સર્વે કરનારાઓએ અદના આદમીના મન કરતાં મનને પ્રભાવિત કરનારાં પરિબળો પર તેમણે વધારે ભરોસો રાખ્યો હતો અને છેતરાયા હતા
શા માટે પોતાના પંડ સિવાય કોઈ સાધન નહીં ધરાવનારા યોગેન્દ્ર યાદવ લોકોનો મૂડ જાણવામાં અને ચૂંટણીનાં પરિણામ કઈ રીતનાં આવી શકે એનો ક્યાસ કાઢવામાં સફળ નીવડ્યા અને જેમની પાસે બેશુમાર સાધનો હતાં અને પ્રોફેશનલ એજન્સીઓ હતી એ નિષ્ફળ નીવડ્યા?
આ સવાલ મહત્ત્વનો છે અને તેના વિષે ચર્ચા થવી જોઈએ. યોગેન્દ્ર યાદવે ચૂંટણીનો પહેલો રાઉન્ડ પણ નહોતો થયો એ પહેલાંથી કહેવાનું શરૂ કર્યું હતું કે મોટી મોટી ટી.વી. ચેનલો જે કહે છે એનાં કરતાં મને કાંઈક જુદું નજરે પડી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોનો મૂડ જાણવો એ કોઈ રોકેટ સાયન્સ નથી. તમે પણ એ કરી શકો છો. તમે કોઈ ગામડામાં જાવ, ત્યાં ચાવાળાની દુકાને સાવ સામાન્ય માણસ સાથે (સામાન્ય માણસ સાથે, સ્થાનિક પત્રકાર, પંચાયતનો પદાધિકારી કે પક્ષનો કાર્યકર્તા નહીં) સામાન્ય વટેમાર્ગુ બનીને વાત કરો. પંદરેક મિનિટ વાત કરશો તો ત્યાં સુધીમાં એ માણસ શંકાના આવરણો છોડીને તેનાં મૂળમાં આવી જશે. અને પછી પૂછો કે ગયા વખતે તમે કોને મત આપ્યો હતો અને આ વખતે કોને મત આપવાના છો. જો ફરી એકવાર એ જ પક્ષને મત આપવાના છો તો શા કારણે અને મત બદલવાના છો તો શા કારણે? જો તમારી પાસે પાછલી ચૂંટણીઓના ડેટા હોય તો વધારે સારું અને ન હોય તો પણ કોઈ ફરક નથી પડતો.
તેમણે દેશનાં અલગ અલગ રાજ્યોમાં અંદાજે ત્રણેક હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને હજારો લોકો સાથે વાત કરી હતી અને તેમાં તેમને પહેલા દિવસથી જોવા મળ્યું હતું કે સરેરાશ દસમાંથી ત્રણ મતદાતા એવા મળે છે જેમણે લોકસભાની કે વિધાનસભાની ગઈ ચૂંટણીમાં બી.જે.પી.ને મત આપ્યો હતો, પણ આ વખતે આપવાનો નથી. બીજી બાજુ ગઈ ચૂંટણીમાં બી.જે.પી. સિવાયના કોઈ પક્ષને મત આપ્યો હતો, પણ આ વખતે એ પક્ષને મત આપવાનો નથી અને બી.જે.પી.ને મત આપવો છે એમ કહેનારો કેવળ એક જ મતદાતા મળ્યો હતો. યોગેન્દ્ર યાદવ આ વાત તેમની અત્યંત સરળ શૈલીમાં એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાથી કેમેરાની સામે કહેતા હતા અને આજ સુધી કહે છે. દેશના માતબર મીડિયા છાપરે ચડીને નરેન્દ્ર મોદીના જ્વલંત વિજયની ઘોષણા કરતા હોય અને ૩૫૦ની આસપાસ બેઠકો આપતા હોય ત્યારે એમ કહેવું કે બી.જે.પી.ને સાદી બહુમતી પણ મળવી મુશ્કેલ છે તો એ માટે હિંમત જોઈએ અને પોતાની સમજ પર ભરોસો જોઈએ. યોગેન્દ્ર યાદવે તો એમ પણ કહ્યું હતું કે તમે પોતે આ રીતે લોકો સાથે વાત કરીને ખાતરી કરી લો. સાવ સરળ છે, કોઈ સાધન કે ચૂંટણી સર્વેક્ષકની વિશેષ આવડતની જરૂર નથી. તમે પોતે ચકાસી લો અને જોઈ જુએ કે મતદાતાઓ શું વિચારી રહ્યા છે.
તો સવાલ એ છે કે એકલે પંડે જે યોગેન્દ્ર યાદવ કરી શક્યા એ કરોડો રૂપિયા ખર્ચીને પણ મીડિયા અને સર્વેક્ષણ એજન્સીઓ કેમ નહીં કરી શક્યા? વેચાઈ જઇને ખોટી હવા બનાવવા માગતા હતા એ કારણે કે પછી તેમના સર્વેક્ષણની મેથડમાં જ ખામી હતી કે પછી એવું પણ બને કે મતદાતા ડરેલો હતો, સાવધાન રહેતો હતો અને મનની વાત કહેતો નહોતો, સર્વે કરનારાઓને ગેરમાર્ગે દોરતો હતો. હકીકતમાં ૩૫૦ પારવાળા દરેક ખોટા પડ્યા એની પાછળ આ ત્રણેય કારણોએ ભાગ ભજવ્યો હતો. તેઓ અંતરાત્મા અને વ્યવસાય બન્નેને વેચીને પૈસા કમાવા માગતા હતા અને તેમાં તેમને અનુકૂળ આવે એવા ડેટા મળવા લાગ્યા. દોડવું હતું અને ઢાળ મળ્યો. યોગેન્દ્ર યાદવે કહ્યું હતું એમ મતદાતા આવરણો છોડીને પોતાનાં મૂળમાં આવે અને તમે પણ મારા જેવા એજન્ડા વિનાના સામાન્ય માણસ છો એની ખાતરી થતા પંદરેક મિનિટ લાગે. એ પછી એ પોતાના મનની વાત કરશે. આ સિવાય મતદાતાનો વિશ્વાસ સંપાદિત કરવો એ પણ આવડતનું કામ છે. એજન્સીઓ માટે સર્વે કરનારાઓ પાસે આટલો સમય નહોતો અને મતદાતાને આવરણમુક્ત કરીને તેનાં મૂળમાં લઈ જવાની આવડત પણ નહોતી. યોગેન્દ્ર યાદવે તેમની ખામીરહિત મેથડ બતાવી આપી હોવા છતાં અને હિંમતપૂર્વક કેમેરા સામે બી.જે.પી.ને ૨૪૦ બેઠકો આપતા હોવા છતાં સર્વે કરનારાઓએ હજુ એકવાર ખાતરી કરી લેવાની જહેમત નહોતી ઉઠાવી.
મતદાતાઓ ડરેલા હતા અને સાચું બોલતા નહોતા. શું ખબર જે પૂછી રહ્યો છે એ કોણ છે અને કોનો માણસ છે. તેમને એટલી જાણ હતી કે કોને મત આપશો એના જવાબમાં બી.જે.પી. કહેવામાં કોઈ જોખમ નથી, એટલે લગભગ દરેક મતદાતા બી.જે.પી. કહેતો હતો. બી.જે.પી. શાસિત રાજ્યોમાં તો ખાસ. એક્ઝીટ પોલમાં પણ આવું જ થયું હશે. કોને મત આપ્યો છે? બી.જે.પી.ને. બસ ગોદી મીડિયાને અને ગોદી પોલસ્ટરોને જયજયકાર કરવો હતો અને ડેટા મળી ગયા. તેમણે યોગેન્દ્ર યાદવની સીધી ને સટ ગળે ઉતરે એવી વાત તરફ ધ્યાન ન આપ્યું. એમાં ઓછામાં પૂરું પ્રશાંત કિશોર મેદાનમાં આવ્યા. મોટા અવાજે, આત્મવિશ્વાસ સાથે અને આગ્રહપૂર્વક બોલવાની તેમની શૈલી છે. તેઓ લોકોની નાડ પારખે છે એવી તેમની ખ્યાતિ છે. અચાનક કોઈક અકળ કારણોસર તેઓ બી.જે.પી.ના પક્ષે મેદાનમાં ઉતર્યા ત્યારે મીડિયા વધારે નિશ્ચિંત થઈ ગયા. અને હજુ એક વાત. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચૂંટણીને હાથમાંથી જવા દે એવા માણસ નથી એટલે કાંઈક તો કરશે જ એમ પણ તેમને લાગતું હતું.
તો આનો અર્થ શું કરશો? અર્થ એ કે ગોદી મીડિયાને ભારતના નાગરિક પર ભરોસો નહોતો, મતદાતા પર ભરોસો નહોતો, પણ અન્ય પરિબળો પર ભરોસો હતો. બીજી બાજુ યોગેન્દ્ર યાદવ ભારતના નાગરિક સાથે, મતદાતા સાથે સંવાદ કરતા હતા અને તે શું વિચારે છે એ જાણવાની કોશિશ કરતા હતા. તેમને તેના પર ભરોસો હતો. અરે ભાઈ, જેનું મન જાણવું છે એ જાણો ને, બાહ્ય પરિબળો એ મનને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે એનાં આધારે મનનો કયાસ કઈ રીતે કાઢી શકાય? અને શું કામ કાઢવો જોઈએ જ્યારે હાર-જીત નક્કી કરનારો સાક્ષાત તમારી સામે ઊભો છે. ગોદી મીડિયાએ આ ભૂલ કરી હતી. અદના આદમીના મન કરતાં મનને પ્રભાવિત કરનારાં પરિબળો પર તેમણે વધારે ભરોસો રાખ્યો હતો અને છેતરાયા હતા.
અંતે છેલ્લું હાસ્ય એને કરવા મળ્યું જેમની પાસે પોતાના પંડ અને પ્રામાણિકતા સિવાય કશું જ નહોતું.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 23 જૂન 2024