Opinion Magazine
Number of visits: 9483848
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફૂલ ખીલેંગે બાગો મેં જબ તક ગુલાબ કા પ્યારા, તબ તક ઝીંદા હૈ ધરતી પર નેહરુ નામ તુમ્હારા

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|18 May 2015

“ફૂલ ખીલેંગે બાગો મેં જબ તક ગુલાબ કા પ્યારા
તબ તક ઝીંદા હૈ ધરતી પર નેહરુ નામ તુમ્હારા”

મારી શિશુ વયથી પૂર્વ આફ્રિકાના દેશોમાં, હિન્દવી જમાતના ઘરોમાં, મહદ્દ અંશે મહાત્મા ગાંધી, પંડિત નેહરુ તેમ જ નેતાજી બોઝની છવિઓ જોવા મળતી. ક્યારેક સરદાર પટેલની તથા ભારતમાતાની પણ છબી તે હારમાળામાં સામેલ દેખાતી. પરદેશ કમાવાધમાવા ગયેલી જમાતના રાષ્ટૃપ્રેમની આ સાહેદી છે. આ બાકી હોય તેમ, આફ્રિકા ખંડના મોટા ભાગના દેશોની સ્વાતંત્ર્ય લડતમાં જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધી પણ અગ્રેસર લેખાતા. મોટા ભાગના નેતાઓ, વળી, આ બન્નેથી પૂરા ભાવવિભોર વર્તાતા. દક્ષિણ આફ્રિકાની રાષ્ટૃીય હિન્દી કાઁગ્રેસની વિવિધ શાખાઓ તેમ જ પૂર્વ તથા કેન્યાની રાષ્ટૃીય હિન્દી કાઁગ્રેસ પરે ય આ મહાનુભાવો છવાયા રહેતા.

આવી આ આદર્શ પ્રતિમાઓ (રૉલ મૉડેલ્સ) તે સમયથી જ મારા પરાક્રમી પુરુષો તરીકે સ્થપાઈ ચુક્યા છે. તે દિવસોમાં આફ્રિકામાંથી પ્રગટ થતાં ગુજરાતી, અંગ્રેજી અખબારોમાં તેમ જ ભારતથી આવતાં સમસામયિકોમાં આ આગેવાનોની વાતો, એમના સમાચારો દેખતો અને મને જોમજોસ્સો ચડતા. મારું, મારા વિચારોનું, મારી સમજણનું ઘડતર કરવામાં આ ત્રિપુટીનો ઝાઝેરો ફાળો રહ્યો છે.

સન 1936માં લખનઉ ખાતે મળેલી કાઁગ્રેસમાં જવાહરલાલ નેહરુએ આપેલા ભાષણ બાદ, વિદેશ અંગેની બાબતોને અગત્ય મળવા લાગ્યું. જગતના સ્તરે જે ગતિવિધિ હતી તેની જાણકારી મેળવાતી ગઈ. સંસ્થાનવાદ, સામ્યવાદની માહિતીવિગતો પણ મેળવાતી ગઈ. બ્રિટનના અન્ય સંસ્થાનો અને તેમાં રહેતા હિન્દીઓની બાબતો પણ તેમાં અગ્રતા મેળવતી રહી. આમ આફ્રિકામાં વસતા હિન્દીઓના પ્રશ્નોની છણાવટ થતી રહી. સરોજિની નાયડુ, મૈથિલીશરણ ગુપ્ત, દીવાન ચમનલાલ, અપ્પા પંત, કાકા કાલેલકર સરીખાં આગેવાનોની સમયસમયની આફ્રિકા-યાત્રાએ, તેમ જ એમનાં સક્રિય માર્ગદર્શનથી પણ નેહરુ – ગાંધીની આગેવાનીવાળા આંદોલનથી હિન્દવી વસાહતને સાંકળાવાનું સહેલું બનતું હતું. વળી, અપ્પા પંતની સક્રિયતાને કારણે આફ્રિકી રાજકારણીઓ તેમ જ નેહરુના વડપણવાળી સરકાર વચ્ચે ઘનિષ્ટતા મજબૂત બનતી થયેલી.  

હમણાં હમણાં અપ્પા બી. પંત લિખિત ‘અનડિપ્લોમેટિક ઇન્સિડન્ટ્સ’માંથી પણ પસાર થવાનું બન્યું. એમણે જવાહરલાલ નેહરુ માટેનાં સ્થાન અને માનની અનેક સાહેદી આપી છે. ગઈ સદીના પાંચમા દાયકા વેળા અપ્પા સાહેબ પૂર્વ આફ્રિકા ખાતે ભારતના રાજદૂત હતા અને એમણે જે તે મુલકોની નેતાગીરી સાથે જે ઘનિષ્ઠતા સેવી હતી અને ઊભી કરી હતી તેની આ ચોપડીમાં વિગતે નોંધ લેવાઈ છે. આફ્રિકાના આ સઘળા મુલકમાં જવાહરલાલજી માટે ભારે અગત્યનું સ્થાન રહેતું. દરેક આગેવાન એમનાં માર્ગદર્શન માટે આતુર રહેતા. અને આની સહજ ઝાંખી મારા એ દિવસોમાં મેં ઉપરછલ્લી તો ઉપરછલ્લી જાણી છે, જોઈ છે.

દરમિયાન, ગઈ સદીના પાંચમા દાયકામાં માવતરે મને ગુજરાતમાં ભણવા મુક્યો. સત્તાવનના અરસામાં સાર્વત્રિક ચૂંટણીઓ આવી અને જવાહરલાલજીની કાઁગ્રેસનો દબદબો જોઈને રાજીના રેડ બનતો. એ દિવસોમાં જામનગરમાં દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહની સખાવતથી મેડિકલ કૉલેજ શરૂ થવામાં હતી. જવાહરલાલજી અવસરે જામનગર પધારેલા. બહુ નજીકથી એમને સાંભળવાનો લ્હાવો મળેલો. કેટલીક પરિસ્થિતિઓને લીધે, દરમિયાન, ઘેર પરત થવાનું બન્યું અને એકસઠમાં, મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે જવાનું થયું. રહેવાનું ગામદેવીમાં હતું. ચૌપાટી નજીકનું મથક. કાઁગ્રેસ હાઉસ પણ ખૂબ નજીક. જાણે કે પગડે ઘા ! વળી તે જ અરસે, બાંસઠની ચૂંટણીઓના પડઘમ વાગવા શરૂ થયા, તેથી તેવાકમાં આવા સ્થળોએ નેહરુજી સહિતની અનેક જંગી સભાઓ યોજાતી અને તે દરેકને રૂબરૂ માણતો થઈ ગયેલો. એની વચ્ચે આપણા એક આદરમાન કવિ, રમેશ ગુપ્તાની જોમભરી કવિતાઓ, આવી આવી સભાઓમાં, એમને કંઠે ય ગુંજતી સાંભળતો. એમને મળતો, એમની સાથે વાતો કરતો અને મને શેર શેર લોહી ચડી આવતું.

1962માં ચીને આદરેલા યુદ્ધ વેળા, કવિ ‘પ્રદીપે’ (રામચન્દ્ર નારાયણજી દ્વિવેદી) લખેલું ગીત અને સી. રામચન્દ્રના સંગીત નિર્દેશન હેઠળ લતા મંગેશકરને કંઠે ઝૂમી ઊઠેલું એ ગીત : ‘એ મેરે વતન કે લોગોં …’ સૌ પહેલાં સાંભળવાનો ય મોકો મળેલો. ઓપેરા હાઉસ વિસ્તારના કેનેડી પૂલ પડખે આવેલી ક્વિન મેરી સ્કૂલના પ્રાગંણમાં, એક ખીચોખીચ પણ જંગી સભા મળેલી. જવાહરલાલજી તેમાં હાજર. લતાજીનાં ગાનથી દડદડ આંસુએ રડતા પંડિતજીને બહુ જ નજીકથી જોયાનું પણ સાંભરણ છે.

સન 1964ની 27 મેએ પારિવારિક પ્રસંગે જામખંભાળિયા હતો. પિતરાઈ બહેનનું લગ્ન હતું. વિધિ પતવામાં હતી, ત્યાં જવાહરલાલજીના અવસાનના સમાચાર મળ્યા. તાકીદે જામનગર જવા નીકળી ગયો અને શોકમગ્ન રહી. તે સંબંધક રોજિંદા સમાચારોમાં ખૂંપ્યો રહ્યો. … ખેર !

રફિક ઝકરિયાની સંપાદિત એક ચોપડી છે : ‘અૅ સ્ટડી અૉવ્ નેહરુ’. જવાહરલાલજીની સિત્તરેમી વર્ષગાંઠ નિમિત્ત, જીવનવૃત્તાન્ત સંબંધક નિબંધોની આ ચોપડીમાં કહેવાયું છે :

‘એમણે એમને વ્યામોહિત કર્યા છે; એમણે એમનો પરમ આદર કર્યો છે. દુર્ગમ આદિવાસી વિસ્તારોમાં જ્યાં પહોંચવું જ અઘરું છે, ત્યાં પણ એમનું નામ ઘરેઘરે પ્રચલિત છે; અભણ ગ્રામ્યવાસીઓમાં તો એમનું સ્થાન દેવ સરીખું બની ગયું છે. મોટા ભાગના ભારતીયોમાં એ સમગ્ર જીવનના રૂડા, ખાનદાન તેમ જ સુન્દર પ્રતીક છે. એમની ભૂલો માટે ય એ પ્રશસ્ય રહ્યા છે; એમની નબળાઈઓ માટે ય ચાહના છે. વીરપુરુષોની પૂજાઅર્ચના કરવાવાળા આ મુલકમાં એ વીરપુરુષોના ય પરાક્રમી પુરુષ રહ્યા છે. એમની ટીકાટિપ્પણ કરવી અયોગ્ય લેખાય છે; એમને વખોડવું એ અનાદર-સૂચક છે. … એમના પક્ષથી એ સૌ નારાજ હશે, એમના શાસન હેઠળ એ સૌ દુ:ખી હશે, એમ છતાં એ સૌને એમના પ્રતિ એટલો બધો અનન્યભાવ છે કે એમને કશા ય સારુ જવાબદાર લેખવામાં આવતા નથી.’

વારુ, એક જ કૉલેજમાં ભણતા સહાધ્યાયી ધીરેન મરચન્ટ અને હું, યુવાવસ્થાએ, જવાહરલાલ નેહરુની કોઈ જાતની આલોચના સહી જ શકતા નહીં. ટીકાખોરનો સામનો કરતા કરતા અમે બાખડી ય પડતા ! …  વરસો જતાં, આ પ્રકૃતિમાં ફેર પડ્યો છે અને વિચાર, વાણી અને વર્તન હવે વિશેષ વિધેયક તેમ જ ઉદ્દિષ્ટ લક્ષ્ય બન્યાં છે. … ખેર !

વારુ, અબ્રાહમ કાઉલીને ટાંકીને આરંભાયેલી ‘મારી જીવનકથા’ ખૂબ જ અસરકારક લાગી છે. ‘પોતે પોતાના વિષે લખવામાં મજા તો છે, પણ મુશ્કેલી પણ છે; કારણ, પોતાને વિષે કશું ખરાબ લખતાં પોતાને ખટકે અને સારુ કહેતાં સાંભળનાર કે વાંચનારને ખટકે.’ અને નહેરુએ લખ્યાં બીજાં પુસ્તકો, ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’, ‘મારું હિંદનું દર્શન’ તેમ જ ‘કેટલાક જૂના પત્રો’માંથી પણ પસાર થવાનું બન્યું છે ત્યારે જવાહરલાલ નેહરુએ આ લખાણોમાં ‘હું’ને વામન કરી નાંખ્યાનું ચોખ્ખું દેખાતું રહ્યું.

આપણી જબાનના એક ઉત્તમ તંત્રી એટલે દિવંગત યશવંત દોશી. “ગ્રંથ”નામે એક બહુ સરસ સામયિક એ ચલાવતા હતા. ‘પરિચય ટૃસ્ટ’ હેઠળ નીકળતા આ સામયિકના જૂન 1964ના અંકમાં ‘સંસ્કૃિતઓનો સેતુ’ નામે દિવંગત વાડીલાલ ડગલીનો મજેદાર લેખ પણ સામેલ છે. એમાંથી આ બે ફકરા જોઈએ :

‘1936માં નહેરુએ એમની આત્મકથા પ્રસિદ્ધ કરી અને ઇંગ્લેન્ડમાં ખળભળાટ મચી ગયો. એમની આત્મકથામાં ક્યાં ય વંધ્ય રાષ્ટૃવાદનાં દર્શન નહોતાં થતાં. પશ્ચિમની પ્રજાને એક સંવેદનશીલ આંતરરાષ્ટૃીયવાદી વિચારકના એમાં દર્શન થયાં. આત્મકથાએ એકીસાથે અનેક કામ કર્યાં. અંગ્રેજોને થયું કે આ તો આપણા જેવો જ એક માણસ સામ્રાજ્યવાદની નિરર્થકતા વિશે લખી રહ્યો છે. અંગ્રેજો સમજી શકે એવી વાણી(ઈડિયમ)માં નહેરુએ ભારતના સ્વાતંત્ર્યની અનિવાર્યતા સમજાવી. સમાજવાદ, લોકશાહી, વૈજ્ઞાનિક દૃષ્ટિ અને ઉદ્યોગીકરણ વિના ભારતની દશા નહિ બદલી શકાય એ પણ એમણે આત્મકથામાં કહ્યું. ગાંધીજીની કલ્પનાનો સમાજ એમને કેમ પૂરેપૂરો ગળે ઊતરતો નથી એ પણ એમણે પોતાના દેશવાસીઓને કહ્યું. પંડિતજીએ પોતે આત્મકથા લખીને આંતરરાષ્ટૃીય ક્ષેત્રે અસાધારણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આઝાદી આવી અને નહેરુ વડા પ્રધાન થયા ત્યારે દુનિયાને નવાઈ એટલા માટે ન થઈ કે પેલી મહાન આત્મકથાના લેખક જ સત્તા પર આવ્યા હતા.

‘આમ તો, એમના પ્રકાશકે પંડિતજીને ભારતની રાષ્ટૃીય ચળવળનો ઇતિહાસ લખવાનું કહ્યું હતું પણ એમણે એક કળાકારની ખુમારીથી એમની આગવી શૈલીમાં જ આ ઇતિહાસ લખ્યો. એમનું જીવન અને રાષ્ટૃનું જીવન એકબીજા સાથે એટલાં બધાં ઓતપ્રોત થઈ ગયાં હતાં કે એકને મૂકીને બીજા વિશે લખવા જાય તો તે કથા અધૂરી જ રહી જાય. આત્મકથા દ્વારા, ખરી રીતે તો, જવાહરલાલજીએ ભારતના મુક્તિસંગ્રામનું એક મહાકાવ્ય લખ્યું છે.’

“ગ્રંથ”ના અૉગસ્ટ 1964ના નેહરુ વિશેષાંકમાં, રવિશંકર સં. ભટ્ટનો સરસ લેખ છે. એ આરંભે લખે છે : ‘પંડિત જવાહરલાલ નેહરુની ‘આત્મકથા’ના પ્રકાશન પ્રસંગે તેમને અભિનંદન આપવા મુંબઈમાં એક સભા મળી હતી, તેમાં સુપ્રસિદ્ધ અમેરિકન લેખક જૉન ગન્થરે એ ગ્રન્થની ‘સાંપ્રતકાળની − બલકે સદાકાળની – સૌથી વિશેષ હૃદયંગમ આત્મકથા’ તરીકે પ્રશંસા કરી હતી. એ સર્વાંશે યથાર્થ હતી કારણ કે આત્મકથાએ લાખો હિંદીજનોના તેમ જ જુદા જુદા દેશોના યુવાન અને પ્રગતિશીલ જનોના મનને ગાઢ અને પ્રેરણાદાયી અસર કરી છે. તેનાં ભાષાંતરો જગતની આશરે 29 ભાષાઓમાં થયાં છે અને તેને પરિણામે પંડિતજીને એક અગ્રગણ્ય લેખક અને વિચારક તરીકે આંતરરાષ્ટૃીય ખ્યાતિ મળી છે. ‘આત્મકથા’નાં ભાષાંતરો હિંદની પ્રદેશિક ભાષાઓમાં થયાં છે અને ગુજરાતીમાં સ્વ. મહાદેવભાઈ દેસાઈનો અનુવાદ સુંદર છે.’

ગગનવિહારી મહેતા આ અંગે જણાવે છે તેમ, ‘મહાદેવભાઈએ કેવી રીતે એનો અનુવાદ કર્યો હતો એનો ઉલ્લેખ અહીં અપ્રસ્તુત નથી; એમણે પોતે એની વાત કહી હતી. પોતે રેંટિયો કાંતતા જાય, સામે ‘Autobiography’નું પુસ્તક ટેકવીને રાખે અને અનુવાદ કરતા જાય જે એમના પુત્ર નારાયણ લખી લે ! અતિશય સરસ આ અનુવાદ છે એ કહેવાની જરૂર નથી.’

આ અનુવાદના આરંભે, મહાદેવભાઈએ ચૌદ પાનમાં પથરાયો અભ્યાસુ ઉપોદ્દઘાત આપ્યો છે. કોઈ પણ અનુવાદક માટે, કોઈ પણ અભ્યાસુ માટે આ પાનાંઓ દીવાદાંડીની ગરજ સારે છે. આરંભમાં જ અનુવાદક ફોડ પાડીને કહે છે : ‘પંડિત જવાહરલાલનું પુસ્તક નથી ગાંધીજીની વિરુદ્ધ પ્રચાર, કે નથી ‘ગાંધીવાદ’ની સામે પડકાર. પ્રસંગે પ્રસંગે ગાંધીજીના જીવન અને વિચારનું પૃથક્કરણ કરતાં જવાહરલાલે ગાંધીજીને ઊભરાતા પ્રેમથી ભરેલી અને શુદ્ધ ભક્તિથી જે અંજલિ આપી છે, તેની બરોબરી પણ કરવાની કોઈ ગાંધીજીના અનુયાયી કે ભક્તની મગદૂર નથી, એમ મારું  હૃદય સાક્ષી પૂરે છે.’

વાડીલાલ ડગલી કહે છે તેમ, આત્મકથામાં એ સ્પષ્ટ થયું કે નહેરુ પશ્ચિમના પ્રશંસક હતા પણ પશ્ચિમના આંધળા ભક્ત ન હતા. પશ્ચિમની આંખે જ બધું જોવાય અને મૂલવાય એમાં એમનું સ્વમાન ઘવાતું હતું. આત્મકથા લખી એ પહેલાં એમણે 1934માં ‘ગ્લિમ્પસિઝ અૉફ વર્લ્ડ હિસ્ટરી’ (જગતના ઇતિહાસનું રેખાદર્શન) પ્રગટ કર્યું હતું. તેની પાછળ પણ પ્રધાન ઉદ્દેશ એ હતો કે માનવસંસ્કૃિતના વિકાસની કથા એશિયાના દૃષ્ટિકોણથી પણ નિહાળવી જોઈએ. પશ્ચિમની ક્રિયાશીલ સંસ્કૃિતનું પાસું જવાહરલાલે ભારતની પ્રજા સમક્ષ છતું કર્યું પણ ભારતની સંસ્કૃિત શું છે એ પ્રશ્ન એમને મૂંઝવતો હતો. આપણો  અધ્યાત્મ વારસો શું છે એ સમજવાનો પંડિતજીએ પ્રયત્ન કર્યો ‘ધ ડિસ્ક્વરી અૉફ ઇન્ડિયા’(મારું હિન્દનું દર્શન)માં. 1946માં પ્રસિદ્ધ થયેલા આ ગ્રંથમાં આપણને પંડિતજી અને ભારતની સંસ્કૃિત એમ બંનેના પ્રાણતત્ત્વનાં દર્શન થાય છે. ‘ડિસ્ક્વરી અૉફ ઇન્ડિયા’માં કમળા નહેરુના છેલ્લા દિવસોનું જે વર્ણન છે તે વર્ણનનાં થોડાં પાનાં વિશ્વસાહિત્યના ઉત્તમ પ્રતિનિધિ સાથે બેસી શકે તેમ છે.

એક અતિશય કાર્યરત, બહુશ્રુત અને સંસ્કારવાંછુ પિતાએ પોતાની ઉંમરલાયક થતી જતી પુત્રીના માનસઘડતર માટે જગતના મહાનુભાવો અને પ્રશ્નોનો તેને પરિચય કરાવવા માટે જગતનો ઇતિહાસ અંગત અને અનૌપચારિક પત્રો દ્વારા રજૂ કર્યો. પ્રાધ્યાપક નગીનદાસ સંઘવીએ વધુમાં નોંધ્યું છે તેમ, ‘ઊંચે આસને બેસીને વિદ્યાર્થીને પઢાવીને પોપટ બનાવી મૂકવા ઇચ્છતા પંડિતનું આમાં ક્યાં ય દર્શન થતું નથી. વાત્સલ્યથી માથે હાથ ફેરવતાં ફેરવતાં ઇતિહાસના રસનું સિંચન પોતાના સંતાનમાં કરતા વડીલનું ચિત્ર અહીં દેખાય છે. અહીં વિદ્વતા છે પણ તેનું ભારેખમ ગાંભીર્ય નથી. સંસકારની ઝંખના છે પણ અમુક જ સંસ્કારનો આગ્રહ નથી.’

‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’, વળી, ઇતિહાસનું પાઠ્યપુસ્તક નથી અને ઇતિહાસની તમામ હકીકતોનું વિગતવાર જ્ઞાન આપવું એ તેનો હેતુ પણ નથી.

જવાહરલાલ નેહરુનું ‘મારું હિન્દનું દર્શન’ પુસ્તક અત્યન્ત મહત્ત્વનું અને નોંધપાત્ર છે, એમ કા.ના. સુબ્રમણ્યમ્ નોંધે છે. એમના મતાનુસાર, જવાહરલાલની સાથે ઊછરેલી આખી પેઢીના હિન્દ દર્શન કરતાં એ ભિન્ન હતું.

પુસ્તક તરીકે જોઇએ તો નેહરુનું આ છેલ્લું પુસ્તક છે. આ પુસ્તકમાં જવાહરલાલની ઊંડી સૂઝ અને આંતરદર્શનની વાચકને પ્રતીતિ થાય છે. ‘ડિસ્ક્વરી અૉફ ઇન્ડિયા‘ લખ્યા પછી નેહરુ બીજું કોઈ પુસ્તક લખી ન શક્યા તે રંજની વાત છે. … જ્ઞાનેશ્વર કુલકર્ણી કહે છે તેમ, પણ આવું કોઈ પુસ્તક ન લખાયાના આશ્વાસનરૂપે ‘અૅ બન્ચ અૉફ અૉલ્ડ લેટર્સ‘ (કેટલાક જૂના પત્રો) પુસ્તકમાં નેહરુનો જીવન – ઘડતરકાળ આલેખવામાં આવ્યો છે અને તે આલેખનારાં છે તેમનું જીવન ઘડનારાં સ્ત્રી-પુરુષો.   

‘મહાદેવભાઈની ડાયરી’માં નોંધાયું છે : ‘એમના પુસ્તકના પાને પાને એક વસ્તુ રહી છે : “જ્યાં આદર્શો જ્વલંત રહે અને હૈયાં અડગ હોય ત્યાં નિષ્ફળતા હોય જ નહિ. ખરી નિષ્ફળતા તો સિદ્ધાંતના ત્યાગમાં, પોતાનો હક જતો કરવામાં, અને અન્યાયને ભૂંડી રીતે વશ થવામાં છે.”’ બીજી તરફ, સર્વપલ્લી રાધાકૃષ્ણન્ લખતા હતા : ‘નેહરુ એક ઉચ્ચ કોટિના લેખક હતા. તેમની આત્મકથા આપણા જમાનાની એક અત્યન્ત નોંધપાત્ર કૃતિ છે. કાંઈ પણ રોદણાં રોયા વિના કે આપવડાઈ વિના તેમણે એમાં તેમના જીવનની અને આઝાદીજંગની કથા આલેખી છે.’

‘સંસ્કૃિતઓનો સેતુ’ નામક પોતાના નિબંધમાં વાડીલાલ ડગલી આ ફકરા સાથે નિબંધને આટોપે છે :

‘વિજ્ઞાને અંતરને નાથ્યું છે. દૂરદૂરના ખંડો હવે પાડોશી બની ગયા છે. ગઈ કાલની ભૌગોલિક સરહદો નકામી બની ગઈ છે. અંતર ઘટ્યું છે પણ ભય વધ્યો છે. આવા ભયની આબોહવામાં માનવસંસ્કૃિત કરમાઈ રહી છે એમ કહી જવાહરલાલજીએ દુનિયાની મહાસત્તાઓના અંતરાત્માને જગાડવા પ્રયત્ન કર્યો. ક્યારેક ભારતનું કામ એક બાજુ હડસેલીને પણ પંડિતજીએ માનવજાતની આ મહાત્ત્વાકાંક્ષી સેવા કર્યે રાખી. આ કારણે જ આવા વિધાયક વિચારકના જવાથી ખંડેખંડેમાં વિષાદ ફેલાયો હતો. જવાહરલાલજીના અવસાનને દિવસે ભારત અને દુનિયા વચ્ચેનું અંતર નામશેષ થયું હતું.’

શશી થરૂરે આપી અનેક ચોપડીઓમાં એક ગમતી ચોપડી છે : ‘નેહરુ ધ ઇન્વેન્શન અૉફ ઇન્ડિયા’. આ પુસ્તકનો આખરી ફકરો, અનુવાદે, અહીં લેતા લેતા વિરામીએ :

‘એમના મેજ પર, જવાહરલાલ બે ગણચિહ્ન રાખતા — મહાત્મા ગાંધીની સોનેરી નાની મૂર્તિ અને અબ્રાહમ લિંકનના હાથની કાંસ્ય પ્રતિમા. સમય સમય પર એમને સ્પર્શતાં સ્પર્શતાં એ ઉષ્માહૂંફ મેળવી લેતા. એમને સારુ પ્રેરણાનો પટ ક્યાં લગી લંબાતો તેની ઝાંખી આપણને એમાંથી મળી જાય છે : મહાત્માના અંતર સુધીની પહોંચ મેળવીને તેમ જ લિંકનના હાથ સમ શક્તિ પ્રાપ્ત કરી કોયડાઓના ઉકેલ સારુ એ મથતા રહે, તેમ એમણે વારંવાર કહ્યું જ છે. નેહરુનો સમય, અલબત્ત, ક્યારનો પસાર થઈ ગયો છે; પરંતુ દેશની બૌદ્ધિક વિરાસત કેટકેટલી ટૂંકાઈ છે તેની સાહેદી આપણે આમાંથી જડે છે − આ બન્ને ચીજને હવે સંગ્રહાલયમાં મૂકી દેવાઈ છે અને એમના વારસદારોએ ફક્ત મેજનો વપરાશ રાખ્યો છે.’  

પાનબીડું :

સરોજિની નાયડુનો પત્ર

હૈદરાબાદ (દક્ષિણ),
દિવાળી,  1939

પ્રિય જવાહર,

તમારી પહેલી અર્ધી સદીનું જીવન ક્યારનુંયે ઇતિહાસ, લોકગીતો તથા લોક કથાનો વિષય બની ચૂક્યું છે. હવે પછીની અર્ધી સદીનાં આરંભનાં વરસો તમારાં સ્વપ્નો તથા તમારી કલ્પનાઓને ફળીભૂત કરનારાં નીવડો તથા માનવપ્રગતિના ઇતિહાસમાં તમને એક સર્વોત્કૃષ્ટ મુક્તિદાતા તરીકે અમરત્વ આપનારાં થાઓ …

હું તમને રૂઢિગત ‘સારી ભેટો’થી નથી નવાજી શકતી. અંગત સુખ, સગવડો, આરામ, સંપત્તિ તથા સામાન્ય માનવીની પૂંજીરૂપ એવી બીજી વસ્તુઓને તમારા જીવનમાં ઝાઝું સ્થાન છે, એમ મને નથી લાગતું. … દુ:ખ, યાતનાઓ, બલિદાન, ગમગીની, ઘર્ષણ … હા, આ બધી તમારે માટે વિધિનિર્મિત ભેટો છે. પરંતુ તમે કોઈ ને કોઈ રીતે તેમને રોમહર્ષણ આનંદ, વિજય − સ્વતંત્રતામાં પલટી નાખશો … તમે વિધિના સંતાન છો − જનસમુદાયની વચ્ચે એકાકી રહેવાને, તેમના અખૂટ પ્રેમપાત્ર થવાને, પરંતુ તેમને માટે કોયડારૂપ રહેવાને સરજાયા છો …

તમારો ખોજની યાત્રાએ નીકળેલો આત્મા તેના લક્ષ્યને પામો તથા સચ્ચિદાનંદનો સાક્ષાત્કાર કરો.

તમારી કવિ બહેન તથા ખોજની સહયાત્રી બહેનના આ આશીર્વાદ છે.

સરોજિની નાયડુ

(‘કેટલાક જૂના પત્રો’, અનુવાદક : મણિભાઈ ભ. દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર, જૂન 1962, પૃ. 458)

હૅરો, ફેબ્રુઆરી – 20 માર્ચ 2015

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

18 May 2015 admin
← રિવર ફ્રન્ટ અને નદીને જીવંત કરવા વચ્ચે ફરક છે
પપેટ પોલિટિક્સ બનામ પૂર્ણ સ્વાયત્તતા અને લોકતંત્ર →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved