Opinion Magazine
Number of visits: 9446801
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખૂન ખૂન હોતા હૈ પાની નહીં … વિશ્વ રક્તદાન દિવસ 

સોનલ પરીખ|Opinion - Opinion|14 July 2022

મેડિકલ ક્ષેત્રે ખૂબ સંશોધનો થવા છતાં કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે અને શરીરમાં થોડા કલાકોમાં જ નવું લોહી બની જાય છે; તો પણ મોટા ભાગના લોકોએ રક્તદાન વિશે વિચાર્યું હોતું નથી, કેમ કે સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો ખાસ્સો અભાવ છે. ભય પણ હશે. બાય ધ વે, લોહીના આઠ પ્રકાર વિષે તો આપણે જાણીએ છીએ, પણ બોમ્બે બ્લડ ગ્રુપ નામનો પણ લોહીનો એક પ્રકાર છે, એ ખબર છે ? 

યાદ છે ને 1977ની ફિલ્મ ‘અમર અકબર એન્થની’? બાળપણમાં જુદા પડેલા ત્રણ ભાઈઓમાં એક હિંદુ, એક મુસ્લિમ, એક ખ્રિસ્તી તરીકે ઉછરે છે. અંધ મા પણ છૂટી પડી ગયેલી છે. એક વાર એને અકસ્માત થાય છે અને એકબીજાને કે માને ન ઓળખતા આ ભાઈઓ, એને એક્સાથે લોહી આપે છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે, ‘ખૂન ખૂન હોતા હૈ પાની નહીં …’ દર્શકોને ઈમોશનલ બનાવવામાં સફળ નીવડેલું આ દૃશ્ય હિંદી સિનેમાના ‘મોસ્ટ ઈલ્લોજિકલ’ અર્થાત્‌ સૌથી વધારે અતાર્કિક દૃશ્યોમાંનું એક ગણાય છે!

ફિલ્મનું દૃશ્ય ભલે અતાર્કિક હોય, પણ રક્તદાન એવી પ્રક્રિયા છે જેના એક છેડે જીવ બચ્યાનો ને બીજા છેડે જીવ બચાવ્યાનો આનંદ હોય છે. ટોટલી વિન-વિન સિચ્યુએશન. 

14 જૂનના દિવસે વર્લ્ડ બ્લડ ડૉનેશન ડે – વિશ્વ રક્તદાન દિવસ છે. આ દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે તેમ જ બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે સુરક્ષિત રક્તપ્રવાહ ચાલુ રહે એ હેતુથી ઉજવવામાં આવે છે. 14 જૂન એ.બી.ઓ. બ્લડગ્રુપ સિસ્ટમના શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિન છે. આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. 

ઑસ્ટ્રેલિયન મૂળ ધરાવતા અમેરિકાના આ બાયોલૉજિસ્ટ-કમ-ફિઝિશ્યન કાર્લ લેન્ડસ્ટેઈનરે ૧૯૦૧ની સાલમાં શોધ્યું હતું કે દરેક વ્યક્તિનું લોહી એકસરખું નથી હોતું, એના વિવિધ પ્રકાર હોય છે. હાલમાં જે પદ્ધતિ બહુપ્રચલિત છે એવી ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ એમ ચાર પ્રકારનાં પૉઝિટિવ અને નેગેટિવ આર.એચ. ફૅક્ટર ધરાવતું કુલ આઠ પ્રકારનું લોહી હોય છે એવું એમણે સાબિત કર્યું. આને એ.બી.ઓ. સિસ્ટમ કહે છે. આ સિસ્ટમને આધારે મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓમાં બ્લડ-ટ્રાન્સફ્યુઝન કરવાથી એમાં ૯૯.૯ ટકા જેટલી સફળતા મળતી હોવાનું નોંધાયું છે. આ સફળતાને પગલે વધુ ને વધુ લોકો રક્તદાન કરીને બીજાની જિંદગી બચાવવામાં પોતાનો ફાળો આપે એ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. એને માટે બ્લડ-ગ્રુપના શોધક કાર્લ લૅન્ડસ્ટેઇનરના જન્મદિવસ ૧૪ જૂનથી વધારે યોગ્ય દિવસ કયો હોઈ શકે ? રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન મળે એ માટે ૧૯૯૫ની સાલથી દર વર્ષે ૧૪ જૂને આ દિવસ સેલિબ્રેટ થાય છે. 

તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે ને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન ‘એ’ અને ‘બી’ હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ આવા ચાર પ્રકારો પડે છે. અને એ ચારે પૉઝિટિવ અને નેગેટિવ એમ બે પ્રકારના હોય છે એટલે કુલ આઠ પ્રકારના બ્લડગ્રુપ હોય છે. લોહીના કણોમાં ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને એ.બી.ઓ. સિસ્ટમ કહે છે. આર.એચ.(રહેસસ) ફૅક્ટર તરીકે ઓળખાતા ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની હાજરી કે ગેરહાજરી પરથી પૉઝિટિવ – નેગેટિવ ગ્રુપ જુદાં પડે છે.

લોહીનું મૅચિંગ કઈ રીતે થાય? એ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ એ ગ્રુપ તેમ જ એ.બી. ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને એ તેમ જ ઓ ગ્રુપનું બ્લડ આપી શકાય. ‘બી’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ ‘બી’ અને ‘એ.બી.’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને ‘બી’ તેમ જ ‘ઓ’ ગ્રુપનું બ્લડ આપી શકાય. ‘એ.બી.’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું લોહી ‘એ.બી.’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને આપી શકાય. આ વ્યક્તિને એ, બી, એબી, અને ઓ એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે. ઓ ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ એ, બી, એબી, અને ઓ એમ દરેક પ્રકારના બ્લડ-ગ્રુપ સાથે મૅચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર ‘ઓ’ ગ્રુપ જ મૅચ થાય છે. આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

કેટલાક લોકોનું બ્લડ-ગ્રુપ ચકાસો તો એ ઓ-પૉઝિટિવ કે ઓ-નેગેટિવ બતાવે છે, પણ એ ખરેખર આ બેમાંથી કોઈ ગ્રુપનું નથી હોતું. આ પ્રકારનું લોહી ૧૯૫૨માં મુંબઈમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે એ ગ્રુપનું નામ બૉમ્બે બ્લડ-ગ્રુપ પાડવામાં આવ્યું છે. આ સૌથી દુર્લભ બ્લડ-ગ્રુપ છે. ભારતમાં દર દસ લાખ લોકોએ એક વ્યક્તિ બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવે છે ને ઈસ્ટ એશિયાના અમુક દેશોમાં દર દસ લાખે ચાર વ્યક્તિ આ બ્લડ-ગ્રુપ ધરાવે છે. આ બ્લડ-ગ્રુપ ધરાવનારા લોકો પણ નૉર્મલ સ્વાસ્થ્ય ધરાવતા હોય છે, પરંતુ તેમને ઍક્સિડન્ટ, ડિલિવરી કે મેજર સર્જરી દરમ્યાન લોહી ચડાવવાની જરૂર ઊભી થાય તો કટોકટી પેદા થઈ શકે છે, કેમ કે તેમને માત્ર અને માત્ર બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવનારાઓનું જ લોહી ચડી શકે છે.

એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે, અને શરીરમાં થોડા કલાકોમાં જ નવું લોહી બની જાય છે. મોટા ભાગના લોકોએ રક્તદાન વિશે વિચાર્યું હોતું નથી. અર્થાત્‌ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો ખાસ્સો અભાવ છે. ભય પણ હશે. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે. રક્તદાન શિબિરમાં સલામત રક્તદાન અંગેની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે. જે ખૂબ જ આવકાર્ય છે. મેડિકલ ક્ષેત્રે ખૂબ સંશોધનો થવા છતાં કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.

જે લોકો રક્તદાન કરવા માંગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. દાતાને એઈડ્સ કે હિપેટાઈસ જેવી લોહી દ્વારા ફેલાતી બિમારી ન હોવી જોઈએ. ઉપરાંત તે નશીલા પદાર્થનું સેવન કરતો ન હોવો જોઈએ. બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની પણ તપાસ કરવામાં આવે છે.

વિશ્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી મરે છે એટલા જ લોકો ઍક્સિડન્ટ કે કુદરતી હોનારતમાં મરે છે. આવી હોનારત દરમ્યાન વધુપડતું લોહી વહી જવાને કારણે અને તત્કાળ યોગ્ય મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવતું લોહી ન મળવાને કારણે અનેક મૃત્યુ થાય છે. પ્રસૂતિ અને હૃદય-કિડની કે અન્ય મોટાં ઓપરેશનો દરમ્યાન પણ લોહી ચડાવવાની જરૂર ઊભી થાય છે. માનવશરીરમાં લોહી એક એવી ચીજ છે જે સતત નવું-નવું બન્યા કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ૨૫ ટકા લોકોને જીવનના કોઈક ને કોઈક તબક્કે લોહી ચડાવવાની જરૂર પડે છે. એકલા ભારતમાં જ દર વર્ષે ચાર કરોડ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે, જ્યારે ડોનેશન મળે છે માત્ર ચાળીસ લાખ જેટલું જ. જો કે આપણે ત્યાં બ્લડ-ડોનેશન કૅમ્પ દ્વારા એકઠા કરવામાં આવતા લોહીમાંથી યોગ્ય મૅનેજમેન્ટના અભાવે હજારો યુનિટ લોહી વપરાયા વિનાનું વેસ્ટ જાય છે. આવું જાણીને બ્લડ-ડોનેશન કૅમ્પોવાળાને કહેવાનું મન થાય કે ભાઈ, જરા સંભલ કે – ખૂન ખૂન હોતા હૈ, પાની નહીં … 

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 જૂન 2022 

Loading

2 August 2022 Vipool Kalyani
← આચાર્યશ્રી કુંજવિહારી મહેતા શતાબ્દીના પ્રારંભે …
સત્તાકીય રાજકારણને પ્રજાકીય થવા દો તો શ્રીલંકામાં જે બન્યું તે બને →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved