Opinion Magazine
Number of visits: 9446798
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વમાં ભારતની આબરૂ ગઈ અને સુલતાન પોતાના માટે મહેલ બંધાવી રહ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 May 2021

અત્યારની પરિસ્થિતિનો એક વાક્યમાં ઉપસંહાર કરવો હોય તો એમ કહી શકાય કે જગતને ચોરે ભારતની આબરૂના કાંકરા થયા છે અને ભારતના ચોરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આબરૂના કાંકરા થયા છે. વિશ્વમાં એવું એક પણ અખબાર, સામયિક, ન્યુઝ ચેનલ અને ન્યુઝ પોર્ટલ નહીં હોય જેણે ભારતના શાસક નરેન્દ્ર મોદીની નિંદા ન કરી હોય. અને તેમાં નરેન્દ્ર મોદીની માત્ર નિંદા નથી કરવામાં આવી, ઠેકડી ઉડાડવામાં આવી છે. કોઈએ તેમને નીરો સાથે સરખાવ્યા છે. કોઈએ તેમને આત્મરતિથી પીડિત મેગેલોમેનિયાક અને નાર્સીસીસ્ટ તરીકે ઓળખાવ્યા હતા. કોઈએ તેમને સ્ટંટ અને ખેલ કરનારા તરીકે ઓળખાવ્યા છે. કોઈએ તેમને અગંભીર અને અસંવેદનશીલ શાસક તરીકે ઓળખાવ્યા છે. કોઈકે તેમને આંધી આવે ત્યારે રેતીમાં મોં છૂપાવી દેનારા ઓસ્ટ્રીચ તરીકે ઓળખાવ્યા છે. ‘ટાઈમ’ મેગેઝીને તો તેના કવરપેજ ઉપર તેમને ‘સુપરસ્પ્રેડર’ અર્થાત્‌ ભારતમાં ચેપી રોગ ફેલાવનારા તરીકે ઓળખાવ્યા છે અને સવાલ કર્યો છે કે એક માણસની સત્તાભૂખની માણસજાતે કેટલી કિંમત ચૂકવવી પડશે?

આફત બે પ્રકારની હોય છે; એક આસમાની અને બીજી સુલતાની. ધરતીકંપ, વાવાઝોડું કે પૂર એ આસમાની આફત ગણાય છે. એવી આફત અચાનક આવતી હોય છે અને તેમાં ભલભલા વિકસિત દેશો અને સક્ષમ શાસકો પણ હતપ્રભ થઈ જતા હોય છે અને વિશ્વદેશોએ મદદે આવવું પડતું હોય છે. સુલતાની આફત સુલતાન અર્થાત્‌ શાસકની અણઆવડત, ખોટી પ્રાથમિકતા અને અસંવેદનશીલતાનું પરિણામ હોય છે. ભારત ઉપર અત્યારે કોવીડની જે આફત ઊતરી છે એ દરેક અર્થમાં સુલતાની આફત છે, આસમાની નથી.

ટકી રહેવા માટે વાઈરસ પરિવર્તિત થતો રહે છે જેને અંગ્રેજીમાં મ્યુટેશન કહે છે. ગયા વરસના નવેમ્બર-ડિસેમ્બરમાં આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં કોરોના વાઈરસ પરિવર્તિત સ્વરૂપમાં જોવા મળ્યો હતો. સંબંધિત દેશોએ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ અને જગતભરના એપિડેમોલોજીસ્ટો તેમ જ વાઈરોલોજીસ્ટોએ જગતને ચેતવણી આપી હતી કે પહેલાના કોરોના વાઈરસ કરતાં આ વધુ ખતરનાક છે. તેની ચેપ ફેલાવવાની ક્ષમતા ઘણી વધુ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જગતે કોરોનાના ચેપના બીજા મોજાનો સામનો કરવો પડશે. આ ચેતવણી માત્ર ચેતવણી નહોતી એ સાચી પડતી પણ જોવા મળી હતી. ગયા વરસના ડિસેમ્બર મહિનાથી અમેરિકા, બ્રાઝિલ, ઇંગ્લેંડ, ફ્રાંસ, જર્મની અને બીજા કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધવા માંડ્યા હતા. અમેરિકામાં રોજના ત્રણ લાખ કેસ નવા ઉમેરાતા હતા.

બીજા મોજાની ચેતવણી ગયા વરસના ઓકટોબર-નવેમ્બર મહિનામાં મળી હતી. બીજા મોજાની શરૂઆત ગયા વરસના નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં શરૂ થઈ ગઈ હતી અને તેની વ્યાપકતા તેમ જ ગંભીરતાનો પણ જગતને પરિચય થયો હતો. આપણે એટલા નસીબદાર હતા કે ભારતમાં કોરોનાના બીજા મોજાની શરૂઆત ફેબ્રુઆરીના અંતમાં થઈ હતી એટલે પૂરા ત્રણ મહિના તૈયારી માટે હતા. પણ આપણે સુલતાનની બાબતમાં નસીબદાર નહોતા અને નથી. સુલતાને કોરોનાને ગંભીરતાથી લીધો જ નહોતો. સુલતાનની પ્રાથમિકતા વિરોધ પક્ષોના વિધાનસભ્યોને ખરીદવાની હતી. તેમની પ્રાથમિકતા વિરોધ પક્ષોની સરકારો તોડવાની હતી. તેમની પ્રાથમિકતા યેનકેન પ્રકારેણ ચૂંટણીઓ જીતવાની હતી. તેમની પ્રાથમિકતા પ્રજા પાસે બી.જે.પી. સિવાય બીજા રાજકીય પક્ષોના વિકલ્પ જ ન રહે એવી વ્યવસ્થા કરવાની હતી. તેમની પ્રાથમિકતા લોકશાહી સંસ્થાઓને પ્રાણહીન કરવાની હતી. તેમની પ્રાથમિકતા તાયફાઓ યોજવાની હતી. તેમની પ્રાથમિકતા હિંદુશક્તિનું પ્રદર્શન કરવાની હતી. તેમની પ્રાથમિકતા પોતાના માટે નવો રાજમહેલ બંધાવવાની, વસ્ત્રપરિધાન કરવાની હતી અને બંગલાદેશમાં કર્યું હતું એમ ફેંકાફેંકી કરવાની હતી.

તેમને એમ લાગતું હતું કે ખાસ ઈજા પહોંચાડ્યા વિના કોરોનાનું જેમ પહેલું મોજું જતું રહ્યું એમ બીજું મોજું પણ જતું રહેશે. થોડાક તાળી-થાળીના ખેલ કરાવીશું. આ સિવાય મોટી સંખ્યામાં વફાદાર બેવકૂફો અને કઢીચટ્ટાઓ તો છે જ જે ઈશારો કર્યે કિકિયારીઓ પાડશે, સીટીઓ વગાડશે અને તાળીઓ પાડશે. હકીકતમાં કોરોના સામે સુલતાન છેતરાઈ ગયા છે અને ભારતની નિર્દોષ પ્રજા તેની કિંમત ચૂકવી રહી છે. ખોટો આત્મવિશ્વાસ કહો તો ખોટો આત્મવિશ્વાસ અને અસંવેદનશીલતા કહો તો અસંવેદનશીલતા, પણ તેનું પ્રમાણ જુઓ! નિષ્ણાતોની બધી જ ચેતવણીઓ અને પશ્ચિમના દેશોના અનુભવને તેમણે ગણકાર્યા નહીં અને સત્તા પરના કબજાનું હિંદુ પ્રદર્શનનું રાજકારણ કરતા રહ્યા.

આજે સ્થિતિ તમારી સામે છે. જગતના દેશો ભારતને ઓક્સીજન અને દવાઓ મોકલીને મદદ કરી રહ્યા છે. દેશનું નાક કપાઈ ગયું છે. આવા દિવસો તો ત્યારે પણ નહોતા જોવા મળ્યા જ્યારે ભારત સાવ ગરીબ અને અવિકસિત દેશ હતો. જો સુલતાને સમયસર તૈયારીઓ કરી હોત તો આવું કલંક જોવાનો સમય ન આવ્યો હોત. ગંગા નદીમાં વહેતા મૃતદેહોએ હવે મોઢું છુપાવવા માટે કોઈ જગ્યા રહેવા દીધી નથી.

પ્રારંભમાં મેં લખ્યું છે કે જગતના ચોરે ભારતની આબરૂના કાંકરા થયા છે અને ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આબરૂના કાંકરા થયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૨૦૨૪-૨૦૨૫માં શતાબ્દી ઉજવશે. ૯૭ વરસનું તેનું આયુષ છે. ૯૭ વરસથી તે હિંદુ રાષ્ટ્રની વાત કરી રહ્યો છે. ૯૭ વરસ એ કોઈ ઓછાં વરસ નથી, પણ હવે તેણે ખાતરી કરાવી દીધી છે કે તેની પાસે હિંદુ રાષ્ટ્રના સ્વરૂપની કોઈ સંકલ્પના જ નથી. સામ્યવાદી રાષ્ટ્ર, લોકશાહી સમાજવાદી રાષ્ટ્ર અને  લોકશાહી મૂડીવાદી રાષ્ટ્ર એમ શાસનનાં ત્રણ મોડેલ્સ જગતે જોયાં છે અને અનુભવ્યાં છે. સંઘને આ ત્રણેય મોડેલ્સની સામે વાંધો હોય અને તેને નકારીને સંઘ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતો હોય તો એ એનો અધિકાર છે. પાછું સંઘની સ્થાપના આ ઉદ્દેશ માટે કરવામાં આવી છે અને ૯૭ વરસથી તે તેનો જપ કરી રહ્યો છે.

આશ્ચર્ય એ વાતનું છે કે હવે જ્યારે પૂરી તાકાત સાથે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાની તેને તક મળી છે ત્યારે તેની પાસે તેનું કોઈ મોડલ જ નથી. કોઈને ધોલ મારવી, કોઈને ડરાવવા, કોઈને પ્રેમ કરતા અટકાવવા, કોઈનું ધર્મસ્થાન તોડી નાખવું, ગાયના છાણમાં આળોટવું, ટોળે વળીને કોઈને મારવા, ટ્રોલીંગ કરીને ગાળો દેવી, ખોટો પ્રચાર કરવો, સત્યને છૂપાવવું, એ હિંદુરાષ્ટ્રના લક્ષણો છે? આના દ્વારા હિંદુઓનું કલ્યાણ થવાનું છે? આનાથી વિશ્વગુરુ થવાશે? ૯૭ વરસ સુધી આ સાકાર કરવા માટે તપશ્ચર્યા કરી હતી? જો આના માટે ૯૭ વરસ સુધી તપશ્ચર્યા કરી હોય અને ચરબી વધારી હોય તો આયખું એળે ગયું કહેવાય!

દરમ્યાન સુલતાન પ્રજાની વેદનાની બાબતે બધીર છે અને પોતાના માટે મહેલ બંધાવી રહ્યા છે. જય હો હિંદુ રાષ્ટ્ર!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 13 મે 2021

Loading

13 May 2021 admin
← ‘સબ કુછ ચંગા-ચંગા’
સરકાર જ નહીં, આપણે પણ, પ્રજા તરીકે નિષ્ફળ છીએ … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved