Opinion Magazine
Number of visits: 9445839
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોદ કુમાર શુક્લાને જ્ઞાનપીઠ; સાથે ચાલવાનું જાણતો એક અદનો કવિ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 March 2025

રાજ ગોસ્વામી

દેશનો સૌથી સર્વોચ્ચ અને સૌથી જૂનું સાહિત્યિક સન્માન ‘જ્ઞાનપીઠ’ આ વર્ષે જેમને મળ્યું છે તે હિન્દીના કવિ-કથાકાર વિનોદ કુમાર શુક્લા જાણવા જેવા સર્જક છે. વિનોદ કુમાર શુક્લા આ પુરસ્કાર મેળવનારા હિન્દીના 12મા લેખક અને છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ છે. તેમની મુખ્ય નવલકથાઓમાં ‘નૌકરી કી કમીઝ’, ‘દિવાર મેં એક ખીડકી રહેતી થી’ અને ‘ખિલેગા તો દેખેંગે’નો સમાવેશ થાય છે.

આ પુરસ્કાર વિનોદ કુમાર શુક્લાને તેમની નવલકથા ‘નૌકરી કી કમીઝ’ માટે આપવામાં આવ્યો છે. આ વાર્તા પરથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિ કૌલે 1999માં એ જ નામની ફિલ્મ બનાવી હતી. તેમની લોકપ્રિય વાર્તા ‘આદમી કી ઔરત’ પર અમિત દત્તાએ ફિલ્મ બનાવી હતી, જેને 66મા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ (2009)માં સ્પેશિયલ ઇવેન્ટ એવોર્ડ મળ્યો હતો. 

તેમની નવલકથા ‘દિવાર મેં એક ખીડકી રહેતી થી’ને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેને મોહન મહર્ષિ નામના નાટ્ય નિર્દેશક દ્વારા નાટકમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.

શુક્લાએ સાહિત્યની તમામ પરંપરાઓને તોડીને સંપૂર્ણપણે એક અલગ જ વ્યાકરણની રચના કરી છે. 88 વર્ષના શુક્લાએ 65 વર્ષથી નિયમિત સાહિત્યિક અભ્યાસમાં સક્રિય રહીને જાતને અજોડ બનાવી છે. તેઓ દિવસમાં પાંચ-સાત કલાક અને રાત્રે બે કે ત્રણ કલાક વાંચે છે અને લખે છે. આંખો નબળી છે એટલે વાર્તાઓ અને કવિતાઓને તેમની પત્ની અને પુત્ર શાશ્વતને બોલીને લખાવે છે. તેમણે એકવાર કહ્યું હતું, ‘હું મારા લેખનથી મારી જિંદગીનો પીછો કરવા ઈચ્છું છું.’

વિનોદ કુમાર શુક્લા

તેમને બાળપણમાં જ સાહિત્યિક વાતાવરણ મળ્યું હતું. ‘માધુરી’ અને અન્ય સાહિત્યિક સામયિકો ઘરે આવતાં હતાં. તેમના પિતરાઈ ભાઈ સરસ કવિતા લખતા હતા. તેમણે વિનોદજીને એક નોટબૂક આપીને કહ્યું હતું કે અહીં-ત્યાં કાગળ પર ના લખતો, આના પર લખજે. ભાઈએ તેની પત્નીનાં ઘરેણાં વેચીને એક કવિતા સંગ્રહ પ્રકાશિત કર્યો. 

વિનોદજીની માતા વાંચનની શોખીન હતી. એકવાર તેમની પાસે બે રૂપિયાના સિક્કા જમા થઇ ગયા હતા. તેમણે માતાને પૂછ્યું હતું કે તેનું શું કરું. માતાએ કહ્યું હતું કે કોઈ સરસ પુસ્તક ખરીદજે. સરસ એટલે કેવું? માતાએ બંગાળી સર્જકો શરતચંદ્ર, બંકિમચંદ્ર, રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપ્યું.

વિનોદજી એ પૈસામાંથી શરતચંદ્રની નવલકથા ‘વિજયા’ ખરીદી. તેમાં એક એવી યુવતીની વાર્તા હતી, જે તેના પિતાની જમીનદારીની માલકણ હોવા છતાં પિતાના મિત્ર અને તેના પુત્રના હાથે કથાપૂતળી બની જાય છે. વિનોદજીનું એ પહેલું પુસ્તક હતું. તેમની માતા તેમને કહેતી હતી કે જ્યારે પણ કશું લખે ત્યારે દુનિયાનું શ્રેષ્ઠ પુસ્તક વાંચીને લખજે. 

તેઓ કવિતા કરતા થયા ત્યારે, મોટા ભાગના નવોદિત કવિઓ સાથે બને છે તેમ, તેમની કવિતામાં બીજા પ્રસિદ્ધ કવિઓની નકલ આવી જતી. એકવાર તેમની કવિતામાં ભવાની પ્રસાદ મિશ્ર નામના જાણીતા હિન્દી કવિની એક પંક્તિ ‘મૈં ગીત બેચતા હૂં’ આવી ગઈ. તેમના પિતરાઈ ભાઈ તેનાથી બહુ નારાજ થયા હતા.

પંદરેક વર્ષના વિનોદજીની મુશ્કેલી એ હતી કે તેમના દિમાગમાં બીજાઓની કવિતાઓ જડાઈ ગઈ હતી અને તેઓ મૌલિક લખી શકતા નહોતા. તેમણે માતાને પૂછ્યું કે શું કરું. માતાએ તેના રસોડાની કુશળતાનો આધાર લઈને જે જવાબ આપ્યો તે લાજવાબ હતો. તેણે કહ્યું;

‘જો, તું તારી ચાળણી બનાવ. આપણે ચા બનાવીએ છીએ ત્યારે ચાને ગાળીએ છીએ, લોટની ચાળણી હોય છે, મેદાની ચાળણી હોય છે, તેવી રીતે જુદી જુદી વસ્તુઓની ચાળણી હોય છે. તું પણ તારા લેખનની એક ચાળણી બનાવ, જેથી તારું લખેલું જ તારી પાસે રહે, બીજાનું તારી પાસે ન આવે.’

ત્યારથી લઈને આજ સુધી, તેમનું ફોકસ રોજિંદુ જીવન રહ્યું છે. તેઓ તેમના સર્જનમાં કલ્પનાની દુનિયામાં ફસાયા વિના આસપાસના જીવન અને સામાન્ય માણસ જોડાયેલા રહે છે. તેઓ દાયકાઓથી એકધારી રીતે સામાન્ય જીવનની વિડંબનાઓ, મુંઝવણો, વ્યથાઓ અને નારાજગીઓને ઊંડી સહાનુભૂતિ, સમજ અને સાહસ સાથે અભિવ્યક્ત કરતા રહ્યા છે.

અશોક વાજપેઈ નામના જાણીતા લેખક શુક્લાજીના સાહિત્ય અંગે કહે છે, ‘વિનોદની જેમ એક ‘અનાયક’(નોન-હીરો)ને તેમનો આજીવન અધિવક્તા બનાવ્યો હોય તેવા બીજા કોઈ ભારતીય લેખકને શોધવો અઘરો છે.

એક કવિતામાં તેઓ વિનમ્રતાથી કહે છે, ‘જો વૃક્ષ મારા ઘરે મળવા ન આવી શકે, તો હું મળવા માટે વૃક્ષ પાસે જાઉં છું.’ માત્ર ઝાડ જ નહીં, માણસોને પણ એ જ સંવેદનશીલતા સાથે મળે છે અને કહે છે, ‘જેઓ મારા ઘરે ક્યારે ય નહીં આવે, હું તેમને મળવા જઈશ.’ આ વિનમ્રતા અને સંવેદનશીલતા તેમ જ ભારતીય વ્યક્તિના સરળ જીવનનું સત્ય તેમના તમામ કાર્યોમાં વહેતું જોવા મળે છે. તેમની એક અતિ પ્રસિદ્ધ રચના વાંચવામાં જેટલી સરળ છે, સમજવામાં એટલી જ ગહન છે. તેઓ લખે છે;

હતાશ થઈને એક માણસ બેસી ગયો હતો

એ માણસને હું ઓળખતો નહોતો 

હું હતાશાને ઓળખતો હતો 

એટલે હું એની પાસે ગયો 

મેં હાથ લંબાવ્યો 

મારો હાથ પકડીને એ ઊભો થયો 

મને એ ઓળખતો નહોતો 

મારા હાથ લંબાવવાને તે જાણતો હતો 

અમે બંને સાથે ચાલવા લાગ્યા 

બંને એકબીજાને ઓળખતા નહોતા 

અમે સાથે ચાલવાનું જાણતા હતા.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

30 March 2025 Vipool Kalyani
← અરાજકતાનો અર્થ જાણો છો?
જમ્મુ કાશ્મીર બળતું ઘરઃ ભારત સરકારની ચતુરાઈ અને પાકિસ્તાનની સરકારની લાચારી →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved