Opinion Magazine
Number of visits: 9482004
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિકાસ એ જ વિનાશ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 August 2025

રવીન્દ્ર પારેખ

ભારતમાં વિકાસનો રાફડો ફાટ્યો છે ને તેને નામે ઘણું ખરુંખોટું ચાલી રહ્યું છે. વિકાસ જરૂરી છે, એની ના જ નથી, પણ ક્યાં ને કેવો કરવો એની કશી નક્કર વિચારણા નથી. આડેધડ વિકાસ કે તેની વાતો એ ભારતીય લાક્ષણિકતા છે. આપણો વિકાસ પર્યાવરણને ભોગે છે ને તેનો ભોગ નિર્દોષ ને અજાણ માણસો બનતા હોય છે. એક વાત સ્પષ્ટ છે કે પ્રકૃતિ પોતાની સાથેની કોઈ પણ છેડછાડ સહન કરતી નથી ને સમય આવ્યે તે કહેવાતા વિકાસને વિનાશમાં ફેરવી શકે છે. આ વાત ફરી એકવાર ઉત્તરકાશીનાં ધરાલી ગામને નષ્ટ કરીને પ્રકૃતિએ સિદ્ધ કરી દીધી છે.

પહાડી રાજ્ય ઉત્તરાખંડનાં ઉત્તરકાશીમાં મંગળવારે અઢીએક કલાકના ગાળામાં ધરાલી, હર્ષિલ અને સુખી એમ ત્રણ ગામોમાં વાદળો ફાટવાને કારણે આવેલા જળપ્રલયે ભયંકર તારાજી સર્જી છે. ધરાલી હિમાલયની તિરાડ પર આવેલું છે, એટલે દસેક વર્ષમાં તે ત્રણેક વખત નાશ પામ્યું છે. ભૂસ્તર શાસ્ત્રીઓએ ધરાલીને બીજે ખસેડવાની સલાહ આપી છે, પણ આટલી તબાહી પછી પણ તે બીજે ખસેડી શકાયું નથી. ગંગોત્રી ધામના મુખ્ય પડાવ, ધરાલી કસ્બામાં આવેલું બજાર, ખીરગંગા નદીમાં આવેલાં વિનાશક પૂરને કારણે ધોવાઈને નષ્ટ-ભ્રષ્ટ થઈ ગયું છે. લોકો રોજિંદા કામમાં પ્રવૃત્ત હતા, ત્યાં બપોરના દોઢેકના સુમારે ઉપરનાં જળગ્રહણ ક્ષેત્રમાં ભયંકર ગર્જના સાથે વાદળ ફાટ્યું ને 34 સેકન્ડમાં તીવ્ર જળપ્રવાહ બધું જ તાણી ગયો. અહીં આવેલાં બાવીસેક રહેણાંક મકાનો, દુકાનો ને હોટેલો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. બધું વહી ગયું છે ને રહી ગયું છે તેનો કોઈ અર્થ રહ્યો નથી. રેલનાં પાણીમાં વહેવાને કારણે ને કાટમાળમાં દટાવાને કારણે દસ લોકોનાં મોત થયાં છે ને 100થી વધુ લોકોની તો ભાળ જ મળતી નથી. એક જ દિવસમાં વાદળ ફાટવાની ત્રણ ઘટના બનતાં તબાહી વધી છે. હર્ષિલમાં પણ વાદળ ફાટવાને કારણે સૈનિકોના કેમ્પમાં પાણી ભરાઈ ગયું છે ને કેમ્પ લગભગ તણાઈ ગયો છે ને કેટલાક સૈનિકો લાપતા છે. અહીં પણ ભારે તબાહી થઈ છે. ચારધામ યાત્રાના આ સમયમાં હાનિ વધુ હોઈ શકે છે. રાહત કાર્યો ચાલે છે, પણ ભારે વરસાદને કારણે તેમાં વિલંબ થાય છે.

ઉત્તરાખંડમાં આફતની આ પહેલી ઘટના નથી. 2021માં ચમોલી જનપદમાં નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન  પાસે ગ્લેશિયર તૂટવાનું બન્યું હતું. એને લીધે ધોળી ગંગા નદીમાં રેલ આવી હતી અને ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં કામ કરી રહેલા 41 શ્રમિકો ફસાયા હતા ને 17 દિવસની સખત મહેનત પછી એમને બચાવાયા હતા. નિષ્ણાતોનું ત્યારે પણ કહેવું હતું કે પર્વતીય ક્ષેત્રો જોડે છેડછાડ કરવા જેવી નથી. 2023માં જોશીમઠમાં ભૂસ્ખલન થતાં ઘણી મોટી વસ્તી વિસ્થાપિત થઈ હતી. 2013માં કેદારનાથમાં મચેલી તબાહી કોઈ ભૂલ્યું નથી. 16 અને 17 જૂન, 2013ને રોજ મૃત્યુનું જે ભયાનક તાંડવ ખેલાયું હતું તેમાં 4,000થી વધુ લોકોના જીવ ગયા હતા.

આ ઉપરાંત  હિમાચલ-કિન્નોરમાં પૂરમાં 2 યાત્રીઓનાં મોત થયાં છે. કૈલાસયાત્રા રોકી દેવાઈ છે.  આઈ.ટી.બી.પી.એ 413 યાત્રાળુઓને બચાવ્યા છે. ઉત્તરાખંડના પૌડીમાં પણ વાદળ ફાટ્યું છે. હિમાચલ પ્રદેશના મંડીમાં બુધવારે ભૂસ્ખલનના સમાચાર છે. આ અકસ્માતને કારણે ચંડીગઢ-મનાલી ચાર રસ્તાના ફ્લાયઓવર પર તિરાડો પડી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશના 533 રસ્તાઓ બંધ છે. ઉત્તર પ્રદેશના 24 જિલ્લાઓના 1,245 ગામો રેલની આફતનો સામનો કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં 360 ઘરો ધરાશાયી થયાં છે ને 16 લોકોનાં મોત થયાં છે. પહાડોમાં આવી પ્રાકૃતિક આપદાઓનો કોઈ પાર નથી, પણ તેમાં ઉત્તરોત્તર થઈ રહેલો વધારો ચિંતા અને જોખમ વધારે છે.

આવી ઘટનાઓમાં પ્રકૃતિ જવાબદાર લાગે, પણ હકીકતે જવાબદાર મનુષ્ય છે. ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જને કારણે ઋતુઓ અને વાતાવરણમાં ઝડપી ફેરફારો અનુભવાય છે. 100 મિ.મી. વરસાદ એકદમ જ પડે તો તણાવું એ જ એક પર્યાય બચે છે. ધરતીકંપ, સુનામી જેવી ઘટનાઓની આગાહી થઈ શકે છે, પણ વાદળ ફાટવાની ઘટના એટલી અણધારી છે કે તેની આગાહી થઈ શકતી નથી, પરિણામે તબાહી વધુ હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે વાદળ ફાટવાની ઘટનાઓમાં ત્રણ કારણો મુખ્ય છે. પહેલું – ટિહરી બંધ, બીજું – ટૂંકું થતું જતું ચોમાસું ને ત્રીજું – ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં જંગલોની અછત. ટિહરી બંધને કારણે ઘણી મોટી માત્રામાં જળસંચય થાય છે ને તેથી વાદળો બનવાની પ્રક્રિયામાં પણ વધારો થાય છે. સમગ્ર ઉત્તરાખંડમાં નદીના કુદરતી પ્રવાહને રોકીને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે એટલે પણ, પ્રકૃતિનું સંતુલન ખોરવાયું છે. અસંખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સે પહાડોને ખોખલા કરી દીધા છે. એક તો બેફામ વસ્તી, યાત્રીઓનો ધસારો, તેથી વધતું પ્રદૂષણ, આડેધડ થતાં બાંધકામો ને ઘટતી જતી હરિયાળી જેવી ઘણી બાબતો પ્રકૃતિને કારણ વગર ઉશ્કેરે છે ને તે વિફરે છે ત્યારે સામે કંઇ ટકતું નથી. જળને વહેતું અટકાવીને તેના માર્ગ પર સિમેન્ટી સ્ટ્રક્ચર્સ ખડાં કરી દેવાય તો પાણી વહે ક્યાંથી? આવું થાય ને જળ ન વહે તો માણસો વહી જાય છે. આવાં કામ આફતને આમંત્રણ આપે છે.

ઉત્તરાખંડની આ સમસ્યા પાંચેક દાયકા જૂની છે, પણ પર્વતોમાં વિકાસ, પર્વતોના સ્વભાવને સમજ્યા વગર થાય તો તે પોતાનો મિજાજ ગુમાવે છે. 1976માં તે વખતના ગઢવાલના કમિશ્નર એમ.સી. મિશ્રાની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ જોશીમઠને બચાવવા તાત્કાલિક કંઇ કરવાની ભલામણ કરેલી. તેમણે નવાં નિર્માણ પર પ્રતિબંધ મૂકવાની અને હરિયાળી વધારવાની વાત કરેલી, પણ આજે પચાસ વર્ષોમાં નથી નિર્માણ ઘટ્યાં કે નથી હરિયાળી વધી. આ સ્થિતિ વિકાસને વિનાશમાં ન બદલે તો જ આશ્ચર્ય થાય. પહાડમાં હાડ વધે તો ઝાડ ઘટે એ કહેવાની જરૂર નથી. પર્વતોની આટલી ઉપેક્ષા સહ્ય નથી. ગ્લોબલ વોર્મિંગમાં એક સેલ્સિયસનો વધારો થાય તો વરસાદમાં લગભગ 15 ટકાનો વધારો થાય છે. વળી ઉત્તરાખંડમાં 1,200થી વધુ નાનાંમોટાં હિમનદી-તળાવો છે. એમાં વરસાદ વધે તો નીચે રહેતાં લોકો માટે જોખમો વધે છે. આ બધું રાતોરાત ઊભું થયું ને આફત આવી એવું નથી. આ સમસ્યાઓ દાયકાઓથી છે. કુદરત તો કાળો કેર વર્તાવી જ શકે, પણ માણસ જાત એવી છે કે તે પ્રકૃતિને વશમાં કરી પોતાની પ્રગતિના વાવટા ફરકાવવા મથે છે ને જ્યારે અતિ થાય છે ત્યારે પ્રકૃતિ તણખલાની જેમ માણસને ફગાવી દે છે.

આટલું વીતે છે, પણ આપણે અનુભવોમાંથી કંઇ શીખતા નથી. માણસને પાઠ ભણાવવા 2013ની કેદારનાથની ઘટના જ પૂરતી છે, પણ આપણે સુધરવાનું તો દૂર, એવી જ બીજી દુર્ઘટનાના સંજોગો ઊભા થવા દઈએ છીએ. એવું ન હોત તો ચમોલીની, જોશીમઠની ઘટનાઓ ઘટી ન હોત ને એવું ય નથી કે ધરાલીમાં થયું છે તે ફરી થશે જ નહીં, બલકે, વધુ તારાજી સર્જતી ઘટના બને એમ બને. સવાલ તો એ છે કે ઉત્તરકાશીમાં આટલાં મોટાં નિર્માણ વગર આપણે શું રહી જઈએ છીએ કે આટલું નુકસાન વેઠવાની સતત તૈયારી રાખવી પડે? એ ઉપરાંત આ સ્થળો ધાર્મિક યાત્રા સ્થળો પણ છે. એટલે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટે છે ને એટલો કચરો કરે છે કે પવિત્ર અને સ્વચ્છ સ્થળો પ્રદૂષિત થયાં વગર રહેતાં નથી. પર્યાવરણ આ રીતે પ્રદૂષિત થતું રહેશે તો સમય જતાં ગ્લેશિયરો ઘટશે. એને લીધે જે પરિસ્થિતિ સર્જાશે તેની તો કલ્પના જ કરવાની રહે છે, કારણ એ પછી કલ્પના કરનારા પણ ન રહે એમ બને …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ઑગસ્ટ 2025

Loading

8 August 2025 Vipool Kalyani
← માણસ આજે (૩૧) 
રક્ષા બંધન →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved