Opinion Magazine
Number of visits: 9449348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસ્તીગણતરીમાં અલગ આદિવાસી ધર્મકોડની માંગ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 February 2021

ઝારખંડ વિધાનસભાના એકદિવસીય ખાસ સત્રમાં આગામી વસ્તીગણતરીમાં આદિવાસીઓ માટે અલગ ધર્મકોડની માંગણીનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. અલગ ઝારખંડ રાજ્યની રચના જેટલી જ જૂની માંગ અલગ આદિવાસી ધર્મકોડની પણ છે. ઝારખંડ મુક્તિ મોરચાએ વિધાનસભા ચૂંટણીમાં અલગ ધર્મકોડનું વચન આપ્યું હતું. એ જ પક્ષના હેમંત સોરેન મુખ્ય મંત્રી બનતાં માંગણીને બળ મળ્યું. દેશનાં અનેક રાજ્યોના આદિવાસીઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ આ માંગ વરસોથી કરતા રહ્યા છે. ઝારખંડનાં આદિવાસી સંગઠનો કોરોનાકાળમાં પણ અલગ ધર્મકોડ માટે ઉગ્ર આંદોલન કરી રહ્યા હતા. એટલે સરકારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જમણેરી બળો આદિવાસીઓને હિંદુ જ ગણે છે, પરંતુ આદિવાસીઓના મત ગુમાવવા ન પડે એટલે રાજ્યના મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પક્ષને પણ સરના-આદિવાસી એવા અલગ ધર્મકોડની માંગણીનું સમર્થન કરવું પડ્યું છે.

આદિવાસીઓની જીવન અને ઉપાસનાપધ્ધતિ પ્રકૃતિકેન્દ્રી છે. તેઓ પ્રકૃતિપૂજક સમાજ છે. હિંદુ અને અન્ય ધર્મ જેવાં લેખિત શાસ્ત્ર, ધર્મગ્રંથ અને ધર્મસ્થળો આદિવાસીઓ ધરાવતાં નથી. તેઓ પોતાને કોઈ સંગઠિત ધર્મનો હિસ્સો માનતા નથી. ભારતીય સંસ્કૃતિની બે મુખ્ય ધારા વૈદિક અને અવૈદિકમાંથી આદિવાસીઓ અવૈદિક અર્થાત્‌ પ્રકૃતિ કે માતૃસત્તાક સંસ્કૃતિનું અનુસરણ કરે છે. પણ કેટલાક ધર્મો યોજનાબદ્ધ રીતે પોતાનો ધર્મ, તહેવારો, ભાષા, ખોરાક, પહેરવેશ અને રિવાજો આદિવાસીઓ પર થોપે છે. હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થાને આદિવાસીઓ નકારે છે. માનવીની ઉત્પત્તિ મુખ, ભુજા, જાંઘ કે પગ જેવાં માનવ શરીરનાં અંગમાંથી થયાની માન્યતા તે સ્વીકારતા નથી. તેઓ માને છે કે પ્રત્યેક માનવીની ઉત્પત્તિ માના ગર્ભમાંથી જ થાય છે અને તે સિવાયની માન્યતાઓને વિજ્ઞાન કે તર્કનો આધાર નથી. આ ‘સરના’ એ આદિવાસી સમુદાયના ધર્મનું નામ છે જે પ્રકૃતિવાદ પર આધારિત છે. આદિવાસીઓનો તે આદિ ધર્મ છે, પણ તેમની આ અલગ ધાર્મિક ઓળખ હવે રહી નથી, તેથી આદિવાસીઓ તેમની અલગ સરના અદિવાસીની ધાર્મિક ઓળખ માટે મથે છે અને વસ્તી ગણતરીમાં આદિવાસી ધર્મકોડની માંગ કરે છે. અલગ આદિવાસી ધર્મકોડની માંગ આદિવાસીઓની રાષ્ટ્રીય કક્ષાએ અલગ અને સ્વતંત્ર ધાર્મિક ઓળખ ઊભી કરવા માટેની છે.

આદિવાસી સંસ્કૃતિ અને ધાર્મિક આઝાદીના રક્ષણ માટે તથા આદિવાસીઓને એકસૂત્રે બાંધવા માટે તેઓ અલગ ધર્મકોડને જરૂરી માને છે.

વીસ વરસ પહેલાં બિહારના વિભાજનથી ઝારખંડના અલગ રાજ્યની રચના થઈ હતી. ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે રાજ્યમાં આદિવાસીઓની વસ્તી ૨૬.૨૦ ટકા છે. રાજ્ય વિધાનસભાની કુલ ૮૧ બેઠકોમાં ૨૮ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. છેલ્લાં ૨૦ વરસમાં બી.જે.પી.ના રઘુવરદાસ સિવાયના તમામ મુખ્ય મંત્રીઓ પણ આદિવાસી સમાજમાંથી આવ્યા છે. ઝારખંડની કુલ ૮૬.૪૫ લાખ અદિવાસી વસ્તીમાં ૪૬.૪ ટકા (૪૦.૧૨ લાખ) સરના આદિવાસી, ૩૭ ટકા (૩૨.૪૫ લાખ) હિંદુ આદિવાસી, ૧૫.૫ ટકા (૧૩.૩૮ લાખ) ખ્રિસ્તી આદિવાસી છે. તે ઉપરાંત ૧૮,૧૦૭ મુસ્લિમ, ૨,૯૪૬ બૌદ્ધ અને ૯૮૪ શિખ આદિવાસી છે. આમ, તેઓની અલગ ધાર્મિક ઓળખના બદલે તેઓ દેશના મુખ્ય ધર્મોમાં વહેંચાયેલા.

અંગ્રેજોના શાસનકાળમાં ઈ.સ. ૧૮૭રથી આરંભાયેલી અને દર દાયકે થતી વસ્તી- ગણતરીમાં પહેલાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને યહૂદી એવા આઠ ધર્મકોડ પ્રમાણે ગણતરી થતી હતી. ઈ.સ. ૧૮૯૧માં આદિવાસીઓ માટે ટ્રાઇબ કે જનજાતિધર્મ એવો નવમો ધર્મકોડ દાખલ થયો હતો. એ રીતે આદિવાસીઓની અલગ ધાર્મિક ઓળખ સ્થાપિત થઈ હતી. ઈ.સ. ૧૯૫૧ની, આઝાદ ભારતની પહેલી વસ્તી-ગણતરીમાં આદિવાસીઓનો અલગ ધર્મકોડ નાબૂદ કરી અન્યનો વિકલ્પ આપવામાં આવ્યો. તે પછીની વસ્તી ગણતરીમાં અન્યનો વિકલ્પ પણ દૂર કરવામાં આવ્યો. હવેની વસ્તીગણતરીમાં માત્ર છ જ મુખ્ય ધર્મો (હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શિખ, બૌદ્ધ અને જૈન)ના એકથી છ ધર્મકોડ જ છે.

સંવિધાનના અનુચ્છેદ ૩૪૨થી આદિજાતિઓને અલગ જાતિની ઓળખ તો મળી છે, પરંતુ ધાર્મિક ઓળખ અન્ય ધર્મોમાં વિલોપિત થઈ ગઈ છે. આદિવાસી બૌદ્ધિક ડૉ. રામદયાલ મુંડા વરસોથી વસ્તી-ગણતરીમાં અલગ આદિવાસી ધર્મકોડની માંગણી તર્કબદ્ધ દલીલોથી રજૂ કરતા રહ્યા હતા. આ મામલો આદિવાસી સાંસદોએ સંસદમાં પણ ઉઠાવ્યો હતો. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ આદિવાસીઓની અનેક પ્રકારની ધાર્મિક માન્યતાઓની માહિતી મળે છે. ૨૦૧૧માં દેશનાં ૨૧ રાજ્યોમાં આદિવાસીઓની વસ્તી છે. ઝારખંડ ઉપરાંત અસમ, ઓડિસા, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં સરના આદિવાસીઓ જોવા મળે છે. વિવિધ ૭૫૦ જાતિઓમાં વહેંચાયેલા અને ૨૦૧૧માં ૮.૬ ટકા કે ૧૦.૪૨ કરોડ આદિવાસીઓની અલગ અને સ્વતંત્ર ધાર્મિક ઓળખનો આ સવાલ છે.

વસ્તીગણતરીમાં નવો ધર્મકોડ દાખલ કરવાની કે કોઈને ધર્મનો દરજ્જો આપવાની સત્તા કેન્દ્ર, સરકાર હસ્તક છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે બી.જે.પી.એ પણ ઝારખંડના અદિવાસીઓની અલગ ધર્મકોડની માંગનું સમર્થન કર્યું હતું. હવે વિધાનસભાના બી.જે.પી. સમર્થિત સર્વાનુમત પ્રસ્તાવ પછી કેન્દ્ર પર આ માંગણીના સ્વીકારનું દબાણ આવશે. અગાઉ ૨૦૧૮માં કર્ણાટકની કૉૅંગ્રેસી સરકારે લિંગાયતોને અલગ ધાર્મિક ઓળખ આપવા કેન્દ્રને દરખાસ્ત કરી જ હતી. લિંગાયત કર્ણાટકની ઉચ્ચ વર્ણીય અને રાજકીય આર્થિક રીતે વગદાર કોમ છે. રામકૃષ્ણ હેગડેથી યેદિરુપ્પા જેવા લિંગાયત નેતાઓ મુખ્ય મંત્રી બન્યા છે. લિંગાયતો પણ ઘણા સમયથી અલગ લિંગાયત ધર્મની માંગણી કરે છે. પાર્ટીની ઉપરવટ જઈને યેદિરુપ્પાએ કૉંગ્રેસના અલગ લિંગાયત ધર્મની દરખાસ્તનું સમર્થન કર્યું હતું, તે હજુ તાજો ઇતિહાસ છે. હવે કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર છે અને લિંગાયતોની માંગણી વિસારે પાડી દેવાઈ છે.

ઝારખંડ વિધાનસભાના સર્વાનુમત પ્રસ્તાવથી દેશના આદિવાસીઓના અલગ ધાર્મિક ઓળખ-આંદોલનને બળ મળ્યું છે. ઘણા આદિવાસી આગેવાનો અને બૌદ્ધિકો સરનાને બદલે દેશવ્યાપી સર્વસંમત આદિવાસી ધાર્મિક ઓળખરૂપ શબ્દની તરફેણ કરે છે. તે માટે અગાઉના ટ્રાઇબ, મૂળનિવાસી કે આદિજાતિ ધર્મ જેવા શબ્દો પર સર્વાનુમતી સાધવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. બીજી તરફ કેન્દ્રના ગૃહ મંત્રાલય હસ્તકના વસ્તીગણતરી વિભાગના મહાનિયામક અલગ આદિવાસી ધર્મકોડની માંગનો અમલ કરવો વ્યવહારમાં શક્ય ન હોવાનું જણાવે છે. કેમ કે ૨૦૦૧ની વસ્તીગણતરીમાં ૧૦૦થી વધુ જનજાતિ ધર્મોની માહિતી મળી હતી. છ મુખ્ય ધર્મકોડ ઉપરાંત ૫૦ રજિસ્ટર્ડ ધર્મો છે. ૨૦ ધર્મોનાં નામ જનજાતિ પરથી છે, એટલે દરેકને ધર્મકોડ આપવાનું શક્ય નથી. જવાબમાં અલગ આદિવાસી ધર્મકોડના તરફદારો સવાલ કરે છે કે માંડ ૪૦ લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો ૧૧ કરોડ આદિવાસીઓની માંગણી કઈ રીતે અવ્યવહારુ છે ? એકલા ઝારખંડમાં ૧૯૩૧માં અલગ આદિવાસી ધર્મની ઓળખ ધરાવતા આદિવાસીઓ ૩૮.૩ ટકા હતા, હવે તે ઘટી ગયા છે કેમ કે અન્ય ધર્મોએ તેમની ધાર્મિક ઓળખ મિટાવીને તેને પોતાનામાં સમાવી લીધા છે. એ અટકાવવા પણ અલગ ધર્મકોડ જરૂરી છે.

આદિવાસીઓ પોતાની અલાયદી રાષ્ટ્રીય ધાર્મિક ઓળખ માંગે અને તે માટે આંદોલન કરે તેમાં કંઈ ખોટું નથી. પરંતુ સંગઠિત ધર્મોથી વેગળો રહેલો આ સમુદાય વળી કોઈ નવો ધર્મસમૂહ ન બની જાય તેની પણ ભીતિ રહે છે. આદિવાસીઓનાં જળ, જમીન, જંગલ જેવાં કુદરતી સંસાધનો પરની માલિકી, શિક્ષણ, રોજગાર, આરોગ્ય, રહેઠાણ, ગરીબી અને વિકાસવંચિતતા જેવા પાયાના સવાલો વણઊકલ્યા છે. તેને બદલે ધર્મની ઓળખનાં લટકણિયાં માટે સમય, શક્તિના ઉપયોગને કેટલી પ્રાથમિકતા આપવી કે કોઈ રાજ્યની વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવું પડે તેવું હાલનું અસરકારક અને રાષ્ટ્રવ્યાપી આંદોલન કેટલું અગ્રતાક્રમે હોવું જોઈએ તે બાબત પણ આદિવાસી-આંદોલને વિચારવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 06-07

Loading

16 February 2021 admin
← કોરોના સમયનું સાહિત્ય
મળેલા જીવની વારતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved