાર સુધી સ્થિર હોય તેમ ઝડપથી ફરતો રહેતો. ઘણા તેને ફરતો ફરતો જમીન પરથી હથેળીમાં પણ લઈ લેતા ને ત્યાં પણ તે ફરતો રહેતો ને પછી થાકતો એટલે ડોલતો ડોલતો ગબડતો ને જમીન પર દૂર જઈને અટકી જતો.
કહેવાનું તાત્પર્ય એ છે કે ભમરડો ગતિમાં આવતો અને ધીમે ધીમે તેની ગતિ ધીમી પડતી ને તેનો એક આંટો ફરવાનો સમય વધતો જતો, પણ આંટો મારવાનો સમય, સમય જતાં ઘટે એવું ક્યારે ય બન્યું છે? તમે ના જ કહેશો, પણ એવું બન્યું છે. 2022ની 29મી જૂને. આમ તો આપણે એવું ભણ્યાં છીએ ને જે નથી ભણ્યા તે પણ જાણે છે કે પૃથ્વીને તેની ધરી પર એક આંટો મારતાં 24 કલાક લાગે છે. એટલે જ આપણો એક દિવસ ચોવીસ કલાકનો છે. પણ પૃથ્વીએ 29 જૂને એ દિવસ 1.59 સેકન્ડ વહેલો પૂરો કરી નાખ્યો. એટલે કે એક આંટો મારવામાં 24 કલાક લેવાને બદલે પૃથ્વી 1.59 સેકન્ડ વહેલી ફરી ગઈ. તે ફરી કે તેનું ફરી ગયું તે ખબર નથી, પણ વહેલી ફરી એટલું ચોક્કસ ! આવું અગાઉ ક્યારે ય બન્યું ન હતું. પૃથ્વીને આટલી ઉતાવળ કેમ આવી તે તો નથી ખબર, પણ છેવટે તો નારી જાતિ ખરી ને ! મન ફાવે તેમ ન વર્તે તો એ નારી શાની? આ ગરબડને કારણે 29 જૂન, 2022નો દિવસ પૃથ્વીના કેલેન્ડરમાં સૌથી નાનો દિવસ રહ્યો. હવે 1.59 સેકન્ડ તો એ આંકડો લખવામાં જ થઈ જાય એટલે એ સમયની બહુ ખબર ન પડે, પણ ધારો કે પૃથ્વીની આંટો મારવાની ઝડપ આમ જ વધતી રહે તો આપણી તો હાલત જ ખરાબ થઈ જાય કે બીજું કૈં? આમ તો પૃથ્વીને જલદી આંટો મારવાની ટેવ 19 જુલાઇ 2020થી પડી છે, એ દિવસે પણ પૃથ્વીએ 24 કલાકનો આંટો 1.47 સેકન્ડ વહેલો જ પૂરો કરી નાખેલો. તે પછી 29 જૂને તો હદ જ કરી નાખી. દિવસ 1.59 સેકન્ડ દિવસ વહેલો પૂરો કરીને પૃથ્વીએ રેકોર્ડ કર્યો. પણ આમ રેકોર્ડ કરવામાં તે 24 ક્લાકને બદલે 23 કલાકે આંટો મારી લે ને પછી જો ચાનક ચડે ને પૃથ્વી એક આંટો બાર કલાકમાં પૂરો કરવા માંડે તો, તો આપણી તો પથારી જ ફરી જાય. પથારી શું ફરે, બાર બાર કલાકે પથારી નાખવી, ઉપાડવી પડે. એટલામાં ઊંઘે શું ને ઊઠે શું? દિવસ બાર કલાકનો થાય ને ઊંઘ આઠ કલાકની લેવાની હોય તો બાકી રહે ચાર કલાક, એમાં ના’વાધોવાનું, ખાવાપીવાનું ને નોકરીધંધે લાગવાનું. એ પરવડે? બાર કલાકનો દિવસ હોય તો એ હિસાબે ઊંઘ પણ ચાર કલાક કપાય. એમ જ આઠ કલાકની નોકરી ચાર કલાકની થઈ જાય. તે તો સારું, પણ આઠ કલાકની નોકરીનો પગાર, ચાર કલાકનો રોજ થઈ જતાં, અડધો થઈ જાય તો છાતીના તો પાટિયાં જ બેસી જાય કે બીજું કૈં?
આ તો ચાલે જ કેમ? બાર કલાકનો દિવસ થાય તો સૂર્યની ડ્યૂટી પણ બાર કલાકની થઈ જાય ને સૂર્યોદય-સૂર્યાસ્ત પણ સંકોચાય ને બાર બાર કલાકે સૂર્ય ઊગવા આથમવા લાગે. ટૂંકમાં, લાઈફ જ અડધી થઈ જાય. આ તો સહન જ કેમ થાય? બધું જ વહેલું. વરસ છ મહિનામાં પૂરું થઈ જાય. નોકરીએ વહેલા જાવ ને વહેલા ઘરે આવી જાવ તો ઘરવાળીને રાહત થાય, એ ખરું ને ‘મોડું કેમ થયું?’ જેવું પુછાવાનું જ અડધું થઈ જાય તે પણ સાચું, પણ ઘરવાળીની હાલત પણ બગડે જ ને ! સવારનું ને રાતનું રાંધવાનું વહેલું કરવું પડે. લંચ ને ડિનર નજીક નજીક થઈ જાય. એવું જ સવારની ને બપોરની ચાનું ય ખરું. ઘરવાળી ઠોબલાં ઉતારવામાંથી જ ઊંચી ન આવે. હવે શું છે કે ઘરવાળો પરવડે છે એટલો રામો પરવડતો નથી. એ પણ કચરાપોતાં કરવામાંથી કે વાસણ ઉટકવામાંથી જ ઊંચો ન આવે એમ બને. જરા ખાય ત્યાં તો ઉટકવાનું સામે ઊભું હોય, કોળિયો ય ગળે કેમ ઊતરે? નોકરી કરીને ઘરે આવે ત્યાં તો ઘરકામ ઘેરી વળે. આ તો કેમ વેઠાય? ને નોકરીનું ય આખું શિડ્યુઅલ જ બદલાઈ જાય. રિટાયરમેન્ટ 30 વર્ષે આવી પડે ને પેન્શન ને નામે પડીકું વળી ગયું હોય ત્યાં બાકીની જિંદગી કાઢવી કેમ કરીને એ વાત મૂંઝવે.
આખો લાઈફ સ્પાન જ અડધો થઈ જાય. ગર્લફ્રેન્ડ વરસે વરસે બદલાતી હોય, તે છ-છ મહિને બદલાવા લાગે ને પત્ની દસ વરસે છૂટી થવાની હોય તે પાંચ વર્ષે ભરણપોષણનો દાવો માંડે ને ધણી અડધા પગારમાં આખું ભરણપોષણ આપે કે બાકીની અડધી જિંદગીમાં આખી ઘરવાળી શોધવા નીકળે તે નક્કી કરવાનું મુશ્કેલ થઈ પડે. બાળકો ચારપાંચ મહિનામાં જ અવતરવા લાગે ને પચાસ વર્ષનું લગ્ન જીવન પચીસ વર્ષનું થઈ જાય તે નફામાં. ઘરવાળી વહેલી ઘરડી થવા લાગે ને ઘરવાળો અડધા સમયમાં જ બમણો ઘરડો થવા લાગે. વાર-તહેવારની તો દશા જ બેસે. ગણેશોત્સવ પાંચ દિવસનો થઈ જાય ને નોરતા સાડાચાર દિવસના, પણ તેથી કૈં દશેરો પાંચશેરો ના થઈ જાય. સમય અડધો થાય એટલું જ. બે હજારની નોટ બે હજારની જ રહે, હજારની ના થાય. એ પહેલાં ચોવીસ કલાક ગજવામાં રહેતી, તે બાર કલાક રહે એમ બને. ચૂંટણી અઢી વરસે આવે, પણ સાંસદોને મહિને મળતું પેન્શન પખવાડિયે મળતું થઈ જાય એટલે એમને તો ઘીકેળાં જ ને !
આ તો બાર કલાકનો દિવસ થાય ને વરસ છ મહિનામાં જ પતી જાય એની વાત થઈ, પણ પૃથ્વી દિવાળીની કોઠીની જેમ આડી ફાટે ને તેની ફુદરડી ફરવાની ઉતાવળ વધી પડે તો બધું મેનેજ કરવાના ફાંફાં પડી જાય. ધારો કે ચોવીસ ક્લાકને બદલે દિવસ છ કલાકનો થઈ જાય તો, 100 વર્ષ 25 વર્ષમાં જ પતી જાય. નિવૃત્તિ 15 વર્ષમાં જ આવી જાય. એમાં ભણે શું, નોકરી શું કરે, પરણે શું ને નિવૃત્ત શું થાય? પોતાનું લગ્ન જીવન પાટે ચડે ત્યાં તો સંતાનોનાં સંતાનો ‘દાદાદાદી’ કરવા માંડે ને આપણે તો વગર લાકડીને ટેકે જ લાકડાં ભેગા થવાનું આવી પડે. એમાં જો પૃથ્વી વધારે અવળચંડી થઈ ને ભમરડાની જેમ સ્પીડ પકડે ને એકદમ જ ચકરડીએ ચડે તો આપણે તો ઘરમાં ને ઘરમાં જ ચાકડે ફરતાં જ થઈ જઇએ કે બીજું કૈં? પછી તો પૃથ્વીની બહાર ઊભાં રહીને આંગળીથી ગોળો જ ફેરવ ફેરવ કરવાનો રહે. વરસ મહિનામાં, મહિનો દિવસમાં, દિવસ, મિનિટમાં ને એમ એકાદ ફેરામાં તો બેચાર પુનર્જન્મ થઈ જાય. પછી તો કીડી જીવે કે કરસન બધું જ સરખું ! એવામાં કીડીનું આયુષ્ય કેટલું હોય તેની તો કલ્પના જ કરવાની રહે. અરે ! કલ્પના પૂરી થાય ત્યાં સુધીમાં તો કીડીને અને બીજા અસંખ્ય જીવોને મોક્ષ મળી જાય. પહાડો વલોવાવા માંડે, જ્વાળાઓ માખણની જેમ બહાર પડે, જંગલોમાં વૃક્ષો-વૃક્ષો વચ્ચે દંગલો શરૂ થાય, નદીઓ, સમુદ્રમાં ઠલવાય, સમુદ્ર સીધાં વાદળો બને, વાદળ વરસે ત્યાં તો ફરી વરાળ થાય, ભરતીઓટ, ભરઓટ ને છેલ્લે આખો ગોળો અલોપ થાય. એ પણ જવા દો, પૃથ્વી ધરી પર ફરવાને બદલે ઉપર નીચે ફરવા લાગે, તો? તો, આપણાં કેટલાં પાર્ટ્સ છૂટાં પડે તે કહેવાની જરૂર છે? સિલકમાં આકાશ જ રહે. અવકાશ. શૂન્ય. છેવટે તો ‘કૈં નહીં‘ જ રહે. મતલબ કે સનાતન સત્ય તો ‘શૂન્ય’ જ છે …
(‘કુમાર’માં ચાલતી હાસ્યની કોલમ)
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


આ૫ણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવ્યો. ભૂતકાળની અનેક ઘટનાઓને વાગોળી. જ્ઞાત અને અજ્ઞાત પ્રસંગો અને વ્યક્તિઓનું સ્મરણ કર્યું. પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. આવા ભાવનામય વાતાવરણમાં સ્મરણની સુનાામી મનોજગતને ભીંજવી દે તે સાવ સહજ છે.
મારા પિતાના જીવનમાં મીઠા સત્યાગ્રહ – ધોલેરા – રાણપુર છાવણીમાં જવાનો પ્રસંગ એક નર્યો અકસ્માત હતો. એક નાની ઘટનાએ તેના જીવનના ઉદ્દેશો, મૂલ્યો અને વર્તનમાં ધરમૂળ ફેરફારો કર્યાં. તેમની કથા જેવી દરેક સ્વાતંત્ર્ય સેનાની કહાણી રોમાંચક નવલકથા જેવી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે તેના જીવનની ઝલક આલેખીને પિતૃતર્પણ સાથે સૌ સત્યાગ્રહીઓ અને ક્રાંતિકારીઓનું ઋણ સ્વીકાર કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર ઝડપવાની મારી તાલાવેલી સૌ સમજી શકશે, તેવી આશા સાથે ગાંધીયુગમાં ૧૯૩૦થી ૧૯૪૭માં જે લાખો લોકોએ દેશ માટે સમર્પણ કર્યું તે વાત ઉજાગર કરવાનો મારો નમ્ર પ્રયાસ છે. મારા પિતા સ્થાનિક ધોરણે મર્યાદિત કાર્યક્ષેત્રમાં સક્રીય રહ્યા. ગાંધીજીની શિક્ષિતોને સલાહ હતી; ‘‘ગામડે જઈને બેસો’’ તે વાત પકડીને તાલુકા જિલ્લા કક્ષાએ જનજાગૃતિ અને સામાજિક સુધારણા માટે જે પ્રયત્નો કર્યાં તેનું શ્રેય તે જમાનાના અદ્દભુત વાતાવરણને આપવું જોઈએ.
૧૯૩૦નું વર્ષ શરૂ થયું. ગાંધીજીએ ૧૨મી માર્ચથી અમદાવાદથી દાંડી જઈને મીઠાના કાયદાનો ભંગ કરવા કૂચ કરવાનું જાહેર થયું. સૌરાષ્ટ્ર્ની વિદ્યાનગરી જેવા ગાયકવાડી પ્રાંતના મુખ્ય મથક અમરેલીમાંથી ધોલેરામાં ૬ એપ્રિલે મીઠા સત્યાગ્રહ માટે સ્વયંસેવકો નોંધવા રાષ્ટૃીય શાયર ઝવેરચંદ મેઘાણી આવ્યા. અમરેલીના જાણીતા ભગવાનજી લવજી મહેતાના અખાડામાં નિયમિત વ્યાયામ કરતાં યુવાનોને દરરોજ સવારે મળી મેઘાણીના આઝાદીના મહત્ત્વ, ગાંધીજીના વ્યક્તિત્વ, યુવાઓના રાષ્ટ્ર્ધર્મની વાતો કરી નામો નોંધતા હતા. તેમણે કનુભાઈને પૂછયુંઃ ‘‘ભાઈ, આ રતિલાલ (રતુભાઈ અદાણી, કેશુભાઈ) વગેરે તારા સહાધ્યાયી મિત્રો આ સત્યાગ્રહમાં જોડાય છે તો તું તારું નામ લખાવે તો સારું. વારંવારની મેઘાણીભાઈની સમજાવટનો ઉત્તર આપતા કનુભાઈ કહેતા; ‘‘આપણી આઝાદીની, ગાંધીજીની બધી વાતો સાચી પણ મારે વિધવા મા, નાનો ભાઈ, નાની બહેન છે. તેના ભવિષ્ય માટે મારે સારી રીતે ભણી મારા પિતાશ્રીનું આઈ.સી.એસ. બનવાનું સ્વપ્ન સાકાર કરવું છે. મને ક્ષમા કરો. હું નામ લખાવીશ નહીં.’’ ડૉ. હરિપ્રસાદ કનુભાઈની કૌટુંબિક પરિસ્થિતિથી વાકેફ હોવાથી પોતે સત્યાગ્રહમાં જતાં હોવા છતાં તેમને સાથે આવવા આગ્રહ ન કર્યો. ઘરનું અને દવાખાનાનું ધ્યાન રાખવા ભલામણ કરી. ધોલેરા જવાનો દિવસ નજીક આવ્યો. ડૉ. હરિપ્રસાદને ત્યાં સાંજે વિદાય ભોજનનો કાર્યક્રમ ગોઠવાયો. સૌ પંગતમાં બેસી જમતાં હતાં ત્યારે અચાનક ડૉકટર પત્ની સુમિત્રાબહેને તેમના સસરાને ઉદ્દેશીને કહ્યું; ‘‘બાપુજી, હું ડૉકટર સાથે સત્યાગ્રહમાં જાઉં ?’’ મૂળશંકર ભટ્ટે આશ્ચર્ય સાથે કહ્યું – ના, સુમિત્રા, ડૉકટર કોઈ સહેલ-સપાટામાં નથી જતા. ગાંધીજીએ કૂચમાંથી બહેનોને બાકાત રાખી છે. આ તો જીવસટોસટની બાજી છે.’’ સુમિત્રાએ સસરાને રામાયણનો પ્રસંગ ટાંકી પૂછયું કે વનવાસની અનેક વિટંબણા વચ્ચે સીતાજી રામજી સાથે ગયા હતાં ને ? પત્ની પતિ સાથે ચાલે તો જ જીવનસાથી. વિદ્વાન મૂળશંકર ભટ્ટે પણ રામાયણનો સંદર્ભ રાખી કહ્યું; ‘‘કૌશલ્યાએ સીતાને ક્યારે વન જવા મંજૂરી આપી આપી તેની તને ખબર છે ? જ્યારે લક્ષ્મણે પણ સાથે જવાનું નક્કી કર્યું ત્યારે !’’ સુમિત્રાબહેને ભાવાવેશમાં કહ્યું કે; ‘‘અમારી સાથે અમારો લક્ષ્મણ આવશે ? શ્વસુરે પૂછયું કે લક્ષ્મણ ક્યાં છે ?’’ સુમિત્રાબહેને કનુભાઈ તરફ આંગળી ચિંધી કહ્યું; ‘‘આ રહ્યો લક્ષ્મણ’’