Opinion Magazine
Number of visits: 9446088
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વોર રુકવા દી, પાપા : લોકો પ્રોપેગેન્ડામાં કેમ માનતા થઇ જાય છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 April 2024

રાજ ગોસ્વામી

ચૂંટણી પ્રચારમાં ‘પ્રચાર’ શબ્દનું બહુ મહત્ત્વ છે. અંગ્રેજીમાં તેને પ્રોપેગેન્ડા કહે છે. રાજકીય પક્ષો કે નેતાઓ પોતાના માટે જનતાનું સમર્થન મેળવવા માટે વિચારો અને જાણકારીઓનો પ્રચાર કરતા હોય છે. મોટા ભાગે અપેક્ષા એવી હોય છે કે તેમાં સત્યનો, હકીકતોનો, તથ્યોનો અને હકારાત્મકતાનો જ પ્રચાર થાય, પરંતુ માહિતીના યુગમાં અસત્યનો, ભ્રામક જાણકારીઓનો અને અતિશયોક્તિઓનો પણ એટલો જ પ્રચાર થતો હોય છે, જેને દુષ્પ્રચાર કહે છે.

જનમત કેળવવા માટે આખી દુનિયામાં પ્રચાર – દુષ્પ્રચારનો ઉપયોગ થાય છે. એમાં ક્યારેક સફળતા મળે છે, ક્યારેક નથી મળતી. ક્યારેક એવા પ્રચાર ઊંધા પણ પડતા હોય છે – એટલે કે જનમત કેળવવાને બદલે તે જનમતને વિરુદ્ધ પણ કરી નાખે છે.

દેશમાં લોકસભાના વર્તમાન ચૂંટણી પ્રચારમાં, ભારતીય જનતા પાર્ટીના એક પ્રચાર સાથે એવું જ થયું છે. માર્ચ મહિનામાં, પાર્ટી તરફથી સોશિયલ મીડિયા અને યુટ્યૂબ પર એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. તેની થિમ હતી – વોર રુકવા દી, પાપા.

તેમાં, રશિયા-યુક્રેન યુદ્ધના શરૂઆતી દિવસો દરમિયાન યુક્રેનમાં ફસાઈ પડેલા ભારતીય વિધાર્થીઓ વતી એક યુવતી તેના પિતાને કહેતી સંભળાય છે, “મૈંને કહા થા ના, કૈસી ભી સિચ્યુએશન હો, મોદીજી હમેં લે આયેંગે. વોર રુકવા દી, પાપા ઔર ફિર હમારી બસ નિકાલી, પાપા.”

આ વીડિયોમાં તથ્યાત્મક ત્રૂટિ હોવાના કારણે વિરોધ પક્ષોએ તો તેનો જબરદસ્ત વિરોધ કર્યો, પણ સામાન્ય લોકોને પણ આ દાવો ગળે ઉતરે તેવો નહોતો એટલે લોકોએ તેની ક્લિપને વાઈરલ કરીને મજાક ઉડાવાનું શરૂ કર્યું. ત્યાં સુધી કે એ છોકરી અને તેના બયાન ‘વોર રુકવા દી, પાપા’નાં એટલાં બધાં મીમ બન્યાં ( અને હજુય બને છે) કે એવું કહેવાય છે કે તેમાં હિસ્સો લેનારી (જેનું નામ પ્રિયંકા હોવાનું કહેવામાં આવે છે) એ છોકરીનું ઘર બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. અલબત્ત, વીડિયોમાં યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહોતો, પણ લોકો તાળો મેળવી લીધો હતો.

આ વીડિયો મજાકનું સાધન બની ગયો તેનાં બે કારણો હતાં : 

૧. બે દેશ વચ્ચે પુર જોશ યુદ્ધ ચાલતું હોય ત્યારે, ત્રીજો દેશ તેના વિધાર્થીઓને સહી સલામત ઘરે લાવવા માટે એ યુદ્ધને થોડા સમય સુધી રોકી રાખે તે વાત આમ જનતાની કોમન સેન્સમાં બેસે તેવી નહોતી, ખાસ કરીને અમેરિકા કે ચીન જેવી મહાશક્તિઓ પણ એ યુદ્ધ રોકવામાં વિફળ ગઈ હોય. દેખીતી રીતે જ, વીડિયોમાં અતિશયોક્તિ હતી.

૨. બીજું કારણ એ હતું કે ખુદ ભારત સરકારનું વિદેશ મંત્રાલયે આ દાવાનું ખંડન કરી ચુક્યું હતું. યુદ્ધ શરૂ થયું તેના થોડા દિવસ પછી ભા.જ.પ. તરફી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોદી સરકારની વિનંતીથી રશિયાએ થોડો સમય યુદ્ધ અટકાવ્યું હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોના સવાલમાં કહ્યું હતું કે -‘અમને એક રસ્તો સલામત હોવાની માહિતી મળી હતી અને અમે તે નાગરિકોને પહોંચાડી હતી એટલું જ. કોઈકે બોમ્બમારો અટકાવી દીધો કે અમે એવું કોઓર્ડિનેશન કરી રહ્યા હતા તે વાત ખોટી છે.’

તે પછી પણ ભા.જ.પ.ના નેતાઓ દ્વારા આ દાવો ચાલુ રહ્યો અને તેનો અંત આ ‘વોર રુકવા દી, પાપા’ના વીડિયોમાં આવ્યો હતો. તેમાં એટલી બદનામી થઇ હતી કે પાર્ટીના સમર્થકોએ તેને અવગણવાનું શરૂ કરી દીધું હતું. ટૂંકમાં, આ વીડિયો બુમરેંગ સાબિત થયો.

ચૂંટણી પ્રચારમાં આવું દુનિયામાં દરેક પક્ષો સાથે, દરેક સમયમાં થતું રહેતું હોય છે, પણ એમાં સમજવા જેવું એ છે કે પ્રચાર, દુષ્પ્રચાર કે અતિશયોક્તિ કેમ એક પ્રભાવી માધ્યમ છે? ચૂંટણી જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ (જેમ કે માર્કેટિંગ) ઘણા પ્રચાર અત્યંત સફળ પુરવાર થયા હોવાના પણ દાખલા છે.

 

દાખલા તરીકે, બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી શાસકોએ બહુ સફળતાથી પ્રચાર કરીને જનમત તેમની તરફેણમાં વાળ્યો હતો. તેની પ્રેરણા તેમને 1914ના પ્રથમ વિશ્વ યુદ્ધમાંથી મળી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધમાં, જર્મનીનો બ્રિટનના હાથે પરાજય થયો હતો અને જર્મન મિલિટરી અધિકારીઓએ એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે તેમના પરાજયમાં બ્રિટિશ પ્રચાર-તંત્રનો મોટો હાથ હતો.

બ્રિટિશ સરકારે પ્રચાર માટે માહિતી મંત્રાલયની રચના કરી હતી, પરંતુ વિશ્વ યુદ્ધના અંત સાથે, મંત્રાલય નાબૂદ કરવામાં આવ્યું હતું. તેનું કારણ એ હતું કે લોકોને લાગ્યું કે સરકાર તેમની સાથે જૂઠું બોલી રહી છે.

જો કે, બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યા પછી, બ્રિટિશ સરકારે ફરીથી માહિતી મંત્રાલયની જરૂરિયાત જણાઈ હતી. તેનો હેતુ નાઝી પ્રચાર તંત્રનો સામનો કરવાનો, બ્રિટિશ લોકોને યુદ્ધ માટે તૈયાર કરવાનો અને બાકીના યુરોપમાં હિટલર વિરુદ્ધ પ્રચાર કરવાનો હતો.

હિટલર જ્યારે જર્મનીમાં સત્તામાં આવ્યો ત્યારે, તે પણ માનતો હતો કે 1918માં જર્મન મોરચામાં હતાશા ફેલાઈ ગઈ અને બળવો થયો તેની પાછળ બ્રિટિશ પ્રચાર કારણભૂત હતો. એટલે હિટલરે તેના શાસનમાં જર્મન નાગરિકોનો ભરોસો બરકરાર રાખવા માટે પ્રચારને એક નીતિ તરીકે સરકારનો હિસ્સો બનાવ્યો હતો.

તેની આત્મકથા ‘મેઈન કામ્ફ’માં હિટલર પ્રચારના ઘણા નિયમોની રૂપરેખા આપી હતી. બ્રિટિશ માહિતી મંત્રાલયના ઘણા અધિકારીઓ હિટલર સાથે સહમત થયા હતા. તેમણે હિટલર સામેની ઝુંબેશમાં આ જ પ્રકારની ઘણી યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો.

હિટલરે લખ્યું હતું, “તમામ પ્રચાર લોકપ્રિય હોવા જોઈએ અને એને જે લોકો સુધી પહોંચાડવાના છે, એમાંથી સૌથી ઓછા બુદ્ધિશાળી વ્યક્તિને પણ એ સમજમાં આવવા જોઈએ. કુશળ અને સતત પ્રચારની મદદથી, કેટલા ય લોકોને સ્વર્ગ પણ નર્ક જેવું બતાવી શકાય અથવા સાવ જ નઠારા જીવનને સ્વર્ગ જેવું બતાવી શકાય છે.”

સવાલ એ છે કે લોકો પ્રચારમાં કેમ માનતા થઇ જાય છે? તેની પાછળ ગહન મનોવિજ્ઞાન છે. હિટલરનો પ્રચારમંત્રી જોસેફ ગોબ્બેલ્સ ભલે એવું કહેવા માટે બદનામ હોય કે, “જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે,” પણ આપણે સૌ આ જ માનસિકતાના શિકાર છીએ. સત્ય અને પરિચિતતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જે પરિચિત હોય તે સત્ય બની જાય છે, અને જે અજાણ્યું હોય તે જૂઠ નજર આવે છે.

એક જૂઠને વારંવાર રિપીટ કરવામાં આવે, તો લોકોને તે પરિચિત થઈ જાય છે અને એટલે તેને સત્ય માની લેવાની સંભાવના વધી જાય છે. આપણું મગજ વારંવાર એકની એક વાત સાંભળે, તો તેને હકીકત તરીકે સ્વીકારતું થઈ જાય છે. આને આભાસી સત્ય કહે છે. 

પરિચિતતા આપણી વિચારપ્રક્રિયાને દૂષિત કરે છે. આપણું મગજ અપરિચિત ચીજથી દૂર ભાગે છે, કારણ કે તે જોખમી લાગે છે, અને પરિચિત ચીજ સાથે ઘરોબો કેળવી લે છે, કારણ કે તે સલામત લાગે છે. કોઈપણ ચીજને પસંદ કરવાની પહેલી શરત તેની પરિચિતતા છે. એટલા માટે લોકોને જૂઠ પણ પસંદ પડે છે, કારણ કે તે પરિચિત છે. રાજકારણીઓ એટલે સફળ થાય છે. આધુનિક એડવર્ટાઈઝમેન્ટ અને માર્કેટિંગ આ માનસિકતા પર જ સફળ રહે છે. ફેક ન્યૂઝ અને પ્રોપેગેંડા એટલે જ તાકાતવર હોય છે.

(પ્રગટ ; “ગુજરાત મિત્ર” /। “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 21 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

25 April 2024 Vipool Kalyani
← વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી અને દલિતોના મંદિર પ્રવેશનો પ્રશ્ન
વીતેલા યુગના આતતાયીઓનો વર્તમાન અવતાર કોણ ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved