ચૂપચાપ કામ કરતો એક ઓલિઓ જીવ ચૂપચાપ સરકી ગયો …
ઝવેરચંદ મેઘાણીની પ્રજ્ઞા જેમાં તંતોતંત ઊતરી … પણ જેમણે મેઘાણીપુત્ર તરીકે વારસામાં મળેલા સન્માનનો ક્યારે ય લાભ ન લીધો એવા એક વિનમ્ર સાધુજન જયંતભાઈના પ્રથમ દર્શનનો લાભ ભાવનગરના વિદ્યાતીર્થ ‘પ્રસાર’ મુકામે મારા ગુરુજન દર્શનાબહેન ધોળકિયા સાથે મળેલો … ‘પ્રસાર’ના એક આછા પ્રકાશવાળા ખંડમાં પ્રજ્ઞાથી ચમકતું એમના વદનનું એ પ્રથમ દર્શન આજે પણ આંખોમાં અકબંધ છે.
સાહિત્ય, સંગીત અને ચિત્ર સાથે જાણે તેમને નાળ સંબંધ ! સુંદરમ્ની કવિતા 'રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને …..'માં નાયક નાયિકા તેમની પ્રસ્તુતિથી પ્રભાવિત થયેલા ને કશુંક માંગી લેવા કહેતા રાજાને સાંભળી જે રીતે કોઈ પણ અપેક્ષા વિના પોતાની મસ્તીમાં ગાયા વગાડ્યા કરે છે … એમ જયંતભાઈએ આજીવન ગાયા વગાડ્યા કર્યું. કલાઉપાસનનો હેતુ માત્ર નિજાનંદ છે એ એમણે જીવી બતાવ્યું.
સદા ય હળવા સ્મિતથી છલકાતો એમનો રૂપકડો ચહેરો, ઓછા પણ મીઠા શબ્દોમાં વહેતું એમનું વાત્સલ્ય ને એવો જ કોમળ વ્યવહારે તેમને ગૃહસ્થ સાધુના રૂપમાં મારા હૃદયમાં સદાય માટે અંકિત કરી દીધાં છે, જ્યાંથી તેઓ ક્યારે ય જઈ નહિ શકે.
આચાર્ય વિજયશીલચંદ્રસૂરિની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મુકામે 'જ્ઞાનની બારી'ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે પધારેલા જયંતભાઈનો મારે પરિચય આપવાનો હતો. મને મૃદુ સ્વરે એમણે કહેલું કે, 'હું ઝવેરચંદ મેઘાણીનો પુત્ર છું એવું તમે જાહેરમાં કહેશો નહિ …. આ રીતે પરિચય આપતાં લોકોનો આદર ખૂબ વધી જાય જેને લાયક હું હજુ બન્યો નથી. માટે માત્ર જયંત મેઘાણી એટલા ઉલ્લેખથી જ તમારી વાત સંકેલો એવું ઈચ્છીશ.' આ એક જ અનુભવે મને એમની સામે નતમસ્તક કરી દીધેલો.
એકાદ બે વર્ષ પૂર્વે સોનટેકરી નિલપર આવેલાં ત્યારે એક નાનકડી રૂપકડી છવિ ભેટ આપી ગયેલા જયંતભાઈ પોતાની પણ એવી જ સુંદર છવિ ભાવવિશ્વને ભેટ આપતાં ગયેલા.
આમ ઓછું બોલનારા જયંતભાઈ કોઈ નાનકડા વાચક, વિદ્યાર્થી કે અભ્યાસીને જુએ કે મળે તો સસ્મિત રાજીપો વ્યક્ત કર્યા વિના ન રહે. મારા એક નાનકડાં વિદ્યાર્થિની સોનબાઈના એક એક કાર્યને નીરખીને જોનારા ને પીઠ થાબડી દેખાડા વિના પ્રોત્સાહિત કરનારા જયંતભાઈનું આ વાત્સલ્ય મેં પણ અનુભવ્યું છે ને એને મારું પરમ સદ્ભાગ્ય ગણું છું.
ઓનલાઈન પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં શકિતભાઈ જેવા યુવા અભ્યાસી મિત્રોને ચૂપચાપ સાંભળી મૌન આનંદ વ્યક્ત કરનારા આવા વડીલની ખોટ કોણ પુરશે ?
જયંતભાઈએ આજ લગી એક પણ કામ દેખાઈ જાય એ રીતે ગાઈ વગાડીને નથી કર્યું એટલે જીવનનું છેલ્લું કામ પણ આ રીતે ચૂપચાપ કરીને જ સરકી જાય ને !
પોતાના વર્કિંગ ટેબલ પર કામ કરતાં કરતાં સ્હેજ વિસામો ખાવા હાથનો તકિયો કરી ચિરનિદ્રામાં પોઢી ગયેલા જયંતભાઈ ભાવનગરના એક ભાવસભર વ્યક્તિત્વ તરીકે સદૈવ હ્રદયસ્થ રહેશે.
જયંતભાઈનું મૌન જીવન શાશ્વત્ મૌનમાં મૌનપૂર્વક સરકી ગયું ને મારા જેવા બોલકાને મૌનનું મૂલ્ય સમજાવતું ગયું.
વંદન એ વિરલ વિભૂતિને …
સૌજન્ય : https://www.facebook.com/ramjan.hasaniya.5
છવિ સૌજન્ય : અપૂર્વભાઈ આશર
![]()




અમદાવાદના બાળ સંરક્ષણ ગૃહમાં એક દલિત કિશોરનું સંચાલકોના કથિત મારથી મૃત્યુ થયું. ભીમા કોરેગાંવ કેસમાં મુંબઈની તલોજા જેલમાં બંધ ૮૩ વરસના ફાધર સ્ટેન સ્વામી કંપવાને કારણે હાથથી ગ્લાસ પકડી પાણી પી શકતા ન હોઈ તેમને સ્ટ્રો કે સિપર આપવાની માંગણી જેલ સત્તાવાળાઓએ નકારતાં અદાલતમાં દાદ માંગવી પડી. અરજદારની માંગણી અંગે જવાબ આપવા તપાસ એજન્સીએ ૨૦ દિવસનો સમય માંગ્યો. દિલ્હીના ૨૯ વરસના મહિલા રોહિણી વિશ્વાસને સોશ્યલ મીડિયા પર પશ્ચિમ બંગાળ અંગેની આલોચનાત્મક પોસ્ટનો જવાબ આપવા કોલકાતા પોલીસે દિલ્હીથી કોલકાતા રૂબરૂ આવી જવાબ આપવા સમન્સ પાઠવ્યું. અદાલતે દરમિયાનગીરી કરીને પોલીસનું કૃત્ય નાગરિકની હેરાનગતિ હોવાનું ગણાવ્યું. તમિલનાડુના બલાંગીર જિલ્લાના એક ગામના ઈંટભઠ્ઠાના પરપ્રાંતિય મજૂરોએ વતન જવાની માંગણી કરતાં ભઠ્ઠા માલિકે મજૂરોને માર માર્યો. ૩૦ ભઠ્ઠાઓમાં ૬,૭૫૦ મજૂરો વેઠિયા તરીકે કામ કરે છે. ઉત્તર પ્રદેશના કાનપુર તાબાના ચકેરી ગામે ચોરીના આળમાં પિતાને પકડી જતી પોલીસને કગરતા પગમાં પડેલ ૧૦ વરસના પુત્રને પોલીસે લાત મારતાં પુત્રનું મોત થયું. છત્તીસગઢના બસ્તર વિસ્તારના કઠિયામેટા ગામના ચાર આદિવાસીઓને પોલીસ ઘરેથી લઈ ગઈ તે પછી તેમની કોઈ ભાળ ન મળતાં લોકોએ ચક્કાજામ કર્યો. આંધ્ર પ્રદેશના ૪૫ વરસના ઑટો ડ્રાઈવર અબ્દુલ સલામે પોલીસની હેરાનગતિ અને મારથી તંગ આવીને પત્ની અને બે કિશોર વયના સંતાનો સાથે આત્મહત્યા કરી.
ધર્મ, કોમ, ભાષા, વંશ, વર્ણ,વર્ગ, લિંગ, રાષ્ટ્રીયતા એવા કોઈ ભેદભાવ વિના મનુષ્ય માત્ર સમાન ગણાવા જોઈએ. માનવ ગૌરવપૂર્વક, પરસ્પરના અધિકારોના આદર સાથેનું સહજીવન આપણો આદર્શ છે પરંતુ સમાજિક, આર્થિક વ્યવસ્થા ભેદભાવ ભરેલી છે. માનવ અધિકારો માટેનો સંઘર્ષ ન માત્ર રાજ્ય સામેનો છે એક નાગરિકનો બીજા નાગરિક સામેનો પણ છે. દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, બાળકો, સ્ત્રીઓ અને એવા વંચિત સમુદાયોના અધિકારોનું હનન રાજ્ય તો કરે જ છે બળુકા મનાતા લોકો પણ કરે છે એટલે માનવ અધિકારોની લડાઈ એ માત્ર વ્યક્તિગત સ્વતંત્રતાની લડાઈ નથી સામાજિક ન્યાય અને સમાનતા માટેની પણ લડાઈ છે. સિવિલ લિબર્ટી (નાગરિક સ્વાતંત્ર્ય) સિવિલ રાઈટ્સ (નાગરિક અધિકારો) કે ડેમોક્રેટિક રાઈટસ (લોકતાંત્રિક અધિકારો) આમ સમાન અર્થી કે પર્યાય વાચી શબ્દો લાગે છે પરંતુ ભેદભાવ ભરી સમાજવ્યવસ્થામાં એક નાગરિકની સ્વતંત્રતા બીજા નાગરિકના અધિકારોનું હનન પણ કરે છે.