આઠમા દાયકાના ઉત્તરાર્ધમાં, પરિષદના પોતાના મકાન ‘ગોવર્ધન-ભવન’નું નિર્માણ થયું. ‘નદીકિનારે’ એવું એનું સરનામું શોભતું હતું. એ જ વર્ષોમાં ગુજરાતી સાહિત્યના સંપાદિત ઇતિહાસના ચાર ખંડો (૧૯૭૩થી ૧૯૮૧) તૈયાર થઈ ચૂક્યા હતા અને ઉમાશંકર જોશીએ એમાં સીધો, સક્રિય રસ લીધો હતો. તે અગ્રણી સંપાદક હતા, એટલું જ નહીં, નરસિંહ મહેતા વિશેનું એક પ્રકરણ પણ એમણે એમાં (ખંડ-૧માં) લખેલું. એ જ અરસામાં (૧૯૮૦) ‘ગુજરાતી સાહિત્યકોશ’ની યોજના આરંભાઈ હતી. જયંત કોઠારી જેવા ઉત્તમ સંશોધક વિદ્વાનની એના મુખ્ય સંપાદક તરીકે વરણી થઈ હતી. ત્રણ ખંડમાં પ્રકાશિત આ સાહિત્યકોશને પરિષદનું કદાચ એક સૌથી વધારે મહત્ત્વનું પ્રદાન ગણવાનું થશે. ૧૯૮૨ આસપાસ પરિષદ-સંચાલિત સંશોધનની સંસ્થા તરીકે ક.લા. સ્વાધ્યાયમંદિર રચાયું ને ચંદ્રકાન્ત શેઠ એના પહેલા નિયામક થયા. ભાષાવિજ્ઞાન વિશેનું જ એક સ્વતંત્ર સામયિક ૧૯૭૮થી હરિવલ્લભ ભાયાણીના સંપાદન-માર્ગદર્શનમાં પરિષદે આરંભેલું જે ચંદ્રકાન્ત શેઠ અને પછી ચંદ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં ભાષાવિજ્ઞાન ઉપરાંત સાહિત્યવિવેચનવિચારના સામયિક તરીકે ચાલતું રહ્યું. પરિષદની આ એક ગૌરવ-પ્રતિષ્ઠ પ્રવૃત્તિ હતી. સાહિત્યકોશનો પ્રથમ ખંડ ૧૯૮૯માં પ્રગટ થયો …
ઊંચી સાહિત્યવિવેચન-સજ્જતા ઉપરાંત વહીવટી ક્ષમતા ધરાવતા ચંદ્રકાન્ત ટોપીવાળા ક.લા. સ્વાધ્યાયમંદિરના નિયામકપદે આવ્યા ને એમણે પરિષદમાં વિદ્યાપ્રવૃત્તિનો હાથ ઉપર રાખ્યો. ક.લા. સ્વાધ્યાયમંદિરના અન્ય સંશોધકોને સાથે રાખીને – ૧૯૮૬માં ‘સાહિત્યસંજ્ઞા કોશ’ અને એની પૂર્તિરૂપે, ૧૯૮૮માં ‘વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ’ એમણે કરી આપ્યા અને સાહિત્યકોશનો બીજો(૧૯૯૦)ને ત્રીજો (૧૯૯૬) ખંડ પ્રગટ કર્યા. ક.લા. સ્વાધ્યાયમંદિરની, સાહિત્ય-સંશોધનની સંસ્થા તરીકે કાર્યક્ષમ પ્રસ્તુતતા ઊભી થતી રહી ને એણે પરિષદનું ગૌરવ વધાર્યું.
આ દાયકાઓ દરમિયાન પરિષદ મંત્રી રઘુવીર ચૌધરી એમની વહીવટી દક્ષતાથી ને વ્યવહારપટુતાથી પરિષદની લોકાભિમુખ પ્રવૃત્તિઓ તેમ જ એની વિદ્યાભિમુખ પ્રવૃત્તિઓને સંકલિત કરતા રહ્યા. પરિષદ ભવન ઊભું કરવામાં પણ એમની સક્રિયતાનો ફાળો ઘણો મહત્ત્વનો હતો. પરંતુ પછી વહીવટીતંત્ર પર વધુ ભાર મૂકાતો રહ્યો, એમાં ય એમનો ફાળો જ મહત્ત્વનો બનતો રહ્યો. ઉપર ઉલ્લેખાયેલ સમયગાળામાં પણ આ વહીવટી દાબનો અનુભવ, એમાં કાર્યરત વિદ્વાનોને પણ થતો રહેલો.
વિદ્યાપ્રવૃત્તિ મંદ કે નબળી પડતી જાય ને કેવળ તંત્ર-પરકતા વધતી જાય, ત્યારે સાહિત્યસંસ્થાને સામાજિક રાજકીય સંસ્થાથી જુદી પાડવી મુશ્કેલ બનતું જાય. સંસ્થાને એક શિખરે પહોંચાડ્યા પછી અગ્રણી પાછો વળી જાય ને બીજાઓની ક્ષમતાને માર્ગ કરી આપે એ ઇષ્ટ પરંપરા ન પળાઈ. મંત્રી રૂપે, ખજાનચી રૂપે, પ્રમુખ રૂપે, ટ્રસ્ટી રૂપે રઘુવીર કેન્દ્રમાં જ રહેતા ગયા (ટ્રસ્ટી પણ બધી જ સભા-બેઠકો-સમિતિઓમાં પોતાની સક્રિય ઉપસ્થિતિ રાખે એવી ‘પરિપાટી’ સુદ્ધાં એમણે ઊભી કરી). અર્પણને કેવળ અને કેવળ વિધાયક રહેવા દેવું જોઈએ – એ ન થયું. સંગીન વિદ્યાપ્રવૃત્તિનો અભાવ (ગયા આખા દાયકા ઉપર) વિસ્તરતો ગયો ને વહીવટકારની મુદ્રા પ્રભાવક બનતી ગઈ …
[‘પ્રત્યક્ષ’, ઑક્ટોબર – ડિસેમ્બર ૨૦૦૫]
e.mail : ramansoni46@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 12
 


 આજકાલ વડાપ્રધાન મોદીની અમેરિકાના પ્રવાસ દરમિયાન સિલીકોન વેલીની મુલાકાત અને ખાસ કરીને ગૂગલ-ફેસબુક વગેરેના મુખ્ય કાર્યાલયોના સ્નેહમિલનો ચર્ચામાં છે. ભારતને ડિજિટલ-ઇન્ડિયા બનાવવાની વાતો જોરશોરમાં છે. આપણે માહિતી યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે ડિજિટલ ટેક્નોલોજી અપનાવ્યા વિના છૂટકો જ નથી. આપણા દેશે છેલ્લાં ૧૫ વર્ષથી ડિજિટલના પથ પર ચાલવાનું શરૂ કરી દીધું છે અને હવે આ માર્ગ પર ચાલવાની નહિ પણ દોડવાની વાત છે. અલબત્ત, દોડ ક્યારેક આંધળી બની જતી હોય છે ત્યારે દોડવા માટે તત્પર આપણે સૌએ કેટલીક બાબતો પ્રત્યે સભાનતા કેળવવી પડશે. બાકી ફેસબુકના સી.ઈ.ઓ. ઝકરબર્ગની વાદે વાદે આપણે પણ પ્રોફાઇલ પિક્ચરો બદલી નાખ્યા એવા ભગા વળતા રહેશે. ખેર દેશને ડિજિટલ હાઇ-વે પર લઈ જવો, એ આજના સમયની જરૂરિયાત છે, તેને અવગણીને વિકાસ શક્ય નથી. ડિજિટલાઇઝેશનના કેટલાક ફાયદામાંનો એક ફાયદો પારદર્શકતા છે, જે પચાવવી થોડી અઘરી છે, પણ સમય સાથે આપણે સર્વસમાવેશક બનવાની સમજ કેળવવી પડશે.
આજકાલ વડાપ્રધાન મોદીની અમેરિકાના પ્રવાસ દરમિયાન સિલીકોન વેલીની મુલાકાત અને ખાસ કરીને ગૂગલ-ફેસબુક વગેરેના મુખ્ય કાર્યાલયોના સ્નેહમિલનો ચર્ચામાં છે. ભારતને ડિજિટલ-ઇન્ડિયા બનાવવાની વાતો જોરશોરમાં છે. આપણે માહિતી યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે ડિજિટલ ટેક્નોલોજી અપનાવ્યા વિના છૂટકો જ નથી. આપણા દેશે છેલ્લાં ૧૫ વર્ષથી ડિજિટલના પથ પર ચાલવાનું શરૂ કરી દીધું છે અને હવે આ માર્ગ પર ચાલવાની નહિ પણ દોડવાની વાત છે. અલબત્ત, દોડ ક્યારેક આંધળી બની જતી હોય છે ત્યારે દોડવા માટે તત્પર આપણે સૌએ કેટલીક બાબતો પ્રત્યે સભાનતા કેળવવી પડશે. બાકી ફેસબુકના સી.ઈ.ઓ. ઝકરબર્ગની વાદે વાદે આપણે પણ પ્રોફાઇલ પિક્ચરો બદલી નાખ્યા એવા ભગા વળતા રહેશે. ખેર દેશને ડિજિટલ હાઇ-વે પર લઈ જવો, એ આજના સમયની જરૂરિયાત છે, તેને અવગણીને વિકાસ શક્ય નથી. ડિજિટલાઇઝેશનના કેટલાક ફાયદામાંનો એક ફાયદો પારદર્શકતા છે, જે પચાવવી થોડી અઘરી છે, પણ સમય સાથે આપણે સર્વસમાવેશક બનવાની સમજ કેળવવી પડશે.