Opinion Magazine
Number of visits: 9446967
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોબાના સવા શતાબ્દી વરસના આરંભે

ચંદુ મહેરિયા|Gandhiana|11 September 2019

મહાત્મા ગાંધી(૧૮૬૯-૧૯૪૮)ના સાર્ધ શતાબ્દીના સમાપન દિવસોમાં વિનોબા ભાવે(૧૮૯૫-૧૯૮૨)ની સવા શતાબ્દી વરસનો આરંભ થાય છે તે કેવળ યોગાનુયોગ નથી. ઉમરમાં ગાંધીજીથી પચીસ વરસ નાના વિનોબાનું પિતૃપદ ગાંધીજીએ સ્વીકાર્યું હતું. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહના પહેલા સત્યાગ્રહી તરીકે નહેરુ-સરદારને બદલે જ્યારે ગાંધીજીએ વિનોબાની પસંદગી કરી ત્યારે વિનોબાનો તત્ક્ષણ પ્રતિભાવ તો, ‘બાપુનું તેડું અને યમરાજનું તેડું બરાબર’નો હતો. ગાંધીમંત્રી મહાદેવભાઈએ પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબાની પસંદગી અંગે જણાવ્યું હતું કે, “વિનોબામાં કેટલાક એવા ગુણ છે જે બીજા કોઈમાં નથી.” ગાંધી-સર્વોદય વિચારધારામાં આજે પણ વિનોબા સ્કૂલનું વિદ્યમાન હોવું તેમના કાર્ય અને વિચારની પ્રસ્તુતતા દર્શાવે છે.

૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા વિનોબાનો ગુજરાત સાથે નિકટનો નાતો હતો. મૂળ નામ તો વિનાયક નરહરિ ભાવે પણ અમદાવાદના સાબરમતી આશ્રમમાં સ્થાયી થયા ત્યારે આશ્રમવાસીઓએ (અને શાયદ મામાસાહેબ ફ્ડકેએ) મહારાષ્ટ્રની પરંપરા અને તેમની સંત પ્રકૃતિને સોહે એવું વિનોબા નામ દીધું હતું, જે કાયમી ઓળખ બન્યું. ગાંધીજીના બનારસ હિંદુ યુનિવર્સિટીના ભાષણે વિનોબાને તેમનું ઘેલું લગાડયું હતું. એટલે તે કાયમ ગાંધીરંગે રંગાઈ ગયા. પિતા વડોદરાની કાપડ મિલમાં અને પછી રાજ્યની નોકરી કરતા હતા એટલે જીવનના આરંભનાં ઘણાં વરસો અહીં વીત્યાં હતાં. પ્રાથમિક શિક્ષણ ઘરે મેળવી બાર વરસની વયે વડોદરા હાઈસ્કૂલમાં દાખલ થયા. ભણવામાં અવ્વલ હતા, પરંતુ ધર્મ અધ્યાત્મ, બ્રહ્મચર્ય અને ગૃહત્યાગના વિચારો સતત ચાલતા હતા. ઈન્ટર આર્ટ્સની પરીક્ષા આપવા મુંબઈ જતા હતા ત્યારે રસ્તામાં સુરતથી મુંબઈ જવાને બદલે બનારસની વાટ પકડી. ‘જીવનમ્‌ સત્યશોધનમ્‌’ની જે લગની લાગેલી તે પૂરી કરવા ૨૧ વરસે ગૃહત્યાગ કર્યો.

બંગાળની ક્રાંતિ અને હિમાલયનો જ્ઞાનયોગ બેઉ તેમને આકર્ષતા હતા. ક્રાંતિ, શાંતિ અને જ્ઞાનનો સમન્વય તેમને ગાંધીમાં લાધ્યો. બાળપણથી જ વિનોબા ભારે વાચોડી હતા. વડોદરાવાસ દરમિયાન વડોદરાના સયાજી પુસ્તકાલયનાં અનેક પુસ્તકોનાં પાનાં એમની છરીથી જ કપાયાં અને વંચાયાં. કાશીમાં અન્યો જે ધર્મગ્રંથોના વાચન માટે બાર વરસનું તપ કરતા તે વિનોબાએ બાર માસમાં એકલકોટડીમાં પુરાઈને કર્યું. માંદલી તબિયતે જ્યારે ગાંધીના આશ્રમથી એકાદ વરસનું જુદારું કરવાનું થયું તો મહારાષ્ટ્રના વાઈની પાઠશાળામાં છ મહિના અધ્યયનમાં કાઢયા.

અનેક ભાષાના જ્ઞાતા વિનોબા એટલે પોથીપંડિત નહીં, સ્વરાજ સૈનિક પણ. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પહેલી પસંદગી પામેલા વિનોબાએ જીવનમાં કુલ છ વખત સાડા પાંચ વરસનો કારાવાસ વેઠયો છે. તેમાંનો કેટલોક તો આકરો પણ હતો. ૧૯૩૨માં તેઓ ધૂળિયા જેલમાં હતા ત્યારે સ્ત્રી કેદીઓ સહિતના સઘળા કેદીઓ સમક્ષ તેમણે રોજેરોજ ગીતાનાં પ્રવચનો આપ્યાં હતાં. એમના કેદી શ્રોતાઓમાં સાને ગુરુજી પણ હતા. જેમણે આ પ્રવચનોની નોંધ ટપકાવી રાખી, જે પાછળથી ભારતની તમામ અને વિદેશની પાંચેક ભાષામાં ગ્રંથસ્થ થઈ. ધર્મઆરાધક માતા અને વિજ્ઞાન આરાધક પિતાનું આ જયેષ્ઠ સંતાન ધાર્મિક વૃત્તિનું હોય તે સહજ હતું પણ તે કોઈ એક ધર્મમાં બદ્ધ નહોતા. એટલે જ કુરાનસાર પણ તેમની પાસેથી મળે છે. વિશ્વમાનુષ વિનોબાએ જે વિશ્વશાંતિ ઝંખી છે તેણે જ તેમની પાસે ‘જય જગત’ના નારાનું સર્જન કરાવ્યું હશે !

૧૯૨૧માં નાગપુર પાસેના વર્ધામાં ગાંધીજીએ વિનોબાની દેખરેખમાં સેવાગ્રામ આશ્રમ બનાવ્યો. ગાંધીના સ્વરાજની લગન સાથે વિનોબા રચનાત્મક કામોમાં લાગી ગયા. ૧૯૩૮માં વર્ધા નજીક પવનારમાં એમણે પરમધામની સ્થાપના કરી જ્યાં જીવનના અંત સુધી રહ્યા. ગાંધીહત્યા અને સાને ગુરુજીની આત્મહત્યાથી વિનોબા ભારે દુઃખી હતા, પરંતુ જાતને સંભાળી, આંસુ લૂછી આગળનાં કામો હાથ ધર્યાં. વિનોબા અને પદયાત્રા એ જાણે કે પર્યાયવાચી શબ્દો હોય એટલું બધું તે ચાલ્યા છે. જીવનમાં એમણે બાવન હજાર માઈલની પદયાત્રા કરી હોવાનું કહેવાય છે. આઝાદી પછી રચાયેલા પ્લાનિંગ કમિશન અને પહેલી પંચવર્ષીય યોજના વિશે વિમર્શ કરવા પંડિત નહેરુએ તેમને દિલ્હી બોલાવ્યા. તો ૮૦૦ માઈલની પદયાત્રા કરીને દિલ્હી પહોંચ્યા હતા. પહેલી પંચવર્ષીય યોજના અંગે તેમનો અભિપ્રાય હતો કે આ યોજના નેશનલ નહીં પાર્શિયલ છે. અને જો શાસને પાર્શિયાલિટી રાખવી જ હોય તો તે ગરીબો તરફ્ની રાખે. ગાંધીના છેલ્લા માણસના કલ્યાણની વાત આ રીતે તેમણે જીવંત રાખી હતી.

ભૂમિહીનો માટે જમીનનો પ્રશ્ન આઝાદી પછી તરત સપાટી પર આવ્યો. જમીનની અસમાન માલિકી દેશમાં મોટા પ્રમાણમાં હતી. તેના માટે હિંસક અહિંસક સંઘર્ષો પણ ચાલતા હતા. વિનોબાએ કાનૂન કે કતલને બદલે કરુણાનો માર્ગ લઈ ભૂદાન આંદોલન છેડયું. ભૂદાન આંદોલને પ્રગતિશીલ ડાબેરી જમીન સુધારા ચળવળને કેવી અને કેટલી પાછળ ધકેલી તે સવાલ તો છે જ. જો કે જે પચાસેક લાખ એકર જમીન ભૂદાનમાં મળી તેનાથી ત્રીજા ભાગના જ વાસ્તવિક કબજા મળ્યા.

મોટે ભાગે અતડા કે એકલજીવી રહેવા ટેવાયેલા વિનોબા કંઈક વિચિત્ર લાગે તેવા પણ હતા. ગાંધીજીએ તેમને ‘આશ્રમનાં દુલર્ભ રત્નોમાંના એક’ ગણાવી તેઓ ‘આશ્રમમાં કંઈક પામવા નહીં, આપવા આવ્યા છે’ તેમ કહ્યું હતું. વિનોબાએ પણ લખ્યું છે કે, “હું સ્વભાવે જંગલી જાનવર રહ્યો છું. હું બાપુનું પાળેલું પ્રાણી છું. જે કંઈ છું તે બાપુની આશિષનો ચમત્કાર છું.’ પરંતુ ગાંધીજીએ એક પત્રમાં ‘તમારા જેવો ઉચ્ચ આત્મા મેં ક્યાં ય જોયો નથી” એમ લખ્યું તો તેમણે તે પત્ર ફડીને ફેંકી દીધો હતો. કુલપતિ ઉમાશંકર જોશી તેમને ગુજરાત યુનિવર્સિટીના ડી.લિટ કહેતાં ડોક્ટર ઓફ લિટરેચરની ઉપાધિ આપવા પવનાર ગયા તો તેમણે ડી.લિટની ઉપાધિ તો સ્વીકારી પણ એ જ દિવસે દાઢી-મૂછ મૂંડાવી નાંખ્યા. આશ્ચર્યચકિત આશ્રમવાસીઓ સમક્ષ ખુલાસો ક ર્યો, “ઉપાધિ ઉતારી નાંખી!” કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધી મળવા ગયાં તો મૌનવ્રતી વિનોબાએ સત્તા માટે દેશને કેદખાનું બનાવી મૂકનાર વડાપ્રધાનને પૂછયું, “સમ્રાટ અશોકની જેમ સત્તા છોડી ક્યારે નીકળે છે?” ગૌહત્યાબંધીના ચળવળકાર વિનોબાએ ૧૯૭૫ની ઇંદિરાઈ કટોકટીને અનુશાસન પર્વ ગણ્યાનો વિવાદ પણ તેમના નામે છે.

રાજનીતિને લોકનીતિમાં પરિર્વિતત કરવા મથનારા વિનોબા જયપ્રકાશની જેમ કટોકટી વખતે ખૂલીને સામે નહોતા આવ્યા. સર્વ સેવાસંઘ અને સર્વોદય સમાજ મારફ્ત તેમણે ગાંધીને જીવંત રાખ્યા. ગાંધીવિચાર કરતાં ગાંધીઆચાર પર બળ મૂકતાં તેમણે લખ્યું છે, “સબળ ગાંધીવિચાર આવનારાં વરસોમાં વધુ પ્રસ્તુત બનવાનો છે. ગાંધીવિચાર મરવાનો નથી. સવાલ ગાંધીઆચારનો છે. એ ઝડપથી ઢીલો કે નબળો પડતો જાય છે. મારું કામ એ ગાંધીઆચારની દિશામાંનું છે.” એટલે જ છેવાડાના માણસની ખેવનાનું ગાંધી તાવીજ કે અધોળ આચરણનો ગાંધીઆગ્રહ પળાય તેમાં જ ગાંધીદોઢસો અને વિનોબાસવાસોની ઉજવણીની સાર્થકતા છે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 11 સપ્ટેમ્બર 2019

Loading

11 September 2019 admin
← સોશ્યલ મીડિયા દલા તરવાડીની વાડી છે. જાણે, ભગાભાઇની આઇપીઍલ
અવકાશ વિજ્ઞાન હોય કે અણુ ટેકનોલોજી, વિકાસ અગત્યનો છે. →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved